આ પૃથ્વી પર તમે સાવ અનોખા ઇડિયટ છો!DIVYA BHASKER, 3-3-2015

અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે.

આ પૃથ્વી પર અબજો વૃક્ષો પવનમાં ડોલી રહ્યાં છે. એ બધાં જ વૃક્ષો એક પગ પર ઊભાં છે. ઉપનિષદના ઋષિ કહે છે કે એ બધાં વૃક્ષો ધ્યાન કરી રહ્યાં છે. વૃક્ષો અસંખ્ય છે, પરંતુ બિલકુલ સરખાં એવાં બે વૃક્ષો હજી સુધી પેદા નથી થયાં. પ્રત્યેક વૃક્ષ અનન્ય છે અને અદ્વિતીય છે. એક જ વૃક્ષ પર પવનમાં ફરફરતાં પાંદડાં કેટલાં? ગણવાનો પ્રયત્ન કરી જોજો. પાંદડાં હસી પડશે! જો એકાદ પાંદડાને વાણી ફૂટે, તો તે તમને કહેશે: ‘બરખુરદાર! લાખો સદીઓ વીતી ગઇ, પરંતુ હજી સુધી બિલકુલ મારા જેવું બીજું પાંદડું પેદા નથી થયું અને હવે પછી આવનારી લાખો સદીઓમાં પણ મારા જેવું જ પાંદડું ક્યારેય પેદા નહીં થાય. પ્રત્યેક પાંદડું નોખું-અનોખું છે. પરમેશ્વરના સર્જનમાં ક્યાંય ઝેરોક્ષ નકલ નથી. જે કશુંક સર્જાય, તે અપુનરાવર્તનીય (unrepeatable) છે. શું ભગવાન નવરોધૂપ? ભગવાનમાં ન માનતા હો, તોય સર્જનમાં માનવું રહ્યું!’

હે યુવાન મિત્ર! પરીક્ષામાં તું વારંવાર નાપાસ થાય કે પ્રિયજન પામવામાં અનેક નિષ્ફળતા મળે, તોય એક વાત કદી પણ ભૂલતો નહીં. આ પૃથ્વી પર તારા જેવો ઇડિયટ ક્યારેય પેદા થયો નથી અને થવાનો પણ નથી. You are a very special idiot on this earth. આવું વિચારવાથી તને ખૂબ જ લાભ થશે. તને કદી પણ લઘુતાગ્રંથિ નહીં પજવે અને તું કદી પણ નિરાશાની અંધકારમય ખીણમાં સરી નહીં પડે. પ્રત્યેક ઇડિયટ પાસે એક અદૃશ્ય કોહિનૂર હોય છે. એ કોહિનૂરનું નામ આત્મવિશ્વાસ છે. પતિ-પત્નીએ પરસ્પર પ્રેમ કરવા ઉપરાંત બીજું પણ એક ખાસ કામ કરવાનું છે. બંને જણાએ સમજણપૂર્વક પાર્ટનરના આત્મવિશ્વાસનું જતન કરવાનું છે. જે પત્ની પતિને કોઇ પણ નિર્ણય લેવાની છૂટ આપતી ન હોય, તે પતિના આત્મવિશ્વાસને છીનવી લઇને એને લઘુતાગ્રંથિનો કોથળો બનાવી દેતી હોય છે. એ કોથળામાં પર્સનાલિટીની રાખોડી ભરેલી હોય છે. એ જ રીતે દેશના કરોડો પરિવારોમાં મુસોલિની જેવા ડિક્ટેટરના કહ્યામાં રહેતી અખંડસૌભાગ્યવતી ‘કોથળીદેવી’ સતત સડતી રહે છે. આવું બને તેમાં સર્જનહારનું અપમાન છે. બંને લગ્નબંધનથી જોડાયાં હોય, તોય સ્વાયત્ત છે. વીણાના તાર સાથે પણ વાગે અને એક જ તાર પણ પોતીકું સંગીત પેદા કરે છે. એ છે સંગીતમય સ્વાયત્તતા!

સાવ સાચો બનેલો પ્રસંગ કહું? એક અધિકારી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરતો હતો. એ રુશવત લેતાં પકડાઇ ગયો અને નોકરી ગુમાવી બેઠો. એની પત્ની માધ્યમિક શાળામાં શિક્ષિકા હતી અને પ્રભાવશાળી સ્ત્રી હતી. એ શિક્ષિકા માર્ગદર્શન લેવા માટે મારી પાસે આવી. મેં એને કહ્યું: ‘પતિએ જે રુશવત લીધી તેમાં તમારો ભાગ ખરો કે નહીં? તો હવે આવી પડેલી આપત્તિનો સાથે મળીને સામનો કરજો. પતિ ખૂબ હતાશા અનુભવે ત્યારે તમે એનો ‘ઇગો’ જાળવી લેજો. એના અહંકારને ચોટ પહોંચે એવું એક વાક્ય પણ બોલશો નહીં. અને હા, આવી નિરાશાજનક પળોમાં જો એ સેક્સની માગણી વધારે કરે, તો તે વાતે પણ પૂરો સાથ આપજો.’ પત્ની સમજુ હતી. પતિએ નોકરી ગુમાવી, પરંતુ આખરે પરિવારને અન્ય કોઇ વ્યવસાયને કારણે મુસીબત પાર કરવામાં સફળતા મળી. પાછળથી પત્નીએ મને જણાવ્યું: ‘તમે જે સ્પષ્ટ સલાહ આપી તેવી સલાહ અન્ય કોઇએ આપી ન હોત. અમે બધી રીતે સુખી છીએ.’

પાર્ટનરનો આત્મવિશ્વાસ તોડી નાખીને એને આજ્ઞાંકિત બનાવી દેવામાં કયું સુખ? અરે! પરમ સુખદાયી મૈથુન પણ આત્મવિશ્વાસ માગે છે. મૈથુન કદી બે ઢીલાંઢાલા પતિ-પત્ની વચ્ચે નથી જામતું. ગણિકાને ત્યાં પણ ઢીલાઢસ લલ્લુને આદર નથી મળતો. તન અને મનની તાકાત વિનાનું મૈથુન એટલે સ્પાર્ક-પ્લગ વિનાનું સ્કૂટર! એ સ્કૂટરને કિક વાગે ખરી? મૈથુન દરમિયાન પ્રાપ્ત થતી ચરમસીમા (ક્લાઇમેક્સ) તો સાક્ષાત્ પરમેશ્વરની અપાર કરુણાનું ક્ષણાતીર્થ છે. છાંદોગ્ય ઉપનિષદના પ્રારંભે છઠ્ઠા મંત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘ૐ’ સંજ્ઞામાં મૈથુન દ્વારા થતા સર્જનનું રહસ્ય અભિપ્રેત છે. જ્યાં મિથુનભાવ (યુગલત્વ) છે, ત્યાં ઇચ્છાપૂર્તિ છે. એમાં અશ્લીલ કશુંય નથી. આ વાત કૃષ્ણના કુળની છે, ગાંધીના કુળની નથી. આનંદની ચરમ અનુભૂતિની દૃષ્ટિએ એ ‘તીર્થક્ષણ’ આત્મસાક્ષાત્કાર પછીના ક્રમે આવતી હોવી જોઇએ. આનંદવિહોણું અધ્યાત્મ એટલે કોમ્પ્રેસર વિનાનું રેફ્રિજરેટર! આનંદવિરોધી ધર્મ એટલે આતંકવાદનું ધરુવાડિયું! આપણું કોણ સાંભળે?

મૈથુનમધ્યે પ્રાપ્ત થતી ચરમસીમાએ
સર્જાતી તીર્થક્ષણ દરમિયાન આવી મળતી
અલૌકિક અને અવર્ણનીય
કૃપાનુભૂતિ, આનંદાનુભૂતિ અને અમૃતાનુભૂતિને આત્મસાત્ કરવી એ પ્રત્યેક ઇડિયટનો
પવિત્ર અને આનંદસિદ્ધ અધિકાર છે.
એમાં જે રુકાવટ આવે
તેનું જ નામ આતંકવાદ છે.
વિશ્વશાંતિનું રહસ્ય પરસ્પરતાથી રસાયેલી
એવી એકત્વની આરાધનામાં રહેલું છે.
જ્યાં દ્વૈત હતું, ત્યાં એકત્વ સિદ્ધ થયું!

એક ઇડિયટની કથા કહેવી છે. એ મહિલાનું નામ એનેસ્ટેસિયા સોઅરે છે. એનો જન્મ સામ્યવાદથી ખદબદતા રોમાનિયામાં એવે વખતે થયો જ્યારે કોલ્ડ વોરની તીવ્રતા ટોચ પર પહોંચી હતી. સારું જીવન મળે એવી આશાએ એ મહિલા અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં જઇ પહોંચી. પાસે પૈસા ન હતા અને અંગ્રેજી બોલવાનું આવડે નહીં તેથી મુશ્કેલીનો પાર નહીં. એણે તો એક બ્યુટી સલૂનમાં રોજના 14 કલાક કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે એને સમજાયું કે વૈતરું કરવાથી ઝાઝું વળે તેમ નથી ત્યારે એણે એક પરાક્રમ કર્યું. એણે બેવરલી હિલ્સમાં બિઝનેસ શરૂ કર્યો.

એમાં એને જબરી સફળતા મળી કારણ કે સ્ત્રીઓની ભમરને ખાસ આકાર આપવાની કળા એની પાસે હતી. વર્ષો વીત્યાં પછી આજે એ ભમરને સુંદરતાથી સજાવનારી સૌથી જાણીતી બ્યૂટિશિયન બની ગઇ છે. હોલિવૂડમાં ભલભલી અભિનેત્રીઓ એની પાસે ભમરની શોભા વધારવા માટે લાઇન લગાવે છે. દુનિયામાં એની કંપનીનાં શૃંગાર દ્રવ્યો અસંખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં વેચાય છે. વાત અહીં અટકતી નથી. એણે ‘એનેસ્ટેસિયા બ્રાઇટર હોરાઇઝન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે જેના દ્વારા અનેક યુવક-યુવતીઓને બ્યૂટી અને ચામડીની કાળજી સાથે જોડાયેલા બિઝનેસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. રોમાનિયા છોડીને અમેરિકામાં લગભગ નિરાશ્રિત જેવી હાલતમાં પહોંચેલી મહિલા ઇડિયટની આ કથા કોઇ પણ યુવક-યુવતીને નિરાશ થઇને બેસી પડવાની છૂટ નથી આપતી.

તમારી સાથે પ્રિયજન તરફથી ભયંકર દગો થયો નછે? દરરોજ સવારે ઊઠો ત્યારે એ ભૂતપૂર્વ પ્રિયજનને ક્ષમા કર્યા પછી જ બાથરૂમ જવાનું રાખશો. વળી તમારા પર જેણે ઉપકાર કર્યો હોય તેનું વિસ્મરણ થાય તેવું કદી કરશો નહીં. અપ્રામાણિક મિત્રથી દૂર રહેવામાં અને પ્રામાણિક શત્રુની કદર કરવામાં જ ખરું ચારિય રહેલું છે. ગમે તે હિસાબે પોઝિટિવ વલણ કેળવીને આનંદમય જીવન માટે મથવાનું છે. ગમે તેવી આપત્તિ આવી પડે ત્યારે એક જ વાતનું સ્મરણ કરવા જેવું છે. મર્યાદાપુરુષોત્તમ રામ પર જેટલી આપત્તિઓ આવી હતી તેનાથી હજારમા ભાગની આપત્તિ પણ આપણા પર આવી નથી. આ લખાણ અત્યારે તમે વાંચી રહ્યા છો, એ જ બતાવે છે કે હજી તમે જીવતા છો. શું આટલું પૂરતું નથી? પાંચ ઊંડા શ્વાસ લઇને ઊગતા સૂર્યનું અભિવાદન કરીને કામે લાગી જાઓ! એક ઇડિયટની આ વિચિત્ર વાત પર વિચાર કરશો?

પાઘડીનો વળ છેડે
પૃથ્વી પર આવ્યાનું
તમારું મિશન
પૂરું થયું કે નહીં,
તે જાણવાની કસોટી
એક જ છે.
જો તમે જીવતા હો
તો જાણવું કે
એ મિશન હજી પૂરું નથી થયું!
– રિચાર્ડ બેક
નોંધ: લેખકના ઉત્તમ પુસ્તક ‘Illusions’માંથી.

બસ ડ્રાઇવરને પાઇલટનું સ્ટેટસ ક્યારે મળશે?. DIVYA BHASKER, 15-6-2014

માણસનું મન જ્યારે વારંવાર ભૂતકાળમાં સરી પડે ત્યારે માનવું કે એની ઉંમર થવા આવી છે. સુરતથી ડુમસ જતા રસ્તા પર એરપોર્ટ આવેલું છે. વર્ષો પહેલાં એ સૂના એરપોર્ટ પર દિવસમાં માંડ એક વિમાનનું લેન્ડિંગ થતું. બાકીના કલાકો દરમ્યાન સમડીનું લેન્ડિંગ અને ટિટોડી (lapwing)નું ટેક-ઓફ થતું રહેતું. તે સમયે સુરતી લાલા ગૌરવભેર કહેતા: ‘અમારે ત્યાં એરપોર્ટ પણ છે.’ આજે એ જ એરપોર્ટ પર અનેક વિમાનો ઉતરાણ કરતાં થયાં છે. એ એરપોર્ટનું નામ મોરારજી દેસાઇના નામ સાથે નહીં જોડાય ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓછા માક્ર્સ મળવાના.

વર્ષો પહેલાં રોજ એક નાનું અમથું વિમાન સુરત આવતું અને અડધો કલાક થોભીને ભાવનગર તરફ ઊડી જતું. માંડ વીસ મિનિટમાં સુરતથી ભાવનગર પહોંચી જવાનો અનુભવ રોમેન્ટિક રહેતો. એકાદ કલાક માટે જીવતું થયેલું એ સૂમસામ એરપોર્ટ થોડીક વારમાં જ પોતાનું ‘ખેતરત્વ’ પ્રાપ્ત કરતું. મોટામસ ખેતર પર રનવે રચાયો હોય એવું લાગતું. એ દિવસોમાં આતંકવાદનો ભય ન હતો, તેથી સુરક્ષાજાંચ નખોરિયાં ભરનારી ન હતી. રેલવેના કોઇ ફ્લેગ સ્ટેશન પર હોય એટલી આછી ભીડ સુરતના એ ગ્રામોદ્યોગી એરપોર્ટ પર જોવા મળતી. સફારી એરવેઝનું વામન વિમાન બોઇંગ ૭૪૭ના ભીમકાય વિમાનના બચ્ચા જેવું જણાતું.

આજે પણ દીવથી મુંબઇ જતું નાનકડું વિમાન માંડ ત્રીસ મિનિટમાં સાન્તાક્રુઝ એરપોર્ટ પર પહોંચાડી દે છે. સ્વચ્છ સફેદ યુનિફોર્મમાં શોભતા બે પાઇલટ કોકપિટમાં બેઠેલા જોઇ શકાય છે. એમના માથા પર જે ટોપી હોય છે, તેનો ઠસ્સો એવો કે ટોપીને ‘કેપ’ કહેવી પડે સ્વચ્છ સફેદ યુનિફોર્મ એક કામ અવશ્ય કરે છે. બાવીસેક પેસેન્જરોમાં પાઇલટની પર્સનાલિટી જુદી પડી આવે છે. એ અધિક સોહામણો દેખાય ત્યારે એની પ્રોફેશનલ ગરિમા પ્રગટ થતી જણાય છે. હું એવા દિવસની રાહ જોઉં છું કે જ્યારે એસ.ટી. કે લક્ઝરી બસના ડ્રાઇવરને પાઇલટ જેવું સ્ટેટસ પ્રાપ્ત થાય. એને માથે પણ કેપ હોય અને એનો યુનિફોર્મ સ્વચ્છ, સફેદ અને ઇસ્ત્રીટાઇટ હોય.

