બહાદુર મહિલા પત્રકાર તવલીન સિંઘના ‘દરબાર’માં Divya Bhasker, 24-2-2013

કોઇ પક્ષ કે રાજકીય નેતા જેને ઉપકારોનો ઢગલો ઠાલવીને ખરીદી ન શકે એવી કલમની તાકાત પુસ્તકને પાને પાને પ્રગટ થતી રહે છે. દેશમાં દાયકાઓ સુધી બોગસ સેક્યુલરિઝમ ચાલ્યું તેને પરિણામે બોગસ હિંદુત્વ અને બોગસ મુસલમાનત્વ પેદા થયું. ફેશન તરીકે ફાટફાટ થતી બૌદ્ધિક બદમાશીને કારણે માનવતાકેન્દ્રી મમાં પ્રદૂષણ પેઠું. તવલીન સિંઘ જેવા ગણ્યાગાંઠ્યા પત્રકારો માંડ બચી ગયા !

આજે ભારતમાં કેવળ બે જ પ્રકારના મનુષ્યો જીવે છે : એક છે નરેન્દ્ર મોદીની તરફેણ કરનારા અને બીજા છે એમનો વિરોધ કરનારા. કોઇની આંધળી તરફેણ કરવા માટે અક્કલના ઓથમીર બનવું પડે અને કોઇનો આંધળો વિરોધ કરવા માટે પોતાની બુદ્ધિ ગીરવી મૂકવી પડે. આજથી પાંચ – સાત વર્ષ પર નરેન્દ્ર મોદી માટે બે સારાં વાક્યો લખવામાં જબરી નિર્ભયતાની જરૂર પડતી. આજે એવું નથી રહ્યું. એ જ રીતે ચાર – પાંચ વર્ષ પર રાહુલ ગાંધીની ટીકા કરવા માટે બહાદુરીની જરૂર પડતી. આજે એવું નથી રહ્યું. દિલ્હીના કેટલાક તેજસ્વી પત્રકારો હવે નિર્ભયપણે સાચી વાત કહેતા થયા છે. બહાદુર અને સેક્યુલર મહિલા પત્રકાર તવલીન સિંઘની વાત જરા જુદી છે. એમનું પુસ્તક ‘DURBAR’ (Hachett India, રૂ. ૫૯૯) સૌ સમજુ નાગરિકોએ વાંચવા જેવું છે. એક પત્રકારનું આત્મવૃત્તાંત કોઇ નવલકથા કરતાંય વધારે રસપૂર્ણ છે.

ત્રણ મહિલા પત્રકારોનાં લખાણ વાંચવાની એક પણ તક હું ગુમાવતો નથી : (૧) તવલીન સિંઘ (૨) સબા નકવી અને (૩) પાકિસ્તાની પત્રકાર મરિઆના બાબર. ત્રણે પત્રકારો કોઇની સાડાબારી ન રાખે. ત્રણે બિનહિંદુ અને ત્રણે સો ટચનાં સેક્યુલર ! યુવાન વયે તવલીન પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પડી. યુવાનનું નામ સલમાન તાસીર. પાછળથી એ યુવાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)માં સક્રિય બન્યો અને બેનઝીર ભુટ્ટોનો માનીતો બન્યો. યાદ છે ? ખ્રિસ્તી મહિલા એસિયા બીબીને પયગંબરની બદનક્ષી કરવાના બોગસ આક્ષેપ બદલ ફાંસીની સજા ફરમાવવામાં આવી ત્યારે પંજાબના ગવર્નર સલમાન તાસીરે એસિયાની વહાર તાણી તેથી અંગરક્ષકે જ સલમાનની હત્યા કરી. આવા બહાદુર સલમાનની (ભૂતપૂર્વ) પત્ની તવલીનનો બેટો આતશિ તાસીર લંડનમાં મોટો થયો. વર્ષો પછી એ અબ્બાજાન સાથે રહેવા પાકિસ્તાન ગયો, પણ ત્યાં એને ન ફાવ્યું.

પોતાના અનુભવને આધારે હોનહાર લેખક એવા આતિશે પુસ્તક લખ્યું ‘Stranger to History: A Son’s Journey Through Islamic Land.’ તવલીન સિંઘ જે લખે તે સ્પષ્ટપણે લખે છે. એ રાજીવ અને સોનિયાના પરિચયમાં આવી. દિલ્હીમાં લંચ અને ડિનર પાર્ટીઓમાં પાઇલટ રાજીવ ગાંધી અને પત્ની સોનિયા સાથે વાતો થતી રહી. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પહેલાં શું બન્યું, કટોકટી દરમિયાન શું બન્યું અને કટોકટી પછી શું બન્યું તેનો રસપ્રદ ઈતિહાસ તટસ્થ પત્રકારની કલમે આ પુસ્તકમાં સચવાયો છે.

કોઇ પક્ષ કે રાજકીય નેતા જેને ઉપકારોનો ઢગલો ઠાલવીને ખરીદી ન શકે એવી કલમની તાકાત પુસ્તકને પાને પાને પ્રગટ થતી રહે છે. દેશમાં દાયકાઓ સુધી બોગસ સેક્યુલરિઝમ ચાલ્યું તેને પરિણામે બોગસ હિંદુત્વ અને બોગસ મુસલમાનત્વ પેદા થયું. ફેશન તરીકે ફાટફાટ થતી બૌદ્ધિક બદમાશીને કારણે માનવતાકેન્દ્રી સેક્યુલરિઝમમાં પ્રદૂષણ પેઠું. તવલીન સિંઘ જેવા ગણ્યાગાંઠ્યા પત્રકારો માંડ બચી ગયા ! પુસ્તકમાં વાંચવા મળતી થોડીક વાતો હવે સાંભળો:

- ઇન્દિરા ગાંધીની હત્યા થઇ પછી શીખોની કતલ થઇ તે સંદર્ભે રાજીવ ગાંધીએ કહ્યું : ‘જ્યારે મોટું ઝાડ પડે ત્યારે ધરતી ધ્રૂજે છે.’ અટલબિહારી વાજપેયીએ આવી સંવેદનહીન ટિપ્પણી સાંભળી ત્યારે આવો પ્રતિભાવ આપ્યો. ‘રાજીવ તો બાળક છે. એને ખ્યાલ નથી કે જ્યારે ધરતી ધ્રૂજે ત્યારે જ ઝાડ પડે છે.’ (પાન-૧૯૩).

- રાજીવની હત્યા થઇ ત્યારે (ઇન્દિરાજીની હત્યા બાદ થયેલી શીખોની કત્લેઆમ માટે બદનામ થયેલા) ‘ઠગ’ એચ. કે. એલ. ભગત ટોળા સાથે ૧૦ જનપથ પર પહોંચ્યા. ટોળું સૂત્રોચ્ચાર કરતું હતું ‘ખૂન કા બદલા ખૂન સે લેંગે.’ એક જુથે તો કહ્યું : ‘આ વખતે તો ભારતમાં એક પણ શીખ જીવતો રહેવા નહીં પામે.’ (પાન-૫)

- વસુંધરા રાજેનાં અને માધવરાવ સિંધિયાનાં માતા ગ્વાલિયરનાં મહારાણી જનસંઘ તરફથી ઇન્દિરા ગાંધી સામે રાયબરેલીમાં ચૂંટણી લડી રહ્યાં હતાં. મહારાણી પ્રસન્નતાથી અને અડગ હિંમતથી ભરેલાં હતાં. કટોકટી વખતે એમને તિહાર જેલમાં ફાંસીની સજા પામેલા કેદીઓની કોટડીમાં રાખવામાં આવ્યાં હતાં. પુત્ર માધવરાવ કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો.(પાન-૧૦૯-૧૧૦).

- ‘નસીબના કોઇ વળાંકને કારણે ૧૯૭૭માં જો અટલબિહારી વાજપેયી વિદેશમંત્રીને બદલે ભારતના વડાપ્રધાન બન્યા હોત, તો આધુનિક ભારતનો ઈતિહાસ જુદો હોત.’તવલીન સિંઘે આ વિધાન કર્યુંઁ છે. (પાન-૮૮).
- શીખ મહિલા હોવા છતાં તવલીને જાનને જોખમમાં મૂકીને ભિંદરાનવાલેના અત્યાચારો સામે લેખ લખ્યો હતો : ‘Why I Am Ashamed to be Sikh?’ ભિંદરાનવાલે બોલ્યા : ‘તું નસીબદાર છે કે તું સ્ત્રી છે, બાકી…’ (પાના-૧૫૮-૧૫૯).

- સોનિયા-રાજીવની સૌથી નજીક હતાં : ઇટાલીનાં શ્રી અને શ્રીમતી કવોટ્રોચી. (પાન-૨૩૫)
- સંજય ગાંધી પોતાના નાના વિમાનમાં સફદરજંગ એરપોર્ટ પરથી સવારે ઊડ્યા અને વિમાન તૂટી પડ્યું. એ વિમાનમાં માધવરાવ સિંધિયા સાથે જ હોત, પરંતુ એ મોડા પડ્યા તેથી બચી ગયા ! વર્ષો પછી તેઓ પણ વિમાની અકસ્માતમાં જ મર્યા. (પાન-૧૨૬)

- સોનિયાનું શોપિંગ ? અધધધ ! (પાન-૨૩૫)
- રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં ‘ધાર્મિક રાજકારણ’ ખેલવાનું રાખ્યું. પરિણામે અયોધ્યામાં મસ્જિદ ધરાશયી થઇ એટલું જ નહીં, પરંતુ હજારો નિર્દોષ માણસો મર્યા. મુસ્લિમ પર્સનલ લો અંગે જે છુટ આપી ત્યારબાદ રાજીવના મહામૂર્ખ સલાહકારોએ રામમંદિરનો શિલાન્યાસ કરવાનું સૂચવ્યું. લોકોને સમજાયું કે વડાપ્રધાન રાજીવને પોતે શું કરે છે તેની ગતાગમ નથી. (પાન-૨૫૧).

- સમાજવાદી ગણાતા ચંદ્રશેખરે બલિયામાં ભવ્ય મંદિર બંધાવ્યું તેમાં ઘણો ખર્ચ કર્યો હતો અને હોસ્પિટલનું બાંધકામ અધૂરું રહી ગયું ! (પાન-૨૧૩)

વંશપરંપરાગત (ડાયનેસ્ટિક) રાજકારણનો દોર રાજ્યોમાં પણ શરૂ થઇ ગયો. અનેક ઉદાહરણો ટાંકીને પુસ્તકને અંતે તવલીન લખે છે : ‘જો ઇન્દિરા ગાંધીએ દાખલો બેસાડ્યો હોત, તો આવું બનત ખરું ? મને લાગે છે કે ન બન્યું હોત. તેથી જ રાજીવ ગાંધીની આ કહાણી ઘણું મહત્વ ધારણ કરનારી છે. રાજીવની સાથે સાથે જ આવું બધું શરૂ થઇ ગયું. (પાન-૩૧૨).

ગાંધી પરિવારના શ્રદ્ધાળુ ભક્તોએ આ પુસ્તક વાંચવાનું ટાળવું રહ્યું.‘

પાઘડીનો વળ છેડે

સોનિયાને રાજકારણમાં બિલકુલ રસ ન હતો.
એક ડિનર પાર્ટી પછી
રાજીવ અને સોનિયા મને મારા ઘરે
છોડવા માટે આવ્યાં ત્યારે સોનિયાએ
જે કહ્યું તે સિવાય રાજકારણ અંગે એણે
કોઇ ટિપ્પણી કરી હોય તેવું મને યાદ નથી.
મેં સોનિયાને પૂછ્યું :
કોઇ દિવસ એનાં બાળકો રાજકારણમાં
પ્રવેશે એ વાત એને ગમે ખરી ?
સોનિયાએ જવાબમાં કહ્યું :
‘રાજકારણમાં પ્રવેશે તેના કરતાં તો
મારાં બાળકો મહોલ્લામાં ભીખ માગે
તે હું પસંદ કરું ? (પાન-૧૦૨)
તવલીન સિંઘ

માણસના માથામાં સંતાયેલું ભવ્ય મંદિર Divya Bhasker, 18-2- 2013

કોઇ ધર્મપંથ સાથે જોડાયેલી આંધળી વિચારનિષ્ઠા મનુષ્યના ખુલ્લા મન પર ઠંડો પ્રહાર કરનારી છે.]

જીવનમાં ક્યારેય ન જોયેલી એટલી ટૂંકી ફિલ્મ માત્ર દસ મિનિટની હતી. એ ફિલ્મનું શીર્ષક વિચિત્ર હતું: ‘Is It Right to Be Right Always?’ કેનેડાના એડમંટન શહેરમાં મળેલી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં એ ૧૯૮૩માં જોયેલી. એમાં એક એવા ગામની કલ્પના રજૂ થઇ છે કે જ્યાં કદી પણ કોઇ માણસ ખોટો નહીં હોય અને કાયમ ખરો જ હોય!

જ્યાં બધા જ માણસો કાયમ ખરા હોય એવું ગામ ટકી શકે ખરું? આવી પરિસ્થિતિમાં યુદ્ધની નોબત આવી પડે છે. લડવા તૈયાર થયેલા બંને પક્ષો વચ્ચે ભારે ઉશ્કેરાટ પેદા થાય છે. યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી, તે ક્ષણે વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો. ગમે તે ક્ષણે બંદૂકમાંથી ગોળી છુટે એટલી જ વાર! તાણથી ભરેલી એવી શાંતિમાં સૌને કાને એક વાક્ય પડ્યું: ‘હું ખોટો હોઇ શકું.’ સામે પક્ષે કોઇ સાવ ધીમે અવાજે બોલ્યું: ‘તમે સાચા હોઇ શકો.’ બસ, આ બે વાક્યો સંભળાયાં અને યુદ્ધ ટળી ગયું! દસ મિનિટની આ ફિલ્મ પૂરી થઇ ગઇ.

માણસના માથામાં એક ભવ્ય મંદિર સંતાયેલું હોય છે. યુદ્ધ એક ક્ષણ છેટું હતું ત્યારે જે મનુષ્યે, ‘હું ખોટો હોઇ શકું.’ એવું વાક્ય તાણભર્યા સન્નાટામાં વહેતું મૂકર્યું, તે વાક્ય મનમંદિરના ગભારામાંથી પ્રગટેલો મંગલ ધ્વનિ ગણાય તેવું હતું. સામે પક્ષે પણ એવું જ મંગલ વાક્ય સૌને કાને પડ્યું: ‘તમે સાચા હોઇ શકો.’ આવા અર્દશ્ય મંદિરનું કોઇ નામ ખરું? માણસનું ખુલ્લું મન એ જ મંદિર છે. ભારતની જૈન પરંપરાએ માનવજાતને એક પવિત્ર શબ્દની ભેટ ધરી છે. એ શબ્દ છે: ‘અનેકાંત.’ પ્રત્યેક બાબતને સમજવાની અનેક બાજુઓ હોય છે.

જે માણસ કેવળ એક જ દ્રષ્ટિબિંદુથી સત્યને નિહાળે છે, તે ઘણું બધું ચૂકી જાય છે. સંપૂર્ણપણે ખુલ્લું મન રાખીને સત્યની શોધ કરનારી ઉપાસના એટલે અનેકાંતની ઉપાસના. એમાં સિદ્ધાંતજડ (doctrinaire) બનીને આદર્શવાદી હઠ પકડવાની કુટેવને કોઇ સ્થાન નથી. કોઇ મહામાનવ કે કોઇ વિચારધારા કે કોઇ ધર્મપંથ સાથે જોડાયેલી આંધળી વિચારનિષ્ઠા મનુષ્યના ખુલ્લા મન પર ઠંડો પ્રહાર કરનારી છે. જ્યાં કંઠી કે માદિળયું બંધાય, ત્યાં વિચારશક્તિ કુંઠિત થાય જ છે. આવું બને ત્યારે સત્યની શોધ ક્ષીણ થાય છે.

