શૃંગાર રસનો અસ્વીકાર એટલે જ આતંકવાદનો સ્વીકાર! DIVYA BHASKER, 26-1-2015

જ્યાં સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યની બોલબાલા હોય ત્યાં કવિ કાલિદાસની કલ્પના-નગરી અલકાપુરી સર્જાય છે. જ્યાં અલકાપુરી હોય ત્યાં આતંકવાદ નહીં હોય. ત્યાં વિરહ સિવાયની કોઇ વેદના નહીં હોય.
વસંતના વાવડ મળી ચૂક્યા છે. ગઇકાલે વસંતપંચમી હતી. વસંતઋતુ શંૃગારપ્રિયા છે. શંૃગાર રસ એટલે ત્રણ શબ્દોનો સંગીતમય સરવાળો: સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય. આ ત્રણ શબ્દોની પ્રતિષ્ઠા ન હોય તેવો સમાજ કેવો હોય? એ સમાજમાં કરુણાને બદલે ક્રૂરતાનું અને અહિંસાને બદલે હિંસાનું ચલણ હોય. આવો વિચાર મને કેમ આવ્યો?
ટીવી પર એક એવું દુ:ખદ દૃશ્ય જોયું કે ખાવાનું ન ભાવે. ઇરાકમાં ક્યાંક ISISના સેતાનો સાંકળે બાંધેલી સ્ત્રીઓ પર કોરડા વીંઝી રહ્યા છે. સ્ત્રીઓ લાચાર છે અને એમની પાસે હીબકાં ભરવા સિવાયની બીજી કોઇ સ્વતંત્રતા બચી ન હતી. એમની હરાજી બોલાતી હતી. જે સ્ત્રી આનાકાની કરે તે ગોળીથી વીંધાય જાય! એ લાચાર સ્ત્રીઓમાં એક પણ સ્ત્રી કદરૂપી ન હતી અને એક પણ સ્ત્રી કાળી ન હતી. એ બધી યુવતીઓનો મૂળભૂત માનવીય અધિકાર શું હતો? મારો જવાબ છે: ‘હુસ્ન.’ એ કમનસીબ સ્ત્રીઓને હુસ્નને બદલે હીબકાં મળ્યાં!

શૃંગાર રસનો અસ્વીકાર એટલે જ આતંકવાદનો સ્વીકાર! વસંતની સવારે માણસની પ્રાર્થના કેવી હોય? સાંભળો:
હે પ્રભુ!
મારો સ્માર્ટ ફોન સારું કામ આપે છે.
મારું ઇન્ટરનેટ મને દુનિયા સાથે જોડી આપે છે.
મારી બાઇક જ્યાં જવું હોય ત્યાં મને લઇ જાય છે.
બસ, એક જ વાતની ખોટ છે.
મારા મનને તૃપ્તિ નથી.
તું મને તૃપ્તિ આપજે.

વસંતની સવારે પ્રાર્થના કરવી ન પડે. પક્ષીઓ જે કલરવ કરે તે પણ પ્રાર્થનાના કુળનો હોય છે. કલરવ અટકી જાય પછી જે પ્રાર્થના થઇ જાય તે પક્ષીની નહીં, માણસની હોય છે. અધ્યાત્મ-રામાયણમાં નારદજી રામને કહે છે: ‘હે પ્રભુ! માયા તો આપની ગૃહિણી છે (સા માયા ગૃહિણી તવ)’ જો માયા ગૃહિણી હોય તો એનું પ્રેમમય સ્વરૂપ શંૃગાર દ્વારા વસંતમાં પ્રગટ થતું જણાય છે. જો મનુષ્ય રામની ગૃહિણીને લીલાભાવે નીરખવાનું રાખે તો કાલે રામ સુધી પહોંચે એ શક્ય છે. કવિ તે છે, જે ગૃહિણીનો અનાદર કર્યા વગર રામનું સ્મરણ કરે છે. આ સૃષ્ટિ માયાસ્વરૂપા અને લીલાસ્વરૂપા છે. એ લીલા સ્વભાવે ત્રિગુણાત્મિકા (સત્ત્વ, રજ અને તમ) છે. જે મિથ્યા હોય તેમાંથી પસાર થઇ જવામાં કવિને કોણ પહોંચે? રિલ્કે તેથી કહે છે: ‘Poetry is existence. કવિતા એ જ અસ્તિત્વ છે.’ પંખીઓના કલરવ સાથે પાડોશીના ઘરમાં થતા તીખા ઝઘડાનો ઘોંઘાટ પણ કવિને માન્ય છે. કવિ કેવળ વસંતનો જ આશક નથી હોતો. એ તો પાનખરને પણ એટલો જ પ્રેમ કરે છે. જે માણસ પ્રેમનો પરચો નથી પામ્યો, તે કવિતા રચવાનો વ્યાયામ કરે તોય અકવિ જ હોવાનો!