એને પણ પૂરતી તાલીમ મળી હોય, જેથી એ હાઇવે પર અધિક જવાબદારીથી બસ હાંકે અને પચાસેક પેસેન્જરોને સ્મિતપૂર્વક જાળવે. ૪૦-પ૦-૬૦ જેટલાં સ્ત્રી-પુરુષો અને બાળકોની સલામતીનો સઘળો ભાર જેના દેશી ચીકુ જેવડા મગજ પર રહેલો હોય, તેને કયા નામે બોલાવીશું? કેપ્ટનથી ઊતરતા (આરમર)ના અમલદારને ‘કમાન્ડર’ કહે છે. આપણી બસની કેબિનમાં બેઠેલા રુઆબદાર, જવાબદાર અને ઇમાનદાર કમાન્ડરની કલ્પના તો કરી જુઓ કદાચ તમને તમારું બસભાડું ઓછું લાગવા માંડશે. વડોદરાનો બસ ડેપો કોઇ એરપોર્ટ જેવો ઠસ્સો ધરાવનારો છે. બહારથી આવેલા લોકો એ બસ ડેપો જોવા માટે જાય છે. આવો બસ ડેપો દેશમાં બીજે ક્યાંય નથી.

આજે મારું મન પ૦-પપ વર્ષો પહેલાંના સમયમાં પહોંચી ગયું છે. અમારા પરિવાર પાસે રાંદેર બસ કંપનીના શેર હતા. રાંદેરથી સુરત જતી બસમાં અમારે ટિકિટ લેવી પડતી ન હતી. સુરતની જૈન હાઇસ્કૂલમાં ભણવા માટે રોજ બસમાં રાંદેરથી સુરત જવું પડતું. બસ કંપની અમારી હતી તેથી ડ્રાઇવર પાસેની ખાસ સીટમાં બેસવા મળતું. હજી મને ડ્રાઇવરોના ચહેરા યાદ છે. એક ખાનદાન પારસી ડ્રાઇવરનું નામ કેકી હતું. બીજા બધા ડ્રાઇવરો મુસલમાન હતા. બસની આગલી સીટ પર બેસીને હું ડ્રાઇવર કઇ રીતે ગિઅર બદલે અને ટ્રાફિકમાંથી રસ્તો કાઢે તે સતત જોયા કરતો. હું મનોમન ડ્રાઇવિંગ કરતો અને બસની ગતિવિધિને કુંવારા વિસ્મય સાથે નિહાળતો. તે વખતે મારે મન દુનિયાની સૌથી આકર્ષક ઘટના એટલે ડ્રાઇવિંગ
વર્ષો પછી ચેન્નાઇમાં પ્રોફેસર બન્યો ત્યારે જે બંગલો મળ્યો તેમાં ગરાજ પણ હતું.

ગરાજ તો હતું, પણ કાર ન હતી. ઘોડાની નાળ હતી, પણ ઘોડો ન હતો ગરાજ હતું તેથી કાર ખરીદી. નાળને કારણે ઘોડો ખરીદવાનું બન્યું ડ્રાઇવિંગ શીખતી વખતે નાનપણમાં ડ્રાઇવર પાસેની આગલી સીટ પર બેસીને વિસ્મયપૂર્વક નિહાળેલું ડ્રાઇવિંગ ખૂબ જ ખપ લાગ્યું. માનશો? મને હજી બસનો ડ્રાઇવર સાવ પોતીકો લાગે છે. એ ગરીબડો, બેદરકાર, લઘરવઘર કે ઢીલોઢીલો હોય તે મને ખૂંચે છે. આજે પણ મને સતત થયા કરે છે: આપણા બસ ડ્રાઇવરને પાઇલટનું સ્ટેટસ ક્યારે પ્રાપ્ત થશે? એક વાર લગભગ ૨૦-૨પ વર્ષો પહેલાં મારે વલસાડથી ધરમપુર તાલુકાના પિંડવળ ગામે જવાનું બનેલું. ત્યાં મારા મિત્રો આદિવાસીઓની સેવા કરતા હતા. બસમાં બેઠો અને એકાદ કલાક થયો હશે ત્યાં મેં શું જોયું? સામાન્ય એસ.ટી. બસ અત્યંત ચોખ્ખીચણક હતી.

કન્ડક્ટરને બોલાવીને પાસે બેસાડયો અને પૂછ્યું: ‘ભઇલા આ બસ આટલી ચોખ્ખી કેમ છે?’ કન્ડક્ટરે જે જવાબ આપ્યો તે આજે પણ યાદ છે. એ કન્ડક્ટરે કહ્યું: ‘સાહેબ અઠવાડિયામાં છ દિવસ હું આ જ બસમાં વલસાડ-પિંડવળના રૂટ પર ડયૂટી પર હોઉં છું. દર ત્રણ દિવસે ગાંઠના દસ રૂપિયા ખર્ચીને હું આ બસ ધોવડાવું છું.’ મે એ કન્ડક્ટર અંગે લેખ પણ લખ્યો હતો. મારા મિત્ર આચાર્ય રમેશ દેસાઇ વલસાડના બસ ડેપો પર જઇને એ કન્ડક્ટરને ખાસ મારો લેખ વંચાવવા ગયા હતા. દુનિયા બડી વિચિત્ર છે. આવા મજાના માણસો ફક્ત એક જ વાર મળે છે, પરંતુ પોતાની સુગંધ આપણને જીવનભર આપતા જાય છે.

એક ખાસ વાત કહેવાનો લોભ થાય છે. કદી પણ કલિયુગને અમથો વગોવશો નહીં. આવો શ્રેષ્ઠ યુગ પૃથ્વી પર ક્યારેય હતો નહીં. વળી ક્યારે પણ કોઇ માણસને ‘હલકી વરણનો’ ગણીને તોછડાઇ બતાવશો નહીં. કોઇ ગરીબ કામદાર કે મજૂર સાથે પૈસાની ખોટી રકઝક કરવામાં આપણું આભિજાત્ય ખતમ થાય છે. અમારે ઘરે નાનામોટા કામ માટે ઘણીવાર મુસ્લિમ કારીગરો આવે છે. એમની ઇમાનદારી નિહાળીને હું ખૂબ રાજી થાઉં છું. એમની સાથે આગળથી ઠરાવેલી રકમ કરતાં થોડાક વધારે પૈસા આપવા, એ ખાનદાન પરિવારનો સ્થાયીભાવ હોય તો છે. હમાલ સાથે રકઝક કરવી એ હલકટપણાની નિશાની છે.

ટપાલીને આદરપૂર્વક બેસાડીને શરબત આપવું, તેમાં જ આપણી ખરી કમાણી છે. જીવનભર યાદ રાખવા જેવું છે કે કોઇ ગરીબને નક્કી થયેલા દામ કરતાં થોડાક વધારે પૈસા આપીએ, તો ખુદા ખૂબ રાજી થાય છે અને આપનારને ઘરે બરકત ખાસ યાદ રાખવા જેવું છે કે ‘બરકત’ અરબી શબ્દ છે અને એ ઇસ્લામની ભેટ છે. બરકત એટલે આબાદી અને (ઉપરવાળાની) કૃપા. ‘બરકત’નો સંબંધ કોસ્મિક લીલા સાથે છે. મખ્ખીચૂસ કંજૂસ ખુદાનો ગુનેગાર છે. કેટલાક માણસો એવી રીતે વ્યવહાર કરતા હોય છે, જાણે તેઓ કાયમ અપ્રામાણિક મનુષ્યોથી જ ઘેરાયેલા ન હોય નિયમ પ્રમાણે પગાર ચૂકવનાર પેઢી કે કંપનીની પ્રતિષ્ઠા વધે છે અને પ્રતિષ્ઠાને કારણે નફો વધે છે. લેખકોને નિયમ કરતાં ઓછી રોયલ્ટી ન આપનાર પ્રામાણિક પ્રકાશક સરસ્વતીના જ નહીં, લક્ષ્મીના આર્શીવાદ પણ પામે છે.

ધન્ય છે, એમને બસપુરાણ બાજુએ રહી ગયું અને આપણે તો સરસ્વતી અને લક્ષ્મી સુધી પહોંચી ગયા હા, આપણી આદર્શ બસનો ‘કમાન્ડર’ ગ્રેજ્યુએટ હશે. એ પેસેન્જરો સાથે એર હોસ્ટેસની માફક પ્રોફેશનલ વિનય બતાવશે. એની પાસે મોબાઇલ ફોન હશે. એની કેબિન વાતાનુકૂલિત હશે. એ કેબિનમાં પ્રાથમિક સારવારની લઘુતમ સામગ્રી હશે. એના મોબાઇલ પર માર્ગમાં આવતાં ગામોનાં પોલીસ મથકો, દવાખાનાં અને પંચાયતની ઓફિસોનાં ટેલિફોન નંબરો સેવ કરેલા હશે. ખખડધજ બસ હવે જવી જોઇએ. બસની બેઠકોની ગાદીમાંથી ડનલોપ નીકળી ગયેલું હોય છે. બસમાં કચરો હોય છે. એ બસની ઉત્ક્રાંતિ ક્યારે? સાવ સાચો બનેલો પ્રસંગ છે. પરદેશની ઘણીખરી બસમાં પેસેન્જરો ડ્રાઇવરને પૈસા ચૂકવીને બસમાં પ્રવેશ કરે છે. એક ડ્રાઇવરે સીટ પર ગોઠવાઇ ગયેલી વૃદ્ધાને કહ્યું: ‘મેડમ તમે પૈસા નથી ચૂકવ્યા.’ થોડીક માથાકૂટને અંતે વૃદ્ધાએ પૈસા ચૂકવી દીધા.

થોડીક મિનિટો વીતી ત્યારે ડ્રાઇવરે હિ‌સાબ કર્યો અને એને સમજાયું કે વૃદ્ધાએ પૈસા ચૂકવ્યા હતા. એ ડ્રાઇવર તરત જ વૃદ્ધાની સીટ પાસે ગયો અને કહ્યું: ‘મેડમ મારી જબરી ભૂલ થઇ ગઇ. તમારા વધારાના પૈસા પાછા લો અને મને ક્ષમા કરો.’ આવું કહેતી વખતે એ બસ ડ્રાઇવર લગભગ રડવાની અણી પર હતો. ડ્રાઇવરનો ચહેરો જોયો, ત્યારે એ મને દેવદૂત જેવો જણાયેલો. એ ડ્રાઇવર જીવનમાં ફરીથી હવે ક્યારે પણ નહીં મળે. બસ આ જ સતત વહી જતા સમયનું સૌંદર્ય છે. કોઇ પણ દેશ કઇ કક્ષાએ પહોંચ્યો છે તે જાણવાના બે ખાસ ઉપાયો છે. એક રસ્તો તે દેશની કેદ કેવી છે, તે જાણવાનો. બીજો રસ્તો એ કે એ દેશની બસમાં લાંબા પ્રવાસો કરીને ડ્રાઇવરો કઇ રીતે પેસેન્જરો સાથે વ્યવહાર કરે છે, તે ઝીણી નજરે નીરખવાનો. દેશ કેટલા પાણીમાં છે તે તરત સમજાઇ જશે. ડ્રાઇવર-પુરાણની છેલ્લી વાત કરું? દેશમાંથી એક જ દિવસ માટે ડ્રાઇવરની સંપૂર્ણ બાદબાકી કરી જુઓ. એક જ દિવસમાં ડ્રાઇવરવિહીન દેશ ઠપ્પ થઇ જશે.’

પાઘડીનો વળ છેડ
સુખ એટલે શું?
બધું સુખ
નિર્દોષતામાં સમાયું છે.
– માર્ગ્યરિટે યોર્સેનર
(ફ્રેન્ચ લેખકના પુસ્તક ‘Alexis’ માંથી સાભાર)

આપણી આદર્શ બસનો ‘કમાન્ડર’ ગ્રેજ્યુએટ હશે. એ પેસેન્જરો સાથે એર હોસ્ટેસની માફક પ્રોફેશનલ વિનય બતાવશે. એની પાસે મોબાઇલ ફોન હશે. એની કેબિન વાતાનુકૂલિત હશે. એમાં પ્રાથમિક સારવારની લઘુતમ સામગ્રી હશે.

ગુણવંત શાહ

ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો ધર્મ છે: ‘માતૃત્વ’.DIVYA BHASKER 30-3-2014

એક સમજુ ગૃહિ‌ણી ઠંડા પાણીનો ઘડો લઇને એ મજૂરો પાસે પહોંચે છે

કવિ કોને કહેવો? એક ફિલસૂફનો જવાબ વિચિત્ર છે. એ કહે છે: ‘પાણીનો ગ્લાસ જોઇને જેને નશો ચડે તેને કવિ જાણવો.’ ઉનાળાની બળબળતી બપોરે ફળિયામાં ખોદકામ કરી રહેલા મજૂરો સાવ અજાણ્યા હતા. ફળિયામાં રહેતી એક સમજુ ગૃહિ‌ણી ઠંડા પાણીનો ઘડો લઇને એ મજૂરો પાસે પહોંચે છે. પરસેવે રેબઝેબ એવા એ મજૂરોના તરસ્યા ખોબામાં ઠલવાતા કળશિયામાંથી ઠંડા પાણીની જે ધાર પડી એ તો કરુણાની કવિતા એક સદ્ગૃહસ્થ એવા છે, જેઓ ભરબપોરે મજૂરી કરનારા અજાણ્યા શ્રમજીવીઓ માટે શેરડીનો ઠંડો રસ લઇ જતા. તરસ જેવી સેક્યુલર ઘટના દુનિયામાં બીજી કઇ હોઇ શકે?

માણસને પાણીની તરસ લાગે છે,
કોકાકોલાની નથી લાગતી.
કોકાકોલા તરસ ન છિપાવે,
પરંતુ એમાં રહેલું પાણી જ
આપણી તરસ છિપાવે છે.
માનવીની તરસ પવિત્ર છે,
તેથી જ જલ પવિત્ર છે.
કોકાકોલાની દુકાન હોય છે,
જ્યારે પાણીની પરબ હોય છે.
માણસની પ્રાથમિક જરૂરિયાતોમાં
ભૂખ કરતાંય તરસ પ્રથમ ક્રમે આવે છે.
ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો
ધર્મ એક જ છે: ‘માતૃત્વ’

પાણીથી ભરેલા એક ગ્લાસની કિંમત કેટલી? ભરબપોરે આપણે ત્યાં આવી પહોંચેલા ટપાલીને, આંગડિયાને, રિક્ષાવાળાને કે વટેમાર્ગુને સામે ચાલીને પાણીનો ગ્લાસ ધરવો એ તો સાવ બિનખર્ચાળ સૌજન્ય ગણાય. માનવતાને તો અસંખ્ય નાની નાની સુજનતા થકી પોતાનું સ્મિત પ્રગટ કરવાની ટેવ છે. સહરાના રણમાં તરસે રવડતા અજાણ્યા આરબ માટે પાણીના એક ગ્લાસની કિંમત પોતાની જિંદગી જેટલી ગણાય. એ ગ્લાસ કેટલા દીનારનો પડયો એવું ન પૂછાય. માતાનું ધાવણ અમૂલ્ય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તરસ્યા વિસ્તારો માટે નર્મદાનું મીઠું જળ એ તો નવજીવનનું નૃત્ય છે.