મહાત્મા ગાંધી મહામાનવ ખરા, પણ એમની કંઠી ન બંધાય. એમની પણ એવી લગીરે ઇચ્છા ન હતી. મહાત્મા ખુલ્લા મનના સત્યશોધક હતા. એમના માથામાં સંતાયેલું ભવ્ય ‘સત્યમંદિર’ વિશ્વભરમાં મંગલ ધ્વનિ પ્રસરાવતું રહ્યું. એ ધ્વનિ સાથે વહી આવતાં બે પવિત્ર વાક્યો હતાં: ‘હું ખોટો હોઇ શકું અને તમે સાચા હોઇ શકો.’ આ હતું મહાત્માનું અનેકાંત!

બંધિયાર મન એટલે ખાબોચિયું. ખાબોચિયું હોય ત્યાં પ્રવાહ ન હોય. પ્રવાહ ન હોય ત્યાં દિશા ન હોય. દિશા ન હોય ત્યાં મંજિલ (ગન્તવ્ય) ન હોય. ખાબોચિયું જીવનભર એક અધિકાર જાળવી રાખે છે. એ છે ગંધાઇ ઊઠવાનો અધિકાર. આવો દુર્ગંધસિદ્ધ અધિકાર ખાબોચિયાને મહાસાગરથી છેટે ને છેટે રાખે છે. તમે કદી કોઇ ખુલ્લા મનના માકર્સવાદીને મળ્યા છો? કેવળ એક જ અપવાદ જીવનમાં જડ્યો છે.

લોર્ડ ભીખુ પારેખે ખુલ્લા મને ગાંધીજી પર પુસ્તકો લખ્યાં છે. એમનું લોકપ્રિય પુસ્તક: ‘ગાંધીજી: સંક્ષપિ્ત પરિચય’ પ્રગટ થયું છે, જેનો ગુજરાતી અનુવાદ પ્રા. હસમુખ પંડ્યાએ કર્યો છે. (ગૂર્જર). વાંચવાનું ગમે તેવું સુંદર પુસ્તક છે. માકર્સવાદ સ્તાલિનને પનારે પડ્યો પછી એક કરોડ માણસોની કતલ થઇ હતી. રશિયન કવિ યેવતુશેન્કોએ લખ્યું:

લેનિનનો સામ્યવાદ માણસ માટે હતો.
સ્તાલિન માટે માણસ સામ્યવાદ માટે હતો.

આવું જ બીજું વિકરાળ ખાબોચિયું માઓ ઝેડોંગે ચીનમાં સજ્યું હતું. આજે પણ ભારતમાં માઓ અને સ્તાલિનની છબી રાખનારા સામ્યવાદીઓ જીવે છે. ઘણાખરા ગાંધીવાદીઓ કંઠીયુકત ખરા, પરંતુ છેક બંધિયાર મનના નથી હોતા.

માણસના માથાની ઉત્ક્રાંતિના ચાર ગીઅર છે: (૧) ન્યુરોલોજી (મજજાતંત્ર) (૨) સાયકોલોજી (મનસ્તંત્ર) (૩) થિયોલોજી (ધર્મતંત્ર) (૪) કોસ્મોલોજી (વિશ્વતંત્ર). સૂફી સંત હઝરત ઇનાયત ખાન મૂળે અમારા વડોદરાના હતા તેઓ કહેતા:

ભગવાન તમારું દિલ તોડે છે,
ફરી તોડે છે અને ફરી તોડે છે,
જ્યાં સુધી એ ખુલ્લું ન થાય!

આદરણીય મોરારિબાપુ ખુલ્લા મનના રામભક્ત અને ગાંધીભક્ત છે. એકતા અને સમન્વય એમને અંદરથી ગમે છે, કારણ કે એ રામને ગમે છે. સોક્રેટિસ કહેતો કે: ‘હું નથી જાણતો, એવું ભાન જાણવાની શરૂઆત છે.’ આવી સમજણ એ જ ખરું રેશનલિઝમ છે. આવી સમજણ ન હોય, તો રેશનલઝિમ પણ એક ખાબોચિયું! નવા વિચારની લહેરખી પણ પ્રવેશી ન શકે એવી બંધ બારીવાળા મનમાં નાની ફાટ પણ ન હોય તેવો બુદ્ધિખોર અને દલીલબાજ માણસ બીજું બધું હોઇ શકે, રેશનલિસ્ટ ન હોઇ શકે. કોઇ બગભગત જૂઠું બોલી શકે, પરંતુ રેશનલિસ્ટ કદી જૂઠું ન બોલી શકે. આ બાબતે એ પાકો ગાંધીભકત ગણાય.

જીવનમાં મને વારાફરતી ચાર પેઢી જોવા મળી છે. પસાર થતી પ્રત્યેક પેઢી ચોક્કસપણે ઓછી દંભી અને ઓછી સંકુચિત બનતી જાય છે. લખી રાખો કે આવતાં પચીસ વર્ષ પછી લેઉવા પટેલોનું શ્રદ્ધાતીર્થ ખોડલધામ પણ ‘માનવધામ’ બની જવાનું છે. જ્ઞાતિવાદ અને કોમવાદનું કોઇ જ ભવિષ્ય નથી. તમારાં જ સંતાનો તમારું પ્રિય ખાબોચિયું સ્વીકારવાનાં નથી. મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને આઇપેડ દ્વારા નવી પેઢી વિશાળ જ્ઞાનસાગરના સીધા સંપર્કમાં આવી ચૂકી છે. હે વડીલો! તમે હાસ્યાસ્પદ બનો તે પહેલાં સુધરી જાઓ!

ત્રીસમી જાન્યુઆરીના દિવસે આદરણીય નારાયણ દેસાઇએ ૧૦૮મી છેલ્લી ગાંધીકથા પૂર્ણ કરી. એમણે ૧૦૮ યુનિવર્સિટી કરે તેવું મહાન કામ કર્યું છે. પ્રાધ્યાપક ડૉ. યોગેન્દ્ર પારેખે મુંબઇમાં બે ગાંધીકથા પૂરી કરી. યોગેન્દ્રભાઇ ગાંધીજન નથી, પરંતુ એમનો ‘ગાંધીમિજાજપ્ત ચોવીસ કેરેટનો છે. જ્યાં અલકનંદા અને મંદાકિની જેવી બે નદીઓ મળે ત્યાં દેવપ્રયાગ સર્જાય છે. બે નાની નદીઓનો સંગમ પણ પવિત્ર ગણાય છે. એ જ રીતે બે વિચારધારાઓ વચ્ચેનો સમન્વય પણ સંગમતીર્થ બની રહે છે. માનશો? માર્ક ટ્વેઇન ૧૮૯૫ની સાલમાં પ્રયાગના કુંભમેળામાં ગયો હતો. આપણી દુનિયા આખરે તો સાત અબજ મનુષ્યોનો એક વિરાટ મહાકુંભ જ છે ને!

કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ્’ જોવાનું બન્યું. પ્રત્યેક નાગરિકે તે અચૂક જોવી જોઇએ. ક્રૂરતા અને બર્બરતાનો નગ્ન નાચ અસહ્ય જણાય, પરંતુ વાસ્તવિકતા પણ એ જ છે. ‘વિશ્વરૂપમ્’ શબ્દ ગીતાનો મૌલિક શબ્દ છે. શરૂઆત જ કવિ જાવેદ અખ્તરના ગીત પર આધારિત સુંદર કૃષ્ણન્úત્યથી થાય છે. આખરે અલ કાયદા એટલે શું? બંધિયાર મનના ખાબોચિયાની લોહિયાળ દુર્ગંધ! કમલ હાસનના આવા મહાસર્જનને સલામ! ફિલ્મમાં એક વાક્ય સાંભળવા મળે છે: ‘જંગ મેં આંસૂ નહીં બહતે, ખૂન બહતા હૈ.’ વાત ખોટી છે. જંગમાં આંસુ વહે તે દેખાતાં નથી, લોહી દેખાય છે. ફિલ્મમાં બોંબધડાકો એ જ બરાડો, બંદૂકના ભડાકા એ જ બોલી અને કાપાકાપી એ જ કલ્ચર! પેલું ભવ્ય મંદિર મનુષ્યના માથામાં ક્યારે સર્જાશે?‘

પાઘડીનો વળ છેડે

આ વિશ્વમાં કેટલીક બાબતો
એવી છે, જે જાણીતી છે.
અને કેટલીક બાબતો એવી છે,
જે અજાણી છે.
અને એ બંનેની વચ્ચે હોય છે:
બારણાં જ બારણાં!- વિલિયમ બ્લેક

શિક્ષણ એટલે માનવમાં થતું મૂડીરોકાણ Divya Bhasker, 25-3-2013

પાકિસ્તાની નાણાપ્રધાને જાપાનના શાણા માણસોને એક જ પ્રશ્ન પૂછ્યો: ‘બીજા વિશ્વયુદ્ધ પછી તમારો દેશ મહાસત્તા બન્યો તે વાતનું રહસ્ય શું?’ ત્રણ શાણા માણસનો જવાબ હતો: ‘અમે વિશ્વયુદ્ધ પછી થયેલી ખુવારીને અંતે નક્કી કર્યું કે શિક્ષણમાં રોકાણ કરીને અમે દેશને વિકાસને માર્ગે લઇ જઇશું.’

પાટણ એટલે શ્રી હેમચંદ્રાચાર્યની વિદ્યાનગરી. વ્યાકરણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોશો, પુરાણગ્રંથો, કાવ્યગ્રંથો અને સ્તક્ષેત્રો-એમ અનેક વિષયોને આ મહાન પ્રતિભાએ પોતાની પારમિતા (excellence) વડે સમૃદ્ધ કર્યા છે. કોઇ યુનિવર્સિટી મને જ્યારે પણ દીક્ષાંત પ્રવચન આપવા માટે આમંત્રણ પાઠવે ત્યારે મારી ભીતર બેઠેલો પ્રોફેસર જાગી ઊઠે છે. જીવનમાં પૂરાં ત્રીસ વર્ષો સુધી દેશ-પરદેશની યુનિવર્સિટીઓમાં શિક્ષણના પ્રોફેસર તરીકે કામ કર્યું, તેથી યુવાન વિદ્યાર્થીઓને બે શબ્દો કહેવાની તક મળે ત્યારે હૈયું હરખાય છે. આજે મને મારો વર્ગખંડ જાણે પાછો મળતો હોય એવી લાગણી થઇ રહી છે. હવે પછીની થોડીક મિનિટ માટે હું કેવળ પ્રોફેસર બની રહેવા ઇચ્છું છું. જીવનભર હું શિક્ષકની ખુમારી જાળવીને જીવ્યો છું. આજે થોડીક ખુમારી વહેંચવાની ઇચ્છા છે. મારે મન શિક્ષક હોવું, એટલે જ સમ્રાટ હોવું!

શ્રી હેમચંદ્રાચાર્યની ખુમારી કેવી હતી? શ્રીમદ્ રાજચંદ્રે એમની એક વિશિષ્ટતા તરફ ધ્યાન દોર્યું હતું: ‘તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામથ્ર્યવાન હતા. તેમણે ત્રીસ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવા લાખથી દોઢ લાખ માણસોની સંખ્યા થઇ. શ્રી સહજાનંદના સંપ્રદાયમાં એક લાખ માણસો હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત.’ આમ એમણે ‘વીતરાગસ્તવ’ સ્તક્ષેત્ર રચ્યું એટલું જ નહીં, જીવનમાં પણ વીતરાગત્વ સિદ્ધ કર્યું! પાટણની પ્રભુતાનો ઉજજવલ ઈતિહાસ કેવળ રાજકીય નહીં, વિદ્યાકીય પણ છે. આવા પ્રાત: સ્મરણીય વિદ્યાચાર્યને વંદન કરીને હું મારા વિષય પર આવી જવા ઇચ્છું છું.

પાકિસ્તાનમાં એક વિચિત્ર ઘટના બનેલી. ત્યાંના ભૂંડા સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકને શ્રેષ્ઠ નાણાપ્રધાન મળેલા. એમનું નામ હતું મહેબૂબ ઉલ હક. મહેબૂબભાઇ યુ.એન.ઓ.ની જ સંસ્થા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સલાહકાર હતા. (૧૯૮૯-૯૫). થોડાક સમય માટે મહેબૂબભાઇ વર્લ્ડ બેન્ક સાથે પણ જોડાયા હતા. UNDPની સ્થાપના ૨૨ નવેમ્બર, ૧૯૬૫ને દિવસે થઇ હતી.

મહેબૂબભાઇએ વિકાસ સાથે GDP અને GNP ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, આયુષ્ય અને અન્ય માપદંડો જોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે માનવીય વિકાસ માટે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેકસ (HDI) પણ આર્થિક-ઔદ્યોગિક વિકાસ જેટલો જ મહત્વનો છે એવી સમજણનો દુનિયામાં પહેલી વાર સ્વીકાર થયો. હોંગકોંગથી પ્રગટ થતા ‘INSIGHT’ જર્નલમાં ડૉ. હકનો લેખ પ્રગટ થયો જેમાં એક યાદગાર વાક્ય હતું: ‘Babies cry out for milk in the middle of the night, while generals are out shopping for tanks.’ (અડધી રાતે જ્યારે શિશુ દૂધ માટે રડી ઊઠે, ત્યારે લશ્કરના જનરલો ટેન્કોની ખરીદી માટે નીકળી પડે છે.) માનશો? વડાંપ્રધાન ઇન્દિરાજીએ પોતાના પ્રવચનમાં આ વિધાન પોતાના વિધાન તરીકે કહ્યું. સ્પીચ-રાઇટરની ભૂલ હશે. આવી ઉઠાંતરી (પ્લેગિયારઝિમ) માટે મહેબૂબભાઇએ પગલાં ભરવાનો ઇનકાર કરીને જબરી ખાનદાની બતાવી હતી.

વાત હજી આગળ ચાલે છે. જનરલ ઝિયાએ જ્યારે જાપાનની મુલાકાત લીધી ત્યારે સાથે મહેબૂબભાઇ પણ હતા. પાકિસ્તાનના ડેલગિેશને જાપાનના શાસકો પાસે એક મૌલિક માગણી કરી: ‘અમે જાપાનના ત્રણ શાણા માણસોને મળવા માગીએ છીએ.’ માગણી મંજૂર રાખવામાં આવી. પાકિસ્તાની નાણાપ્રધાને એ શાણા માણસોને એક જ પ્રશ્ન પૂછ્યો: ‘બીજા વિશ્વયુદ્ધ પછી તમારો દેશ મહાસત્તા બન્યો તે વાતનું રહસ્ય શું?’ ત્રણ શાણા માણસનો જવાબ હતો: ‘અમે વિશ્વયુદ્ધ પછી થયેલી ખુવારીને અંતે નક્કી કર્યું કે શિક્ષણમાં રોકાણ કરીને અમે દેશને વિકાસને માર્ગે લઇ જઇશું.’ આ પ્રસંગ હું અહીં પાટણમાં ગુજરાતની અને ભારતની સરકારને અર્પણ કરવા માગું છું.

૧૯૬૭-૬૮ના વર્ષમાં હું અમેરિકામાં યુનિવર્સિટી ઓફ મિશિગન (એન આર્બર)માં
શિક્ષણશાસ્ત્રનો પ્રોફેસર હતો. ભારત પાછા ફરવાના પ્રસંગે અધ્યાપકોએ વિદાયવેળાએ ડિનર પાર્ટી યોજી અને અંતે એક ગ્રંથ ભેટ આપ્યો, જેમાં એ બધાએ હસ્તાક્ષર કર્યા. આજે પણ એ ગ્રંથનાં ત્રણ વોલ્યુમ્સ મારા ઘરમાં સચવાયાં છે. ગુન્નાર મિરડાલના ગ્રંથનું મથાળું હતું: ‘Asian Drama: An Inquiry into the Poverty of Nations.’ નોબેલ પારિતોષિક વિજેતા મિરડાલે જે લખ્યું તેનો સાર ટૂંકમાં કહી દઉં?

(૧) વસતીની ગુણવત્તા (પોપ્યુલેશન કવોલિટી) શિક્ષણ દ્વારા સુધરે છે.
(૨) શિક્ષણ એટલે માનવમાં થતું મૂડીરોકાણ (Education is investment in man) આ બે વિધાનોના ટેકામાં મિરડાલ ૧૮૭૦-૭૧માં જર્મની અને ફ્રાન્સ વચ્ચે થયેલા યુદ્ધમાં ફ્રાન્સ હાર્યું તે માટે જર્મનીમાં અપાતું વોકેશનલ અને ટેક્નિકલ શિક્ષણ જવાબદાર હતું, એમ કહે છે. સારું શિક્ષણ યુદ્ધમાં વિજય પણ અપાવી શકે છે.