વસંતની સવારે માણસે થોડાક પ્રશ્નો પૂછવા રહ્યા! (1) નજીકમાં નજીક આવેલું વૃક્ષ મારાથી કેટલું દૂર છે? (2) નજીકમાં નજીક ઊગેલું પુષ્પ મારાથી કેટલું દૂર છે? (3) નજીકમાં નજીક રહેતો કવિ મારાથી કેટલો દૂર છે? (4) પ્રિયજનના હૃદયથી મારું હૃદય કેટલું દૂર છે? આ ચારે પ્રશ્નોના જવાબ સુંદર મળે, તો માનવું કે વસંતનું આગમન સાર્થક થયું છે. આપણું જીવન આખરે કેટલા કલાકોનું બનેલું છે? માણસ 100 વર્ષ જીવે તો 8,76000 કલાકનું આયુષ્ય ગણાય. આટલા કલાકોમાંથી ‘જીવતા’ કલાક કેટલા? ‘જીવતો કલાક’ એટલે એવો કલાક જેની પ્રત્યેક ક્ષણ મનગમતી અને થનગનતી હોય. મનગમતી ક્ષણ એટલે ઉત્કટ પ્રેમથી ભીની બનેલી ક્ષણ અને થનગનતી ક્ષણ એટલે પ્રિયજન સાથે ગાળેલી અલૌકિક ક્ષણ. જ્યાં પ્રેમ હોય ત્યાં છેતરપિંડી ન હોય. જ્યાં જાત સાથેની દોસ્તી હોય ત્યાં છેતરપિંડી ન હોય. ‘જીવતો કલાક’ એટલે છેતરપિંડીથી મુક્ત એવો દિવ્ય કલાક. એ દિવ્ય કલાક જીવનમાં એકાદ વાર મળે તોય બેડો પાર!

આપણું કોણ સાંભળે? કોઇ ઓડિટોરિયમમાં યોજાતો શાસ્ત્રીય કે સુગમ સંગીતનો કાર્યક્રમ પણ વિશ્વશાંતિની દિશામાં ભરાયેલું એક ડગલું છે. એ જ રીતે નૃત્યનો, હાસ્યનો, નાટકનો, કથાશ્રવણનો અને ફિલ્મનો શો પણ વિશ્વશાંતિને પોષક એવો કાર્યક્રમ ગણાય. જ્યાં જ્યાં સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યની બોલબાલા હોય ત્યાં કવિ કાલિદાસની કલ્પના-નગરી અલકાપુરી સર્જાય છે. જ્યાં અલકાપુરી હોય ત્યાં આતંકવાદ નહીં હોય. ત્યાં વિરહ સિવાયની બીજી કોઇ વેદના નહીં હોય. મારું ચાલે તો ઇરાક-સિરિયા-અફઘાનિસ્તાનમાં હુસ્નનાં સ્પંદનો વિમાન ભરીને મોકલી આપું. શુષ્કતા તો ક્રૂરતાની જ સગી માસી છે. ધર્મ જેવી દિવ્ય ઘટનાને શુષ્ક ન બનાવશો. આભાર શ્રીમદ્ વલ્લભાચાર્યનો, જેમણે ભક્તિને રંગદર્શિતાની દીક્ષા આપી. કૃષ્ણ ગોપીવલ્લભ છે.