જલતત્ત્વ એ જીવનની જરૂરિયાત નથી, સાક્ષાત્ જીવન છે. પાણીનો બગાડ કરવો એ ઇશ્વરનો અપરાધ છે, કારણ કે એમ કરવામાં જલદેવતા અપમાનિત થાય છે. ગંગામાં પ્રદૂષણ ફેલાવનારા હિ‌ન્દુઓ ગંગાને માતા કહે છે. કાશીના પવિત્ર ગણાતા દશાશ્વમેઘ ઘાટ પર મેં ગંગાજળ પર નરકની પથારી જોઇ છે.
વર્ષો પહેલાં ઇજિપ્તમાં આવેલા સહરાના રણમાં રખડવાનું બનેલું. આસ્વાન બંધ પર લટાર માર્યા પછી ઇજિપ્તમાં આવેલા લક્ઝરનાં તોતિંગ ખડકમંદિરો નિહાળવાની તક મળેલી.

નાઇલ નદી પર આસ્વાન બંધ બંધાયો તે પહેલાં ઇજિપ્તનાં એ ભવ્ય ખડકમંદિરો યુનેસ્કોની આર્થિ‌ક મદદથી અબજો ડોલરને ખર્ચે એક નાના સલામત ટાપુ પર ખસેડવામાં આવ્યાં છે. માનશો? સહરાના રણમાં મેં સગી આંખે શેરડીના ખેતરો લહેરાતાં જોયાં ત્યાં એક આરબ ખેડૂતને ઘરે ગયો, ત્યારે એના વાડામાં ગમાણને ખીલે ગાય બંધાયેલી હતી ઇજિપ્તની સમૃદ્ધિ નાઇલ નદી પર બંધાયેલા મોટામસ બંધને કારણે વધી ગઇ હતી. એ જ નાઇલમૈયા ઇથિયોપિયામાં પણ સદીઓથી વહેતી રહી છે, પરંતુ નહેર-યોજનાને અભાવે તે દેશમાં શાશ્વત દુકાળ જેવી પરિસ્થિતિ સર્જા‍યેલી.

ચીનમાં સરદાર સરોવરના બંધ કરતાં પાંચ-સાત ગણો વિરાટ બંધ તૈયાર થયો તે ગુજરાતના સામ્યવાદી વિચારક સદ્ગત બટુક વોરા નજરે જોઇ આવેલા. રશિયામાં તો એક નદીની દિશા બદલીને બીજી બાજુ વાળવાની યોજના પૂરી થઇ હતી. આપણે ત્યાં નર્મદા બચાઓ આંદોલનના કર્મશીલાએ એવો પ્રચાર કર્યો હતો કે સરદાર સરોવર બંધ તૈયાર થાય તો પર્યાવરણનું સત્યાનાશ વળી જશે. મેધા પાટકરે વારંવાર એવું કહેલું કે કચ્છ અને સૌરાષ્ટ્રને સરદાર સરોવરનો લાભ ક્યારેય નથી મળવાનો. અરુંધતી રોય જેવી વિદૂષીએ તો ત્યાં સુધી કહેલું કે સરદાર સરોવર યોજનાનું બાંધકામ પડતું મૂકીને જે બાંધકામ થયું તેને કાયમી ધોરણે પર્યાવરણીય મ્યુઝિયમમાં ફેરવી નાખવું.

કોર્ટમાં લાંબા સમય સુધી કેસ ચાલ્યો. કદમ કદમ પર (કે પછી ‘મીટર મીટર પર’) અનેક અવરોધો ઊભા કરવાનો પ્રયાસ થયેલો. અમેરિકન કોંગ્રેસના સભ્યોને મળીને વર્લ્ડબેંક અને આઇ.એમ.એફ.ની લોન અટકી પડે તે માટે આદર્શવાદી અને પર્યાવરણવાદી ચૌદશિયા મંડી પડેલા. અંગ્રેજી અખબારો દ્વારા ગુજરાતના હિ‌તનો સજ્જડ વિરોધ કરવાની આબોહવા સર્જા‍યેલી. મેધા પાટકરની ઝુંબેશને કારણે ગુજરાતને અને દેશને કેટલા અબજ રૂપિયાનું નુકસાન ગયું? એમનો અપરાધ અક્ષમ્ય ગણાય. તેઓ ગુજરાતી પ્રજાની માફી માગે તે શક્ય ખરું? હવે તો તેઓ ચૂંટણી લડવાનાં છે.

જોગના ધોધની મુલાકાત લીધી ત્યારે મહાન એંજિનિયર સદ્ગત વિશ્વસરૈયાએ ઉદ્ગાર કાઢેલા: ‘વોટ અ વેસ્ટ? (આ તે કેવો બગાડ?)’ એમણે કરેલી પહેલને કારણે એ ધોધમાંથી જળવિદ્યુત પેદા કરવાની યોજના બની હતી. નર્મદા કે નાઇલ કેવળ તરસ તૃપ્ત કરનારી લોકમાતાઓ જ નથી, એ તો સાક્ષાત્ શક્તિસ્વરૂપા ઊર્જા‍માતા પણ છે. આવનારાં વર્ષોમાં થનારી ‘છાપરા-ક્રાંતિ’ દેશની ગરીબી દૂર કરે એ શક્ય છે. ભવિષ્યમાં ઘરનું પ્રત્યેક છાપરું સોલર પેનલ બનીને સૂર્યશક્તિના ઉત્પાદન દ્વારા વીજળી પેદા કરવાનું છે. ગરીબી તો આળસ મરડનારી પ્રજાની નબળાઇનું બીજું નામ છે.

ગરીબી ત્રણ કક્ષાએ માણસને પજવે છે: દ્રવ્યની અછત, ઊર્જા‍ની અછત અને માહિ‌તીનો અભાવ. આ ત્રણે કક્ષાએ ગરીબી ટળે એવો દિવસ હવે બહુ દૂર નથી. ટેક્નોલોજી ગરીબીની શત્રુ છે. પાણીનું પ્રત્યેક ટીપું મૂલ્યવાન છે. એ ટીપું કેવળ હાઇડ્રોજન અને ઓક્સીજનનું સંયોજન (ઋ૨ઠ) નથી. એ ટીપું તો જીવનદાયી અમૃતબિંદુ છે. ટપક ખેતી (ડ્રિપ-ઇરિગેશન) આજની તાતી જરૂરિયાત છે. ખેતરમાંથી મળેલું એક રીંગણું કેટલા લીટર પાણીનું પડયું? એક કિલોગ્રામ ચોખા કેટલા લીટર પાણીના પડયા? આવા પ્રશ્નો હવે ખેડૂતોએ વારંવાર પૂછવા પડશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ એક ચોટદાર વિધાન કર્યું હતું:

જે મનુષ્ય જગતની
પાણીની સમસ્યાનો ઉકેલ બતાવશે,
તેને બે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થશે:
એક વિજ્ઞાનનું અને બીજું વિશ્વશાંતિનું
તરસ પવિત્ર છે, માટે તરસતૃપ્તિ પવિત્ર છે. તરસ પવિત્ર છે માટે ગંગાજળ કે નાઇલજળ પવિત્ર છે. એક નદીનું હોવું એટલે શું? જો આ પ્રશ્નનો જવાબ મળી જાય, તો પ્રાર્થના કરવાની જરૂર નથી.’

પાઘડીનો વળ છેડે
મેં જીવનમાં પહેલી વાર
મીઠા પાણીનો સ્વાદ ચાખ્યો.
બહુ સારું લાગે છે
– રવા ધીરા આહીર
નોંધ: સામખિયાળી ગામે નર્મદાનાં નીર કચ્છ સુધી પહેલી વાર પહોંચ્યાં ત્યારે આનંદવિભોર બની ગયેલા એક ગ્રામજનના ઉદ્ગાર આવા હતા. આ ઘટના ૨૦૦૩ના ઉનાળામાં બની હતી.

નર્મદા કે નાઇલ કેવળ તરસ તૃપ્ત કરનારી લોકમાતાઓ જ નથી, એ તો સાક્ષાત્ શક્તિસ્વરૂપા ઊર્જા‍માતા પણ છે. ભવિષ્યમાં ઘરનું પ્રત્યેક છાપરું સોલર પેનલ બનીને સૂર્યશક્તિના ઉત્પાદન દ્વારા વીજળી પેદા કરવાનું છે. ટેક્નોલોજી ગરીબીની શત્રુ છે.

ગુણવંત શાહ

BHAGVAN NI TAPAL

                                                     ટેક્નોલૉજી એટલે સગવડોલૉજી 

પોતાના દરમાંથી સુખની શોધમાં રોજ કીડીબાઈ નીકળી પડે છે. પ્રત્યેક કીડીબાઈની ભીતર રડાર જેવું કશુંક દિશાસૂચક તંત્ર પડેલું હોય છે. એની મદદથી કીડીબાઈ સતત યોગ્ય દિશામાં લાંબો પંથ કાપીને દૂર દૂર આવેલા ધરના રસોડાના પ્લૅટફૉર્મ પર વેરાયેલા ખાંડના દાણા સુધી પહોંચી જાય છે. કીડીબાઈની નાતનું સર્વમાન્ય વળગણ “ગળપણ’ તરીકે ઓળખાય છે. પ્રત્યેક જીવ સતત સુખની શોધમાં હોય છે. મનુષ્ય પણ એમાં અપવાદ નથી. એક તફાવત છે અને તે બહુ મોટો છે. કેવળ મનુષ્યને જ પ્રશ્ન થતો રહે છે : સુખ એટલે શું?
ભગવાન બુદ્ધને કોઈકે પ્રશ્ના કર્યા : “આ જીવન તો જાણે એક ગૂંચવાયેલું કોકડું હોય તેવું જણાય છે. વળી ગૂંચ બહાર પણ છે અને અંદર પણ છે. આજની પેઢી તો વળી ભારે ગૂંચવાયેલી જણાય છે. આ ગૂંચવણને ઉકેલવામાં કોણ સફળ થશે?’ તથાગત થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પ્રશ્નાકર્તા એમની ધ્યાનસ્થ મુદ્રા નિહાળતો રહ્યો. થોડીક વાર પછી તથાગતે જવાબમાં એ જિજ્ઞાસુને જે શબ્દો કહ્યા તે સાંભળીએ :
જ્યારે સારો માણસ, શાણો માણસ
અને વિચારવંત માણસ
ઊંચા પ્રકારની ચેતનાનો વિકાસ કરે,
ત્યારે એ ગૂંચવણને સમજવા પામે છે.
જ્યારે શાણો અને વળી આગ્રહી એવો
સત્યનો એ ઉપાસક સફળતા પામે
ત્યારે ગૂંચવણનો ઉકેલ એને પ્રાપ્ત થશે.
(સમુત્ત નિકાય)
સુખની શોધ તો બધાને હોય છે, પરંતુ સુખ નામનો પદારથ ઝટ સમજાતો નથી. જાપાનમાં ઓસાકા પાસે કોબે નામનું નગર આવેલું છે. એક વડીલ અત્યંત પ્રસન્ન ચિત્તે શરાબની પ્યાલી સામે જોઈ રહ્યા હતા. તેઓને મેં અમથું પૂછયું : “મજામાં છો ને?’ જવાબમાં એ શાણા અને પરગજુ વડીલે કહ્યું : “મારા સુખની ધડી લંબાવી રહ્યો છું.’ જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો. સુખ સ્વભાવે ક્ષણિક હોય છે. શરાબનો નશો માણસને સાતમા આસમાને પહોંચાડે છે. નશો ઊતરી જાય ત્યારે સાતમે આસમાને પહોંચેલો મનુષ્ય ધબ દઈને ભોંય પર પડે છે. સુખની ધડી ગમે તેટલી લંબાય તોય એ ધડી પૂરી થાય પછી શું? આ પ્રશ્નાના જવાબની શોધને કારણે માનવજાતને “શાશ્વત સુખ’ની ઝંખના જાગી. એ ઝંખના આધ્યાત્મકિ ગણાય. એમાં સુખને અપ્રતષ્ઠિત કરવાની વાત નથી. સુખ પામવાની ઝંખના અધ્યાત્મવિરોધી બાબત નથી.
છાંદોગ્ય ઉપનષિદમાં સનત્કુમાર નારદને સુખનું મહત્ત્વ સમજાવે છે  : “જ્યારે મનુષ્યને સુખ મળે ત્યારે જ તે કશુંક કરતો હોય છે. સુખ મળે તેમ ન હોય તો કોઈ કશું ન કરે. એટલા માટે (મનુષ્યે) સુખ અંગે ખાસ જિજ્ઞાસા કેળવવી જોઈએ (સુખં ત્વેવ વજિજ્ઞાસિતવ્યમ્ ઇત).’ આવું સાંભળીને નારદે કહ્યું : “ભગવન્‍! હું સુખ માટે ખાસ જિજ્ઞાસા રાખું છું.’ (છાંદોગ્ય ઉપનષિદ, ૭, ૨૨, ૧). સુખની ઉપેક્ષા નહીં, સુખની સમજણ ઇચ્છનીય છે. પ્રત્યેક મનુષ્ય સુખનષ્ઠિ હોય છે. જેઓ ઉપાસનાના માર્ગે આગળ ગયા તેમને ક્ષણિક સુખ અને શાશ્વત સુખ વચ્ચેના તફાવતની ભાળ મળી હોવી જોઈએ. એ ભાળ મળે તે પહેલાં એમની ભીતર જબરું મંથન ચાલ્યું હશે. ભયંકર ગોટાળામાંથી કશુંક પ્રાપ્ત થાય છે. સુખની શોધમાં ગૂંચવણનો ઉકેલ જડે ત્યારે મનુષ્યને શાશ્વત સુખનો માર્ગ જડયો હશે. ફ્રેડરિક નત્શેિ સાચું કહે છે: “અંદરની ગૂંચવણ વગર તમે નૃત્ય કરતા તારાને જન્મ આપી શકો નહીં (You need chaos within, to give birth to a dancing star).’
ઉત્ક્રાંતિના પરિણામે જ્યારથી બે પગ પર ટટ્ટાર ઊભેલો આદમી (હોમો ઇરેક્ટસ) પેદા થયો ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. એ શોધની ગતિ તરાપાથી સ્ટીમર ભણીની, વનથી વાડી ભણીની, કૂવાથી ઓવરહેડ ટૅન્ક ભણીની અને કોદાળીથી કમ્પ્યૂટર ભણીની રહી છે. વિજ્ઞાનની સઘળી શોધયાત્રા જાણે સગવડયાત્રાને સમાંતરે ચાલતી રહી છે. ટેક્નોલૉજી “સગવડોલૉજી’ બની રહી છે. એની નિંદા ન હોય. ક્યારેક તો ટેક્નોલૉજી દ્વારા પ્રાપ્ત થતી બધી સગવડો ભોગવતા આદર્શવાદી લોકો ટેક્નોલૉજીને પર્યાવરણના નામે ભાંડતા રહે છે. પર્યાવરણની જાળવણી પણ ટેક્નોલૉજીને માર્ગે જ થઈ શકશે. એલવનિ ટૉફલર એ માટે “રિસ્પોન્સબલિ ટેક્નોલૉજી’ શબ્દપ્રયોગ કરે છે. બધી સગવડો પામનારે પણ એ બાબત યાદ રાખવી રહી. છીછરું સુખ અને ટકાઉ સુખ વચ્ચેનો તફાવત અવગણી શકાય તેમ નથી. જેણે પેઇનકિલર શોધ્યું, જેણે ક્લોરોફૉર્મ શોધ્યું અને જેણે વાતાનુકૂલન શોધ્યું એ સૌના આપણે ઉપકૃત છીએ. સગવડદ્વેષથી બચવા જેવું છે, પરંતુ સગવડ આગળ જ અટકી જવાનું પણ ટાળવા જેવું છે. આલ્ફ્રેડ નોર્થ સાચું કહે છે : “વિચારો જીવનના ધસમસતા પ્રવાહમાં ક્ષુલ્લક બની જાય તે પહેલાં તેમને યોગ્ય સન્માન આપી દો.’
માતા પોતાના શિશુ માટે ઉજાગરો કરે ત્યારે દુ :ખી થતી નથી. બસમાં ભીડ હોય ત્યારે કોઈ વડીલને બેસવાની જગ્યા કરી આપનાર સમજુ યુવાન ઊભો રહે ત્યારે દુ :ખી નથી હોતો. રામ જ્યારે પિતાના વચનની રક્ષા માટે વનમાં જવા તૈયાર થયા ત્યારે દુ :ખી ન હતા. સુખ સાથે જોડાઈ ગયેલી પદાર્થતાથી બચવાનું છે, જેથી સુખની સૂક્ષ્મતમ એવી પ્રાપ્તિ પણ થઈ શકે. અન્ય માટે કશુંક જતું કરનારને જે સુખ પ્રાપ્ત થાય છે તે થોડુંક વધારે ટકાઉ હોય છે. બીજા માટે ધસાઈ છૂટનારો માણસ જે પામે છે, તેનો અંદાજ લોભિયા માણસને નથી આવતો. છાન્દોગ્ય ઉપનષિદમાં સાચા સુખની ચાવી બતાવી છે. ઋષિ કહે છે : “યો વૈ ભૂમા તત્સુખમ્ ન અલ્પે સુખમસ્તિ ‘ (સુખ વિશાળતામાં રહેલું છે, પામરતામાં નહીં). ઉપનષિદમાં આવી મૌલકિ સુખમીમાંસા થઈ છે. સાચા સુખની શોધમાં રત રહેવું એ પ્રત્યેક મનુષ્યનો અધ્યાત્મસદ્ધિ અધિકાર છે.
EXCERPT FROM THE BOOK ‘ BHAGVAN NI TAPAAL’.
PUBLISHED BY R.R. SHETH,
sales@rrsheth.com

