ભારતની યુનિવર્સિટીઓમાં ચેતનાની ખેતી! DIVYA BHASKER, 9-3-2015, CONVOCATION ADDRESS OF VNSGU

ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી.

સ્વરાજ મળ્યું પછી ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. એમના મંત્રાલયમાં ડો. કે. જી. સૈયદ્દીન નામના અત્યંત ઉમદા વિચારક સર્વોચ્ચ અધિકારી તરીકે સેવા અપી રહ્યા હતા. સદ્્ગત ડો. સૈયદ્દીને શિક્ષણ પર લખેલા એક પુસ્તકનું મથાળું છે: ‘The Faith of An Educationist.’ પુસ્તકમાં એક પ્રસંગ વર્ષો પહેલાં મારા વાંચવામાં આવ્યો હતો તે મને હજી યાદ છે. ડો. સૈયદ્દીન એમના કોઇ મિત્ર સાથે ચાલવા નીકળ્યા. એ મિત્રને શિક્ષણ સાથે કોઇ લેવાદેવા ન હતી. ડો. સૈયદ્દીને એ મિત્રને પ્રશ્ન પૂછ્યો: ‘માણસ શિક્ષિત ક્યારે ગણાય?’ આવા ગહન પ્રશ્નનો મિત્રે જે જવાબ આપ્યો તે સૈયદ્દીન સાહેબના હૃદયને સ્પર્શી ગયો. મિત્રે કહ્યું: ‘કોઇ માણસ ‘શિક્ષિત’ છે કે નહીં તે જાણવા માટે ત્રણ પ્રશ્નો પૂછવા પડે.’

1. એ કોઇ વિચારને માણી શકે છે?
2. એ બીજા માણસને માણી શકે છે?
3. એ પોતાની જાતને માણી શકે છે?
આ ત્રણ પ્રશ્નોના જવાબમાં ‘શિક્ષણ’ નામની દિવ્ય ઘટનાનો મર્મ છુપાયો છે.
કોઇ નવા વિચારનો આવિર્ભાવ જો માણસને ઝંકૃત ન કરી શકે, તો તેને શિક્ષિત કહેવાનું યોગ્ય ખરું? જર્મન કવિ ગોથેએ જ્યારે મહાકવિ કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચ્યું ત્યારે એમાં એક એવું વિધાન હતું, જે વાંચીને ગોથે શાકુંતલ માથે મૂકીને નાચવા લાગ્યો હતો. એ વિધાન હતું: ‘એ માતાપિતાને ધન્ય છે, જેમનાં શરીર બાળકનાં અંગો સાથે વળગેલી ધૂળથી મેલાં થાય છે. (ધન્યાસ્તદંગરજસા મલિની ભવન્તિ).’ મને ઝંકૃત કરી ગયેલું એક વિધાન મોહંમદ પયગંબરનું છે. તેઓ કહે છે:
વિદ્વાન માણસની શાહી (ink)
તો શહીદના લોહી કરતાંય
અધિક પવિત્ર છે.

અહીં ઉપસ્થિત એવા સર્વ યુવાનોને વિચારમાં નાખી દે તેવું એક વિધાન રજૂ કરું? ‘આર્યસપ્તશતી’માં ગોવર્ધનાચાર્યજીએ એક શ્લોકમાં કહ્યું છે: ‘ધનસંપત્તિ તો ગણિકા જેવી છે. એ અતિશય આનંદ આપે, પરંતુ ઓળખાણ જરાય ન રાખે! સરસ્વતી તો કુલવધૂ જેવી છે, જે જન્મજન્માંતરે પણ આપણો સાથ ન છોડે.’ માણસ ‘શિક્ષિત’ છે એની બીજી નિશાની કઇ? જે મનુષ્યના હૃદયમાં કોઇ અજાણી વ્યક્તિનો સ્વીકાર નથી તે ‘અશિક્ષિત’ ગણાય. રવીન્દ્રનાથ ટાગોરનું વિધાન છે: ‘There are no strangers in the world, they are friends who never met before.’ આવું સર્વાશ્લેષી વલણ ક્યારે પ્રગટ થાય? જવાબમાં મારું એક ગદ્યકાવ્ય પ્રસ્તુત છે:

પોતાને પ્રાપ્ત થયેલા રોટલામાંથી
માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને
આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે,
ત્યારે સમગ્ર માનવતા સુગંધમય બને છે.