કેટલાય દિવસોથી મારા આંગણામાં લગભગ રોજ એક વસંતમય ઘટના મળે છે. નાના વૃક્ષની ડાળીએ મારા હીંચકાથી થોડેક છેટે અમે માટીનું વાસણ લટકાવ્યું છે. એ ખુલ્લા માટલામાંથી પાણી પીવા માટે રોજ સવારે એક કોયલ આવી પહોંચે છે. જે સવારે કોયલ ન આવે ત્યારે અમે કહીએ છીએ: ‘આજે કોયલ ન આવી!’ કોયલના મધુર ટહુકા એ જ વિશ્વશાંતિની આશા છે. વિરહને કારણે કોઇ મુગ્ધાની આંખમાંથી સરી પડેલાં અશ્રુબિંદુ, એ જ યુદ્ધવિહીન પૃથ્વીની આશા છે. કહેવાતા બ્રહ્મચર્યને નામે શુષ્કતા કેળવાય તેવો ધર્મ લોકોને પહોંચાડશો નહીં. જેમને ફાવતું હોય તે ભલે બ્રહ્મચર્ય પાળે. કોઇ એમને રોકવા નવરું નથી. સમાજને ખરી જરૂર છે વસંતચર્યની!

વસંતની સાંજ પણ ઓછી મનમોહક નથી હોતી. સૂર્ય આથમી જાય પછી અજવાળું ધીરે ધીરે સ્વમાનભેર વિદાય થાય છે. અજવાળાને વિદાય થતું અને અંધારાને પથરાતું નીરખવું એ પણ એક આધ્યાત્મિક અનુભૂતિ છે. એ અનુભૂતિમાં મૃત્યુના અભિવાદનનું સૌંદર્ય પડેલું છે. અંધકારના ઉપકારો અનંત છે. અજવાળું સાકાર અને સગુણ ભક્તિના પાઠ ભણાવે છે. અંધારું નિરાકાર અને નિર્ગુણની સાધના માટે ઉપકારક છે. અંધારું ઊંઘ માટેનું ઔષધ છે. જે મનુષ્ય અંધારાને સાક્ષીભાવે જુએ છે તે સાધક છે. જે મનુષ્ય અજવાળામાં લીલાભાવે જીવે તે સાધુ છે.

પારિજાતનાં પુષ્પો પવનની સંગાથે ટપ ટપ ખરતાં રહે છે. ક્યારેક સંબંધો પણ એ જ રીતે ખરતા રહે છે. સંબંધોના સરોવરમાં સ્નાન કરવું એ વૈભવ છે. અંધારિયા એકાંતને ઓવારે એકલા હોવું એ વૈરાગ્ય છે. વૈભવ અને વૈરાગ્ય વચ્ચે બાપેમાર્યાં વેર નથી. શંૃગાર અને સાધના વચ્ચે કોઇ શત્રુતા નથી. વસંત સાથે શંૃગાર જોડાયો છે, પરંતુ શંૃગારની દિશા વૈરાગ્યમૂલક પાનખર ભણીની છે. આ વાત ખરેખર સમજનારો કવિ હતો ભર્તૃહરિ! એણે કહ્યું: ‘બે જ બાબતો જીવનમાં મહત્ત્વની છે: યૌવન અથવા વન (યૌવનં વા વનં).’ કોઇ કવિ જ ગાઇ શકે:
કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા!

પાઘડીનો વળ છેડે
અભિમાનપૂર્વક
કોઇને પ્રેમ કરવા કરતાં તો
જેને પ્રેમ કરીએ તેની આગળ
અભિમાન ગુમાવવું સારું!
– ચીનની કહેવત

સાંજ ઢલે ગગન તલે હમ કિતને એકાકી DIVYA BHASKER, 23-2-2014

વસંતની સવાર નથી શીતળ હોતી અને નથી ઉષ્ણ હોતી. એવી સમશીતોષ્ણ સવાર માનવીના મનમાં સમત્વ જગાડે ત્યારે ગીતાનું વિધાન સાર્થક થાય એ શક્ય છે: ‘સમત્વં યોગ ઉચ્યતે.’ આવું બને ત્યારે એક ચમત્કાર થાય છે. એ સવારે એકાદ કલાક એવો જામી જાય કે વસંતમાંથી ‘વ’ નીકળી જાય. કહેવાતા સામાન્ય માણસને પણ એકાદ કલાક માટે સંત બની ગયાની અનુભૂતિ પામવાનો અધિકાર છે. આજના સામાન્ય માણસની પ્રાર્થના વાસંતી સવારે કેવી હોય? એવે વખતે પ્રાર્થના કરવી નથી પડતી કારણ કે પક્ષીઓ જે કલરવ કરે તે પ્રાર્થનાના કુળનો હોય છે. કલરવ બંધ થાય પછી જે પ્રાર્થના થઇ જાય તેમાં માણસ કહે છે:

હે પ્રભુ
મારો મોબાઇલ ફોન મને સગવડ આપે છે.
મારું ઇન્ટરનેટ મને દુનિયા સાથે જોડી આપે છે.
મારું વાહન મને જ્યાં જવું હોય ત્યાં લઇ જાય છે.
બસ, એક જ વાતની કમી છે:
મારા મનને શાંતિ નથી.
જગતમાં ઘણા ધર્મો છે અને અસંખ્ય પંથો તથા પેટાપંથો છે. જ્ઞાતિ-પેટાજ્ઞાતિ અને પેટા-પેટા-જ્ઞાતિઓનો તો પાર નથી.

ખરેખર તો સમગ્ર માનવજાત માત્ર બે જ વિભાગોમાં વહેંચાયેલી છે: કેટલાક જીવી ખાય છે અને કેટલાક જીવી જાય છે. જીવી જનારાઓ કાયમ લઘુમતીમાં જ હોય છે. વિચારપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અને મિજાજપૂર્વક જીવનાર મનુષ્ય ૧૦૦માંથી માંડ એક હોય તો હોય એવા માણસની તો ફરિયાદ પણ પ્રાર્થના સાંજ ઢલે ગગન તલે, હમ કિતને એકાકીજીવન કેટલાક કલાકોનું બનેલું છે. માણસ જો ૧૦૦ વર્ષ જીવે તો તેનું આયુષ્ય લગભગ ૮,૭૬૦૦૦ કલાકોનું ગણાય. આટલા બધા કલાકોમાંથી ‘જીવતા’ કલાકો કેટલા? જીવતો કલાક એટલે એવો કલાક, જેમાં પ્રત્યેક ક્ષણ મનગમતી અને થનગનતી હોય. મનગમતી ક્ષણ એટલે પ્રેમની ભીની ભીની અનુભૂતિથી લથપથ એવી દીપ્તિમાન ક્ષણ.

થનગનતી ક્ષણ એટલે જાત સાથેની દોસ્તીથી અધ્ધરતાની અનુભૂતિ કરાવતી દિવ્ય ક્ષણ. જ્યાં પ્રેમ હોય ત્યાં અન્ય સાથે થતી છેતરપિંડી નહીં હોય. જ્યાં જાત સાથેની મૈત્રી હોય ત્યાં પોતાની સાથે થતી છેતરપિંડી પણ ન હોય. ‘જીવતો કલાક’ એટલે આવી બંને પ્રકારની છેતરપિંડીથી અનાયાસ પ્રાપ્ત થયેલો દિવ્ય કલાક. વસંતની સવારે આવો એક કલાક પામવો એ આપણા જેવા સામાન્ય મનુષ્યનો પ્રેમસિદ્ધ અને આનંદસિદ્ધ અધિકાર છે.અધ્યાત્મ-રામાયણમાં નારદ રામને કહે છે: ‘હે પ્રભુ માયા તો આપની ગૃહિ‌ણી છે (સા માયા ગૃહિ‌ણી તવ)’. જો માયા ગૃહિ‌ણી હોય, તો એનું પ્રેમમય અને શંૃગારમય એવું રમણીય સ્વરૂપ વસંતમાં પ્રગટ થતું દીસે છે.