વર્ષ ૨૦૦૮-૨૦૦૯ના અરસામાં નિમાયેલી ડૉ. યશપાલ કમિટી તરફથી નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (NCF)માં ખાસ કહેવાયું કે: ‘શિક્ષણમાં પોપટિયા પાઠ કરતાં સમજણનું મહત્વ વધારે છે.’ સમજણ વધે તેમાં માતૃભાષાનું માધ્યમ વધારે ઉપકારક બને એ સ્વાભાવિક છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા નહીં, પરંતુ અંગ્રેજી હોઇ શકે એવી અર્થહીન ચર્ચા યુરોપમાં, રશિયામાં, ચીનમાં, જાપાનમાં કે એશિયાના કોઇપણ દેશમાં થતી જાણી છે? આપણે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળામાં ભણેલા કોઇપણ વિદ્યાર્થીને તમે વર્ડ્ઝવર્થ, શેકસપિયર કે રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિઓ ક્યારેય ગુનગુનાવતો જોયો છે? એ બિચારો નરસિંહ મહેતાને, દયારામને, કલાપીને, મેઘાણીને, ઉમાશંકરને કે સુન્દરમ્ને ખોઇ બેઠો, પરંતુ બદલામાં અંગ્રેજી સાહિત્યના ઉત્તમ અંશો પામ્યો ખરો? એ અંગ્રેજી ભણે અને ઉત્તમ અંગ્રેજી ભણે એવી ઇચ્છા મને તો રહે છે. એ કોમ્પ્યુટર વાપરે અને સેલફોનને રમાડે તે મને તો ખૂબ જ ગમે છે. એ મહાત્મા ગાંધીને સમજે, તે સાથે અબ્રાહમ લિંકનને પણ સમજે તે જરૂરી છે. મૂળ બાબત વિવેકયુકત સમજણ છે, પોપટ જેવી ગોખણપટ્ટી નહીં. ચામડી કરતાં વસ્ત્ર વધારે મહત્વનું ન જ હોઇ શકે. માતા એટલે માતા! માતા મરી જાય તેવા સંજોગોમાં માસી માતા બની રહે તે ચાલે, પરંતુ માતા શા માટે મરે? ગુજરાતીઓ આજકાલ માતૃહત્યાની ઉતાવળમાં છે. માતાના ધાવણ પછી બીજા ક્રમે માતૃભાષા આવે છે.

જે માણસ ભણેલો હોય છતાં પુસ્તક ન વાંચે તે ‘અભણ’ છે. જે યુવક સ્નાતક થયો હોય તોય દહેજ લઇને પરણે તે ‘અભણ’ છે. જે પતિ ડિગ્રીધારી હોય, પરંતુ પત્ની પર જુલમ કરતો હોય તો તે ‘અભણ’ છે. પીએચ.ડી. થયેલો માણસ પણ જો વ્યસનમાં ડૂબેલો હોય, તો તે ‘અભણ’ છે. તમે લોકો યુવાન છો અને કદાચ મારી વાત નહીં માનો, પરંતુ તમારા પ્રિય અભિનેતા આમિર ખાનની વાત તો માનશો ને? આમિર ખાન કહે છે: ‘હું ઘરે પહોંચું ત્યારે મારી પહેલી ઇચ્છા (ટીવીનું) રિમોટ નહીં, પરંતુ પુસ્તક પકડવાની હોય છે. હું છેક છ વર્ષનો હતો ત્યારથી વાંચતો રહ્યો છું.’ મને આજે દીક્ષાંત પ્રવચન આપવા માટે આમંત્રણ પાઠવ્યું તે માટે કુલપતિ મહોદયા ડૉ. હેમીક્ષા રાવનો આભારી છું. મારી ઉંમર થઇ છે, પરંતુ મને યુવાનોને મળવાનું ખૂબ ગમે છે. અહીં ઉપસ્થિત આદરણીય રાજ્યપાલ શ્રી કમલાજીનો પણ ઉપકૃત છું.
(શ્રી હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ, તા. ૧૯ માર્ચ, ૨૦૧૩).‘

પાઘડીનો વળ છેડે

જો તમને લાગતું હોય
કે શિક્ષણ ખર્ચાળ છે,
તો અજ્ઞાન
અજમાવી જુઓ!
- ડીરેક બેક

નોંધ: આ વિધાન કેન્દ્રના નાણાપ્રધાન ચિદમ્બરમ્ અને ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલને અર્પણ!

વિક્રમાદિત્યનું ન્યાયાસન અને આજની સુપ્રીમ કોર્ટ, Divya Bhasker

વિક્રમાદિત્યના ન્યાય અને આજની કોર્ટના ન્યાય વચ્ચે તફાવત શું? આજની કોર્ટ ન્યાય આપવામાં જે વિલંબ કરે છે તેમાં ન્યાયની મશ્કરી થાય છે. ગરીબને ન્યાય નથી મળતો.

સત્યના સગા ભાઇનું નામ ન્યાય છે. ન્યાય પવિત્ર ઘટના છે. વડોદરામાં કોર્ટને ન્યાયમંદિર કહેવામાં આવે છે. ‘અમર’ ફિલ્મમાં મહંમદ રફીના ગીતની પંક્તિ યાદગાર બની હતી: ઇન્સાફ કા મંદિર હૈ યે ભગવાન કા ઘર હૈ. જે વકીલ સત્યને ભોગે કમાણી ન કરે તેને સંત કહેવો જોઇએ. એ વકીલ ન્યાયમંદિરનો દ્વારપાલ છે. વકીલ કજિયા-દલાલ નથી. ગુનેગારને સજા મળે અને નિર્દોષ મનુષ્ય સજામુક્ત બને તો જ ન્યાય જળવાય. ગાંધીજીએ દુનિયાને ‘ખરી વકીલાત’ એટલે શું તે બતાવી આપ્યું. શું તેમની કમાણી ઓછી હતી? જોહાનિસબર્ગમાં ચાલતી ધમધોકાર વકીલાત ગાંધીજીએ છોડી ત્યારે એમની કમાણી વર્ષે પાંચ હજાર પાઉન્ડની હતી. પ્રામાણિક બનવાથી કમાણી ઘટે એવી માન્યતા ક્યારે દૂર થશે? પ્રામાણિક વેપારી ઓછું નથી કમાતો.

સુરતના ગોપીપરામાં આવેલી ન. ઘે. ઝવેરી જૈન હાઇસ્કૂલના દસમા ધોરણમાં ભણતી વખતે અમારું અંગ્રેજી પાઠયપુસ્તક હતું: ‘ગ્લીનિંગ્સ ફ્રોમ ઇંગ્લિશ લિટરેચર.’ એમાં ત્રીજો પાઠ સિસ્ટર નિવેદિતાએ લખેલી વાર્તા પર હતો. વાર્તાનું મથાળું હતું: ‘The Judgement-Seat of Vikramaditya.’  એ વાર્તાનો સાર સિસ્ટરના શબ્દોમાં સાંભળો:

સદીઓ વીતી, પરંતુ ઉજ્જૈન જેવી વિખ્યાત નગરી બીજી ન હતી. ત્યાં જ્ઞાનની ઉપાસના થતી. હોમર, દાન્તે અને શેક્સ્પિયર જેવા વિશ્વના ઉત્તમ કવિઓની હરોળમાં બેસે એવો કવિ કાલિદાસ એ નગરીમાં રહેતો હતો. ઇસુ થઇ ગયા તેના પ૭ વર્ષ પહેલાં ત્યાં માળવાનો રાજા વિક્રમાદિત્ય થઇ ગયો. કિંગ આર્થરની માફક રાજા વિક્રમનો ન્યાય વિખ્યાત હતો. લોકોમાં એનો આદર હતો. તેથી એ પૂજનીય ગણાતો. એ કદી છેતરાતો નહીં. એણે કદી કોઇ નિર્દોષને સજા ફરમાવી ન હતી. ગુનેગારો જ્યારે એની સામે આવે ત્યારે ધ્રૂજી ઊઠતા. કેસના મૂળ સુધી પહોંચીને ન્યાય તોળવાની એની ચીવટ અદ્ભુત હતી. એના ગયા પછી જ્યારે પણ કોઇ ન્યાયાધીશ સાચો ન્યાય તોળે, ત્યારે લોકો બોલી ઊઠતા: ‘અરે એ ન્યાયાધીશ જરૂર વિક્રમાદિત્યના ન્યાયાસન પર બેઠો હોવો જોઇએ.’

વર્ષો વીતી ગયાં. ઉજ્જૈનથી થોડેક દૂર આવેલાં ધૂળિયાં ખંડિયેરોમાં દટાયેલા રાજા વિક્રમના મહેલની જમીન પર ગાયો ચરતી હતી. ગાયની ડોકમાં ઘંટડીઓનો મધુર રણકાર હતો. સાંજ પડે ત્યારે ગોધૂલી સમયે ગાયો ગામમાં પાછી ફરતી. ઉજ્જૈન પાસે આવેલા ગામના ગોવાળિયા પાદરની ખરબચડી ભોંયમાં રગદોળાતા ઘાટીલા પથ્થરો ઉછાળતા. એ પથરાળી જમીનમાં એક મોટો પથ્થર પડયો હતો. તે પથ્થર પર માટી જામી ગઇ હતી. એ મોટો પથ્થર ન્યાયાસન જેવો દેખાતો હતો. એક ગોવાળિયો તેના પર બેઠો અને એણે ઘાંટો પાડીને કહ્યું: ‘સાંભળો રે લોકો તમે જે કોઇ ઝઘડો હોય તે મારી સમક્ષ લાવજો. હું સાચો ન્યાય આપીશ.’ ગોપાળમિત્રો અમથા અમથા લડવા લાગ્યા અને પછી પેલા નાના ન્યાયાધીશ પાસે ગયા અને બોલ્યા: ‘મી લોર્ડ, અમને ન્યાય આપો.’ ધીરે ધીરે એ ગોવાળિયાની કીર્તિ‌ પ્રસરી ગઇ. ન્યાયાસન પર બેઠો ન હોય ત્યારે એ ગોવાળિયો સાવ સામાન્ય છોકરો જ બની જતો. ધીરે ધીરે આસપાસના ગામલોકો ન્યાય માટે એ ગોવાળિયા પાસે આવવા લાગ્યા.

વખત જતાં આ વાત રાજા સુધી પહોંચી ગઇ. ઉજ્જૈન તો ત્યારે માળવાની રાજધાની પણ ક્યાં હતી? રાજાને થયું કે એ ગોવાળિયો જરૂર રાજા વિક્રમાદિત્યના ન્યાયાસન પર બેઠો હશે. રાજાએ તો ખોદકામ કરાવ્યું અને કાળા આરસનો મોટો ટુકડો મળી આવ્યો. એની સાથે પચીસ જેટલા દેવદૂતોની સુંદર પ્રતિમાઓ પણ હતી. હુકમ થયો કે પ્રજા ત્રણ દિવસ ઉપવાસ કરે અને પ્રાર્થના કરે, પછી ચોથા દિવસે રાજા ન્યાયાસન ગ્રહણ કરશે. જેવો રાજા ન્યાયાસન પર બેસવા ગયો ત્યાં પચીસ પ્રતિમાઓમાંથી એક દેવદૂત બોલ્યો: ‘ઊભો રહેજે. વિચાર કર કે તું વિક્રમાદિત્યના આ આસન પર બેસવાને પાત્ર છે ખરો?’ રાજા થોભ્યો અને છેવટે બોલ્યો: ‘ના, હું યોગ્ય નથી.’ દેવદૂતે કહ્યું: ‘ત્રણ દિવસ ઉપવાસ અને પ્રાર્થના કર પછી શુદ્ધ થઇને તું કદાચ આસન પર બેસી શકે.’ આટલું બોલીને પોતાની પાંખો ફફડાવતો દેવદૂત ઊડી ગયો. આ પ્રમાણે પચીસ વાર રાજા આસન પર બેસવા જાય ત્યાં એક પછી એક દેવદૂત એને રોકે અને ટોકે પછી ઊડી જાય. રાજાએ પ્રયત્ન ન છોડયો.

છેક છેલ્લા દેવદૂતે રાજાને કહ્યું: ‘શું તું પેલા ગોવાળિયા જેટલો નિર્મળ છે?’ રાજાએ કહ્યું: ‘ના, હું નથી.’ છેલ્લો દેવદૂત પોતાના માથા પર આખું સિંહાસન મૂકીને ઊડી ગયો. છેલ્લા દેવદૂતે ન્યાયનું રહસ્ય પ્રગટ કર્ર્યું: ‘જે મનુષ્ય હૃદયનો ચોખ્ખો હોય અને બાળક જેવો નિષ્પાપ હોય તે જ સંપૂર્ણપણે ન્યાયી બની શકે.’ પેલો નિર્દોષ ગોવાળિયો તેથી જ વિક્રમાદિત્યના ન્યાયાસન પર વિરાજમાન થઇને ન્યાય તોળી શક્યો. (અત્યારે એ જૂનું પાઠયપુસ્તક મારા હાથમાં છે. જૂના દિવસો યાદ આવી ગયા)

@@@

લગભગ ૬૦ વર્ષ પછી રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલી આ વાર્તા વાંચીને પ્રથમ સ્મરણ માયાવતીજીનું થયું. ઉત્તરપ્રદેશમાં એમનું શાસન મુલાયમસિંહના શાસન કરતાં જરાય ઊતરતું ન હતું. વળી, અખિલેશ યાદવ પણ એમનાથી ચડિયાતો મુખ્યપ્રધાન સાબિત થાય તેમ નથી. આવકના પ્રમાણમાં વધારે સંપત્તિ ધરાવવાના આક્ષેપમાં સુપ્રીમ કોર્ટે એમને બેગુનાહ જાહેર કર્યાં છે. કેસ ચાલ્યો તેનાં આઠ-દસ વર્ષ દરમિયાન લોકો એમને ગુનેગાર માનતા રહ્યા. સુપ્રીમ કોર્ટે આ બાબતે સી.બી.આઇ.ની પણ સખત ટીકા કરી છે. ગુનો સાબિત ન થાય ત્યાં સુધી મનુષ્યને નિર્દોષ માનવાની તંદુરસ્ત પ્રણાલિકા મીડિયા-ન્યાયને કારણે નષ્ટ થાય છે. ડો. સુબ્રહ્મણ્યન્ સ્વામી ગમે તે કહે તોય જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી ચિદમ્બરમ્ નિર્દોષ ગણાવા જોઇએ.

આ જ વાત લાલુપ્રસાદ યાદવને પણ લાગુ પડે છે. લોકતાંત્રિક પરિપક્વતાની આ માગ છે. વળી, આપણી માન્યતા ગમે તે હોય, પરંતુ સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા પછી પણ આપણે જો માયાવતીજીને મનોમન નિર્દોષ ન માનીએ, તો તે પણ અન્યાયકર્તા જ ગણાય. મીડિયા આગળથી જ કોઇ વ્યક્તિ કે સંસ્થાને કે પક્ષને બદનામ કરે તો ન્યાય નંદવાય છે. ન્યાય જેવી પવિત્ર બાબતમાં અફવા, લોકમાન્યતા, પૂર્વગ્રહ, રાજકારણ કે મીડિયા-ન્યાયને સ્થાન ન હોઇ શકે. સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી અફઝલ ગુરુ પણ નિર્દોષ ગણાવો જોઇએ. સુપ્રીમ કોર્ટની સજા અંગે આખરી ચુકાદા પછીનું સરકારનું ઢીલું વલણ પણ ન્યાયની પવિત્રતાને ઘટાડનારું છે. સજાપાત્ર માણસને સજા ન થાય ત્યારે એ સજા નિર્દોષ માણસને જરૂર થતી હોય છે. વિક્રમાદિત્યનો ન્યાય એવી છૂટ ન આપે.