માણસ શિક્ષિત છે એની ત્રીજ નિશાની કઇ? એ નિશાનીનો સંબંધ આપણી ભીતર પડેલી ચેતના સાથે રહેલો છે. તમે પોતાની જાતથી કંટાળી ગયેલા માણસને મળ્યા છો? આસપાસ નજર નાખશો તો એવા ઘણા માણસો મળી આવશે જેઓ ‘કટી પતંગ’ની માફક પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. તેઓ પોતાના એકાંતથી ખૂબ જ ડરતા હોય છે. રાતે ટીવીના પડદા પર જે કાંઇ પીરસાય તે તેઓ લાચારીપૂર્વક જોયા કરે છે. એમણે એક યા બીજી રીતે વખત મારવો પડે છે. શું વખત એ મારવાની ચીજ છે? એકલતા (loneliness) માણસને પજવે છે, પરંતુ એકાંત (aloneness) તો બહુ ઊંચી બાબત છે. બંને વચ્ચે આભ-જમીનનું અંતર છે. હેન્રી ડેવિડ થોરોએ એકાંતને ‘પરમ મિત્ર’ તરીકે ઓળખાવ્યું હતું.

વર્ષો પહેલાં રેડિયો પાકિસ્તાન પર એક વાક્ય સાંભળવા મળેલું: ‘આદમી જિતની બુલંદી પર પહૂંચતા હૈ, ઉતના હી તન્હા હો જાતા હૈ.’ ઘણાખરા માણસો એકાંતથી ડરે કેમ છે? કારણ કે તેઓ પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. આવી દુર્ઘટના માટે કાર્લ માર્ક્સે એક શબ્દ પ્રયોજ્યો હતો: ‘Alienation.’ એલિયનેશન એટલે સંબંધવિચ્છેદ. રાતે ટીવી પર જોવા મળતી ભંગાર સિરિયલ પણ લોકો કેવળ ‘વખત મારવા’ માટે રોજ જોતા રહે છે. બીજું કરવું પણ શું? આવી લાચારી ‘અશિક્ષિત’ હોવાની સબળ નિશાની છે. તમે ખીલે બંધાયેલી ગાયની આંખો ધારી ધારીને જોજો. એ આંખોમાં તમને મૂર્તિમંત મજબૂરી જોવા મળશે. ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી. વર્ષો પહેલાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ શિક્ષણને ‘ચેતનાની ખેતી’ તરીકે પ્રમાણેલું. ચેતનાની ખેતી એટલે શું? ચેતનાની ખેતી એટલે તમારી ભીતર પડેલી શક્યતાની ખેતી! સાંભળો:

તમે માણસ છો અને
માણસનું સર્જન કરતી વખતે
ઇશ્વર જે દ્રવ્ય વાપરે છે
તેનું નામ શક્યતા છે.
હે યુવાન મિત્રો!
તમે કશીક એવી શક્યતા લઇને
જન્મ્યા છો, જે અન્ય પાસે હોય
તેના કરતાં સાવ નોખી-અનોખી છે.
તમે થોડીક મથામણ કરો ત્યારે
તમને પ્રાપ્ત થયેલી
એ ખાસ શક્યતાના અણસારા
ખાનગી રીતે તમને મળવા લાગે છે.
એક વાર તમને એ દિવ્ય અણસારા
પ્રાપ્ત થાય પછી દુનિયાની કોઇ તાકાત
તમને શક્યતાના વિશાળ આકાશમાં
પાંખો ફફડાવતા રોકી નહીં શકે.
મિત્રો અને સ્વજનો તમને
ઉડ્ડયન કરતા જોશે ત્યારે
આશ્ચર્યમાં પડી જશે કે વિરોધ પણ કરશે.
જો તમે કેવળ તમને મળેલા અણસારાને જ
વફાદાર રહેશો, તો
બાકીનું કામ ઇશ્વર સંભાળી લેશે.

[આદરણીય રાજ્યપાલશ્રી ઓમ પ્રકાશ કોહલિજીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં યોજાયેલા 46મા પદવીદાન સમારંભમાં આપેલા દીક્ષાંત પ્રવચનનો પૂર્વાર્ધ. તા. 26-2-2015 ઉત્તરાર્ધ આવતા રવિવારે.]