જે મનુષ્ય રામની ગૃહિ‌ણીને લીલાભાવે જોવાનું રાખે તે કાલે નહીં તો પરમ દિવસે રામ સુધી પહોંચે એ શક્ય છે. કવિ એવો મનુષ્ય છે, જે ગૃહિ‌ણીનો અનાદર કર્યા વગર રામનું સ્મરણ કરે છે. આ સૃષ્ટિ આખરે તો માયાસ્વરૂપા, લીલાસ્વરૂપા અને ત્રિગુણાત્મિકા એવી ગૃહિ‌ણી છે. એ મિથ્યા હોય તોય માનવીય છે. જે મિથ્યા હોય તેમાંથી પસાર થઇ જવામાં કવિને કોણ પહોંચે? પંખીઓના કલરવની સાથોસાથ પાડોશીના ઘરમાં થતા ઝઘડાનો ઘોંઘાટ પણ કવિને માન્ય છે. એ કેવળ વસંતનો જ આશક નથી હોતો, એને તો પાનખર પણ ગમે છે. જે મનુષ્ય પ્રેમનો પરચો નથી પામ્યો, તે મનુષ્ય કવિતા રચે તો પણ અકવિ જ હોવાનો કવિ તો પ્રેમ પર પણ લખે અને પ્રેમભંગ પર પણ લખે કવિ સાથે થયેલા દગાને દર્દ બની જવાની ટેવ હોય છે.

વસંતની સવારે માણસે ચાર સુંદર પ્રશ્નો પૂછવા રહ્યા:
નજીકમાં નજીક આવેલું વૃક્ષ
મારાથી કેટલું દૂર છે?
નજીકમાં નજીક ઊગેલું પુષ્પ
મારાથી કેટલું દૂર છે?
નજીકમાં નજીક રહેતો કવિ
મારાથી કેટલો દૂર છે?
પ્રિયજનના હૃદયથી મારું હૃદય
કેટલું નજીક છે?
આ ચારે પ્રશ્નોના જવાબ જો ભીના મળે તો માનવું કે વસંતનું આગમન સાર્થક થયું. આવા પ્રશ્નો કેવળ નસીબદાર માણસોના હૃદયમાં જ ઊગે છે અને તે વખતે ‘જીવતો કલાક’ પ્રાપ્ત થાય છે. વનની વાટે અયોધ્યાથી ચાલીને જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ ગંગાકિનારે પહોંચ્યાં, ત્યારે વહેલી સવારે કોયલના ટહુકા શરૂ થઇ ગયા.

રામ લક્ષ્મણને કહે છે: ‘તાત ભગવતી રાત્રિ વીતી ગઇ છે અને સૂર્યોદય થવાની તૈયારીમાં છે. કાળા રંગની આ કોયલ કુહૂ કુહૂ બોલવા લાગી છે (અસૌ સુકૃષ્ણો વિહગ: કોકિલસ્તાત કૂજતિ)’ આપણે સૌ રામજીનાં સંતાનો ખરાં, પરંતુ વહેલી સવારે કોયલના ટહુકા સાંભળવાનો વૈભવ ગુમાવી બેઠાં છીએ. કોયલ રોજ ટહુકે છે, પરંતુ એને કાન દઇને આદરપૂર્વક સાંભળનારા કેટલા? જય સીયારામ મરેલા મરેલા કલાકો લંબાયે જાય તેવા શુષ્ક જીવનમાં જેને વસંત પણ ખલેલ ન પમાડે, એવા નર્જિી‍વ મનુષ્ય આગળ તો ટહુકા પણ લાચાર નર્જિી‍વ મનુષ્ય એટલે એવો મનુષ્ય જેની પાસે પૈસા સિવાય બીજું કશું જ નથી. તમે એકવીસમી સદીના તપસ્વી મનુષ્યને જોયો છે? લાચારીપૂર્વક આખી જિંદગી અણગમતી અને આક્રમક પત્નીને વેઠનારો પતિ તપસ્વી છે. એ જ રીતે મજબૂરીને કારણે શુષ્ક અને જોઇને ચીતરી ચડે તેવા દુર્જન પતિને જીવનભર વેઠનારી પત્ની તપસ્વિની છે.