ન્યાય એટલે શું? કાયદાશાસ્ત્રના અભ્યાસ વિના પણ એટલું તો કહી શકાય કે ન્યાયશાસ્ત્રમાં બે બાબતો અનિવાર્ય છે: (૧) ગુનેગારને સજા થવી જોઇએ અને (૨) નિર્દોષ હોય તેને સજા ન થવી જોઇએ. ન્યાયશાસ્ત્ર કહે છે કે ૧૦૦ ગુનેગાર નિર્દોષ છૂટી જાય તે ચાલે, પરંતુ એક નિર્દોષને સજા થાય તે ન ચાલે. વિક્રમાદિત્યના ન્યાય અને આજની કોર્ટના ન્યાય વચ્ચે તફાવત શું? આજની કોર્ટ ન્યાય આપવામાં જે વિલંબ કરે છે તેમાં ન્યાયની મશ્કરી થાય છે. ગરીબને ન્યાય નથી મળતો. ગુનો ન કર્યો હોય તોય પોલીસ એને પજવે છે. આલ્ફ્રેડ હિ‌ચકોક કહેતો: ‘હું પોલીસનો વિરોધી નથી, બસ એટલું જ કે હું એનાથી ગભરાઉં છું.’ હજી ભારતના સરેરાશ પોલીસને સ્ત્રીઓ સાથે કેમ વાત કરવી એ નથી આવડતું. કોઇપણ સમાજ કેટલો સભ્ય છે તે જાણવું હોય તો પોલીસ સાથે કામ પાડવું અને જેલની વ્યવસ્થા કેવી છે તે જોવું. કરુણાની ખરી કસોટી બે જગ્યાએ થાય છે, એક હોસ્પિટલમાં અને બીજી જેલમાં. કરુણાનો કણ એ જ ગોડ પાર્ટિ‌કલ ‘

પાઘડીનો વળ છેડે

મારી વાત કોઇને ભલે ન ગમે,
પરંતુ હું એ કહેવાની
હિંમત કરું છું કે:
આપણાં કેદખાનાં તો
આપણી સૌથી મહત્ત્વની અને
સૌથી ખામી ભરેલી
સામાજિક સેવા છે.
- ઇનોક પોવેલ
(બ્રિટિશ રાજકારણી, ૧૯૬૧)

ગુજરાતની ચૂંટણીના રણમાં વિચારોનો લીલો રણદ્વીપ, Divya Bhasker, November

હત્યા, જખમ, આંસુ, મરણચીસ અને યાતના સ્વભાવે જ સેક્યુલર હોય છે. જેઓ જખમને પણ અમુક કોમને ત્રાજવે જ તોલે તેવા દુષ્ટ લોકોને ‘સેક્યુલર’ ગણશો નહીં. હિંદુઓ ગોધરાનો જખમ ભૂલે અને મુસલમાનો નરોડા પાટિયાનો જખમ ભૂલે, તો જ રૂડી શરૂઆત થાય. સ્વિડનનાં ઘરોમાં દેશના બંધારણની નકલ રખાય છે. આપણા દેશમાં બંધારણના આદર વિના લોકતંત્રની માવજત ન થઇ શકે.

ચૂંટણી નજીક આવે ત્યારે મતદેવતા વિચારે ચડી જાય છે. વિચારે ચડી ગયેલા નાગરિકોની સંખ્યા જેમ વધારે તેમ લોકતંત્રનું સૌંદર્ય વધારે. આજે થોડાક એવા વિચારો વહેંચવા છે, જેને કારણે ગુજરાતની ચૂંટણીના રણમાં વિચારોનો લીલો રણદ્વીપ સર્જા‍ય. રાજકારણની ગટરમાં ગુલાબજળ વહે એ શક્ય ખરું? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ આપણા હૈયે ચોંટી જાય એવી વાત કરી હતી સાંભળો:

બધી જ માતાઓ એવું ઇચ્છે છે
કે પોતાનો દીકરો
મોટો થઇને રાષ્ટ્રપ્રમુખ બને,
પરંતુ એ માટેની પ્રક્રિયામાં
દીકરો રાજકારણી બને એવું
કોઇ માતા ઇચ્છતી નથી.

મતદેવતા જ્યારે મતદાન મથક પર પહોંચીને બટન દબાવે તે પહેલાંની ક્ષણે ક્યારેક તો એની સામે બે જ વિકલ્પો હોય છે: ખાળકૂવો કે ખાબોચિયું? લોકતંત્ર સ્વરાજ્યની આશા જગાડે છે, પરંતુ સ્વરાજ્યની ગેરંટી આપતું નથી. સાચા સ્વરાજ્યનો પાયો સામાજિક ન્યાય છે. અસ્તિત્વવાદી આલ્બેર કામુ પોતાના પુસ્તક ‘The Rebel’માં કહે છે: ‘સંપૂર્ણ સ્વતંત્રતા ન્યાયની મશ્કરી કરતી હોય છે અને સંપૂર્ણ ન્યાય સ્વતંત્રતાને સ્વીકારતો નથી.’ ગરીબીના અભિશાપને કારણે આપણું વહાલું લોકતંત્ર ગંદું અને ગોબરું છે. આવા વિકલાંગ લોકતંત્રનો મહિ‌મા પણ ઓછો નથી. આપણું લોકતંત્ર જ્ઞાતિવાદને કારણે લૂલું છે અને કોમવાદને કારણે લંગડું છે. દેશના બધા જ પક્ષોને આવું વિકલાંગ લોકતંત્ર વધારે માફક આવે છે. આવા અવલોકનના ટેકામાં થોડાંક વિચારબિંદુ પ્રસ્તુત છે:

દિનશા પટેલને કેબિનેટ રેન્ક આપીને પટેલોના મત મેળવવાની અને ભરતસિંહ સોલંકીને ઓબીસીને રાજી કરવાની રણનીતિ કોંગ્રેસે અજમાવી છે. (‘દિવ્ય ભાસ્કર’, ૨૯-૧૦-૨૦૧૨) આ થયો જ્ઞાતિવાદ.
સલમાન ખુરશીદ દેશના સૌપ્રથમ મુસ્લિમ વિદેશમંત્રી બન્યા તેથી અલ્પસંખ્યકોને મોટો સંદેશો આપવામાં આવ્યો છે. (‘દિવ્ય ભાસ્કર’, ૨૯-૧૦-૨૦૧૨) આ થયો કોમવાદ.

ગુજરાતની સૌથી મોટી જ્ઞાતિ કોળી છે અને કુલ વસ્તીમાં એમનું પ્રમાણ લગભગ ૨૩ ટકા છે… ગુજરાતમાં પટેલની ટકાવારી ૧૩ ટકા છે. કેશુભાઇના પરિવર્તન પક્ષમાં પટેલોની બોલબાલા છે, પણ ભાજપ પાસે પુરુષોત્તમ રૂપાલા અને ફળદુ જેવા પટેલ આગેવાનો પણ છે. (નગીનદાસ સંઘવી, દિવ્ય ભાસ્કર ૨૯-૧૦-૨૦૧૨)

એક અંગ્રેજી અખબારે ઝીણું વિશ્લેષણ કરીને ગુજરાતના કયા કયા મતદાન ક્ષેત્રોમાં કેટલા ટકા મુસ્લિમ મતદારો છે તેના આધારે ચૂંટણીની કેમિસ્ટ્રી પ્રગટ કરી છે. કોમવાદનું કેલ્ક્યુલસ અને વોટબેંકના થાબડભાણા બોલો આવા ગટર છાપ જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણમાં તમને ક્યાંય સેક્યુલરિઝમનું સુગમ સંગીત સંભળાય છે? પુરુષોત્તમ સોલંકી કોળીઓ માટે ૨૨ બેઠકોની માગણી કરે ત્યારે એમને કોઇ તો પૂછે: ‘શું તમે કોળી લોકોના જ પ્રધાન છો કે ગુજરાતની સમગ્ર પ્રજાના?’ ગુજરાતની ચૂંટણી હવે બહુ દૂર નથી. મતદાર કોઇ મામૂલી માણસ નથી. લોકતંત્રના ઉપવનમાં વિહાર કરતો એ ‘મતદેવતા’ છે. એ ગણદેવતા પણ છે અને તેથી આદરણીય છે.

હે મતદેવતા
તું મત આપવા જાય ત્યારે
કોળી, પાટીદાર, ઓબીસી, દલિત,
હિંદુ યા મુસલમાન તરીકે ન જઇશ.
તું જ્ઞાતિએ પટેલ હોય તેથી શું તારે
પટેલ ઉમેદવારને મત આપવાનો?
તું હિંદુ હોય તોય તારા મતવિભાગમાં
ઊભેલા લાયક મુસ્લિમ ઉમેદવારને મત નહીં આપે?
તું કોળી કે પાટીદાર કે હિંદુ કે મુસ્લિમ નથી,
તું કેવળ ભારતીય નાગરિક છે.
ભારતનું બંધારણ ભારતીય નાગરિક માટે
પવિત્ર ધર્મગ્રંથ છે.

ભારતમાં મહંમદ કરીમ ચાગલા જેવા સો ટચના સેક્યુલર શિક્ષણપ્રધાન થઇ ગયા. એમણે ‘Roses in December’ પુસ્તકમાં પોતાની સ્મરણકથા આલેખી છે. પંડિત નેહરુએ એમને મુસ્લિમ બહુમતી ધરાવતા સલામત મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે આમંત્રણ પાઠવ્યું. ચાગલાજીએ આવી ગળચટી ઓફર સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી અને હિંદુ બહુમતી ધરાવતા મતવિસ્તાર માટે આગ્રહ રાખ્યો. બોલો સેક્યુલર કોણ, નેહરુ કે ચાગલા? ગોવાની ગઇ વિધાનસભાની ચૂંટણીમાં જાદુ થયો. ગોવામાં દર છ-સાત મહિ‌ને સરકાર બદલાયા કરતી. આજની સરકાર ખાસી સ્થિર છે. કારણ શું? સેક્યુલરવૃત્તિ શાસનને સ્થિરતા આપી શકે તેવું ગોવામાં બન્યું તે નોંધવા જેવું છે.

ગોવાના આજના ભાજપી મુખ્યપ્રધાન શ્રી પરિકરે એક સેક્યુલર સાહસ કર્યું અને સાત-આઠ ખ્રિસ્તી ઉમેદવારોને ભાજપની ટિકિટ આપી. માનશો? એ બધા જ ઉમેદવારો વિજયી થયા. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ આવો ચમત્કાર કરી બતાવશે? બંને પક્ષો તરફથી ઓછામાં ઓછા પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ મળે તો ગુજરાતમાં યોગ્ય મુસ્લિમ ઉમેદવારોની ખોટ નથી. કોઇ પૂછે તો હું થોડાંક નામો સૂચવવા તૈયાર છું. કોઇ પૂછે તોને? વળી દસમાંથી બે મુસ્લિમ સ્ત્રીઓ હોય તો વધારે આવકાર્ય છે.

યોગ્ય મુસ્લિમ ઉમેદવારોને મત આપવા માટે હિંદુઓને જરૂર સમજાવી શકાય. ૨૦૦૨માં જે બન્યું તેને વારંવાર ગાયા કરવામાં વૈમનસ્ય વધે છે, ઘટતું નથી. એવું વૈમનસ્ય પણ જેમનું સ્થાપિત હિ‌ત હોય એવા દુષ્ટ લોકોને પુરાણા ઘા રુઝાય તેમાં લગીરે રસ નથી. હત્યા, જખમ, આંસુ, મરણચીસ અને યાતના સ્વભાવે જ સેક્યુલર હોય છે. જેઓ જખમને પણ અમુક કોમને ત્રાજવે જ તોલે તેવા દુષ્ટ લોકોને ‘સેક્યુલર’ ગણશો નહીં.

હિંદુઓ ગોધરાનો જખમ ભૂલે અને મુસલમાનો નરોડા પાટિયાનો જખમ ભૂલે, તો જ રૂડી શરૂઆત થાય. કાયદો કાયદાનું કામ ભલે કરે, પરંતુ આવનારી ચૂંટણી પણ એકતા આણી શકે. હવે KHAM થિયરી પાછળ રહી ગઇ છે. કોમવાદના કેન્સર અને જ્ઞાતિવાદના મલેરિયાને દફનાવી દેવાની એક તક ગુજરાતને સામેથી મળવા આવી છે. આવું પરાક્રમ કરીને આપણે ચાગલાસાહેબને સાચી અંજલિ આપી શકીએ. શું આવું બને એ અશક્ય છે? જે ગોવામાં બન્યું, તે ગુજરાતમાં કેમ ન બને? મતદેવતાને વંદન.

છેક ૧૯૩૯માં કાકાસાહેબ કાલેલકરે એક મૌલિક પ્રશ્ન ઉઠાવેલો: હિંદુસ્તાનમાં જન્મ્યા અને સંસ્કારોનો વારસો પામ્યા તેથી તમે હિ‌ન્દુસ્તાનના થઇ ગયા, પરંતુ હિંદુસ્તાન તમારું થયું ખરું? તમે જો હિંદુસ્તાન માટે પરસેવો પાડો અને લોહીથી એનું સિંચન કરો તો જ હિંદુસ્તાન તમારું થાય. (યાદદાસ્ત પરથી). સ્વિડનમાં રહેવાનું બન્યું ત્યારે એક વાત જાણવા મળી. સ્વિડનનાં લગભગ બધાં ઘરોમાં દેશના બંધારણની નકલ રાખવામાં આવે છે. આપણા દેશમાં બંધારણ પ્રત્યેના આદર વિના લોકતંત્રની માવજત ન થઇ શકે. વીસમી ડિસેમ્બરે જે પરિણામ આવે તેનો સ્વસ્થ સ્વીકાર થાય તેમાં જ લોકતંત્રની શોભા છે.
એક વાત નક્કી છે. કોંગ્રેસ કે ભાજપ સિવાય કોઇ પક્ષને સત્તા નહીં મળે. ‘અન્ય’ નામની કેટેગરીમાં આંકડો જેટલો નાનો તેટલો લાભ જાણવો. બાકી કટોકટ પરિસ્થિતિ ઊભી થાય તો બ્લેકમેઇલ દ્વારા ગંદી સોદાબાજી કરવા માટે ઘણા નમૂના તૈયાર છે. જાગતું ગુજરાત, જાગતું ભારત અને જાગતું લોકતંત્ર (લખ્યા તા. ૩૧-૧૦-૨૦૧૨, સરદાર પટેલ જયંતી) ‘

પાઘડીનો વળ છેડ

તમે જો તમારાં ગોગલ્સ
આંખેથી દૂર ખસેડો
તો હું તમને વધારે સારી રીતે સાંભળી શકું.
- દ્યુજ પાથેર

(‘Notes to myself’પુસ્તકમાંથી)

ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ , Divya Bhasker 2-12-2012

ગણિકાવૃત્તિ કેવળ સ્ત્રીઓનો ઇજારો નથી. એ જ રીતે વણિકવૃત્તિ કેવળ પુરુષોનો ઇજારો નથી. આ બંને વૃત્તિઓથી પર હોય એવા થોડાક મનુષ્યો હજી જીવે છે, જેઓ નિ:સ્વાર્થ પ્રેમમાં ડૂબેલા હોય છે. તેઓ સ્વાર્થવિહીન સંબંધોનો વૈભવ માણે છે. એ વૈભવને, ‘ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ’ કહી શકાય

જૈન સાધુઓના પત્રો મળે ત્યારે પ્રારંભે એક મધુર શબ્દ અચૂક વાંચવા મળે છે: ‘ધર્મલાભ’. આપણો આખો દિવસ ઘટનાઓની વણઝાર જેવો હોય છે. એમાંની એક ઘટના તે ‘દુકાન-ઘટના’.

માનવ-ઇતિહાસમાં જ્યારે દુકાનની શરૂઆત થઇ ત્યારે અર્થશાસ્ત્રની શોધ થઇ. જ્યાં ગણતરી હોય કે વાણિજ્ય હોય ત્યાં લાભ હોય અને લાભ હોય ત્યાં નફો હોય. દુકાન-ઘટના સાથે સદીઓથી ‘દ્રવ્યલાભ’ જોડાયો છે. આજના માણસને સતત પજવતો પ્રશ્ન કયો? એ પ્રશ્નનો જવાબ મળી જાય તો તાણ ઘટે અને સુખ વધે. એ પ્રશ્ન છે: ‘શું ધર્મલાભ અને દ્રવ્યલાભ વચ્ચે દુશ્મનાવટ છે?’ જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો કોઇપણ દુકાનદાર ધાર્મિ‌ક ન હોઇ શકે. ખરી વાત એ છે કે પ્રામાણિક દુકાનદાર કોઇપણ સાધુ કરતાં ઓછો પવિત્ર નથી હોતો. એવા પવિત્ર દુકાનદારને આપણી પરંપરામાં ‘મહાજન’ કહ્યો છે. આપણા જમાનાની રોકડી સમસ્યા એ છે કે સમાજમાં દુકાનદારો ભારે બહુમતીમાં છે અને મહાજનોની લઘુમતી પાતળી છે. કોઇપણ યુગમાં વિચારવંત મનુષ્યોની લઘુમતી જ મૂલ્યવાન હોય છે. આજના જમાનાને અમથો વગોવવાની કુટેવ છોડવા જેવી છે.