પાઘડીનો વળ છેડે

લગભગ પચીસ વર્ષ પહેલાં આ યુનિવર્સિટીનું કેમ્પસ વિશાળ ખેતર પર બંધાયેલી થોડીક ઇમારતોનું બનેલું હતું. એ ખેતર પર થોડાક દિવસો માટે સારસ યુગલ રહેવા આવી ચડ્યું હતું. સારસીએ ઇંડાં મૂ ક્યાં ત્યારે નર સારસ આસપાસ ફરીને સુરક્ષા કરતો રહ્યો. એક યુવાને મોટા કદનાં ઇંડાંનો ફોટોગ્રાફ મને હોંશભેર બતાવ્યો હતો. ક્યારેક વર્ગમાં ભણાવતી વખતે ટિટોડીનો લયલ્હેરિયો સ્વર કાને પડતો ત્યારે પ્રવચન અટકાવી દઇને હું અને મારા પ્રિય વિદ્યાર્થીઓ બે-ત્રણ મિનિટ માટે એ સ્વરને કાને દઇને સાંભળવાનું રાખતા. કાર હતી તોય ઘરે પાછા જતી વખતે હું વારંવાર ઉધના-મગદલ્લા રોડ પર ચાલીને જવાનું રાખતો. વસંત આવે ત્યારે રસ્તાની ડાબી બાજુએ થોડેક દૂર આવેલો કેસૂડો (કિંશુક) રંગદર્શી બની જતો. આજે જરૂર એ જગ્યાએ કોઇ હાઉસિંગ સોસાયટીનાં મકાનો ચણાયાં હશે. (દીક્ષાંત પ્રવચનના પ્રારંભે આવી નોસ્ટેલ્જિક સ્મૃતિ તાજી કરી હતી)

GUNVANT SHAH’S BIRTHDAY. INTERVIEW WITH DIVYA BHASKER, BY ESHA DADAWALA

 

‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’

 

એ લખે છે ત્યારે એમની કલમને શબ્દોની સાથે ટહુકા ઊગે છે. એ બોલવા ઊભા થાય છે ત્યારે માઇક ગેલમાં આવી જાય છે. એ વિચારે છે ત્યારે એક નવું જ ચિંતન જન્મ લે છે. એમને એટેક આવ્યો અને એ સર્વાઇવ થયા ત્યારે સુરેશ દલાલે કહેલું, ‘ગુણવંત નહીં, આપણે બચી ગયા છીએ..!’ માની જેમ જ એ ભાષાની કાળજી લે છે. ‘માતૃભાષા વંદના યાત્રા’-સાથે એ ગુજરાતભરમાં ફરીવળે છે. તેમના પડખામાં ગુજરાતી ભાષા સલામતી અનુભવે છે. જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ આજે 78 વર્ષના થશે. એમના જન્મદિવસ નિમિત્તે એમણે એષા દાદાવાળા સાથે ખાસ વાત કરી હતી.તમે રાંદેરમાં જન્મ્યા, વડોદરા રહો છો. રાંદેર યાદ આવે?

ગુણવંત શાહ: એક પ્રસંગ મને યાદ આવે છે. રાંદેરમાં અાસિમ રાંદેરી કરીને જાણીતા શાયર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે સાનહોઝેમાં પહેલીવાર આસિમચાચાને મળ્યો. 98 વર્ષની ઉંમરે એમણે થ્રી-પીસ સૂટ પહેરેલો. એ ઉંમરને ખાઇ ગયા હતા. એમણે એક વાક્ય કહ્યું, જે હું ભૂલી શકું એમ નથી. એમણે કહ્યું, ‘જીવનમાં-યુવાનીમાં કેટલા ઘા પડ્યા હશે ત્યારે આજે આટલી ઉંમરે પણ મને લીલા કાવ્યો સૂઝે છે..!’ ચં.ચી. મહેતાના કાવ્યો ‘ઇલા કાવ્યો’ તરીકે ઓળખાતા જ્યારે આસિમચાચાના કાવ્યો ‘લીલા કાવ્યો’ કહેવાતા. વર્ષો પછી હું આસિમચાચાને મારા મિત્ર રમણ પટેલ સાથે રાંદેરમાં એમના ઘરે મળવા ગયેલો. ત્યારે એ 103 વર્ષના હતા. બસ, એમની સાથેની આ મારી છેલ્લી મુલાકાત. આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને રાંદરે ખૂબ તીવ્રતાથી યાદ આવે છે.

સાહિત્ય જગતમાં ખૂબ ઇર્ષ્યા જોવા મળે છે, તમને ઈર્ષ્યા થાય?
(હસી પડે છે અને હસતાં હસતાં જ કહે છે) હું સંપુર્ણપણે ઇર્ષ્યા મુક્ત નથી જ અને આ મારી કબૂલાત છે. (એ ફરી હસે છે, પૂછે છે સાચું કહું?) મને એક જ માણસની અદેખાઇ આવે-જેને મોટી ઉંમરે પણ ડાયાબિટીસ ન થયો હોય..