 

 

 

 

સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પવિત્રતાનું યુગલગાન છે.DIVYA BHASKER, 26-1-2014

સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પવિત્રતાનું યુગલગાન છે

 

માનવજાતમાં જો યુગલત્વ રળિયામણું બને, તો યુદ્ધ માટે સમય જ ન બચે

અબજો વર્ષ પહેલાં એક વિરાટ ધડાકો થયો અને બ્રહ્માંડનું સર્જન થયું. વિજ્ઞાનીઓએ એને કોસ્મોસ કહ્યું. એ ધડાકો બિગ બેન્ગ તરીકે જાણીતો થયો. બીજાં અબજો વર્ષ વીતી ગયાં અને આકાશગંગાનો ઉદ્ભવ થયો. બીજાં અબજો વર્ષ પછી સૂર્યનો ઉદ્ભવ થયો. ત્યાર બાદ કરોડો વર્ષ વીતી ગયાં પછી પૃથ્વીની ઉત્પત્તિ થઇ. ત્યાર પછી અબજો વર્ષ વીતી ગયાં અને પૃથ્વી પર સૂક્ષ્મ જીવોમાં સેક્સ નામની ઘટના શરૂ થઇ. પછી તો કરોડો વર્ષ પસાર થઇ ગયાં અને પૃથ્વી પર પ્રાણવાયુનું વાતાવરણ રચાયું. કરોડો વર્ષ વીતી ગયાં પછી જંતુઓની ઉત્પત્તિ થઇ અને માછલીઓ પેદા થઇ. પછી પક્ષીઓ પેદા થયાં અને સમય જતાં રાક્ષસી કદનાં સસ્તન પ્રાણીઓ પૃથ્વી પર ફરતાં થયાં. છેક છેલ્લે માણસ પેદા થયો.

આટલી લાંબી કાલયાત્રાને અંતે બુદ્ધનો જન્મ તો માંડ થોડીક સેકન્ડો પહેલાં થયો એમ કહી શકાય. આપણું ૭૦-૮૦-૯૦ વર્ષનું જીવન એટલે તો કાલદેવતાની આંખના પલકારામાં જે સમય વીતે તેનો કરોડમો ભાગ જેટલો અહંકાર કેળવાય તેટલો કેળવી લેજો. સમય બહુ ઓછો છે. જેટલો દ્વેષ કેળવાય તેટલો કેળવી લેજો. સમય બહુ ઓછો છે. જેટલો પ્રેમ થાય તેટલો ધરાઇને કરી લેજો કારણ કે પ્રેમ અનંત છે. ‘આપણી પૃથ્વી ઘણી વૃદ્ધ છે અને માનવજાત ઘણી જુવાન છે.’ આ શબ્દો મહાન વિજ્ઞાની કાર્લ સેગનના છે. પોતાના પુસ્તક ‘ધ ડ્રેગોન્સ ઓફ ઇડન’માં એક અનોખું કેલેન્ડર રજૂ કર્યું છે અને તેનું નામ રાખ્યું છે: ‘કોસ્મિક કેલેન્ડર’. એમાં એક વર્ષમાં બધી ઘટનાઓ સમાવી લેવામાં આવી છે. એ કેલેન્ડરમાં ૧લી જાન્યુઆરીએ વિરાટ ધડાકો થયો ત્યાંથી માંડીને છેક ૩૧મી ડિસેમ્બરે માણસ પેદા થયો એમ જણાવ્યું છે. બુદ્ધનો જન્મ ક્યારે થયો? જવાબ છે: ૩૧મી ડિસેમ્બરે ૧૧ કલાક પ૯ મિનિટ અને પપમી સેકન્ડે

ઇસુ ૩૧મી ડિસેમ્બરે ૧૧ કલાક પ૯ મિનિટ અને પ૬મી સેકન્ડે અવતર્યા આ કથા છે બ્રહ્માંડ (બ્રહ્મનું ઇંડું)ના વિરાટ સર્જનની. આપણી અક્કલ બહેર મારી જાય તેવી વાત છે. અક્કલ બહેર મારી જાય ત્યારે ચેતનાને પાંખ ફૂટે એમ પણ બને ભારતીય સંસ્કૃતિએ બ્રહ્મના સંદર્ભે બે શબ્દો આપ્યા: ‘અનાદિ અને અનંત.’ મૃત્યુ નિ‌શ્ચિ‌ત છે, પરંતુ મૃત્યુને થાપ આપે એવી એકમાત્ર ઘટનાનું નામ પ્રેમ છે. કહે છે કે પરમ સર્જકને એકલું એકલું લાગ્યું અને ગમ્યું નહીં. (એકાકી ન રમતે). આમ આપણા કહેવાતા ભગવાને પોતાનો કંટાળો દૂર કરવા માટે વિચાર્યું કે હું એક છું, પરંતુ અનેક થાઉં (એકો’હમ્ બહુસ્યામ). ટૂંકમાં આપણા આ સંસારની ઉત્પત્તિ ભગવાને પોતાના કંટાળાને દૂર કરવા માટે કરી છે. જે સર્જન થયું તે અદ્ભુત ગણાય તેવું છે. એ સર્જનની લીલામાં બે તત્ત્વોએ ખરેખરો ભાગ ભજવ્યો: નરતત્ત્વ (યિન) અને નારીતત્ત્વ (યાંગ). ચીની તત્ત્વજ્ઞાનના પાયામાં યિન અને યાંગનું જોડકું છે.

સમગ્ર સૃષ્ટિ આ બે તત્ત્વો વચ્ચેની આંતરક્રિયાનું દિવ્ય પરિણામ છે. નરતત્ત્વ અને નારીતત્ત્વ એકબીજાંમાં ઓતપ્રોત છે. આ કંઇ કેવળ માનવજાતિનાં પુરુષ અને સ્ત્રીની વાત નથી. ચીની તત્ત્વજ્ઞાનમાં તડકો નરતત્ત્વ(યાંગ) અને શીળો માદાતત્ત્વ (યિન) છે. ચીનની ફિલસૂફી પ્રમાણે તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વ્યાકરણ, બુદ્ધિ અને કર્મનિષ્ઠા યાંગ છે અને કવિતા, ભાવના, કલા, સંગીત અને ભક્તિ યિન છે. આવા મૂળભૂત વિભાજન (દ્વિભાજન)ના ભાગરૂપે માનવજાતમાં સ્ત્રી (યિન) અને પુરુષ (યાંગ) વચ્ચેની દિવ્ય આંતરક્રિયા સદીઓથી ચાલતી રહી છે. એ આંતરક્રિયાનું પરમ પવિત્ર વાહન સેક્સ છે. સેક્સની નિંદા એટલે પરમ સર્જનની અને પરમ સર્જકની નિંદા સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ પવિત્રતાનું યુગલગાન છે. આ વાત દુનિયાને ન સમજાય ત્યાં સુધી હુલ્લડ કે યુદ્ધ વેઠવા સિવાય આપણો છૂટકો નથી. પૃથ્વી પર પાંગરેલી માનવજાતમાં જો યુગલત્વ રળિયામણું બને, તો યુદ્ધ માટે સમય જ ન બચે. એકબીજાંમાં ઓતપ્રોત એવું માનવયુગલ વિશ્વશાંતિની સૌથી મોટી ગેરંટી છે. આ વાત માનવીને ક્યારે સમજાશે?

આદિમાનવના સહજ સમાજમાં અસત્ય ન હતું તેથી સત્યનો મહિ‌મા પણ ન હતો. એ સમાજમાં પરિગ્રહ ન હતો તેથી અપરિગ્રહના વ્રતની જરૂર ન હતી. એ સમાજમાં સહજ સેક્સની બોલબાલા હતી અને ‘બ્રહ્મચર્ય’ જેવો શબ્દ જ અજાણ્યો હતો. જ્યાં સહજ સેક્સ હોય અને લગ્નસંસ્થા ન હોય ત્યાં બલાત્કાર ક્યાંથી? ધીમે ધીમે પ્રકૃતિને ખોળે ખેલનારા સમાજમાં સંસ્કૃતિનો ઉદય થયો. વાડ આવી પછી વાડી આવી. લગ્નની શોધ થઇ અને ઘરનું સર્જન થયું. ધીમે રહીને જમીનની માલિકી શરૂ થઇ. એ માલિકી સાત-બારની નકલરૂપે આજે જામી પડી છે. માલિકી જન્મી તેમાંથી વંશપરંપરાગત મિલકતનો જન્મ થયો. સાદીસીધી આપ-લે (બાર્ટર) માંથી પૈસાનું ચલણ શરૂ થયું. લગ્નની શોધને પગલે પગલે વારસાહકની પળોજણ જન્મી. લગ્ન જ ન હોય તો છૂટાછેડા ક્યાંથી? લગ્ન જ ન હોય ત્યાં છિનાળું ક્યાંથી? લગ્ન જ ન હોય ત્યાં લગ્નેતર સંબંધ ક્યાંથી? સંસારની સંકુલતા વધતી ગઇ અને તે લિવ-ઇન-રીલેશનશિપ સુધી પહોંચી લગ્નની માથાકૂટ સાથે દહેજપ્રથા અને સતીપ્રથા પણ પેદા થઇ.

માથાકૂટનું માંહ્યરું અને માંડવાની માથાફોડ? આજકાલ ટીવી પર ક્યારેક ‘આઇટમ સોન્ગ’ જોવાનું બન્યું. આ બે શબ્દો ફિલ્મી જગતમાં થોડાંક વર્ષો પહેલાં ઝાઝા જાણીતા ન હતા. આઇટમ સોન્ગ સાથે થતા નૃત્યમાં સ્ત્રીને એક ચીજ બની જતી નિહાળી. ‘શીલા કી જવાની’ અને ‘મુન્ની બદનામ હુઇ’ જેવા આઇટમ ડાન્સમાં સ્ત્રીનું વસ્તુકરણ (objectification) થતું જોયું તેથી આ લેખમાં મારે છેક ‘બિગ બેન્ગ’ સુધી પહોંચવું પડયું આપણે સૌ આખરે તો એક વિરાટ ધડાકાનાં સંતાનો છીએ ને? જે આઇટમ ડાન્સ જોયો તેમાં શું જોયું? શીલા હતી તે શિલા બની ગઇ એક સ્ત્રી મટીને મુન્નીબાઇ જાણે દૂધી બની ગઇ સ્ત્રીની કાયા પ્લાસ્ટિકની બની ગઇ જે નાચતી હતી તે સ્ત્રી હતી કે સરગવાની સિંગ?
જે સ્ત્રી, સ્ત્રી ન હોય અને વસ્તુ હોય, તેનું યૌનશોષણ ક્યાંથી?

ફિલ્મના પ્રોડયુસર્સ આખી ફિલ્મ તૈયાર થઇ જાય પછી ડિરેક્ટરને કહે છે: ‘ક્યાંક એકાદ આઇટમ સોન્ગ ફિટ કરી દો.’ આઇટમ સોન્ગ ધૂમ મચાવે તેથી ફિલ્મની ટિકિટબારી પર ટંકશાળ પડે છે. આઇટમ સોન્ગ મુખ્ય બની જાય છે અને ફિલ્મનું કથાવસ્તુ ગૌણ બની જાય છે. કલાનું મરણ આર્થિ‌ક દૃષ્ટિએ ભારે ફલદાયી બને છે. આ ઘટનામાં સમાજની માનસિકતાનું પ્રતિબિંબ પડે છે. આ ઘટનાનો રેલો દિલ્હીની નર્ભિયા અને કોલકતાની અપરાજિતા સુધી પહોંચે છે. આઇટમ સોન્ગમાં જે નાચે છે, તે દૂધી પર બલાત્કાર થતો નથી કારણ કે એને તો પૂરતું રક્ષણ મળે છે અને પૈસા મળે છે, પરંતુ ફસાઇ જાય છે નર્ભિયા અને અપરાજિતા જેવી અસંખ્ય નિર્દોષ કુમારિકાઓ. ગ્રામવિસ્તારોમાં તો વગડાના એકાંતમાં અને પાદરના અંધારામાં થતી દુર્ઘટનાઓની નોંધ લેવા પણ કોઇ નવરું નથી.સદીઓ વીતી અને ટેક્નોલોજીનો વિકાસ થયો, પરંતુ હજી પુરુષોને સ્ત્રીઓ સાથે શી રીતે વર્તવું તેની ગતાગમ નથી. સીતાને જ સહન કરવું પડે છે. કોસ્મિક કેલેન્ડરમાં ‘પુરુષ સુધરી ગયો’ એવી ઘટના ક્યારે?’

