તમારી ઇર્ષા થાય છે? નસીબદાર છો બરખુરદાર. DIVYA BHASKER, JUNE 2014

આપણા દેશમાં જેટલાં ધર્મસ્થાનો છે એટલાં અન્ય કોઇ પણ દેશમાં નહીં હોય. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે દેરાસર વટાવ્યા વિના આ દેશનો આમ આદમી કેટલા કિલોમીટર ચાલી શકે? ભારતમાં જેટલા ધર્મગુરુઓ, ધર્માચાર્યો, ઉપદેશકો, કથાકારો, સાધુબાવાઓ અને મહાત્માઓ છે, એટલા દુનિયાના કોઇ પણ દેશમાં નહીં હોય. આત્મા-પરમાત્માની, મોક્ષ-નિર્વાણની અને સ્વર્ગ-નરકની જેટલી વાતો આપણા દેશમાં થાય છે, એટલી અન્ય કોઇ દેશમાં થતી નહીં હોય. આપણા દેશમાં જેટલા ધાર્મિ‌ક તહેવારો છે એટલા તહેવારો બીજે ક્યાંય નથી.

આપણો દેશ ખેતીપ્રધાન કે ઉદ્યોગપ્રધાન નહીં, ધર્મપ્રધાન છે. અહીં વાતે વાતે ‘ધર્મ’ શબ્દ હવામાં ફંગોળાય છે. અહીં સેવા-પૂજા-ઇબાદત-પ્રાર્થના કરનારાં સ્ત્રી-પુરુષોની અંધશ્રદ્ધા પણ ‘ધાર્મિ‌ક’ હોય છે. આવા ધર્મપ્રધાન, ભક્તિપ્રધાન અને શ્રદ્ધાપ્રધાન દેશમાં જેટલી ઇર્ષાવૃત્તિ જોવા મળે છે તેટલી અન્ય કોઇ પણ દેશમાં જોવા મળે ખરી? અખંડ સૌભાગ્યવતી ઇર્ષાગૌરીની આણ ન હોય એવું એક પણ ક્ષેત્ર જોવા મળતું નથી. સમાજને ઇર્ષાવૃત્તિ પજવે છે, પ્રજાળે છે અને પાડે છે. ઇર્ષા કરવી એ આપણો રાષ્ટ્રીય રોગ છે. સદીઓ વીતી તોય વનસ્પતિ સૃષ્ટિ લીલીછમ રહી તેનું કારણ શું? એક મૌલિક કારણ જડયું છે.

વનસ્પતિ સૃષ્ટિમાં ઇર્ષાનું નામોનિશાન નથી તેથી કરોડો વર્ષ પછી પણ એ લીલીછમ રહી શકી છે. કોથમીરની પણી કદી મેથીની ભાજીની પણીની અદેખાઇ નથી કરતી. આસોપાલવ ફળહીન (નિષ્ફળ) છે અને આંબો ફળયુક્ત (સફળ) છે, પરંતુ આસોપાલવે હજી સુધી ક્યારેય આંબાની અદેખાઇ કરી હોય એવું જાણ્યું નથી. બાવળિયો, કેવળ બાવળિયો છે અને લીમડો, કેવળ લીમડો છે. બંને પોતપોતાની જગ્યાએ મસ્ત છે વડ પાસે છે તેવી ઘટા અન્ય કોઇ વૃક્ષ પાસે નથી. સંસ્કૃતમાં વડ માટે ‘ન્યગ્રોધ’ શબ્દ પ્રયોજાયો છે. વડ જેવી ઘટાદાર-છટાદાર અને સુવિકસિત સ્ત્રી માટે શબ્દ છે: ‘ન્યગ્રોધપરિમંડલા’. વાત એમ છે કે સૌંદર્યવતી સ્ત્રી અન્ય સ્ત્રીઓમાં ઇર્ષા પેદા કરે છે. તેજસ્વી પુરુષ અન્ય મધ્યમ કક્ષાના પુરુષોમાં ઇર્ષા પેદા કરે છે.