ગણિકા આખરે કોણ છે? એ પોતાના રૂપનો સોદો કરે છે. સોદો ત્યારે જ થઇ શકે જ્યારે બંને પક્ષની સંમતિ હોય. ગણિકા સાથે સોદો કરનાર પુરુષને કોઇ ‘ગણિક’ નથી કહેતું. વેપાર કરનાર પુરુષને લોકો ‘વણિક’ કહે છે, પરંતુ વેપાર કરનારી સ્ત્રીને કોઇ ‘વણિકા’ નથી કહેતું ‘વ્યક્તિ’ શબ્દ જેન્ડર ફ્રી (જાતિમુક્ત) છે. પ્રત્યેક વ્યક્તિની ભીતર એક ગણિકા બેઠેલી હોય છે. ગણિકાવૃત્તિ કેવળ સ્ત્રીઓનો ઇજારો નથી. એ જ રીતે વણિકવૃત્તિ કેવળ પુરુષોનો ઇજારો નથી. આ બંને વૃત્તિઓથી પર હોય એવા થોડાક મનુષ્યો હજી જીવે છે, જેઓ નિ:સ્વાર્થ પ્રેમમાં ડૂબેલા હોય છે. તેઓ સ્વાર્થવિહીન સંબંધોનો વૈભવ માણે છે. એ વૈભવને, ‘ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ’ કહી શકાય. આવો વૈભવ કોઇપણ ઉદ્યોગપતિ પાસે નથી હોતો. લોકો ઘણુંખરું એવા જ માણસોની અદેખાઇ કરતા રહે છે, જેઓ અદેખાઇને પાત્ર હોતા નથી.

‘સાગર’ ફિલ્મની એક પંક્તિ યાદ છે? ‘પ્યાર મેં સૌદા નહીં.’ આવો પરમ આદરણીય છે: પ્યારવૈભવ. પ્રેમમાં દગાબાજી કરવી એ જ આજની સદીની બ્રહ્મહત્યા કવિ ન્હાનાલાલે સાચું કહ્યું: ‘પરમપ્રેમ પરબ્રહ્મ.’
‘ગણ’ શબ્દનો વંશવેલો ખાસો લાંબો છે. ગણ એટલે ગણવું કે ગણતરી કરવી કે કિંમત માંડવી. ગણ પરથી ‘ગણન’ થયું. જે માણસ ગણન કરે તે ‘ગણક’ કહેવાય. ગણક એટલે ગણિતશાસ્ત્રી કે જ્યોતિષી. વેલો હજી આગળ ચાલે છે. ગણન પરથી ગણના, ગણપતિ અને ગણાધિપતિ જેવા શબ્દો પ્રચલિત થયા. ગણતરી માટે ‘ગણિ’ શબ્દ છે. ગણિ પરથી બે શબ્દો ઊતરી આવ્યા તે: ગણિત અને ગણિકા. ગણ એટલે સમૂહ અને જેને સમૂહ મળી રહે તે ‘ગણિન્’ કહેવાય. ગણિન્ એટલે આચાર્ય. ‘ગણ’ના એટલે કે સમૂહના આરાધ્ય દેવ ‘ગણેશ’ કહેવાયા. જ્યાં ગણ હોય ત્યાં ગણતંત્ર પણ હોઇ શકે અને ટોળાતંત્ર પણ હોઇ શકે. માનવ-ઇતિહાસમાં ગણવાની શરૂઆત થઇ પછી સામાજિક વિકાસ ઝડપી બન્યો. ભારતમાં શૂન્ય (એબસોલ્યુટ ઝીરો)ની શોધ થઇ તેને છેડે માનવજાતને કોમ્પ્યુટર મળ્યું. ‘ગણ’ શબ્દના વંશવેલાના લેટેસ્ટ કુળદીપકનું નામ કોમ્પ્યુટર છે.

વિનોબાજીએ વર્ષો પહેલાં આપણી સ્વાર્થવૃત્તિને ખળભળાવી મૂકે એવો પ્રશ્ન પૂછેલો: ‘ફાયદે સે ક્યા ફાયદા?’ આપણી ભીતર બેઠેલી ગણિકા (દ્રવ્યવૃત્તિ)ને સખણી રાખવા માટેની મથામણ ખાનગી સાધના માગી લે છે. કેવળ દ્રવ્યલાભ પર આધારિત એવા સંબંધોને યહૂદી મહાત્મા ‘It’ પ્રકારના સંબંધો કહે છે. ‘ઇટ’ એટલે દ્રવ્યમય સ્વાર્થ સંબંધ. જે સંબંધમાં નિવ્ર્યાજ પ્રેમ રહેલો હોય તેને માર્ટિ‌ન બૂબર ‘Thou’ પ્રકારનો સંબંધ કહે છે. ‘ધાઉ’ એટલે નિ:સ્વાર્થ પ્રેમસંબંધ. આવો એક પણ સંબંધ ન પામ્યો હોય એવો મનુષ્ય કદી પણ સુખી ન હોઇ શકે. દ્રવ્ય (મેટર) અને બિનદ્રવ્ય (નોનમેટર) વચ્ચેની માણસના નસીબમાં ‘ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ’ ક્યાંથી? હજી સુધી દુનિયામાં ફાયદાવાદી માણસને ખરું સુખ પ્રાપ્ત થયું જાણ્યું નથી. જે રૂપિયો સુખમાં રૂપાંતર ન પામે તે રૂપિયો ઠીકરા બરાબર છે. રૂપિયો કન્વર્ટિ‌બલ હોવો જોઇએ. કકડીને ભૂખ લાગે અને ઘસઘસાટ ઊંઘ આવે તે અવસ્થાને ‘સુખ’ કહેવાય એવું નહીં? સુખી સૌને થવું છે, પરંતુ સુખની વ્યાખ્યા ઝટ જડતી નથી. ફાયદો સૌને ગમે છે, પરંતુ ફાયદો કોને કહે તેની સમજણ ફાયદાવાદી માણસ પાસે પણ નથી.

ગણિકા કેવળ દેહનો (જિસ્મનો) સોદો કરે છે. સામેના માણસને અંધારામાં રાખીને લાભ લૂંટનારા ચાલાક લોકો મન (જમીર)નો સોદો કરે છે. ક્રિકેટ જગતમાં જેઓ મેચ-ફિક્સિંગ કરીને કરોડો રૂપિયા કમાય તેઓ ગણિકાવૃત્તિની કઇ કક્ષાએ વિરાજે છે? તેઓ પોતાના દેશની શાનનો સોદો કરીને અઢળક પૈસા બનાવે છે. જગતની કોઇપણ ગણિકા એ દેશદ્રોહીઓ કરતાં ઊંચી કક્ષાની ગણાય. આવી તો અસંખ્ય ‘ગણિકાઓ’ પુરુષદેહે રાજકારણના, શિક્ષણના, દાક્તરી વિદ્યાના, પત્રકારત્વના અને સમાજસેવાના ક્ષેત્રમાં ગંદી સોદાબાજી કરતી રહે છે.

લોકોને ચાલાકીપૂર્વક છેતરવાની લલિતકળામાં પાવરધા માણસને સ્માર્ટ કહેવામાં આવે છે. ધર્મના ક્ષેત્રમાં પણ સ્માર્ટ મનુષ્યોની ખોટ નથી. અન્યને ન છેતરનાર વ્યક્તિને સાધુ કહેવાની ફેશન શરૂ કરવા જેવી છે. ક્યારેક એવા સાધુચરિત પિતાને એનાં સંતાનો ‘મૂર્ખ’ ગણે છે. એવા કોઇ પિતાને મૂર્ખ ન ગણનારી વહાલી વ્યક્તિને લોકો દીકરી તરીકે ઓળખે છે. દીકરી એટલે શું તે સમજવામાં માતા કરતાં પણ પિતા ચાર ડગલાં આગળ હોય છે.

ગણતરી હોય ત્યાં લેવડદેવડ (ગિવ એન્ડ ટેક) હોય છે. લેવડદેવડ હોય ત્યાં અચૂક વેપાર-વણજ હોય છે. ‘વણજ’ શબ્દનો પિતા સંસ્કૃતમાં ‘વણિજ્’ છે. વણિજ્ એટલે વેપારી. વેપાર માટે સંસ્કૃતમાં વણિગ્વૃત્તિ શબ્દ છે. વણિગ્વૃત્તિ હોય ત્યાં વાણિજ્ય હોવાનું. એ વૃત્તિમાંથી દુકાનનો જન્મ થયો. દુકાન હોય ત્યાં લેવડદેવડ હોય. દુકાન હોય ત્યાં દુકાનદાર હોય. દુકાનદાર હોય ત્યાં ઇનામ પણ હોય અને બેઇમાની પણ હોય. એ દુકાન આજે મોલ બની ગઇ દુકાનની ઉત્ક્રાંતિ થઇ તેના આખરી (લેટેસ્ટ) ફરજંદને લોકો ઇ-કોમર્સ અને સાયબર-કોમર્સ કહે છે. કહે છે કે સંત તુકારામે ‘વિઠ્ઠલ નામનો વેપાર’ કરેલો. તુકારામ ખેડૂત હતા અને જ્ઞાતિએ કણબી હતા. એમનો દ્રવ્યલાભ ખરી પડયો અને ધર્મલાભ વધી પડયો ત્યારે ખેતર પર ગયેલા તુકારામે પક્ષીઓને નિરાંતે દાણા ચણવાની છૂટ આપી હતી. આજે પણ દેહુ ગામમાં સંત તુકારામનું ઘર સચવાયું છે. હું એ ઘરે જઇ આવ્યો છું. તુકારામના વંશજને પણ મળ્યો હતો.

ગણતરીને ગાળ ભાંડવાની જરૂર નથી. સહજ સ્વાર્થને હડે હડે કરવાની જરૂર નથી. જ્યાં સુધી લાભ પણ શુભ-લાભ હોય ત્યાં સુધી એ નિંદનીય નથી. આઇન રેન્ડ જેવી રેશનલિસ્ટ વિદુષીએ પુસ્તક લખ્યું જેનું મથાળું છે: ‘The Virtue of Selfishness.’ આપણા લાભને પવિત્ર રાખવાની કળાને સમજવામાં જ આયખું પૂરું થઇ જાય છે. ધર્મલાભ અને દ્રવ્યલાભ વચ્ચે બાપેમાર્યાં વેર નથી. લેવડદેવડ વિના જીવવાનું શક્ય ખરું? લેવડદેવડને ચોખ્ખીચણક રાખવાની કળાને ગાંધીજીએ ‘સાધનશુદ્ધિ’ તરીકે પ્રસ્થાપી છે. રાણા પ્રતાપને ભામાશા જેવા મહાજન મળ્યા, એ જ રીતે મહાત્મા ગાંધીને રામકૃષ્ણ બજાજ જેવા મહાજન મળ્યા. રામકૃષ્ણ બજાજને ગાંધીજીએ ‘પાંચમા દીકરા’ ગણાવ્યા હતા.’

પાઘડીનો વળ છેડે

ભારતના લોકોના આપણે સૌ
ખૂબ જ આભારી છીએ,
જેમણે આપણને
કેમ ગણવું તે શીખવ્યું.
એ જાણ્યા વિના કોઇ પણ
અગત્યનું વૈજ્ઞાનિક સંશોધન
શક્ય બન્યું જ ન હોત
- આલ્બર્ટ આઇન્સ્ટાઇન

રાજકારણ અને ધર્મકારણ ખદબદે છે ભ્રષ્ટાચારથી july 2012

ભદ્ર નપુંસકતા કટોકટીના દિવસોમાં મોટા પાયે જોવા મળેલી. ઇન્દિરા ગાંધીએ દેશ પર ગુજારેલા દમન અંગે પણ એક શબ્દ બોલવાનો નહીં અને જયપ્રકાશના ટેકામાં પણ ખોંખારો ખાવાનો નહીં. બસ ખેલ જોયા કરવાનો.

યમુનાને કિનારે આવેલા ઇન્દ્રપ્રસ્થ નગરમાં વહેતા પવનનો મિજાજ પણ બદલાઈ ગયો છે. ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાનો છે અને તેમાં ભાગ લેવા માટે ધૃતરાષ્ટ્રના બધા પુત્રોનું આગમન થઈ ચૂક્યું છે. પાંડવોના મિત્ર અને માર્ગદર્શક કૃષ્ણ તો ઘણા વહેલા પધાર્યા હતા. નગરજનોના ઉત્સાહનો પાર નથી. રાજાઓ ઉપરાંત ભારતવર્ષના આદરણીય ઋષિઓ પણ યુધિષ્ઠિરનો સત્કાર પામ્યા પછી આશીર્વાદ આપી રહ્યા છે. એકત્ર થયેલા રાજાઓની સભામાં શ્રીકૃષ્ણ તારાઓની વચાળે પ્રકાશતા સૂર્યની માફક (જ્યોતિષામિવ ભાસ્કર:) પ્રકાશી રહ્યા છે.યજ્ઞના પ્રારંભે પ્રથમ અધ્ર્ય કોને આપવો ? યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મની સલાહ માગી : ‘હે પૂજ્ય પિતામહ ! આપ કોને પ્રથમ અધ્ર્ય પામવા માટે સૌથી યોગ્ય માનો છો ?’

ભીષ્મ પિતામહે જવાબમાં કહ્યું : ‘સૂર્યને કારણે જેમ પ્રકાશ વિનાનો પ્રદેશ આનંદ પામે છે, તેમ આપણું આ સભાગૃહ શ્રીકૃષ્ણને કારણે પ્રકાશિત અને આનંદિત (ભાસિતં હ્લાદિતં ચ) થઈ રહ્યું છે.’ ભીષ્મની આજ્ઞાનુસાર સહદેવે કૃષ્ણને ઉત્તમ અધ્ર્ય અર્પણ કર્યો. કૃષ્ણની પૂજા થઈ તે વાત ચેદિરાજ શિશુપાલ માટે અસહ્ય બની ગઈ. શિશુપાલે ઉગ્ર રોષ પ્રગટ કર્યો અને કૃષ્ણને ગાળો દેવાનું શરૂ કર્યું. ઘણી નિંદા ધીરજપૂર્વક સાંભળી લીધા પછી કૃષ્ણે સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનો વધ કર્યો. વ્યાસજી લખે છે: ‘કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો ત્યારે વાદળ વિના વર્ષા થવા લાગી, ઉલ્કાઓ ખરવા લાગી અને ધરતી ડોલવા લાગી.’ (મહાભારત, સભાપર્વ).