પાઘડીનો વળ છેડે
વસંતની ફૂલમાળા પહેરી
કોકિલની લઇ બંસી,
પરાગની પાવડીએ આવી
મુજને કોઇ ગયું ઝબકાવી.
– સુન્દરમ્

પૃથ્વી પર પાંગરેલી માનવજાતમાં જો યુગલત્વ રળિયામણું બને, તો યુદ્ધ માટે સમય જ ન બચે. એકબીજાંમાં ઓતપ્રોત એવું માનવયુગલ વિશ્વશાંતિની સૌથી મોટી ગેરંટી છે.

ગુણવંત શાહ

એકવીસમી સદીમાં અસભ્ય માણસ કોને ગણવો? DIVYA BHASKER 12-1-2014

જે સમાજમાં રોજ હજારો લગ્નો મરજીવિરુદ્ધ યોજાતાં હોય તે સમાજ ‘અસભ્ય’ ગણાવો જોઇએ. જે સમાજ લગ્નને નામે આનંદનું નહીં, પરંતુ પીડાનું પાથરણું સજાવે, તે જરૂર ‘અસભ્ય’સમાજ ગણાય.

પ્લે ટોની અકાદમીના પ્રવેશદ્વાર પર સૂચના લખવામાં આવી હતી: ‘ભૂમિતિ પ્રત્યે પ્રેમ ન હોય એવા માણસોએ અંદર આવવું નહીં.’ એ સમયે સોક્રેટિસના સમયમાં ગ્રીક સંસ્કૃતિની ચરમસીમાએ ભૂમિતિનાં માનપાન ટોચ પર પહોંચ્યાં હતાં. એવું પણ બન્યું હશે કે ભૂમિતિનું જ્ઞાન ધરાવનારા ચુનંદા (ELITIST) લોકોએ ભૂમિતિ ન જાણનારા બહુસંખ્ય લોકોને ‘અસભ્ય’ ગણવાની ગુસ્તાખી કરવાની ફેશન શરૂ કરી હોય. જમાનો બદલાય તેની સાથે સાથે અસભ્યતાની વ્યાખ્યા પણ બદલાતી રહે છે. ભારતની વર્ણપ્રથામાં રહેલી ક્રૂરતાને સમજવામાં સંસ્કૃત (હવે અંગ્રેજી) ન જાણનારા આમ આદમીની અવગણના કરવાની ફેશન આજે પણ મદદરૂપ થાય તેમ છે. અસભ્યતા નિત્ય નવા સ્વરૂપે પ્રગટ થતી રહે છે. એકવીસમી સદીમાં અસભ્ય માણસ કોને ગણવો?

સૌને ખબર છે કે જે માણસ ગમે ત્યારે ગમે ત્યાં થૂંકે તે અસભ્ય ગણાય. જે માણસ ગમે ત્યાં ઉત્સર્ગક્રિયા પતાવે તે અસભ્ય ગણાય. માનશો? દિવસોના દિવસો સુધી ઝાંબિયા, કેન્યા અને ટાન્ઝાનિયાનાં જંગલોમાં ફરવાનું થયું, પરંતુ ક્યારેય કોઇ શ્યામસુંદર આફ્રિકન આદિવાસીને ઉત્સર્ગતો જોયો નથી. બહુ મોટા અવાજે પોતાનો બકવાસ સામા માણસ પર ઠાલવનાર અસભ્ય આદમી મને અંગત શત્રુ જેવો જણાય છે. શ્રોતાઓ બેભાન થઇ જવાની અણિ પર હોય ત્યાં સુધી પોતાના અતિ શુષ્ક પ્રવચનમાં વિદ્વત્તાની ઊલટી કરનારા ર્દીઘસૂત્રી સાહિ‌ત્યકારને આતંકવાદી કહેવાનો રિવાજ શરૂ થવો જોઇએ. લાંબા અનુભવે સમજાયું છે કે ગમે તેવી સુંદર સભામાં એક મૂર્ખજન એવો હોય છે, જે અત્યંત અસ્પષ્ટ અને અર્થહીન પ્રશ્ન પૂછીને પોતાનું અજ્ઞાન વક્તાને માથે મારવામાં ઉસ્તાદ હોય છે. કોઇ સુજ્ઞ વક્તા પોતાના પ્રવચનને કલાકૃતિની કક્ષાએ લઇ જાય પછી સ્ટેજ પર એક ખલનાયક આભાર માનવાનું શરૂ કરે છે.

એ ખલનાયક આભાર વ્યક્ત કરવામાં લંબાણ કરે છે અને કલાકૃતિ પર પેશાબ કર્યા પછી જ માઇક છોડે છે. આવા કોઇ માણસને ‘અસભ્ય’ ગણવાનો રિવાજ હજી શરૂ થયો નથી. અતિ લાંબું બોલનાર અને અતિ લાંબા લેખો લખનાર પંડિતો યોગી છે. એમના મૌલિક યોગનું નામ છે: ‘અનુસંધાનયોગ.’ કેટલાક દેશોને પણ ખાનગીમાં ‘અસભ્ય’ ગણાવી શકાય. જે જે દેશોમાં સેક્યુલર લોકતંત્રનો બંધારણીય સ્વીકાર ન થયો હોય તે સર્વ દેશો એકવીસમી સદીમાં ‘અસભ્ય’ ગણાવા જોઇએ. વળી જે જે દેશોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતાને બંધારણીય માન્યતા પ્રાપ્ત ન થઇ હોય તે દેશો ‘અસભ્ય’ ગણાય. પોતાનાથી જુદો અભિપ્રાય ધરાવનાર વ્યક્તિને જે અંગત શત્રુનો દરજ્જો આપે, તે માણસ ‘અસભ્ય’ ગણાય. લોકતંત્રમાં જુદો અભિપ્રાય પણ આદરણીય ગણાવો જોઇએ. આ બાબતે ભારતના સેક્યુલર કર્મશીલો ફુલ્લી નપાસ થતા રહ્યા છે.

પોતાનાથી જુદો અભિપ્રાય ધરાવનાર સજ્જને, પોતાના પૂજ્ય પિતાશ્રીની હત્યા કરી નાખી હોય એવો દ્વેષ રાખીને, એ સજ્જન સામે ખાઇખપૂસીને મંડી પડનારા નમૂના દયનીય જ નહીં, ‘અસભ્ય’ ગણાવા જોઇએ. કોમવાદ અને જ્ઞાતિવાદને ધોરણે ચૂંટણીમાં મત આપનાર નાગરિક પણ ‘અસભ્ય’ ગણાય. અંગત દ્વેષ હોવાને કારણે કોઇ માણસની કેટલીક ખૂબીઓનો પણ અસ્વીકાર કરનાર મનુષ્ય પણ ‘અસભ્ય’ ગણાવો જોઇએ. ‘અસભ્ય’ સમાજનાં કેટલાંક લક્ષણો એકવીસમી સદીના સંદર્ભે સમજી રાખવાં પડશે. તરુણ તેજપાલ સાથે વૈચારિક મતભેદ ઘણા, પરંતુ એ માણસની સર્જક પ્રતિભાની અવગણના ન થવી જોઇએ. જે સ્ત્રી સાથે ગોવાની હોટલમાં લિફ્ટની આવન-જાવન દરમ્યાન અને પછી જે બન્યું તેમાં બે જ શબ્દો વચ્ચે ઘણું અંતર પડી ગયું એ બે શબ્દો છે:

‘મરજી અને નામરજી.’ જે થયું તે કદાચ પીડિતાની મરજીવિરુદ્ધ થયું. (મને પ્રત્યેક કિસ્સામાં પ્રયોજાતો ‘પીડિતા’ શબ્દ પસંદ નથી.) એટલું ચોક્કસ કે જો કથિત પીડિતાની મરજી હોત, તો કોઇ જ પ્રશ્ન ઊભો ન થાત. જે સમાજમાં રોજ હજારો લગ્નો મરજીવિરુદ્ધ યોજાતાં હોય તે સમાજ ‘અસભ્ય’ ગણાવો જોઇએ. રાવણે સીતાનું હરણ કર્યું. એ તો અસભ્યતાની ચરમસીમા હતી કારણ કે સીતાની મરજીવિરુદ્ધ એને ઉપાડી જવામાં આવી હતી. અર્જુને સુભદ્રાનું હરણ કર્યું તેમાં અસભ્યતાનો અંશ પણ ન હતો કારણ કે સુભદ્રાની મરજી અર્જુન સાથે જ ભાગી જવાની હતી. આ જ તર્ક કૃષ્ણે રુક્મિણીનું હરણ કર્યું તેને પણ લાગુ પડે છે. રુક્મિણી વિદર્ભ દેશના રાજા ભીષ્મકની સૌંદર્યવાન દીકરી હતી. તેના વિવાહની વાત પ્રથમ શિશુપાલ સાથે ચાલતી હતી. કૃષ્ણને પત્ર લખીને રુક્મિણીએ પોતાને બચાવી લેવાની દર્દભરી આજીજી કરી. માનવ-ઇતિહાસનો એ પ્રથમ પ્રેમપત્ર હતો.

એ પ્રેમપત્ર જ નહીં, મરજીપત્ર પણ હતો. એવી રુક્મિણીનું કૃષ્ણ હરણ કરે તેમાં ‘સભ્યતા’નું અભિવાદન હતું. પૃથ્વીરાજે સંયુક્તાનું હરણ કર્યું ત્યારે સંયુક્તા પીડિતા નહી, ‘આનંદિતા’ હતી. જે સમાજ લગ્નને નામે આનંદનું નહીં, પરંતુ પીડાનું પાથરણું સજાવે, તે જરૂર ‘અસભ્ય’ સમાજ ગણાય. આવો અસભ્ય સમાજ પરપીડનના પ્રેમમાં હોય છે. આવા રુગ્ણ સમાજનો સ્થાયીભાવ ઇષ્ર્યાવૃત્તિ હોય છે. એવો સમાજ દ્વેષ જાહેરમાં કરે, પરંતુ પ્રેમ ખાનગીમાં કરે આવી રુગ્ણ માનસિકતા ધરાવતા પુરુષપ્રધાન સમાજમાં કોઇ પણ તેજસ્વી સ્ત્રીની પ્રતિભાને ઉતારી પાડવાની ચાવી એ સ્ત્રીને ‘ચાલુ’ કહેવાની ઉતાવળમાં રહેલી હોય છે. કોઇને ગમે કે ન ગમે, પરંતુ રોજ રોજ બલાત્કાર (વિનયભંગ) થતા જ રહે એવા રોગિયા-રોગિલા સમાજના આપણે સૌ દંભપ્રેમી, દ્વેષપ્રેમી, ઇષ્ર્યાપ્રેમી અને વિઘ્નપ્રેમી અસભ્યો છીએ. આવો આક્ષેપ તમને ખૂબ આકરો લાગ્યો? તો સાંભળો:

જે સમાજ પરસ્પર મરજીથી શોભતા પ્રેમસંબંધનો ખુલ્લા હૃદયથી સ્વીકાર ન કરે, તે સમાજે મરજી વિનાના દેહસંબંધને જખ મારીને નભાવવો જ રહ્યો. ગોકુળ કેવળ એક ગામનું નામ નથી. એ તો સહજ સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યનું ત્રિવેણીર્તીથ છે. કુરુક્ષેત્રમાં મહાયુદ્ધ થયું તેના મૂળમાં ગોકુળ-ઘટનાની નિષ્ફળતા રહેલી છે. બન્યું શું? મોરપીંછ અદૃશ્ય થયું અને સુદર્શનચક્ર પ્રગટ થયું. વાંસળીની કોસ્મિક સિમ્ફનીની જગ્યાએ પાંચજન્યનો શંખધ્વનિ પ્રગટ થયો. વૃંદાવન દૂર રહી ગયું અને કુરુક્ષેત્રનું રણમેદાન કેન્દ્રમાં આવી ગયું. ગોકુળમાં ગાયમાતાની સેવા કેન્દ્રમાં હતી, જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા ઘોડાઓની સારવાર કેન્દ્રમાં હતી. માનવ-સભ્યતાનું ર્શીષાસન થયું, ત્યારે યુદ્ધ નામની વિકરાળ ‘અસભ્યતા’ સપાટી પર આવી. પ્રેમક્ષેત્ર ખતમ થયું અને યુદ્ધક્ષેત્ર સક્રિય બન્યું

‘મરજી’ નામનો પવિત્ર શબ્દ રોજ રોજ ‘નામરજી’ નામની ડાકણના પ્રહારો વેઠતો રહે છે. નવી પેઢીને ગોકુળ જોઇએ છે, કુરુક્ષેત્ર નહીં. એને ગોપીવલ્લભ કૃષ્ણ ગમે છે, પાર્થસારથિ કૃષ્ણનો નંબર બીજો દુનિયાનું સઘળું માર્કેટિંગ ગ્રાહકોની મરજી પર નભેલું છે. મરજી સેક્યુલર છે, તેથી પ્રેમસંબંધ સેક્યુલર છે. લોકતંત્રનો પાયો પ્રેમતંત્ર છે.’

પાઘડીનો વળ છેડે
એક બાળક,
એક શિક્ષક,
એક પુસ્તક,
અને એક કલમ
દુનિયાને બદલી શકે છે.
– મલાલા યુસફઝાઇ
નોંધ: પાકિસ્તાનની આ બહાદુર દીકરીએ જુલાઇ ૨૦૧૩માં યુનોમાં આપેલા પ્રવચનમાંથી.

ગુણવંત શાહ

શિયાળો કાનમાં કહે એક ખાનગી વાત . DIVYA BHASKER 21-11-2013

 શિયાળાની સગી દીકરીનું નામ સ્ફૂર્તિ‌ છે. સ્ફૂર્તિ‌ વિનાનો સમાજ ગરીબીનો રખેવાળ છે. જે કામ એક કલાકમાં પતે તે કામમાં ત્રણ કલાક નીકળી જાય ત્યારે જે વધારાના બે કલાક લાગ્યા તેને કારણે દેશની ગરીબીને નિરાંત રહે છે. પ્રત્યેક ઓફિસના ટેબલ પર જે ચાનો કપ જોવા મળે છે તે કપ કર્મચારીને ઘૂંટડે ઘૂંટડે ગરીબી પિવડાવે છે

 

 

પ્રામાણિક માણસ કોને કહેવો? સાવ જ વિચિત્ર જવાબ અમેરિકન રોક મ્યુઝિકના પ્રોડયુસર કિમ ફાઉલે તરફથી પ્રાપ્ત થયો છે. જવાબ સાંભળો:

માત્ર એક જ માણસ
પ્રામાણિક હોય છે,
જે બાથરૂમમાં ગીત ગાય છે.
બાકીના બીજા બધાને
તો વેશ્યા જાણજો.