કોઇ પણ હાઇસ્કૂલમાં જઇને ઝીણી આંખે અને સરવે કાને ટીચર્સ રૂમમાં થોડાક કલાકો ગાળજો. જે શિક્ષક તેજસ્વી અને ઓજસ્વી હોય તેની અદેખાઇ બાકીના શિક્ષકો જરૂર કરતા હશે. ગંદા સમાજમાં તેજસ્વી હોવું એ બિનફોજદારી ગુનો છે. વનસ્પતિ સૃષ્ટિમાં અદેખાઇ નથી. વૃક્ષ સ્વસ્થ છે. શિવસહસ્ર્ાનામમાં ભગવાન શિવનું એક નામ છે: ‘વૃક્ષાકાર:’. મનુષ્યે વનસ્પતિની ઇર્ષા કરવી જોઇએ? જો ઇર્ષા કરવાથી પણ વનસ્પતિ પાસે હોય તેવી સંતુષ્ટિ અને સંતૃપ્તિ મળતી હોય, તો ઇર્ષા કરવાનું પણ વસૂલ છે. ફ્રેન્ચ ફિલસૂફ પોતાના પુસ્તક ‘The Fall into Time’(૧૯૭૧)માં લખે છે:
જે માણસે કદી પણ
વનસ્પતિની ઇર્ષા નથી કરી,
તે માણસ
માનવતાનું નાટક ચૂકી ગયો
દેરાણી અને જેઠાણી વચ્ચે ઇર્ષાનો અંશ પણ ન હોય, તો જાણવું કે બંને સ્ત્રીઓ સાધ્વી છે.

અરે બે સાધ્વીઓ ઇર્ષામુક્ત હોય છે ખરી? કૌશલ્યા અને કૈકેયી વચ્ચે પણ ઇર્ષામુક્ત સંબંધ ન હતો. દશરથ રાજાને સૌંદર્યવતી અને યુવાન કૈકેયી પ્રત્યે થોડોક વધારે અનુરાગ હતો, તેથી મહારાણી કૌશલ્યાને અસુખ રહેતું હતું. વાલ્મીકિ રામાયણમાં કૌશલ્યાની બેચેની પ્રગટ થઇ છે. ભીમ અને દુર્યોધન વચ્ચે ઇર્ષાભાવ હતો. એ જ રીતે અર્જુન અને કર્ણ વચ્ચે પણ ઇર્ષાભાવ હતો. હારેલી દુર્યોધનતા દ્રૌપદીના સ્વયંવર પછી તોફાને ચડી તેથી જુગારની રમતનું ષડ્યંત્ર રચાયું. સૌંદર્યવતી સ્ત્રી યુદ્ધની જનની બની શકે છે. કુબ્જા (ત્રિવક્રા)ને કારણે કદી યુદ્ધ ન થાય. ઇર્ષાને મહિ‌ના રહે પછી જ યુદ્ધ થતું હોય છે.

સીતા માટે વાલ્મીકિએ બે વિશેષણો પ્રયોજ્યાં છે: ૧. વરારોહા (શ્રેષ્ઠ નિતંબવાળી) અને ૨. તનુમધ્યમા (પાતળી કમરવાળી). સીતા જો અતિસુંદર સ્ત્રી ન હોત, તો એનું અપહરણ થયું હોત ખરું? જો અપહરણ ન થયું હોત, તો રામ-રાવણ યુદ્ધ થયું હોત ખરું? ના, ના, ના ઇર્ષાનું મનોવિજ્ઞાન સમજવામાં ત્રણ બાબતો યાદ રાખવી પડે:
૧. ઇર્ષા સરખે સરખા વચ્ચે પેદા થાય છે.
૨. ઇર્ષા અસામર્થ્યનું પરિણામ છે.
૩. ઇર્ષા મનુષ્યની અપર્યાપ્તતાનું બીજું નામ છે.
ઇર્ષામુક્તિની સાધના વિના જીવનનો આનંદ દૂર રહી જાય છે. જ્યાં ઇર્ષા છે, ત્યાં અતૃપ્તિ છે. જ્યાં અતૃપ્તિ હોય ત્યાં અસુખ હોવાનું જ જે માણસ તૃપ્ત નથી, તે પાસ-ટાઇમ માટે બીજે નજર દોડાવે છે. જે તૃપ્ત હોય તે બીજે નજર શા માટે દોડાવે? કૃષ્ણે ગીતામાં એક મૌલિક શબ્દ પ્રયોજ્યો છે: ‘આત્મતૃપ્ત.’ આત્માની જગ્યાએ સૌરાષ્ટ્રની (સુરાષ્ટ્રની)દિવ્યભૂમિ તરફથી એક તળપદો શબ્દ મળ્યો: ‘માંહ્યલો.’ જેનો માંહ્યલો રાજી રાજી, તે ના કરે તારાજી અન્યને એક કિલોગ્રામનું નુકસાન પહોંચાડવા માટે પોતાની જાતનું એક ટન નુકસાન વેઠવું જ પડે છે. ઇર્ષા માણસને ખૂબ મોંઘી પડે છે. ઇર્ષા એટલે અન્યને હાનિ પહોંચાડવા માટે આપવામાં આવેલું માનસિક બલિદાન હાથી પોતાની મસ્તીમાં ચાલ્યો જાય છે. પાછળ જે કૂતરાં ભસે તેમાં અદેખાઇનો ભાવ નથી હોતો.