હાર્ટએટેક પછીનો તમારો સ્થાયીભાવ શો છે?
પ્રત્યેક ધનવંત, પ્રત્યેક યશવંત, પ્રત્યેક ગુણવંત આખરે તો નાશવંત છે..!! ઇફ યુ રિમેમ્બર ધીસ. યુ બીકમ અ ફિલોસોફર. તમે એટલા ઉંચે જાવ છો કે આ બધું ખરી પડે છે. અને મારું ખરી પડ્યું છે..હું જાણું છું કે કાલે પતી જવાનાે છું. ટુ મોરો આઇ વીલ નોટ બી ધેર. આઇ વીલ બી ધેર-થ્રુ માય લીટરેચર, થ્રુ માય કન્ટ્રીબ્યુશન, થ્રુ માય ક્રિએશન. કોઇ કાર્ડિયોગ્રામ વાંચશે-કોઇ ગીતા ભાષ્ય તો કોઇ મહાભારત ભાષ્ય વાંચશે. હું એમ કરીને જીવવાનો જ છું. તો મારે આમાં પડવાની શું જરૂર? આ મારો સ્થાયી ભાવ.

પદ્મશ્રી એવોર્ડ વિજેતા સાહિત્યકાર અને ચિંતક ગુણવંત શાહનો INTERVIEW DIVYA BHASKER, 30-1-2015

વડોદરા: ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ચિંતક ગુણવંત શાહે સાહિત્ય ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મને એવોર્ડ મળે તેની ક્યારેય રાહ જોઇ ન હતી. પરંતું મને પદ્મશ્રી એવોર્ડની થયેલી જાહેરાતથી હું અને મારું પરિવાર ખૂશ છે. દિવ્ય ભાસ્કર વેબસાઇટ સાથે તેમણે કરેલી વાતચિત અત્રે પ્રસ્તુત છે.

આપણે એવોર્ડ માટે પ્રતિક્ષા કરવી પડી હોય તેમ લાગે છે?

ગુણવંત શાહ: બીલકુલ નહીં. મેં એવોર્ડની રાહ ક્યારેય જોઇ નથી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી એવી અફવા કાને અથડાતી હતી કે, આ વખતે ગુણવંતભાઇને એવોર્ડ મળશે, આ વખતે અફવા સાચી પડી.

સમાજ ઘડતરમાં લેખકો અને કટાર લેખકોની ભૂમિકા શું હોવી જોઇએ?

ગુણવંત શાહ: જે લેખક પોતે જે માનતો હોય તેને દબાવીને કશુંક લખે તે સમાજનો દ્રોહ કરે છે, તેને સમાજ વિશે લખવાનું બંધ કરી દેવું જોઇએ.

આગળ ક્લિક કરો અને વાંચો તેમની સાથે થયેલી વાતચીતના વધુ અંશો….

(તમામ તસવીરો: જીતુ પંડ્યા, વડોદરા)

વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવાય તેની સરદારને ખબર હતી. DIVYA BHASKER, 15-2-2015 SURAT

વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવાય તેની સરદારને ખબર હતી
પદ્મશ્રી ગુણવંત શાહ અને મોરારીબાપુનું વક્તવ્ય યોજાયું

સુરત: ઉત્તમચંદ શાહ સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત પદ્મશ્રી ગુણવંત શાહ અને મોરારીબાપુનું ‘સરદાર એટલે સરદાર એટલે સરદાર’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. ઓડિટોરિયમમાં પગ મૂકી ન શકાય એટલા ખીચોખીચ ઓડિયન્સ વચ્ચે પદ્મશ્રી ગુણવંત શાહ અને મોરારી બાપુએ સરદાર વિશે વાત માંડી. વાંચો, પદ્મશ્રી ગુણવંત શાહ અને બાપુના વક્તવવ્યના અંશ. સરદાર વલ્લભભાઇ પટેલના પાંચ ‘વ’ની ખૂબી મોરારી બાપુએ વર્ણવી હતી. સરદારને સારી રીતે ખબર હતી કે વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવાઇ.