સભામાં જ્યારે પણ બે પક્ષો પડી જાય ત્યારે અર્દશ્ય એવો ત્રીજો પક્ષ પણ હોય છે. એ ત્રીજા પક્ષના લોકો તટસ્થ નથી હોતા. તેઓ નિષ્પક્ષ પણ નથી હોતા. તેઓની ભદ્ર નપુંસકતા નથી કૃષ્ણતરફી હોતી, નથી શિશુપાલતરફી હોતી. તેઓ પોતાની સ્વભાવગત નપુંસકતા જાળવી રાખીને કેવળ ખેલ જોતા રહે છે. સત્યનો પક્ષ ન લેવામાં રહેલી કાયરતા કંઈ આજની થોડી છે? પાંચ હજાર વર્ષો પછી પણ સમાજને નિવીર્ય બનાવી દેનારી આવી ભદ્ર નપુંસકતા ગઈ નથી. ઇન્દ્રપ્રસ્થની સભામાં પણ એમ જ બન્યું. મહાભારતના રચનારા વ્યાસ લખે છે : ‘સભામાં રોષે ભરાયેલા કેટલાક રાજાઓ હાથ પર હાથ ઘસવા લાગ્યા અને ક્રોધથી પાગલ બનેલા કેટલાક રાજાઓ દાંત વડે હોઠ પીસવા લાગ્યા. કેટલાક રાજાઓ ખાનગીમાં કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા, કેટલાક ખળભળી ઊઠ્યા, તો બીજા કેટલાક તટસ્થ બની રહ્યા (મધ્યાસ્થાસ્ત્વપરે અભવન્)’- (સભાપર્વ, અધ્યાય ૪૨, શ્લોક ૨૭-૨૮)

@@@

રાંદેરના પારેખ ફળિયામાં અમારાથી ત્રીજે ઘરે ડી.પી. પટેલ નામના શિક્ષક રહેતા હતા. મેટ્રિક પાસ હતા તોય ગણિતમાં તેઓ કોઈને ન ગાંઠે. મારા ઓટલા પર બેસીને હું રેંટિયો કાંતું ત્યારે પાસે આવીને મશ્કરીના ભાવથી કહેતા : ‘ગુણવંત! રેંટિયો કાંતવાથી સ્વરાજ ન આવે.’ આ વાક્ય મેં અસંખ્ય વાર સાંભળી લીધેલું. ઉંમર નાની અને અક્કલ ઓછી તેથી જવાબ આપવાની ત્રેવડ જ ક્યાં હતી ! જો એમને ગાંધીજીના રેટિયામાં શ્રદ્ધા ન હતી, તો તેમાં એમનો વાંક ન કઢાય. શું એમને ભગતસિંહમાં શ્રદ્ધા હતી ? ના, તેઓની ‘ભદ્ર નપુંસકતા’ ગાંધીજી કે ભગતસિંહમાંથી કોઈનામાં શ્રદ્ધા ધરાવનારી ન હતી.

તેઓ અનિર્ણયના કેદી હતા અને ખરાબ અર્થમાં ‘તટસ્થ’ હતા. કોઈનો પક્ષ ન લઈને ખેલ જોતાં રહેવાની આવી ભદ્ર નપુંસકતા કટોકટીના દિવસોમાં મોટા પાયે જોવા મળેલી. ઇન્દિરા ગાંધીએ દેશ પર ગુજારેલા દમન અંગે પણ એક શબ્દ બોલવાનો નહીં અને જયપ્રકાશના ટેકામાં પણ ખોંખારો ખાવાનો નહીં. બસ ખેલ જોયા કરવાનો. સત્યસ્થતા વિનાની તટસ્થતા એ જ ભદ્ર નપુંસકતા. એની પ્રશંસા ન હોય. શિશુપાલની નિંદા સાંભળીને દ્વારિકાધીશ કૃષ્ણ શું કરે તે જોયા કરવાનું. શિશુપાલનો વધ થાય અને કૃષ્ણનો જયજયકાર થાય તોય ‘તટસ્થ’ બનીને ખેલ જોયા કરવાનો! આપણા દેશને આવી નિર્વીર્ય ભદ્રતા સદી ગઈ છે. પરિણામે ભ્રષ્ટાચાર પણ શિષ્ટાચાર બની ગયો છે.

અણ્ણા હજારેના અનશન શરૂ થયા અને દેશ જાગ્યો. એવો જાગ્યો, એવો જાગ્યો કે દિલ્હીના કુશાસનમાં ખળભળાટ મચી ગયો. અણ્ણા હજારે સ્વચ્છ ખરા અને નિર્ભય ખરા, પરંતુ આંદોલનની ગતિ જળવાઈ રહે તે માટેનું યોગ્ય ફ્લાયવ્હીલ ન મળ્યું. ગાંધીજીને સરદાર પટેલ મળ્યા તે સુયોગ હતો. એવો સુયોગ જયપ્રકાશજીને અને અણ્ણાજીને પ્રાપ્ત ન થયો. ટીમ અણ્ણાની કેટલીક મર્યાદાઓ પણ ખાસી નડી. આમ છતાં દેશની યુવાનીને પ્રથમ વાર ગાંધીની ઝલક પ્રાપ્ત થઈ. લોકપાલ બિલ પસાર ન થયું કારણ કે રાજકારણી વર્ગ પોતાના પગ પર કુહાડો મારવા તૈયાર ન થયો. સીધા-સાદા અને કપટરહિત એવા સાધુચરિત અણ્ણાજી કહેતા રહ્યા : ‘ઉનકી નિયત સાફ નહીં હૈ.’ આંદોલન ઢીલું પડ્યું, પરંતુ ભ્રષ્ટાચારની સમસ્યા રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એવું પર્યાવરણ તૈયાર થયું કે એ કલમાડી, રાજા અને વીરભદ્રસિંહને નડી પડ્યું.

હજી કેટલાકને માથે તલવાર લટકી રહી છે. ઓગસ્ટમાં ફરી આંદોલન જોર પડકશે. જે થયું તેમાં જરૂર અણ્ણા હજારેના આંદોલનની અસર પડી છે. હજી વધારે લોકજાગૃતિ જોવા મળશે અને ચૂંટણીમાં ભ્રષ્ટ ઉમેદવારોની પસંદગી કરવા પર થોડીક બ્રેક અવશ્ય લાગશે. જો દિલ્હીનું રામલીલા મેદાન (ઇજિપ્તના કૈરોમાં આવેલો) તહરીર ચોક બની જાય તો અણ્ણાજીની કહેવાતી નિષ્ફળતા પણ સાર્થક થશે. એવું બને ત્યારે પણ ભદ્ર નપુંસકતા જુજવે રૂપે પ્રગટ થશે. આંદોલનની મર્યાદાઓ અંગે ઝીણું કાંતવાનું શરૂ થશે. જેઓ ખામી શોધવામાં સફળ થશે અને તટસ્થ હોવાનો ડોળ કરશે તેમને Intellectuals જ ગણવાની કુટેવ છોડવા જેવી છે. ગાંધીજીને પણ એ કુટેવ ઓછી નડી નહોતી.

અણ્ણાજી પાસે કિસાન જેવી સહજ સરળતા છે. એ જ એમનું ચારિત્રય છે. ક્યારેક કાચા કાનને કારણે તેમનાથી બફાટ પણ થઈ જાય છે. કોઈ પણ લોકલડત સંપૂર્ણપણે તર્કબદ્ધ હોતી નથી. બધી મર્યાદાઓ છતાં જો દેશ જાગી જાય તો કદાચ દિલ્હીના કુશાસનનો અંત આવશે. અરે! ભ્રષ્ટાચાર પર થોડીક બ્રેક લાગે તોય લાભ જ લાભ છે. ચૂંટણીમાં ગુનેગાર ઉમેદવારોની સંખ્યા ઘટે તોય દેશને લાભ છે. આજના ઇન્દ્રપ્રસ્થમાં આવો પ્રજાસૂય યજ્ઞ ભલે થતો! આપણા જેવા નાગરિકોએ શું કરવાનું ? અખબારો ઝીણવટથી વાંચવાનાં અને ટીવી પર થતી ચર્ચા ધ્યાનથી સાંભળવાની, પરંતુ પ્રચારથી કે પૂર્વગ્રહથી દોરવાઈ જવામાં શાણપણ નથી. લોકતંત્રમાં પૂર્વગ્રહ પણ ખરીદી શકાય છે.

તમારો અભિપ્રાય કેવળ તમારી વિવેકબુદ્ધિને આધારે બંધાય તે જરૂરી છે. યાદ રહે કે લોકતંત્ર આખરે તો અભિપ્રાયતંત્ર છે. લોકતંત્રનો પાયો લોકમત છે. તમને સાચું લાગે તે વિવેક જાળવીને સ્પષ્ટપણે પ્રગટ કરવું જોઈએ. ગોળ ગોળ અસત્ય ઉચ્ચારવામાં ભદ્ર નપુંસકતાનું જોખમ છે. સામે પક્ષે રહેલું ચપટીક સત્ય સ્વીકારવામાં નાનમ શેની ? જેની સાથે વિચારભેદ થાય તેને દુશ્મન ગણશો નહીં. સત્યનો સઘળો ઇજારો કેવળ તમારી પાસે નથી. વાદે વાદે જાય તે તત્વબોધ : ! લખી રાખજો કે ભ્રષ્ટાચારનો કોન્ટ્રાકટ કોઈ એક રાજકીય પક્ષ પાસે નથી હોતો. દલીલો ભલે થાય, પરંતુ તેમાં પૂર્વગ્રહની ઊલટી ન થવી જોઈએ.

પ્રજાના પ્રતિનિધિઓ એફિડેવિટમાં જાહેર કરે કે : ‘મારું પરદેશની કોઈ બેંકમાં ખાતું નથી.’ કેટલાંક ખાસ નેતાઓ આવું કરે તો દાખલો બેસશે. એ નામો છે : સોનિયા ગાંધી, લાલકૃષ્ણ અડવાણી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, ચિદમ્બરમ્, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નરેન્દ્ર મોદી, જયલલિથા, કરુણાનિધિ, લાલુપ્રસાદ યાદવ, મુલામયસિંહ યાદવ, માયાવતી, પ્રકાશસિંહ બાદલ, ઇત્યાદિ. રાજકારણ અને ધર્મકારણ ભ્રષ્ટાચારથી ખદબદે છે તેથી શિશુપાલોને નિરાંત છે.‘

પાઘડીનો વળ છેડે

અંગત રીતે હું
ત્રણે અવસ્થાઓ (પુરુષ-સ્ત્રી-નપુંસક)થી
પર છું.
શારીરિક દ્રષ્ટિએ હું પુરુષ છું,
પરંતુ શરીર-રચના અને માનસિક દ્રષ્ટિએ
મારા તંત્રમાં જનનિક પરિવર્તન (mutation) થયું છે.
સ્વામી નિત્યાનંદ
(‘આઉટલૂક’, ૨-૭-૨૦૧૨, પાન ૩૯)
નોંધ : આવા અસાધુને સહન કરનારી પ્રજા માટે શું કહેવું ?

પારિજાતના પુષ્પ જેવો માણસ સુરેશ દલાલ Divya Bhasker, August

કવિ સુરેશ દલાલનું અવસાન થયું ત્યારે લોકોને જે ખલેલ પહોંચી તેના પરથી ગુજરાતી પ્રજાના સંસ્કારનું ખરબચડું માપ મળી જાય. લોકો જેને ‘ફેન’ તરીખે ઓળખે છે, તે માણસ સાહિત્યકારનો ખરો સગો હોય છે. લોહીની સગાઇ તો સાહિત્યકારના ‘ખરા સગા’ પછીના ક્રમે આવે છે.

કોઇ પ્રજા કેટલી સંસ્કારી છે તે જાણવા માટે કરવું શું? પોતાની ભાષાના કવિનું અવસાન થાય ત્યારે સમાજના કેટલા ટકા લોકો ખલેલ પામ્યા તે જાણી લેવું. દુનિયાની વિવિધ પ્રજાઓનો સંસ્કાર અંક યાને કલ્ચરલ કવોશન્ટ (C.Q.) હોય છે. કવિ સુરેશ દલાલનું અવસાન થયું ત્યારે લોકોને જે ખલેલ પહોંચી તેના પરથી ગુજરાતી પ્રજાના સંસ્કારનું ખરબચડું માપ મળી જાય. વલસાડના વિદ્વાન આચાર્ય રમેશ દેસાઈએ ફોન પર એક વાત કરી.

વલસાડ પાસે પારડી હોસ્પિટલ ચલાવનારા સર્જન ડૉ. કુરેશી મળસકે ચાર વાગે ઊઠીને મુંબઇ પહોંચ્યા અને સુરેશભાઇની સ્મશાનયાત્રામાં જોડાયા. એમનાં પત્ની કુરેશાબહેન પણ ગાયનેક છે. બંને પુસ્તકપ્રેમી છે. આવા સુજ્ઞ વાચકને કારણે ગુજરાતી પ્રજાની સંસ્કારિતાની સરેરાશ ઊંચાઇમાં વધારો થયો. લોકો જેને ‘ફેન’ તરીખે ઓળખે છે, તે માણસ સાહિત્યકારનો ખરો સગો હોય છે. લોહીની સગાઇ તો સાહિત્યકારના ‘ખરા સગા’ પછીના ક્રમે આવે છે. જે આપણને સમજે, તે જ આપણું સ્વજન.

જે નગરમાં મેયરની સ્મશાનયાત્રા કરતાં સાહિત્યકારની સ્મશાનયાત્રા મોટી હોય તે ખરેખરી સંસ્કાર નગરી ગણાય. પેરિસમાં જ્યાં પોલ સાત્ર જેવા વિચારકની સ્મશાનયાત્રામાં જબરી ભીડ જામી હતી. એ જ રીતે કોલકાતામાં ગુરુદેવ ટાગોરની સ્મશાનયાત્રામાં લોકો ઊમટી પડ્યા હતા. ફ્રેન્ચ પ્રજા અને બંગાળી પ્રજા સાહિત્યપ્રેમને કારણે દુનિયામાં જુદી પડી આવે છે. આજે પણ બાંગ્લાદેશના ટીવી પર રવીન્દ્ર સંગીત રોજ સાંભળવા મળે છે. લોહીની સગાઇ કરતાંય શબ્દની સગાઇ મૂઠી ઊંચેરી ઘટના ગણાય. દેશ જુદો થયો, પરંતુ કવિ જુદા ન થયા.

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે. બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે. પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હોય છે કે પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે. બહુ થોડા માણસોને પોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે. આવા થોડાક માણસો જુદા પડી આવે છે. આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે. સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે. આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે. મનુષ્યની જીવનસુગંધને બહુમતીના ટેકાની ગરજ નથી હોતી. કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે.

માણસને પોતાના જીવનનું મિશન જડી જાય ત્યારે જીવતરમાં સ્વાદ પ્રગટે છે. આલ્બર્ટ શ્વાઇટ્ઝરને પોતાના જીવનનું મિશન જડી ગયું ત્યારે એ કોગો (ઝેઇરે)ના જંગલમાં પહોંચી ગયો અને ડોક્ટર બનીને આફ્રિકન આદિવાસીઓની સેવામાં લાગી ગયો. એના જીવનમાં જે સ્વાદ પ્રગટ થયો તે એક વિધાનમાં પ્રગટ થયો: ‘જીવમાત્ર પ્રત્યે આદર’ (રેવરન્સ ફોર લાઇફ). ગોરજના મુનિ આશ્રમમાં સેવા કરનારાં અનુબહેન ઠક્કરને જીવનનું મિશન જડી ગયું હતું. પ્રત્યેક માણસ પારિજાતનું પુષ્પ હોય છે.

પુષ્પના મિશનને સુગંધ કહેવામાં આવે છે. બધા માણસોની ભીતર પડેલી સુગંધ બહાર આવવા નથી પામતી. પોતાની ભીતર પડેલી સુગંધની શોધ અન્ય કોઇ વ્યક્તિ ન કરી શકે. એ માટે આત્મનિરીક્ષણની જરૂર પડે છે. એકાંત અને મૌન એવી શોધમાં મદદરૂપ થાય છે. પોતાના જીવનને સાક્ષીભાવે નિહાળતી વખતે ક્યારેક સહજ રીતે માણસને ખબર પડે છે કે પોતાનો નિર્મળ આનંદ શેમાં છે. જાતને વારંવાર પૂછવા જેવો એક પ્રશ્ન છે: હું ક્યારે ક્યારે અધ્ધરતાનો અનુભવ કરું છું? જે ક્ષણે માણસ ગુરુત્વાકર્ષણથી મુકત થઇને કોઇ અનેરો નિજાનંદ પામ્યો તે ક્ષણે એ પોતાના જીવનનું મિશન પામ્યો ગણાય. માણસના માંહ્યલાને રાજી રાજી કરી મૂકે તે માણસનું મિશન!