શિયાળને સિંહની અદેખાઇ ન થાય, કારણ કે જ્યાં લઘુતાગ્રંથિ હોય, ત્યાં ઇર્ષા નથી હોતી. અદેખાઇ બે હરીફો વચ્ચે થતી હોય છે. તંદુરસ્ત હરીફાઇ થાય ત્યારે ઇર્ષાવૃત્તિ પણ પુરુષાર્થની અભિપ્રેરણા (એચીવમેંટ મોટિવેશન)માં ફેરવાઇ જતી હોય છે. કોકા કોલા અને પેપ્સી કોલા વચ્ચેની હરીફાઇમાં ક્યાંય અંગત રાગદ્વેષ નથી હોતો. આવી હરીફાઇ ભલે ચાલતી. સાહિ‌ત્યકારો, સંગીતકારો અને કલાકારોએ આ વાત મોટા ઉદ્યોગગૃહો પાસેથી સમજવા જેવી છે. હરીફાઇને તંદુરસ્ત રાખવી એ ઇર્ષાવૃત્તિને સખણી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જે સાચો સર્જક છે, તે ખાનગીમાં પોતાની જાત સાથે હરીફાઇ કરતો રહે છે. પોતાના આગલા સર્જન કરતાંય ચડિયાતું સર્જન કરવાની તમન્ના ન હોય, તેણે સર્જક હોવાનો ડોળ ન કરવો જોઇએ. સર્જકનો સ્થાયીભાવ હોય છે: ‘ધ બેસ્ટ ઇઝ યટ ટુ કમ.’

હલકી કક્ષાની ઇર્ષા કરનારો માણસ વાસ્તવમાં પોતાના અસામર્થ્યને જ પ્રગટ કરતો હોય છે. આત્મવિશ્વાસનો અભાવ ઇર્ષાનો પાલક પિતા ગણાય. ઇર્ષાનો જન્મ મનુષ્યની અપર્યાપ્તતાની કૂખે થતો હોય છે. ઇર્ષાવૃત્તિથી બચવાનો ઉત્તમ ઉપાય પોતાના પરાક્રમને અંદરથી વધારતાં રહેવાનો છે. તમારી ઇર્ષા થતી હોય, તો તમે નસીબદાર છો, બરખુરદાર આપણા પ્રત્યે થતી ઇર્ષાને રોકવાની જવાબદારી આપણી નથી. એને રોકવા માટે કૃત્રિમ નમ્રતા પ્રગટ કરવાની બિલકુલ જરૂર નથી. સફળતા પ્રાપ્ત કરનાર માણસે ઇર્ષારૂપી આવકવેરો ભરવો જ રહ્યો જેઓ ઇર્ષા કરે તેવા લોકોને મસ્કા મારવાની જરાય જરૂર નથી. જો તાકાત હોય, તો ઇષ્ર્યાળુ માણસોની દયા ખાવી રહી. વળી વધારે તાકાત હોય, તો આપણી ઇર્ષા કરવા માટે ચોવીસે કલાક તત્પર રહેતા બબૂચકોને ક્ષમા આપવી રહી. ક્ષમા આપવા માટે પ્રચંડ સામર્થ્યની જરૂર પડે છે.

વિચારવા જેવું છે કે ઇશ્વરે જે તમને આપ્યું છે તે તમારી ઇર્ષા કરનારને નથી આપ્યું. ક્ષમા આપવા જેટલી તાકાત ન હોય, તો તમારી પાછળ પડી ગયેલા લોકોની અવગણના કરવી. વિરાટ કોહલીની અદેખાઇ અન્ય કોઇ ક્રિકેટર કરે, તો અદેખાઇ કરનારની શાંતિ માટે વિરાટ કોહલી ઓછાં રન કરે ખરો? યાદ રાખવા જેવું છે કે ઇર્ષા કદી રેંજીપેંજી માણસોની થતી નથી. તમે રેંજીપેંજી ન હો, તો નસીબદાર છો. રેંજીપેંજી ન હોવું એ કોઇ ગુનો નથી.’
પાઘડીનો વળ છેડે
ઉદ્ધત વર્તન એટલે
નબળા માણસે કરેલી
તાકાતની નકલ
– એરિક હોફર

ઇર્ષામુક્તિની સાધના વિના જીવનનો આનંદ દૂર રહી જાય છે. જ્યાં ઇર્ષા છે, ત્યાં અતૃપ્તિ છે. જ્યાં અતૃપ્તિ હોય ત્યાં અસુખ હોવાનું જ જે માણસ તૃપ્ત નથી, તે પાસ-ટાઇમ માટે બીજે નજર દોડાવે છે. જે તૃપ્ત હોય તે બીજે નજર શા માટે દોડાવે? જેનો માંહ્યલો રાજી રાજી, તે ના કરે તારાજી ઇર્ષા માણસને ખૂબ મોંઘી પડે છે.

ગુણવંત શાહ