જગતની બધી ચિંતા છોડીને જે માણસ શિયાળાની સવારનો તડકો માણવામાં મગ્ન હોય તે માણસ અપ્રામાણિક હોય એવો સંભવ ઓછો છે. ગુજરાતનો શિયાળો માંડ ત્રણ મહિ‌ના ટકે છે. જો આપણા દેશને સાત-આઠ મહિ‌ના જેટલો લાંબો શિયાળો મળ્યો હોત તો કદાચ આપણી ગરીબી આટલી દઝાડનારી ન હોત. શિયાળો માણસની કર્મશીલતાને સંકોરે છે અને ઉત્પાદકતાને ખો આપે છે. ઉનાળો વસ્તી વધારાને મદદરૂપ થાય છે અને આળસની ખુશામત કરે છે. શિયાળામાં વધારે કામ કરીએ તો પણ થાક નથી લાગતો, જ્યારે ઉનાળામાં કામ ન કરનારને પણ થાક લાગે છે. ગરીબની પિછોડીનાં કાણાં ન પુરાય તે માટે આપણા નેતાઓ પ્રતિબદ્ધ છે. ઉનાળો ગરીબીવર્ધક છે. શિયાળાની સગી દીકરીનું નામ સ્ફૂર્તિ‌ છે. સ્ફૂર્તિ‌ વિનાનો સમાજ ગરીબીનો રખેવાળ છે. જે કામ એક કલાકમાં પતે તે કામમાં ત્રણ કલાક નીકળી જાય ત્યારે જે વધારાના બે કલાક લાગ્યા તેને કારણે દેશની ગરીબીને નિરાંત રહે છે. પ્રત્યેક ઓફિસના ટેબલ પર જે ચાનો કપ જોવા મળે છે તે કપ કર્મચારીને ઘૂંટડે ઘૂંટડે ગરીબી પિવડાવે છે. પ‌શ્ચિ‌મના કોઇ પણ દેશમાં આવી સગવડ નથી હોતી.

આદિમાનવ ચાલતો રહ્યો, બસ ચાલતો જ રહ્યો દોડવાની શોધ ત્યારે થઇ જ્યારે કોઇ ભયને કારણે પલાયન જરૂરી બન્યું. સાપ કે વાઘ પાછળ પડે ત્યારે દોડવું જ પડે. દોડવાની ઘટનાને કારણે માનવ-ઇતિહાસમાં પહેલી વાર ચાલવાની ઝડપ લગભગ ત્રણગણી થઇ ગઇ આવો ઝડપવધારો થયો ત્યારે તો ચક્રની કે અગ્નિ‌ની શોધ પણ થઇ ન હતી. ઝડપના આવા વધારામાં સંસ્કૃતિનો ઉમેરો સાઇકલને કારણે શક્ય બન્યો. ટાન્ઝાનિયાના જંગલોમાં આફ્રિકન શ્યામસુંદર લોકો વચ્ચે લાકડાનાં બે ચક્રવાળી ‘ગ્રામોદ્યોગી’ સાઇકલ નજરે જોવા મળેલી. સાઇકલે શું કર્યું? સાઇકલે દોડવાની ક્રિયાને રોમેન્ટિક બનાવી દીધી. સાઇકલ સાથે જોડાયેલા રોમેન્સના કેન્દ્રમાં એક શબ્દ હતો: ‘બેલેન્સ.’ પેડલ મારવાની ક્રિયા સાથે દિશા જાળવતું ગવર્નર લય ન કેળવે તો ધબાય નમ: દોડવાના શ્રમને ઘટાડવામાં સાઇકલે આપેલો ફાળો અમૂલ્ય છે. સાઇકલનો શોધક કોણ? એ મહાન પ્રયોગવીરને નોબેલ ઇનામ કેમ ન મળ્યું?

પ‌શ્ચિ‌મના દેશોની નવી પેઢીએ સાઇકલને લગભગ સ્વજન ગણીને અપનાવી લીધી છે. પ‌શ્ચિ‌મના દેશોનો આકરો શિયાળો પણ સાઇકલની લોકપ્રિયતા પર બ્રેક મારી શક્યો નથી. યુવક અને યુવતી સાઇકલ પર સાથે સાથે જઇ રહ્યા હોય ત્યારે પણ ચુંબન કરવાની મનાઇ નથી હોતી. શિયાળો ‘રોમેન્સવર્ધક’ ઋતુ છે. ર્નોવેના પાટનગર ઓસ્લોમાં મળેલી શિક્ષણ-પરિષદ વખતે રાતે કોઇ થિયેટરમાં વિખ્યાત નાટક જોવાનું બનેલું. નાટકનું ર્શીષક હતું: ‘ધ બાઇસિકલ.’ સ્ટેજ પર મુખ્યપાત્રની સાથે જાતજાતની સાઇકલો જોવા મળી હતી. નાયક સાઇકલના પ્રેમમાં પડી ગયો હોય એવા વિષયવસ્તુ પર નાટક રચાયું હતું. શિયાળો આવી પહોંચ્યો છે. સૂની સડક પર જે અંધારું હોય છે તે ઠંડું હોય છે, પરંતુ પાંચ કિલોમીટર સાઇકલ ચલાવ્યા પછી ઠંડી ગાયબ થઇ જાય છે અને સ્ફૂર્તિ‌ને કારણે સાઇકલની ઝડપ વધી જાય છે. એ અંધારામાં તમે એકલા જ હો એ જરૂરી નથી. સ્ફૂર્તિ‌ પણ રોમેન્ટિક હોઇ શકે છે. સુખી હોવાની એક શરત છે: ‘રોમેન્ટિક સ્ફૂર્તિ‌.’

શંકરાચાર્ય કહી ગયા: ‘બ્રહ્મ સત્યં જગત્ મિથ્યા.’ વિનોબાએ આ સૂત્રમાં સુધારો કર્યો અને કહ્યું: ‘બ્રહ્મસત્યં જગત્ સ્ફૂર્તિ‌.’ વહેલી સવારે શિયાળો ખરેખરા મૂડમાં હોય છે. પથારી છોડીને ઠંડીના સામ્રાજ્યમાં ચાલવા નીકળી પડેલો માણસ સડક પર નહીં, સ્ફૂર્તિ‌ના ઉપવનમાં ચાલી રહ્યો હોય છે. માલદાર માણસની રજાઇ વજનદાર હોય છે, ગરીબ માણસની હલકી પિછોડી કાણી હોય છે. કડકડતી ઠંડીનું જોર વધી પડે ત્યારે શિયાળો બારીની ફાટમાંથી દાખલ થઇ જાય છે. શિયાળો માણસના કાનમાં હળવેકથી એક ખાનગી વાત કહી જાય છે. એ ખાનગી વાતમાં જગતના બધા ધર્મોનો સાર આવી જાય છે. પ્રાર્થના કરવા માટે કોઇ પણ સમય એ યોગ્ય સમય છે. આમ છતાં શિયાળાની વહેલી સવારે પથારીમાં બેઠા બેઠા કરેલી પ્રાર્થનાની ગુણવત્તા થોડીક ઊંચેરી હોય છે. ઠંડીમાં થીજી ગયેલી રાતે ફળિયું બિલકુલ શાંત હોય છે. સૂતેલા માણસની પોતાની જ હૂંફને કારણે પથારીનો ગરમાટો શરીરને ભાવતો જણાય છે. ઘરમાં સૌ જંપી ગયા હોવાને કારણે સંસારનો કોલાહલ સાવ ગેરહાજર હોય છે. આવી સુખદ ક્ષણોમાં શિયાળો જે ખાનગી વાત કહે તે જાગી ગયેલા મનુષ્યને સંભળાય છે: અન્યને હૂંફ આપનાર મનુષ્ય પોતે પણ હૂંફ પામે છે.

આ ખાનગી વાતમાં બુદ્ધની કરુણા, મહાવીરની અહિંસા અને ઇસુના પ્રેમસંદેશનો બધો સાર આવી જાય છે. શિયાળામાં અને કેવળ શિયાળામાં જ એક વાત સમજાય છે કે જીવનમાં હૂંફ જેવી મૂલ્યવાન ચીજ બીજી જડવી મુશ્કેલ છે. હૂંફના અધ્યાત્મનું રહસ્ય એક મહાન સત્યમાં છુપાયું છે: ત્યાગવું એ પણ ભોગવવાનો જ એક પ્રકાર છે. ઇશાવાસ્ય ઉપનિષદના રચનારા ઋષિ ર્દીઘતમસ દુનિયાને એક સૂત્ર આપતા ગયા: ‘ત્યાગીને ભોગવી જાણો.’ આવું મહાન સત્ય કોઇ માતાને શિખવવું નથી પડતું. માતાનો ખોળો પ્રત્યેક સંતાનનું હૂંફર્તીથ હોય છે. સમગ્ર માનવજાત હૂંફના આધારે જીવી રહી છે. માતાની હૂંફ પછી માણસને પ્રિયજનની હૂંફ પ્રાપ્ત થાય એ પણ જરૂરી છે. કહેવાતો લવ-અફેર આખરે તો હૂંફ-અફેર હોય છે. શિયાળો હૂંફના અધ્યાત્મને સંકોરે છે. પ્રિય વાચક શિયાળો ઘરના આંગણામાં આવી પહોંચ્યો છે. એના આર્શીવાદ પામવાનું ચૂકી જવાય એ તો ખોટનો ધંધો ગણાય.’

– પાઘડીનો વળ છેડે

બાળક હતો ત્યારે મને એવું સ્વપ્નું આવેલું કે મારી પાસે એક સાઇકલ હતી જ્યારે મને સાઇકલ મળી, ત્યારે હું લિવરપૂલ શહેરનો અને કદાચ આખી દુનિયાનો સૌથી સુખી માણસ હતો. ઘણા ખરા છોકરાઓ પોતાની સાઇકલને ઘરના વાડામાં રાખતા, પરંતુ હું એમ નહોતો કરતો. હું તો મારી સાઇકલને ઘરમાં જ મૂકવાનો આગ્રહ રાખતો. પહેલી રાતે તો મેં મારી સાઇકલને મારા ખાટલામાં રાખી હતી.
– બીટલ જ્હોન લેનન

વીર નર્મદની પ્રિય ઋતુમાં મેઘદૂત મહોત્સવ? Divya Bhasker

 વીર નર્મદની આ પ્રિય ઋતુમાં કોઇ ખાસ યાદ આવી જાય તેવી ભીની ઘટના બને તો તેમાં ક્યાંય પાપ નથી. પાપ તો પોતાના નિવાસ માટે કાયમ કોઇ દંભી ઉપદેશકનું ઘર પસંદ કરતું હોય છે. આકાશમાંથી જ્યારે અમૃતનો નાયેગ્રા વરસી રહ્યો હોય, ત્યારે જે મેઘદૂત મહોત્સવ રચાય તેની આગળ સિન્થેટિક યૌવનના ઉન્માદને જગાડનારી વાયેગ્રા તુચ્છ છે. ખરો રોમાન્સ ખૂટે છે તેથી વાયેગ્રા લેવી પડે છે. આવા બબૂચકો આગળ તો વર્ષાની જલધારા પણ લાચાર

 

 

 

સે ક્સ માણવું એ માનવજાતની સૌથી જૂની ટેવ છે. પ્રેમની આકાંક્ષા માનવજાતની સૌથી જૂની ઝંખના છે. ખીચડી રંધાઇ જાય એટલું પૂરતું નથી. એ ધીમે તાપે સીઝવી જોઇએ. સાચા પ્રેમની અનુભૂતિ પામ્યા વિના કોઇ મનુષ્ય અંદરથી ર્નોમલ થઇ શકતો નથી. પ‌શ્ચિ‌મના ચિંતકોએ સાચા પ્રેમના સંકેતરૂપે ત્રણ શબ્દો આપ્યા: કેરિંગ, શેરિંગ અને સફરિંગ. આ ત્રણે શબ્દો માનવજાતને મળેલા અત્યંત પવિત્ર શબ્દો છે. ૧૯૯૮ના વર્ષમાં રાજકોટ જવાનું બન્યું ત્યારે એક નાગર કન્યાએ પ્રશ્ન પૂછ્યો હતો: ‘પાર્ટનરની પસંદગીની પ્રક્રિયા વડીલોના સહકારથી દાબદબાણ વિના ચાલી રહી છે, ત્યારે કઇ બાબતની કાળજી રાખવી?’ આ પ્રશ્ન આજે પણ લાખો યુવક-યુવતીઓને પજવે છે. મને જે જવાબ તત્કાળ જડયો તે આવો હતો: ‘સૌથી પહેલી બાબત એ કે તે યુવાન તારા પર લટ્ટ હોવો જોઇએ અને તું એના પર આફરીન હોવી જોઇએ. આ શરત થોડી સ્થૂળ જણાય તોય જરૂરી છે. બીજી બધી વિગતો પછી ભલે મહત્ત્વની હોય.’

વ્યક્તિના દર્દની ટાઇટેનિક ગમે તેટલી ભવ્ય હોય તોય ક્યારેક બરફના ખડક સાથે અથડાઇને ખતમ થતી હોય છે. અણગમતા પાર્ટનર સાથે આખું જીવન વેંઢારવાની મજબૂરીનું બીજું નામ ‘જનમટીપ’ છે. નવી પેઢી આવી સજા માટે તૈયાર નથી. રંગે રૂડી અને રૂપે પૂરી એવી કન્યા કોઇ શેરબ્રોકરને પનારે પડી. બંનેને જોડે એવો એક પણ સેતુ લગ્નજીવનમાં હાજર ન હતો. પતિ એ તેજસ્વી યુવતી કરતાં પૂરાં વીસ વર્ષ મોટો દેખાય. સોફામાં છાણનો પોદળો બેઠો હોય તેવો ઘરડો જણાતો પતિ મોટામસ પેટને કારણે જોવો ન ગમે તોય નિરુપદ્રવી ઘણો પત્નીને પૈસાની કોઇ જ ચિંતા નહીં બંને વચ્ચે કોઇ પણ પ્રકારનું ‘રસઐક્ય’ નહીં તેથી ફ્રેન્ડ સર્કલ સાથે પાનાં રમવાનું ચાલ્યા કરે. મૂર્તિ‌મંત કજોડું જીવનભર નભી ગયું આવી સ્ત્રીને કોઇ મુક્ત વિધવાની અદેખાઇ ન આવે? સંસાર બડો વિચિત્ર છે. કોઇ અખંડ સૌભાગ્યવતી ન માણે એવું શૈયાસુખ રૂપાળી વિધવાએ માણ્યું છે. જનમટીપ ભોગવતી લાખો વ્યક્તિઓનાં મૂંગાં ડૂસકાં સમાજને નથી સંભળાતાં.

ક્યાંક કુદરતી આફત સર્જા‍ય ત્યારે દયા બતાવવા માટે પડાપડી થાય છે, પરંતુ જીવન આખું નંદવાય ત્યારે કોઇની કરુણા ન જાગે. જનમટીપ રોકડી અને મુક્તિ ઉધાર આકાશમાંથી ધોધમાર અમૃતવર્ષા થતી હોય ત્યારે જેને કોઇની યાદ ન સતાવે તે વ્યક્તિ ક્યાં તો મહાત્મા હોય કે પછી દંભી હોય. યુવાન કોઇ યુવતી પર લટ્ટ હોય તો શું બની શકે? પોતાની પ્રિયતમાના આખા શરીરે કોઢના ડાઘા છવાઇ જાય તોય એ યુવકનો પ્રેમ કાયમ રહે ખરો? લટ્ટ હોવાનું માનીએ તેટલું સસ્તું નથી. પોતાનો પ્રિયતમ અકસ્માતમાં ઘવાય અને હાથ, પગ કે આંખ ગુમાવી બેસે તોય એના પર લટ્ટ હોય એવી યુવતીનો પ્રેમ ટકી જાય ખરો? પ્રિયજનનું દુ:ખ પોતાનું દુ:ખ બની રહે તેવી વૃત્તિમાં પરિશુદ્ધ પ્રેમનો પગરવ સંભળાય છે. સાચા પ્રેમમાં થોડીક અધીરાઇ, થોડીક ઘેલછા અને થોડુંક સાહસ ભળે જ છે. ઠાવકાઇ તો રોમાન્સની સાવકી માતા છે. આ વાત ન સમજાય તો ‘ટાઇટેનિક’ ફિલ્મ અચૂક જોવી. એ ફિલ્મ જોઇ ત્યારે મને શ્રીમદ્ ભાગવતનો દશમસ્કંધ વાંચતો હોઉં એવી ભીનાશ પ્રાપ્ત થયેલી. એ ફિલ્મમાં મૃત્યુ અને અમૃત વચ્ચેની દિવ્ય ટક્કર છે. એમાં રોમાન્સ છે, સાહસ છે અને બિનસલામતીની કવિતા છે. યુવાનની વ્યાખ્યા શી?