શું મિશન જડે તે માટે સામાન્ય માણસે વિવેકાનંદ બનવું પડે કે? ના ભાઇ ના. સામાન્ય માણસને પણ મિશન જડી આવે છે. પૂણેમાં રહેતા કાંતિભાઇ પરીખને એક મિશન જડી ગયું હતું. તેઓ વયોવૃદ્ધ સ્વાતંત્રય સેનાની હતા. પોતાના (બકરી જેવા) સ્કૂટર પર પૂણેના ગુજરાતીઓને ઘરે ઘરે જઇને સારાં સારાં પુસ્તકો પહોંચાડવાં એ એમનું મનગમતું મિશન હતું. આવું જ મિશન વડોદરામાં નિવૃત્ત આચાર્ય વાડીભાઇ પટેલનું છે. ‘મિશન’ કોને કહે તે સમજવું હોય તો મહેન્દ્ર મેઘાણીના જીવનને નિહાળવું. કર્મ થાય, પરંતુ કર્મનો ભાર ન વરતાય ત્યારે જાણવું કે મિશન જડી ગયું!

મિશનનું કામ મનુષ્યના આનંદને ખતમ કરવાનું નથી. જેઓ આનંદપૂર્વક જીવે છે, તેઓ પારિજાતની માફક ખરી પડે છે. પૂજય રવિશંકર મહારાજ ૧૦૦ વર્ષની વય વટાવ્યા પછી પાકેલી ખારેક ખરી પડે તેમ ખરી પડેલા. મહારાજનો નિજાનંદ એ જ સેવાનંદ હતો. એમની જીવનસુગંધ આખા ગુજરાતમાં પ્રસરી હતી. હોઠ પીસીને સેવા કરવાની જરૂર નથી. હોઠ પીસીને સાધના કરવાની પણ જરૂર નથી. મિશનનો બોજ ન હોય. મિશનનું અભિમાન ન હોય. અધ્યાત્મ પણ હળવુંખમ હોવું જોઇએ. મનુષ્યના સહજ સ્મિતને છીનવી લેનારા અધ્યાત્મથી જોજનો દૂર રહેવું સારું. પુષ્પતા અને માનવતા માટે ખીલવું એ જ મોક્ષ!

પુષ્પ જીવે ત્યાં સુધી
પવનની લહેરખી સાથે
ન્úત્ય કરતું રહે છે.
સૂર્યનાં કિરણોને મોહબ્બત કરવાનું
પુષ્પને ખૂબ ગમે છે.
ખરી પડે ત્યાં સુધી
પુષ્પનું સંકીર્તન સતત ચાલતું રહે છે.
પ્રતિક્ષણ અસ્તિત્વનો ઉત્સવ માણવો
એ પ્રત્યેક પુષ્પનો
સુગંધસિદ્ધ અધિકાર છે.
આસપાસની હવામાં સુગંધ પ્રસરે
એ જ પુષ્પની સેવા છે.
આવી સહજ સેવા એ જ
નિજાનંદની આંગિળયાત ગણાય.

માતા-પિતાએ પોતાનું મિશન સંતાનો પર લાદવાનું ટાળવું જોઇએ. પતિનું મિશન પત્નીના મિશનથી જુદું હોઇ શકે છે. માણસે સાત્વિકતાના પ્રહારોથી પણ બચવાનું છે. ક્રિકેટમાં રસ ધરાવનાર દીકરાને કથામાં ધકેલવાની જરૂર નથી. મરજી વિરુદ્ધ થતી પ્રવૃત્તિ અને મરજી વિરુદ્ધ થતાં લગ્ન જીવનને તમોગુણની ખીણમાં ધકેલે છે. બધા માણસોએ સેવા કરવાનો અભરખો ન રાખવો જોઇએ. નિજાનંદની શોધમાં અન્ય કોઇને કન્સલ્ટ કરવાની જરૂર નથી. મિશન સાથે સેવા જોડાય એ જરૂર નથી. માણસનું મિશન સંગીત પણ હોઇ શકે અને પર્વતારોહણ પણ હોઇ શકે. આ બાબતે વડીલોની સલાહ નુકસાનકારક બને એવો પૂરો સંભવ છે. આપણા સમાજને વડીલોના પ્રહારોથી બચાવી લેવાનો છે. ભકત પ્રહ્લાદે જો પિતા હિરણ્યકશ્યપનું માન્યું હોત તો! ‘કાર્બન કોપી’ જેવો શબ્દપ્રયોગ પ્રકૃતિને માન્ય નથી. પ્રકૃતિમાં બિલકુલ સરખાં બે પાંદડાં એક જ છોડ પર પણ નથી હોતાં.

આજની સવારે વરસાદ અટકી ગયો પછી ઘણા દિવસે કુમળા ઘાસની પાંદડીઓનો સ્પર્શ પામવાની લાલચે કોકરવરણો તડકો બાગમાં ઊતરી પડ્યો છે. આવો અનાક્રમક તડકો વરસાદના કહ્યામાં રહીને બાગમાં પથરાયો છે. એને નીરખવા માટે વહેતો રહેવાની ટેવ છોડીને પવન પણ થંભી ગયો છે. પંખીઓનો કલરવ પણ આ ક્ષણે સંભળાતો નથી. મિત્ર સુરેશ દલાલ જો આ ક્ષણે મારા હીંચકા પર બેઠા હોત તો! તો જરૂર આપણને પારિજાત જેવી થોડીક એવી પંક્તિઓ મળી હોત, જેને કારણે આપણી ખલેલ મધુર મધુર બની ગઇ હોત!‘

પાઘડીનો વળ છેડે

પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસની
વચ્ચે સમયનો જ શ્વાસ હોય છે.
મરણ થશે તોય જગત તો હશે
અને આ જગતમાં ફરી પાછાં
પ્રવેશતાં આપણને રોકે પણ કોણ?
છેવટે તો મરણનો વિલય
અને જીવનનો જ જય!
- સુરેશ દલાલ
(કાવ્યસંગ્રહ: ‘મધરાતે સૂર્ય’માંથી)

ગોલી માર ભેજે મેં ભેજા શોર કરતા હૈ! Divya Bhasker, 26-9-2012

જે ગૃહિણી નવરાશના સમયમાં કોઇ સુંદર પુસ્તક કે સામયિક વાંચવાનું રાખે તેનાં સંતાનો નસીબદાર ગણાય. સંસારમાં આવી ગૃહિણી સાવ એકલી પડી જાય છે.

કેટલાય ડોક્ટરો એવા જોયા, જેમને પોતાની ધૂમ પ્રેક્ટિસ વચ્ચે પણ સુંદર પુસ્તકો વાંચવાનો સમય મળી રહે છે. કેટલાય પ્રાધ્યાપકો એવા જોયા, જેમને વાંચવા માટે પગાર મળે છે તોય વાંચવાનો સમય નથી મળતો. કેટલાક એવા રાજકારણી નેતાઓને મળવાનું બન્યું છે, જેઓ બધી દોડાદોડ વચ્ચે પણ ઉત્તમ પુસ્તકો ખરીદીને વાંચવાનું ચૂકતા નથી. વાંચવા પ્રત્યે નફરત હોય એવા કેટલાય ભણેલા માણસો ખૂબ લાંબું જીવે છે. જે ગૃહિણી નવરાશના સમયમાં કોઇ સુંદર પુસ્તક કે સામયિક વાંચવાનું રાખે તેનાં સંતાનો નસીબદાર ગણાય.

સંસારમાં આવી ગૃહિણી સાવ એકલી પડી જાય છે. એ ગૃહિણીની જેઠાણી જો ન વાંચતી હોય, તો ઘરમાં રાજ કરતી હોય છે. પ્રત્યેક ઓશિકા પાસે એક એવું પુસ્તક કાયમ હોવું જોઇએ, જે નિદ્રાને પ્રગાઢ બનાવે અને જાગૃતિને જીવવા લાયક બનાવે. એડમંડ હિલરી જ્યારે એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં સફળ થયા ત્યારે કોઇકે એમને પૂછ્યું: ‘તમે બે વાર નિષ્ફળ ગયા તોય ત્રીજી વાર એવરેસ્ટની ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવાનું મન કેમ થયું?’ હિલરીએ જે જવાબ આપ્યો તે બે વાર વાંચવા જેવો છે.

તેમણે કહ્યું: ‘એવરેસ્ટ જ્યાં છે ત્યાં છે. એનો વિકાસ નથી થવાનો, પરંતુ હું તો માણસ છું. હું વિચારી શકું છું અને મારી ભૂલોમાંથી શીખી શકું છું.’ એમને કોઇકે પૂછ્યું: ‘એવરેસ્ટ સર કરવાની હોંશ થઇ તેનું કારણ શું?’ જવાબમાં સર હિલરીએ એટલું જ કહ્યું: ‘Because it is there’ વાત એમ છે કે જે મનુષ્ય વિચારહીન હોય તે બાખડી ભેંસ કરતાં થોડોક જ ચડિયાતો ગણાય. જો સુખી થવું હોય તો વિચારવાનું માંડી વાળો. માણસે શા માટે વિચારવું જોઇએ? ભેંસ, ગધેડું કે વાંદરાને વિચારવાની કુટેવ ન હોય, તો માણસ નામના પ્રાણીનું વિચાર્યા વિના શું અટકી પડવાનું હતું? સંયુક્ત કુટુંબમાં દેરાણી, જેઠાણી, નણંદ, ભાભી કે સાસુમાંથી જે પાત્રને વાંચવાની અને વિચારવાની કુટેવ હશે તે જ દુ:ખી હશે. વિચારહીન મનુષ્યને દુ:ખ સિવાય બીજું કશુંય ગુમાવવું પડતું નથી. વિચાર ટળે તો દુ:ખ ટળે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! રામ ગોપાલ વર્માની ‘સત્યા’ નામની ફિલ્મમાં કલ્લુમામાને મુખેથી ગવાયેલી બે પંક્તિઓ બડી તોફાની છે. સાંભળો:

ગોલી માર ભેજે મેં
ભેજા શોર કરતા હૈ!

જે મનુષ્ય વિચારવંત હોય તેને માટે દહેજ આપવાનું કે લેવાનું શક્ય ખરું? જે મનુષ્ય વિચારવંત હોય તેને માટે ગુટખાના ગુલામ બનવાનું શક્ય ખરંુ? ૧૯૯૭ના વર્ષમાં પોરબંદરથી સાબરમતી સુધીની પંચશીલ પદયાત્રામાં ગુટખા-વિરોધી શેરીનાટક કાયમ ભજવાતું. એ પદયાત્રા પણ આખરે તો વિચારયાત્રા હતી. વિચારવંત મનુષ્ય કોઇ પણ પ્રકારના કોમી હુલ્લડમાં ભાગ લઇ શકે ખરો? સમાજમાં વિચારવંત મનુષ્યો પાતળી લઘુમતીમાં હોય છે. સતી થવાનો રિવાજ સ્વીકાર્ય હતો ત્યારે પણ કેટલીય વિચારવંત સ્ત્રીઓને અને પુરુષોને એ જરૂર અસહ્ય જણાયો હશે. એવાં સ્ત્રી-પુરુષોનો શાણો અવાજ કોઇ વિધવા બનેલી સ્ત્રીને સ્મશાનમાં લઇ જતા સરઘસમાં વાગતાં ઢોલ-નગારાંના ઘોંઘાટમાં દબાઇ મર્યો હશે. તે સમયે રાજા રામમોહન રાયને ટેકો આપનારા કેટલા માણસો હિંમતભેર એમની તરફેણમાં બહાર આવ્યા હશે? વિચારવંત હોવું એટલે જ લગભગ એકલા હોવું.

વિચારવંત હોવું એટલે જ ટીકાપાત્ર હોવું. ઓસ્કાર વાઇલ્ડ સાચું કહે છે: સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે, પરંતુ એ જ સમાજ કદી પણ સ્વપ્નર્દષ્ટાઓને માફ કરતો નથી. આજે દુનિયામાં નોલેજ-સોસાયટીના નિર્માણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નોલેજ સોસાયટી જો વિસ્ડમ-સોસાયટીમાં પરિણમે તો પૃથ્વી પર શાણો સમાજ રચી શકાય. તુલસીદાસ સાચું કહે છે: જાને બિનુ ન હોઇ પરતીતિ બિનુ પરતીતિ હોઇ નહીં પ્રીતિ! કહે છે: જાણ્યા વિના પ્રતીતિ ન થાય અને પ્રતીતિ વિના પ્રીતિ ન થાય. વિચારની દીક્ષા ન પામ્યા હોય એવા કેટલાક લોકો સતત ટીવી નામની પુતનાને ધાવતા રહે છે, તેથી પ્રીતિ નામની યશોદાનું સ્તનપાન કરવાનું ચૂકી જાય છે. ટીવી કરોડો ઘરોમાં જે કંઇ ઠાલવતું રહે છે તેમાં શાણપણ ઓછું અને ગાંડપણ વધારે!

લોકો વિચારવાની ટેવ છોડીને ટીવી પર ઠલવાતા પ્રચારને શરણે જતા હોય છે. ટીવી પર અત્યંત આક્રમક રીતે રજૂ થતી અસંખ્ય જાહેરખબરો આપણું બ્રેઇન-વોશિંગ કરતી રહે છે. શું ખરીદવું તે આપણે નક્કી નથી કરતા. વારંવાર આપણા મન સાથે અથડાતી જાહેરખબરો આપણે કયો સાબુ વાપરવો તે નક્કી કરે છે. ધીરે ધીરે આપણને ખબર પણ ન પડે એ રીતે વિચારશૂન્ય સમાજ સર્જાતો જાય છે. સ્વતંત્ર વિચારશક્તિ? એ વળી કઇ બલાનું નામ છે? ચૂંટણીના દિવસોમાં સૌથી મોટો પ્રહાર માણસની વિચારશક્તિ પર થતો હોય છે. ચૂંટણી લડવાની નથી, રમવાની છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે અસત્યની ઓલિમ્પિક રમાતી હોય છે.

મીડિયા ક્યારેક અસત્યને ચાર ચાંદ લગાવી દેવાનું કામ કરે છે. મીડિયા આગળથી ન્યાય ચૂકવે છે. નળમાં આવતું પાણી ચોખ્ખું જ ગણાતું રહે છે. યુદ્ધના મેદાન પરની બહાદુરી કરતાંય જીવનના મેદાન પરની બહાદુરી વધારે દુર્લભ હોય છે. કવિ નર્મદ વીર નર્મદ કહેવાયો તેનું રહસ્ય બીજા પ્રકારની બહાદુરીમાં રહેલું છે. વિચારવા માંડે તે માણસ ભરચક ભીડમાં પણ સાવ એકલો પડી જાય છે. જે બહુ વિચારે તે બહુ એકલો પડી જાય છે. વીર હોવાની પૂર્વશરત છે, એકલો પડી જવાની તૈયારી. અંધજનોના ગામમાં કાણો માણસ એકલો પડી જાય છે અને ગામના બધા જ માણસો જો કાણા હોય, તો જે માણસોની બંને આંખો બરાબર હોય એવા એકલદોકલ માણસોનું આવી જ બન્યું! મૌલિક વિચારક જુદું વિચારે તેને કારણે દુ:ખી થાય છે. એને કોઇ શહીદ નથી કહેતું!

જેઓ વિચારવાની જીદ પકડી બેઠા છે તેમના માટે માર્ક ટ્વેઇનનું એક વિધાન આશ્વાસન આપનારું છે: ‘જેઓ વાંચતા નથી, તેઓ એવા લોકોથી જરાય ચડિયાતા નથી, જેઓ વાંચી શકતા નથી.’ ગુજરાતની બધી લાઇબ્રેરીઓમાં આ વિધાન ભીંત પર મોટા અક્ષરે મઢાવીને મૂકવું જોઇએ. પ્રત્યેક લાઇબ્રેરીને ગંદી રહીને ઉજજડ બની જવાની કુટેવ હોય છે. અપૂજ શિવાલયનો જીર્ણોદ્ધાર થાય છે. તમે ક્યારેય ઉજજડ લાઇબ્રેરીનો જીણોgદ્ધાર થતો જોયો છે? કોઇ પણ ગામે તમે વાચકો વિનાની, સાફસફાઇ વિનાની અને ગ્રંથપાલ વિનાની સૂનીસૂની ઉપેક્ષિત લાઇબ્રેરી જુઓ તો માનજો કે એ ગામનો સરપંચ નિરક્ષર ન હોય તોય અજ્ઞાની છે.