ત્રણ પદ્મશ્રી એવોર્ડ મેેળવનારા જન્મ્યા એ ફળિયું મારા ગામની પાસેનું ‘પારેખ ફળિયું’
આજે હું એકદમ મૂડમાં ગયો છું. મને સરદાર આવ્યા છે. મિત્રો-આ પદ્મશ્રી- વાળું ભૂલી જાવ. મારે એક ખાનગી વાત કહેવી છે. એકદમ ખાનગી. બે નોબલ પારિતોષિક વિજેતાઓ એક જ ફળિયામાં હોય એવું શાંતિનિકેતનમાં બન્યું. રવીન્દ્ર નાથ ટાગોરના ઘરની પાસે અમર્ત્યસેનનું ઘર છે. બે નોબલ પારિતોષિક વિજેતાઓના ઘર વચ્ચે પસાસ મીટરનું પણ અંતર નથી. હવે જે વિરલ ઘટનાની વાત કરું છું એ તમને હર્ષ પમાડે એવી ઘટના છે. ભારતમાં એકમાત્ર ફળિયું એવું છે, જે ફળિયામાં પચ્ચીસ મીટરે ત્રણ પદ્મશ્રી એવોર્ડ મેેળવનારા જન્મ્યા અને જીવ્યા. એ ફળિયું મારા ગામની પાસેનું ‘પારેખ ફળિયું’ ! એક હસમુખ પારેખ આઇસીઆઇસીના ચેરમેન, બીજા િદપક પારેખ અને ત્રીજો હું. અમે બધા પારેખ ફળિયાનાં.
***
તમને જાણીને નવાઇ લાગશે કે સરદારના પ્રીિત-પાત્ર માણસો સરદારને હંમેશા સરદાર સાહેબ કહેતા. સરદારનું સૌજન્ય-ખરબચડું સૌજન્ય છે. પાટીદારને શોભે એવું. પાટીદાર પટેલ સત્ય બોલે તો પણ ખરબચડું લાગે. બારડોલીનો સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે કોઇ ગામમાં ડેપ્યુટી કલેક્ટર જવાનો હતો. સરદારે ષડયંત્ર કર્યું, મધુર ષડયંત્ર. એમણે એવું ગોઠવ્યું કે, બારડોલી સ્વરાજ આશ્રમમાંથી ખાદીની સાડીઓની થપ્પીની થપ્પી કોઇ ગામમાં પહોંચી જાય અને બધી જ પટલાણીઓ ખાદીની સાડી પહેરેલી જોવા મળે. આ સરદારનું ષડયંત્ર. ઉત્તમચંદ શાહ સાડીઓની થપ્પી લઇને ગયા. એમણે બધી પટલાણીઓને એક-એક સાડી પધરાવી દીધી. ઉત્તમચંદભાઇએ કામ પૂરું કર્યું અને રાત્રે સ્વરાજ આશ્રમમાં પાછા ફર્યા. સરદાર ત્યાં જ હતા. એમણે નમ્રતા પૂર્વક થોડું ગભરાઇને સરદારને વાતવાતમાં કહ્યું, ‘સરદાર સાહેબ, આપણે આ સાડીવાળું કર્યું. એ બાપુજીને નહીં ગમે કદાચ!’ હવે જુઓ સરદારનું ખરબચડું સૌજન્ય. સરદારે જવાબ આપ્યો. ‘ઉત્તમચંદ, બાપુની અહિંસાને આપણે નહીં પહોંચી શકીએ. આપણે આપણને પચે એટલી અહિંસા પાળવી !’
Email

GUNVANT SHAH WITH NARENDRA MODI ON 7-3-2014, AHMEDABAD

 

 

 

GUNVANT SHAH WITH NARENDRA MODI AND SRI SRI RAVISHANKARG

 

GUNVANT SHAH IN A FUNCTION  FOR A BOOK LAUNCH IN GUJARAT UNIVERSITY CONVENTION HALL ON 7-3-2014. THE FUNCTION WAS GRACED BY SRI SRI RAVISHANKAR.

THE BOOK ENTITLED ‘ SAKSHIBHAVA’ WRITTEN BY NARENDRA MODI IN THE FORM OF DIARY THAT HE HAD WRITTEN IN 1986, WHEN HE WAS NOT IN POLITICS.

MR NARENDRA MODI POURING WATER IN A GLASS HELD BY PROFESSOR GUNVANT SHAH.

WHO SAYS MODI IS AN EGOIST LEADER?

IN HIS LECTURE GUNVANT SHAH SAID: ” MR. NARENDRA MODI IS AT HIS BEST WHEN HE IS ATTACTED BY SOMEBODY. YES HE IS BEING ATTACTED EVERYDAY AND THAT IS WHY HE IS AT HIS BEST EVERYDAY”.

THIS STATEMENT WAS RECEIVED BY A VERY WIDE APPLAUSE.