જેની પાસે ખિસકોલીની સ્ફૂર્તિ‌ હોય,
હરણનું ચાપલ્ય હોય,
સુભાષ બોઝ જેવી સાહસપ્રીતિ હોય,
નેહરુ જેવી રોમેન્ટિક ઊર્મિ‌શીલતા હોય,
અને કૃષ્ણ જેવી સ્મિતવર્ષા હોય,
તેવી વ્યક્તિ ગમે તે ઉંમરની હોય,
તોય ‘યુવાન’ ગણાય.
જે આળસુ અને પ્રમાદી હોય તે વૃદ્ધ છે.
જે ચેતનથી છલોછલ છે
તે ‘યુવાન’ છે.

વીર નર્મદની આ પ્રિય ઋતુમાં કોઇ ખાસ યાદ આવી જાય તેવી ભીની ઘટના બને તો તેમાં ક્યાંય પાપ નથી. પાપ તો પોતાના નિવાસ માટે કાયમ કોઇ દંભી ઉપદેશકનું ઘર પસંદ કરતું હોય છે. આકાશમાંથી જ્યારે અમૃતનો નાયેગ્રા વરસી રહ્યો હોય, ત્યારે જે મેઘદૂત મહોત્સવ રચાય તેની આગળ સિન્થેટિક યૌવનના ઉન્માદને જગાડનારી વાયેગ્રા તુચ્છ છે. ખરો રોમાન્સ ખૂટે છે તેથી વાયેગ્રા લેવી પડે છે. આવા બબૂચકો આગળ તો વર્ષાની જલધારા પણ લાચાર સેક્સ અસહજ બને અને વિવેકશૂન્ય બને તેમાં જ બલાત્કારની દુગ્ર્‍ાંધ રહેલી હોય છે.

બલાત્કાર થતા રહે અને દિવસે દિવસે વધતા જ રહે એવી સામાજિક પરિસ્થિતિ કાયમ રાખીને આપણે વાઝણી ચર્ચાનો સ્વાદ માણતાં રહીએ છીએ. ઘેર કોઇ અજાણ્યો પ્લમ્બર રીપેરકામ માટે આવે છે. એ પોતાની વાતચીતમાં ઘરની અજાણી સ્ત્રીને માસી કે આન્ટી કહીને કામ શરૂ કરે છે. પરાયી સ્ત્રીને બહેન, માસી, આન્ટી, મા કે માસી કહેવામાં જે કલ્ચર પ્રગટ થાય તે મૂલ્યવાન છે. ફિલ્મી અર્ધનગ્નતા બીજે જ દિવસથી ફેશન બનીને છવાઇ જાય છે. રાતે જાગવાનું અને દિવસે ઊંઘવાનું વધતું જાય છે. જે કશુંક અકુદરતી હોય તે ફેશન તરીકે પંકાય છે. મનનો સિન્થેટિક ઉશ્કેરાટ વધે તેવું વાચન વધી રહ્યું છે. મહાકવિ કાલિદાસે કામદેવ માટે એક મૌલિક શબ્દ પ્રયોજ્યો છે: ‘અનર્થપંડિત:.’ કામદેવ જ્યારે કામદાનવ બની જાય ત્યારે ક્યાંક બલાત્કાર થતો હોય છે.

આ કામવાસના પ્રકૃતિદત્ત છે અને તેથી પવિત્ર છે. અગ્નિ પવિત્ર છે, પરંતુ એને કારણે ફળિયામાં આગ લાગી શકે છે. અિગ્નનો ત્યાગ ન થાય, પરંતુ એની સાથે વિવેકપૂર્વક કામ લેવું પડે. કામાગ્નિનું પણ એવું જ ગોવર્ધનરામ ત્રિપાઠીએ મૈથુન માટે ‘હૃદયદાન’ શબ્દ પ્રયોજ્યો હતો. એમણે બે પ્રેમીઓ વચ્ચે ‘રસઐક્ય’ હોય તેવી મૌલિક હિ‌માયત કરી હતી. સ્ત્રી દુ:ખી હોય ત્યારે એની આંખમાં આંસુ છલકાય છે. પુરુષ બિચારો રડી ન શકે ત્યારે ચશ્માંના કાચ લૂછીને ફરીથી ચશ્માં પહેરી લેતો હોય છે. અગ્નિની સાક્ષીએ સદીઓથી કજોડાં સર્જા‍તાં રહ્યાં છે. પ્રસન્ન યુગલ વિશ્વશાંતિ માટેની સૌથી મોટી ગેરંટી છે. વરસાદ હજી ચાલુ જ છે’

– પાઘડીનો વળ છેડે

હે મનુષ્યો હું સત્ય કહું છું,
પક્ષપાતથી નથી કહેતો.
અને સાતેય લોકમાં
આ એક હકીકત છે કે
વિશાલ નિતમ્બવાળી સુંદરીના કરતાં
બીજું કાંઇ મનોહર નથી
અને તેના કરતાં
બીજું કાંઇ દુ:ખરૂપ પણ નથી.

– ભર્તુહરિ ‘શૃંગારશતક’ અનુવાદ: મનસુખલાલ સાવલિયા

પારિજાતના પુષ્પ જેવો માણસ સુરેશ દલાલ Divya Bhasker, August

કવિ સુરેશ દલાલનું અવસાન થયું ત્યારે લોકોને જે ખલેલ પહોંચી તેના પરથી ગુજરાતી પ્રજાના સંસ્કારનું ખરબચડું માપ મળી જાય. લોકો જેને ‘ફેન’ તરીખે ઓળખે છે, તે માણસ સાહિત્યકારનો ખરો સગો હોય છે. લોહીની સગાઇ તો સાહિત્યકારના ‘ખરા સગા’ પછીના ક્રમે આવે છે.

કોઇ પ્રજા કેટલી સંસ્કારી છે તે જાણવા માટે કરવું શું? પોતાની ભાષાના કવિનું અવસાન થાય ત્યારે સમાજના કેટલા ટકા લોકો ખલેલ પામ્યા તે જાણી લેવું. દુનિયાની વિવિધ પ્રજાઓનો સંસ્કાર અંક યાને કલ્ચરલ કવોશન્ટ (C.Q.) હોય છે. કવિ સુરેશ દલાલનું અવસાન થયું ત્યારે લોકોને જે ખલેલ પહોંચી તેના પરથી ગુજરાતી પ્રજાના સંસ્કારનું ખરબચડું માપ મળી જાય. વલસાડના વિદ્વાન આચાર્ય રમેશ દેસાઈએ ફોન પર એક વાત કરી.

વલસાડ પાસે પારડી હોસ્પિટલ ચલાવનારા સર્જન ડૉ. કુરેશી મળસકે ચાર વાગે ઊઠીને મુંબઇ પહોંચ્યા અને સુરેશભાઇની સ્મશાનયાત્રામાં જોડાયા. એમનાં પત્ની કુરેશાબહેન પણ ગાયનેક છે. બંને પુસ્તકપ્રેમી છે. આવા સુજ્ઞ વાચકને કારણે ગુજરાતી પ્રજાની સંસ્કારિતાની સરેરાશ ઊંચાઇમાં વધારો થયો. લોકો જેને ‘ફેન’ તરીખે ઓળખે છે, તે માણસ સાહિત્યકારનો ખરો સગો હોય છે. લોહીની સગાઇ તો સાહિત્યકારના ‘ખરા સગા’ પછીના ક્રમે આવે છે. જે આપણને સમજે, તે જ આપણું સ્વજન.

જે નગરમાં મેયરની સ્મશાનયાત્રા કરતાં સાહિત્યકારની સ્મશાનયાત્રા મોટી હોય તે ખરેખરી સંસ્કાર નગરી ગણાય. પેરિસમાં જ્યાં પોલ સાત્ર જેવા વિચારકની સ્મશાનયાત્રામાં જબરી ભીડ જામી હતી. એ જ રીતે કોલકાતામાં ગુરુદેવ ટાગોરની સ્મશાનયાત્રામાં લોકો ઊમટી પડ્યા હતા. ફ્રેન્ચ પ્રજા અને બંગાળી પ્રજા સાહિત્યપ્રેમને કારણે દુનિયામાં જુદી પડી આવે છે. આજે પણ બાંગ્લાદેશના ટીવી પર રવીન્દ્ર સંગીત રોજ સાંભળવા મળે છે. લોહીની સગાઇ કરતાંય શબ્દની સગાઇ મૂઠી ઊંચેરી ઘટના ગણાય. દેશ જુદો થયો, પરંતુ કવિ જુદા ન થયા.

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે. બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે. પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હોય છે કે પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે. બહુ થોડા માણસોને પોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે. આવા થોડાક માણસો જુદા પડી આવે છે. આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે. સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે. આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે. મનુષ્યની જીવનસુગંધને બહુમતીના ટેકાની ગરજ નથી હોતી. કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે.

માણસને પોતાના જીવનનું મિશન જડી જાય ત્યારે જીવતરમાં સ્વાદ પ્રગટે છે. આલ્બર્ટ શ્વાઇટ્ઝરને પોતાના જીવનનું મિશન જડી ગયું ત્યારે એ કોગો (ઝેઇરે)ના જંગલમાં પહોંચી ગયો અને ડોક્ટર બનીને આફ્રિકન આદિવાસીઓની સેવામાં લાગી ગયો. એના જીવનમાં જે સ્વાદ પ્રગટ થયો તે એક વિધાનમાં પ્રગટ થયો: ‘જીવમાત્ર પ્રત્યે આદર’ (રેવરન્સ ફોર લાઇફ). ગોરજના મુનિ આશ્રમમાં સેવા કરનારાં અનુબહેન ઠક્કરને જીવનનું મિશન જડી ગયું હતું. પ્રત્યેક માણસ પારિજાતનું પુષ્પ હોય છે.

પુષ્પના મિશનને સુગંધ કહેવામાં આવે છે. બધા માણસોની ભીતર પડેલી સુગંધ બહાર આવવા નથી પામતી. પોતાની ભીતર પડેલી સુગંધની શોધ અન્ય કોઇ વ્યક્તિ ન કરી શકે. એ માટે આત્મનિરીક્ષણની જરૂર પડે છે. એકાંત અને મૌન એવી શોધમાં મદદરૂપ થાય છે. પોતાના જીવનને સાક્ષીભાવે નિહાળતી વખતે ક્યારેક સહજ રીતે માણસને ખબર પડે છે કે પોતાનો નિર્મળ આનંદ શેમાં છે. જાતને વારંવાર પૂછવા જેવો એક પ્રશ્ન છે: હું ક્યારે ક્યારે અધ્ધરતાનો અનુભવ કરું છું? જે ક્ષણે માણસ ગુરુત્વાકર્ષણથી મુકત થઇને કોઇ અનેરો નિજાનંદ પામ્યો તે ક્ષણે એ પોતાના જીવનનું મિશન પામ્યો ગણાય. માણસના માંહ્યલાને રાજી રાજી કરી મૂકે તે માણસનું મિશન!

શું મિશન જડે તે માટે સામાન્ય માણસે વિવેકાનંદ બનવું પડે કે? ના ભાઇ ના. સામાન્ય માણસને પણ મિશન જડી આવે છે. પૂણેમાં રહેતા કાંતિભાઇ પરીખને એક મિશન જડી ગયું હતું. તેઓ વયોવૃદ્ધ સ્વાતંત્રય સેનાની હતા. પોતાના (બકરી જેવા) સ્કૂટર પર પૂણેના ગુજરાતીઓને ઘરે ઘરે જઇને સારાં સારાં પુસ્તકો પહોંચાડવાં એ એમનું મનગમતું મિશન હતું. આવું જ મિશન વડોદરામાં નિવૃત્ત આચાર્ય વાડીભાઇ પટેલનું છે. ‘મિશન’ કોને કહે તે સમજવું હોય તો મહેન્દ્ર મેઘાણીના જીવનને નિહાળવું. કર્મ થાય, પરંતુ કર્મનો ભાર ન વરતાય ત્યારે જાણવું કે મિશન જડી ગયું!

મિશનનું કામ મનુષ્યના આનંદને ખતમ કરવાનું નથી. જેઓ આનંદપૂર્વક જીવે છે, તેઓ પારિજાતની માફક ખરી પડે છે. પૂજય રવિશંકર મહારાજ ૧૦૦ વર્ષની વય વટાવ્યા પછી પાકેલી ખારેક ખરી પડે તેમ ખરી પડેલા. મહારાજનો નિજાનંદ એ જ સેવાનંદ હતો. એમની જીવનસુગંધ આખા ગુજરાતમાં પ્રસરી હતી. હોઠ પીસીને સેવા કરવાની જરૂર નથી. હોઠ પીસીને સાધના કરવાની પણ જરૂર નથી. મિશનનો બોજ ન હોય. મિશનનું અભિમાન ન હોય. અધ્યાત્મ પણ હળવુંખમ હોવું જોઇએ. મનુષ્યના સહજ સ્મિતને છીનવી લેનારા અધ્યાત્મથી જોજનો દૂર રહેવું સારું. પુષ્પતા અને માનવતા માટે ખીલવું એ જ મોક્ષ!

પુષ્પ જીવે ત્યાં સુધી
પવનની લહેરખી સાથે
ન્úત્ય કરતું રહે છે.
સૂર્યનાં કિરણોને મોહબ્બત કરવાનું
પુષ્પને ખૂબ ગમે છે.
ખરી પડે ત્યાં સુધી
પુષ્પનું સંકીર્તન સતત ચાલતું રહે છે.
પ્રતિક્ષણ અસ્તિત્વનો ઉત્સવ માણવો
એ પ્રત્યેક પુષ્પનો
સુગંધસિદ્ધ અધિકાર છે.
આસપાસની હવામાં સુગંધ પ્રસરે
એ જ પુષ્પની સેવા છે.
આવી સહજ સેવા એ જ
નિજાનંદની આંગિળયાત ગણાય.