ગુજરાતમાં ઠેર ઠેર વિચારની પરબો શરૂ થવી જોઇએ. ‘ચેપ’ શબ્દ કાને પડે કે તરત આપણને ‘રોગ’ શબ્દ યાદ આવે છે. શું કોઇ સુંદર વિચાર પણ ચેપી ન હોઇ શકે? શું ‘સત્યાગ્રહ’ જેવો વિચાર ચેપી ન હતો? પ્રત્યેક મ્યુનિસિપાલિટીમાં સ્ટેન્ડિંગ કમિટી હોય, તેમ થિંકિંગ કમિટી પણ હોવી જોઇએ. રસ્તા વિશાળ બને તે સાથે વિચારો પણ વિશાળ બનવા જોઇએ. સમગ્ર ગુજરાત વિચારોનું વૃંદાવન બનવું જોઇએ. નગરમાં રહેતો કવિ કે સાહિત્યકાર ત્યાં વસનારા ઉદ્યોગપતિ કરતાં વધારે આદરણીય ગણાવો જોઇએ. પોતાને મળતા આદરનો ગેરલાભ ન લેવો એ સાહિત્યકારની ખાનગી તપશ્વર્યા છે. નગરમાં જેટલા મેડિકલ સ્ટોર્સ હોય તેટલાં વાચનાલયો હોવાં જોઇએ. ‘ગંગાસ્વરૂપ’ લાઇબ્રેરી તો કોઇ મેયરસાહેબના સ્વચ્છ વસ્ત્ર પર લાગેલો ડાઘ છે. પુસ્તકોની દુકાનોની સંખ્યા પરથી જે તે નગરના સંસ્કારનું માપ પ્રગટ થાય છે. એ દુકાન નહીં, વિચારમંદિર છે.

પાઘડીનો વળ છેડે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે
મારી કરિયર શરૂ કરી ત્યારે
હું એવું માનતો હતો કે
વિશ્વ વસ્તુઓનું બનેલું છે,
પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી ગઇ
તેમ તેમ મને વધારે ને વધારે
એવું લાગવા માંડ્યું કે
વિશ્વ વસ્તુઓનું નહીં,
પણ વિચારોનું બનેલું છે.
- એર્ડિંગ્ટન (વિશ્વવિખ્યાત વિજ્ઞાની)

સેક્યુલર ભ્રષ્ટાચાર દેશને ફરીથી ભાંગી શકે Divya Bhasker, 16-9-2012

સેક્યુલર ભ્રષ્ટાચારનો ખરો માર આજે આસામ વેઠી રહ્યું છે. છેલ્લાં ૨૦-૨પ વર્ષો દરમિયાન વોટબેંકની લાલચે બાંગ્લાદેશમાંથી ઘૂસી આવેલા લોકોને ઝટપટ રેશનકાર્ડ અને મતાધિકાર આપી દેવામાં આવ્યા. પરિણામે આસામનું લોકસંખ્યાત્મક (ડેમોગ્રાફિક) સંતુલન એવું તો ખોરવાયું કે આસામની સમસ્યા કોમી વૈમનસ્યની વિકરાળ સમસ્યા બની ગઇ.

ક્યુલર ભ્રષ્ટાચારની સરળ વ્યાખ્યા આ પ્રમાણે છે: સેક્યુલરિઝમ જેવી પવિત્ર બાબતને ભ્રષ્ટ કરે તેવો વિચાર અને આચાર એટલે સેક્યુલર ભ્રષ્ટાચાર. દેશમાં ‘ભ્રષ્ટાચાર’ શબ્દ સાથે પૈસાનાં કૌભાંડો એવાં તો સજ્જડપણે ચોંટી ગયાં છે કે આર્થિ‌ક ભ્રષ્ટાચાર કરતાંય વધારે ખતરનાક એવો ‘સેક્યુલર ભ્રષ્ટાચાર’ આપણને બહુ ખૂંચતો નથી. કાલે ઊઠીને આસામ દેશથી વિખૂટું પડે તો તેના મૂળમાં સેક્યુલર ભ્રષ્ટાચાર હશે. આ વાત ગળે ન ઊતરી હોય તો આગળ વાંચો.

જગ સુરૈયા મારા પ્રિય કટારલેખક છે. તેઓ વિશ્વપ્રવાસી છે અને વિશ્વનાગરિક જેવા છે. તેઓ મૂળે કચ્છ (માંડવી)ના છે એ જાણી રાખવા જેવું છે. સેક્યુલર ભ્રષ્ટાચારને સમજવામાં તેમના શબ્દો મદદરૂપ થાય તેવા છે. તેઓ લખે છે: ‘જેમ આતંકવાદ માટે કહેવાય છે તેમ ધર્માંધતા પણ કોઇ એક ધર્મનો ઇજારો નથી… પરંતુ મનમાં એક છાની શંકા રહે છે કે ભારતનો ઉદારમતવાદી અવાજ ધર્માંધતાની નિંદા કરવામાં બહુમતી કોમ અંગે જેટલો જોરદાર હોય છે, તેટલો જ જોરદાર લઘુમતીની ધર્માંધતા બાબતે હોય છે ખરો?

ખરેખરો સેક્યુલર અથવા ઉદારમતવાદી અભિગમ તો બધા જ પ્રકારની ધર્માંધતાનો વિરોધ સરખા જોરથી કરવામાં રહેલો ગણાય, પછી તે હિ‌ન્દુ, મુસ્લિમ કે ગમે તે પોશાક ધરાવનારો હોય. શું ભારતનો ઉદારમતવાદ આવી સમાન તકની કસોટીએ નપાસ થાય છે એવું ખરું? શું એ ઉદારમતવાદ મુસ્લિમ અન્ય જૂથો દ્વારા પ્રગટ થતી અસહિ‌ષ્ણુતાની નિંદા કરે તેના કરતાં હિ‌ન્દુ કટ્ટરતાની નિંદા કરવામાં વધારે તીવ્ર હોય છે એવું ખરું? જો આ પ્રશ્નનો જવાબ હા હોય-અને ઘણા લોકો માને છે કે જવાબ હા છે, તો પછી ઉદારમતવાદી પ્રતિભાવમાં આવું અસંતુલન શા માટે?’ (ટા.ઓ.ઇ., ૮-૨-૨૦૧૨).

ઉપરના પ્રાણવાન શબ્દો બે વાર ધ્યાનપૂર્વક વાંચી જનાર ભારતીય નાગરિકને ખ્યાલ આવી જશે કે સેક્યુલર ભ્રષ્ટાચારમાં રમમાણ રહેવાની ફેશનને કારણે મુસ્લિમો દેશના ‘ર્નોમલ નાગરિક’ બનવામાં અડચણ અનુભવી રહ્યા છે. મારી આ વાતના ટેકામાં હું અતિ સેક્યુલર એવાં કર્મશીલ તિસ્તા સેતલવાડના ધર્મપતિ શ્રી જાવેદ આનંદના યાદગાર શબ્દો રજૂ કરવા ઇચ્છું છું. સાંભળો:

‘જો ટ્યુનિસિયા, ટકીર્ અને લેબેનોન જેવા મુસ્લિમ દેશો પણ બહુપત્નીત્વ (પોલીગેમી) પર પ્રતિબંધ મૂકી શકે તો પછી સેક્યુલર ભારતમાં આપણે એવો પ્રતિબંધ શા માટે ન મૂકી શકીએ?’
(ટા.ઓ.ઇ. ૬-૨-૨૦૧૨).

આપણે થોડીક નિરાંત સાથે એવું માની લેવામાં રાહત અનુભવીએ છીએ કે ભારતનું વધુ વિભાજન હવે નહીં થાય. આવી નિરાંત ખતરનાક સાબિત થઇ શકે છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં કોઇને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે જર્મનીના (અને બર્લિ‌ન શહેરના) બે ભાગ પડી શકે. માર્શલ ટિટોના શાસનકાળમાં કોઇને કલ્પના પણ ન હતી કે યુગોસ્લાવિયાનું વિભાજન થઇ શકે.
બ્રેઝનેવના સામ્યવાદી શાસનકાળમાં યુ.એસ.એસ.આર. (સોવિયેટ યુનિયન)ના અનેક ભાગલા પડી શકે એવો ખ્યાલ સુદ્ધાં કદાચ કોઇને આવ્યો નહીં હોય. અરે પાકિસ્તાન સર્જા‍યું ત્યારે એના જનક ઝીણાસાહેબને ભાગ્યે જ એવો ખ્યાલ આવ્યો હશે કે ઇસ્ટ પાકિસ્તાન અલગ પડી જશે અને બાંગ્લાદેશ જેવા નવા દેશનો જન્મ થશે. શું આસામ ભારતથી વિખૂટું પડે એ અશક્ય છે? આપણું રાષ્ટ્રીય ભોળપણ એવી શક્યતા સ્વીકારવાની ના પાડે છે, પરંતુ વાસ્તવિકતા વિકરાળ છે. દેશ ભાંગી શકે તેમ છે.

મારા ઘરે ક્યારેક આર.એસ.એસ.ના મિત્રો વાતો કરવા માટે પ્રેમથી આવી ચડે છે. તેઓ કેટલીક એવી વાતો કરે છે, જેની સાથે સહમત થવાનું મારે માટે અશક્ય બની જાય છે. હું તર્કયુક્ત દલીલો કરીને મારી વાત સમજાવું ત્યારે મારી કોઇ પણ વાત તેમને ગળે ઊતરતી હોય એવું મને લાગતું નથી. હા, તેમની એક દલીલનો મારી પાસે કોઇ જવાબ નથી. તેઓ મને કહે છે કે ભારતના જે જે પ્રદેશોમાં બિનહિ‌ન્દુ પ્રજા બહુમતીમાં હોય, તે તે પ્રદેશોમાં ભારતથી અલગ થવાની માંગ થતી રહે છે. આ અંગે અનેક ઉદાહરણો રજૂ કરીને તેઓ એવું પ્રતિપાદન કરે છે કે દેશની એકતાની આધારશિલા હિ‌ન્દુ બહુમતી છે અને તેથી દેશની અખંડિતતાનો દારોમદાર હિ‌ન્દુત્વ છે. આ બાબત તલસ્પર્શી ચર્ચા માગે છે કારણ કે આવી દલીલ છેક દમ વિનાની નથી.

ગયા મહિ‌ને જ્યારે બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને અન્ય શહેરોમાંથી ઉત્તર-પૂર્વીય નાગરિકો ટ્રેનોમાં ચિક્કાર ભરાઇને આસામ જવા માટે ઉતાવળા બન્યા ત્યારે પુણેમાં એક એવી ઘટના બની, જેને કારણે દેશની એકતા માટે આશા પેદા થાય. પુણેમાં સાને ગુરુજી તરુણ મંડળ દ્વારા શહેર છોડીને જવા માટે તૈયાર થયેલાં ઉત્તર-પૂર્વીય ભાઇબહેનોને પ્રેમપૂર્વક સમજાવીને રોકાઇ જવાની વિનંતી કરવામાં આવી. માનશો? આવા સુંદર પ્રયત્નમાં પુણેના હિ‌ન્દુઓ અને મુસ્લિમો મોટી સંખ્યામાં જોડાયા અને સૌએ સાથે મળીને ઇદના તહેવારની ઉજવણી કરી. દિલીપ પાડગાંઉકરે પોતાના લેખમાં આવી અનોખી ઘટના નોંધી છે.

- આંખ ઠરે ને હૈયું ઠારે તેવો દાખલો બેઠો

સેક્યુલર ભ્રષ્ટાચારનો ખરો માર આજે આસામ વેઠી રહ્યું છે. છેલ્લાં ૨૦-૨પ વર્ષો દરમિયાન વોટબેંકની લાલચે બાંગ્લાદેશમાંથી ઘૂસી આવેલા લોકોને ઝટપટ રેશનકાર્ડ અને મતાધિકાર આપી દેવામાં આવ્યા. પરિણામે આસામનું લોકસંખ્યાત્મક (ડેમોગ્રાફિક) સંતુલન એવું તો ખોરવાયું કે આસામની સમસ્યા કોમી વૈમનસ્યની વિકરાળ સમસ્યા બની ગઇ. ૧૧મી ઓગસ્ટે મુંબઇના આઝાદ મેદાનમાં મુસ્લિમ ગુંડાઓએ આતંક મચાવ્યો તેમાં પોલીસ સ્ત્રીઓની છેડતી થઇ, પોલીસો ઘાયલ થયા અને ‘અમર જવાન’ સ્મારક પર ગુંડાઓએ દંડા માર્યા અને લાત પણ મારી. પોલીસ અધિકારી અરૂપ પટનાયકે તે વેળાએ સંયમ પાળ્યો કે ઢીલ બતાવી?

૧૪૪મી કલમની ધરાર અવગણના કરીને રાજ ઠાકરેએ ૨૧મી ઓગસ્ટે વિરાટ રેલી યોજી. એમણે આઝાદ મેદાનની સભામાં મોટી મેદનીને સંબોધન કર્યું તેમાં ઉત્તર ભારતથી મુંબઇ આવીને વસેલા લોકો વિરુદ્ધ ઝેર ફેલાવ્યું. આવો ભયંકર ગુનો કરનારા રાજ ઠાકરેની ધરપકડ ન થઇ. મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારે મુસ્લિમ ગુંડાઓ પ્રત્યે જે ઢીલ બતાવી તેવી જ ઢીલ હિ‌ન્દુ ગુંડાઓ પ્રત્યે પણ બતાવી. શું એ ‘સેક્યુલર ઢીલ’ કહેવાય?

આસામમાં બદરુદ્દિન અજમલ અને મુંબઇમાં રાજ ઠાકરે અજમલની પાર્ટી પાસે ૧૮ વિધાનસભ્યો છે. આસામના દેશી-પરદેશી મુસ્લિમો કોમી તનાવને કારણે જે બિનસલામતી અનુભવશે તેને કારણે કટ્ટરપંથી અજમલની તાકાત વધશે. આસામમાં મુસ્લિમોની સંખ્યા ઝડપભેર વધે છે અને તેથી લોકસંખ્યાત્મક સંતુલન ખોરવાય છે. આવું જ કંઇક અંશે કાશ્મીરના ખીણ વિસ્તારમાં બન્યું છે. ત્યાંથી લાખો કાશ્મીરી (હિ‌ન્દુ) પંડિતોને ખદેડી મૂકવામાં આવ્યા અને આજે પણ તેઓ પોતાના જ દેશમાં નિરાશ્રિત છે.

કાશ્મીરનો ખીણ વિસ્તાર ‘હિ‌ન્દુ વિહોણો’ બની ગયો તોય તેમના માનવ-અધિકાર અંગે સેક્યુલર ભ્રષ્ટાચારમાં રાચનારા કર્મશીલો મૌન છે. સેક્યુલર ભ્રષ્ટાચાર ગોધરાની ક્રૂરતા અંગે ઠંડું વલણ રાખનારો છે અને નરોડા પાટિયા આગળ થયેલી ક્રૂરતા અંગે ગરમ વલણ રાખનારો છે. બંને દુર્ઘટના દરમિયાન આચરવામાં આવેલી ક્રૂરતાને સરખી નિંદનીય ગણે તેવું સ્વચ્છ સેક્યુલરિઝમ ક્યાંય નજરે પડે છે?’ (લખ્યા તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૧૨)

- પાઘડીનો વળ છેડે

‘મેં જોયું છે કે ભારતના ઉદારમતવાદી અને બૌદ્ધિક લોકો ઘણુંખરું એક જ રાજકીય પક્ષનું તાણતા હોય છે. જેઓ પોતાને સેક્યુલર કહેવડાવે છે, એવા ઘણા લોકો હિ‌ન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓ અંગે સમાનભાવે અવાજ ઉઠાવતા નથી. જો તમે હિ‌ન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી-એમ બધા જ વર્ગોના કટ્ટરપંથી લોકોની સમાનભાવે નિંદા કરવાના ન હો, તો તમે સેક્યુલર પણ નથી અને ઉદારમતવાદી (લિબરલ) પણ નથી.’
- તસ્લિમા નાસરિન

નોંધ: રાખી ચક્રવર્તીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉચ્ચારાયેલા આવા સાચકલા શબ્દો આપણા દેશના સેક્યુલર કર્મશીલોને અર્પણ. (ટા.ઓ.ઇ. ૧૨-૨-૨૦૧૨).

Follow

Get every new post delivered to your Inbox.

Join 259 other followers