માતા-પિતાએ પોતાનું મિશન સંતાનો પર લાદવાનું ટાળવું જોઇએ. પતિનું મિશન પત્નીના મિશનથી જુદું હોઇ શકે છે. માણસે સાત્વિકતાના પ્રહારોથી પણ બચવાનું છે. ક્રિકેટમાં રસ ધરાવનાર દીકરાને કથામાં ધકેલવાની જરૂર નથી. મરજી વિરુદ્ધ થતી પ્રવૃત્તિ અને મરજી વિરુદ્ધ થતાં લગ્ન જીવનને તમોગુણની ખીણમાં ધકેલે છે. બધા માણસોએ સેવા કરવાનો અભરખો ન રાખવો જોઇએ. નિજાનંદની શોધમાં અન્ય કોઇને કન્સલ્ટ કરવાની જરૂર નથી. મિશન સાથે સેવા જોડાય એ જરૂર નથી. માણસનું મિશન સંગીત પણ હોઇ શકે અને પર્વતારોહણ પણ હોઇ શકે. આ બાબતે વડીલોની સલાહ નુકસાનકારક બને એવો પૂરો સંભવ છે. આપણા સમાજને વડીલોના પ્રહારોથી બચાવી લેવાનો છે. ભકત પ્રહ્લાદે જો પિતા હિરણ્યકશ્યપનું માન્યું હોત તો! ‘કાર્બન કોપી’ જેવો શબ્દપ્રયોગ પ્રકૃતિને માન્ય નથી. પ્રકૃતિમાં બિલકુલ સરખાં બે પાંદડાં એક જ છોડ પર પણ નથી હોતાં.

આજની સવારે વરસાદ અટકી ગયો પછી ઘણા દિવસે કુમળા ઘાસની પાંદડીઓનો સ્પર્શ પામવાની લાલચે કોકરવરણો તડકો બાગમાં ઊતરી પડ્યો છે. આવો અનાક્રમક તડકો વરસાદના કહ્યામાં રહીને બાગમાં પથરાયો છે. એને નીરખવા માટે વહેતો રહેવાની ટેવ છોડીને પવન પણ થંભી ગયો છે. પંખીઓનો કલરવ પણ આ ક્ષણે સંભળાતો નથી. મિત્ર સુરેશ દલાલ જો આ ક્ષણે મારા હીંચકા પર બેઠા હોત તો! તો જરૂર આપણને પારિજાત જેવી થોડીક એવી પંક્તિઓ મળી હોત, જેને કારણે આપણી ખલેલ મધુર મધુર બની ગઇ હોત!‘

પાઘડીનો વળ છેડે

પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસની
વચ્ચે સમયનો જ શ્વાસ હોય છે.
મરણ થશે તોય જગત તો હશે
અને આ જગતમાં ફરી પાછાં
પ્રવેશતાં આપણને રોકે પણ કોણ?
છેવટે તો મરણનો વિલય
અને જીવનનો જ જય!
– સુરેશ દલાલ
(કાવ્યસંગ્રહ: ‘મધરાતે સૂર્ય’માંથી)

ગોલી માર ભેજે મેં ભેજા શોર કરતા હૈ! Divya Bhasker, 26-9-2012

જે ગૃહિણી નવરાશના સમયમાં કોઇ સુંદર પુસ્તક કે સામયિક વાંચવાનું રાખે તેનાં સંતાનો નસીબદાર ગણાય. સંસારમાં આવી ગૃહિણી સાવ એકલી પડી જાય છે.

કેટલાય ડોક્ટરો એવા જોયા, જેમને પોતાની ધૂમ પ્રેક્ટિસ વચ્ચે પણ સુંદર પુસ્તકો વાંચવાનો સમય મળી રહે છે. કેટલાય પ્રાધ્યાપકો એવા જોયા, જેમને વાંચવા માટે પગાર મળે છે તોય વાંચવાનો સમય નથી મળતો. કેટલાક એવા રાજકારણી નેતાઓને મળવાનું બન્યું છે, જેઓ બધી દોડાદોડ વચ્ચે પણ ઉત્તમ પુસ્તકો ખરીદીને વાંચવાનું ચૂકતા નથી. વાંચવા પ્રત્યે નફરત હોય એવા કેટલાય ભણેલા માણસો ખૂબ લાંબું જીવે છે. જે ગૃહિણી નવરાશના સમયમાં કોઇ સુંદર પુસ્તક કે સામયિક વાંચવાનું રાખે તેનાં સંતાનો નસીબદાર ગણાય.

સંસારમાં આવી ગૃહિણી સાવ એકલી પડી જાય છે. એ ગૃહિણીની જેઠાણી જો ન વાંચતી હોય, તો ઘરમાં રાજ કરતી હોય છે. પ્રત્યેક ઓશિકા પાસે એક એવું પુસ્તક કાયમ હોવું જોઇએ, જે નિદ્રાને પ્રગાઢ બનાવે અને જાગૃતિને જીવવા લાયક બનાવે. એડમંડ હિલરી જ્યારે એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં સફળ થયા ત્યારે કોઇકે એમને પૂછ્યું: ‘તમે બે વાર નિષ્ફળ ગયા તોય ત્રીજી વાર એવરેસ્ટની ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવાનું મન કેમ થયું?’ હિલરીએ જે જવાબ આપ્યો તે બે વાર વાંચવા જેવો છે.

તેમણે કહ્યું: ‘એવરેસ્ટ જ્યાં છે ત્યાં છે. એનો વિકાસ નથી થવાનો, પરંતુ હું તો માણસ છું. હું વિચારી શકું છું અને મારી ભૂલોમાંથી શીખી શકું છું.’ એમને કોઇકે પૂછ્યું: ‘એવરેસ્ટ સર કરવાની હોંશ થઇ તેનું કારણ શું?’ જવાબમાં સર હિલરીએ એટલું જ કહ્યું: ‘Because it is there’ વાત એમ છે કે જે મનુષ્ય વિચારહીન હોય તે બાખડી ભેંસ કરતાં થોડોક જ ચડિયાતો ગણાય. જો સુખી થવું હોય તો વિચારવાનું માંડી વાળો. માણસે શા માટે વિચારવું જોઇએ? ભેંસ, ગધેડું કે વાંદરાને વિચારવાની કુટેવ ન હોય, તો માણસ નામના પ્રાણીનું વિચાર્યા વિના શું અટકી પડવાનું હતું? સંયુક્ત કુટુંબમાં દેરાણી, જેઠાણી, નણંદ, ભાભી કે સાસુમાંથી જે પાત્રને વાંચવાની અને વિચારવાની કુટેવ હશે તે જ દુ:ખી હશે. વિચારહીન મનુષ્યને દુ:ખ સિવાય બીજું કશુંય ગુમાવવું પડતું નથી. વિચાર ટળે તો દુ:ખ ટળે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! રામ ગોપાલ વર્માની ‘સત્યા’ નામની ફિલ્મમાં કલ્લુમામાને મુખેથી ગવાયેલી બે પંક્તિઓ બડી તોફાની છે. સાંભળો:

ગોલી માર ભેજે મેં
ભેજા શોર કરતા હૈ!

જે મનુષ્ય વિચારવંત હોય તેને માટે દહેજ આપવાનું કે લેવાનું શક્ય ખરું? જે મનુષ્ય વિચારવંત હોય તેને માટે ગુટખાના ગુલામ બનવાનું શક્ય ખરંુ? ૧૯૯૭ના વર્ષમાં પોરબંદરથી સાબરમતી સુધીની પંચશીલ પદયાત્રામાં ગુટખા-વિરોધી શેરીનાટક કાયમ ભજવાતું. એ પદયાત્રા પણ આખરે તો વિચારયાત્રા હતી. વિચારવંત મનુષ્ય કોઇ પણ પ્રકારના કોમી હુલ્લડમાં ભાગ લઇ શકે ખરો? સમાજમાં વિચારવંત મનુષ્યો પાતળી લઘુમતીમાં હોય છે. સતી થવાનો રિવાજ સ્વીકાર્ય હતો ત્યારે પણ કેટલીય વિચારવંત સ્ત્રીઓને અને પુરુષોને એ જરૂર અસહ્ય જણાયો હશે. એવાં સ્ત્રી-પુરુષોનો શાણો અવાજ કોઇ વિધવા બનેલી સ્ત્રીને સ્મશાનમાં લઇ જતા સરઘસમાં વાગતાં ઢોલ-નગારાંના ઘોંઘાટમાં દબાઇ મર્યો હશે. તે સમયે રાજા રામમોહન રાયને ટેકો આપનારા કેટલા માણસો હિંમતભેર એમની તરફેણમાં બહાર આવ્યા હશે? વિચારવંત હોવું એટલે જ લગભગ એકલા હોવું.

વિચારવંત હોવું એટલે જ ટીકાપાત્ર હોવું. ઓસ્કાર વાઇલ્ડ સાચું કહે છે: સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે, પરંતુ એ જ સમાજ કદી પણ સ્વપ્નર્દષ્ટાઓને માફ કરતો નથી. આજે દુનિયામાં નોલેજ-સોસાયટીના નિર્માણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નોલેજ સોસાયટી જો વિસ્ડમ-સોસાયટીમાં પરિણમે તો પૃથ્વી પર શાણો સમાજ રચી શકાય. તુલસીદાસ સાચું કહે છે: જાને બિનુ ન હોઇ પરતીતિ બિનુ પરતીતિ હોઇ નહીં પ્રીતિ! કહે છે: જાણ્યા વિના પ્રતીતિ ન થાય અને પ્રતીતિ વિના પ્રીતિ ન થાય. વિચારની દીક્ષા ન પામ્યા હોય એવા કેટલાક લોકો સતત ટીવી નામની પુતનાને ધાવતા રહે છે, તેથી પ્રીતિ નામની યશોદાનું સ્તનપાન કરવાનું ચૂકી જાય છે. ટીવી કરોડો ઘરોમાં જે કંઇ ઠાલવતું રહે છે તેમાં શાણપણ ઓછું અને ગાંડપણ વધારે!

લોકો વિચારવાની ટેવ છોડીને ટીવી પર ઠલવાતા પ્રચારને શરણે જતા હોય છે. ટીવી પર અત્યંત આક્રમક રીતે રજૂ થતી અસંખ્ય જાહેરખબરો આપણું બ્રેઇન-વોશિંગ કરતી રહે છે. શું ખરીદવું તે આપણે નક્કી નથી કરતા. વારંવાર આપણા મન સાથે અથડાતી જાહેરખબરો આપણે કયો સાબુ વાપરવો તે નક્કી કરે છે. ધીરે ધીરે આપણને ખબર પણ ન પડે એ રીતે વિચારશૂન્ય સમાજ સર્જાતો જાય છે. સ્વતંત્ર વિચારશક્તિ? એ વળી કઇ બલાનું નામ છે? ચૂંટણીના દિવસોમાં સૌથી મોટો પ્રહાર માણસની વિચારશક્તિ પર થતો હોય છે. ચૂંટણી લડવાની નથી, રમવાની છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે અસત્યની ઓલિમ્પિક રમાતી હોય છે.

મીડિયા ક્યારેક અસત્યને ચાર ચાંદ લગાવી દેવાનું કામ કરે છે. મીડિયા આગળથી ન્યાય ચૂકવે છે. નળમાં આવતું પાણી ચોખ્ખું જ ગણાતું રહે છે. યુદ્ધના મેદાન પરની બહાદુરી કરતાંય જીવનના મેદાન પરની બહાદુરી વધારે દુર્લભ હોય છે. કવિ નર્મદ વીર નર્મદ કહેવાયો તેનું રહસ્ય બીજા પ્રકારની બહાદુરીમાં રહેલું છે. વિચારવા માંડે તે માણસ ભરચક ભીડમાં પણ સાવ એકલો પડી જાય છે. જે બહુ વિચારે તે બહુ એકલો પડી જાય છે. વીર હોવાની પૂર્વશરત છે, એકલો પડી જવાની તૈયારી. અંધજનોના ગામમાં કાણો માણસ એકલો પડી જાય છે અને ગામના બધા જ માણસો જો કાણા હોય, તો જે માણસોની બંને આંખો બરાબર હોય એવા એકલદોકલ માણસોનું આવી જ બન્યું! મૌલિક વિચારક જુદું વિચારે તેને કારણે દુ:ખી થાય છે. એને કોઇ શહીદ નથી કહેતું!

જેઓ વિચારવાની જીદ પકડી બેઠા છે તેમના માટે માર્ક ટ્વેઇનનું એક વિધાન આશ્વાસન આપનારું છે: ‘જેઓ વાંચતા નથી, તેઓ એવા લોકોથી જરાય ચડિયાતા નથી, જેઓ વાંચી શકતા નથી.’ ગુજરાતની બધી લાઇબ્રેરીઓમાં આ વિધાન ભીંત પર મોટા અક્ષરે મઢાવીને મૂકવું જોઇએ. પ્રત્યેક લાઇબ્રેરીને ગંદી રહીને ઉજજડ બની જવાની કુટેવ હોય છે. અપૂજ શિવાલયનો જીર્ણોદ્ધાર થાય છે. તમે ક્યારેય ઉજજડ લાઇબ્રેરીનો જીણોgદ્ધાર થતો જોયો છે? કોઇ પણ ગામે તમે વાચકો વિનાની, સાફસફાઇ વિનાની અને ગ્રંથપાલ વિનાની સૂનીસૂની ઉપેક્ષિત લાઇબ્રેરી જુઓ તો માનજો કે એ ગામનો સરપંચ નિરક્ષર ન હોય તોય અજ્ઞાની છે.

ગુજરાતમાં ઠેર ઠેર વિચારની પરબો શરૂ થવી જોઇએ. ‘ચેપ’ શબ્દ કાને પડે કે તરત આપણને ‘રોગ’ શબ્દ યાદ આવે છે. શું કોઇ સુંદર વિચાર પણ ચેપી ન હોઇ શકે? શું ‘સત્યાગ્રહ’ જેવો વિચાર ચેપી ન હતો? પ્રત્યેક મ્યુનિસિપાલિટીમાં સ્ટેન્ડિંગ કમિટી હોય, તેમ થિંકિંગ કમિટી પણ હોવી જોઇએ. રસ્તા વિશાળ બને તે સાથે વિચારો પણ વિશાળ બનવા જોઇએ. સમગ્ર ગુજરાત વિચારોનું વૃંદાવન બનવું જોઇએ. નગરમાં રહેતો કવિ કે સાહિત્યકાર ત્યાં વસનારા ઉદ્યોગપતિ કરતાં વધારે આદરણીય ગણાવો જોઇએ. પોતાને મળતા આદરનો ગેરલાભ ન લેવો એ સાહિત્યકારની ખાનગી તપશ્વર્યા છે. નગરમાં જેટલા મેડિકલ સ્ટોર્સ હોય તેટલાં વાચનાલયો હોવાં જોઇએ. ‘ગંગાસ્વરૂપ’ લાઇબ્રેરી તો કોઇ મેયરસાહેબના સ્વચ્છ વસ્ત્ર પર લાગેલો ડાઘ છે. પુસ્તકોની દુકાનોની સંખ્યા પરથી જે તે નગરના સંસ્કારનું માપ પ્રગટ થાય છે. એ દુકાન નહીં, વિચારમંદિર છે.

પાઘડીનો વળ છેડે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે
મારી કરિયર શરૂ કરી ત્યારે
હું એવું માનતો હતો કે
વિશ્વ વસ્તુઓનું બનેલું છે,
પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી ગઇ
તેમ તેમ મને વધારે ને વધારે
એવું લાગવા માંડ્યું કે
વિશ્વ વસ્તુઓનું નહીં,
પણ વિચારોનું બનેલું છે.
– એર્ડિંગ્ટન (વિશ્વવિખ્યાત વિજ્ઞાની)