આપણા દેશમાં તપસ્વિનીઓ બહુમતીમાં છે, કારણ કે સમાજ પુરુષપ્રધાન છે. છૂટાછેડાની નિંદા થાય છે, પરંતુ સમજપૂર્વક છૂટાં થયેલાં સ્ત્રી-પુરુષોની પ્રશંસા નથી થતી. આવો સમાજ તનદુરસ્ત અને મનદુરસ્ત હોઇ શકે?
વસંતની સાંજ પણ ઓછી મનમોહક નથી હોતી. સૂર્ય આથમે પછી ધીરે ધીરે અજવાળું વિદાય થાય છે. અજવાળાને વિદાય થતું જોવું અને અંધારાને અવનિ ઉપર પથરાતું જોવું એ પણ એક અનુભૂતિ છે. એ અનુભૂતિમાં મૃત્યુના અભિવાદનનું રહસ્ય પડેલું છે. અંધકારના ઉપકારો અનંત છે. અજવાળું મનુષ્યને સાકાર અને સગુણની સાધના શીખવે છે. અંધારું મનુષ્યને નિરાકાર અને નર્ગિુણની ઊંચાઇ પર લઇ જઇ શકે છે. જે અંધારાનો સ્વાદ ચાખે તે ખરો સાધક છે. અંધકારના ઉપકારો અનંત છે.

પારિજાતનાં પુષ્પો ક્યારેક પવનને કારણે ખરતાં રહે છે. ક્યારેક માનવસંબંધો પણ ટપ ટપ ખરતા રહે છે. સંબંધના નિર્મળ સરોવરમાં હોવું એ વૈભવ છે. અંધારિયા એકાંતના ઓવારે એકલા હોવું એ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે જ એકાંતવૈભવ. વસંત સાથે શંૃગાર જોડાયો છે, પરંતુ શંૃગારની દિશા પણ અધ્યાત્મ ભણીની હોઇ શકે એ વાત ઝટ સમજાતી નથી. જીવનનું રહસ્ય પામેલો કોઇ કવિ જ કહી શકે:
કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા.
અંધારું અજવાળાને ગળી જાય છે. અજવાળું અંધારાને ગળી જાય છે. શંૃગાર શુષ્કતાને ગળી જાય છે. જ્ઞાન માયાને ગળી જાય છે. પ્રેમ મૃત્યુને ગળી જાય છે. આવી પ્રેમદીક્ષા પામવી એ આપણો વસંતસિદ્ધ અધિકાર છે. (લખ્યું: વસંતપંચમીએ).’

પાઘડીનો વળ છેડે
અભિમાનપૂર્વક કોઇને
પ્રેમ કરવા કરતાં તો,
જેને પ્રેમ કરીએ
તેની આગળ
અભિમાન ગુમાવવું સારું
– ચીની કહેવત

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

સહજ શૃંગાર તો જીવનનું રસામૃત છે. DIVYA BHASKER 29-12-2013

સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે

વસંત હવે આવી રહી છે. જે મનુષ્ય વસંતની પ્રતીક્ષા કરે તે સાધુ પણ નથી હોતો અને અસાધુ પણ નથી હોતો. એ તો કેવળ મનુષ્ય હોય છે. શું મનુષ્ય હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ છે? સદીઓથી ઋતુરાજ વસંત સાથે શૃંગાર રસ જોડાતો રહ્યો છે. જે સમાજ શુષ્ક ધાર્મિ‌કતાને પનારે પડે છે તેણે દંભ અને આતંકના પ્રહારો વેઠવા જ પડે છે. દંભ અને આતંકનો ખરો માર સ્ત્રીઓ પર પડે છે. માઓ ઝે ડોંગ કહેતો કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે.

શૂદ્રકના વિખ્યાત નાટક ‘મૃચ્છકટિકમ્’ની નાયિકાનું નામ વસંતસેના હોય એ સામાન્ય વાત નથી. વસંત ઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટની ઋતુ છે. શુષ્કતા મૂળે અધ્યાત્મવિરોધી ઘટના છે. ગાંધી-વિનોબાને નામે પણ શૃંગારરસની નિંદા કરશો નહીં. એ બાબતે રવીન્દ્રનાથ ટાગોર વધારે જીવનમય હતા. દંભ જેવી જીવનવિરોધી ઘટના બીજી કોઇ નથી. કેટલાક ગાંધીવાદીઓ દંભના તળાવમાં ડૂબકી મારનારા હોવાના. તેઓ આદર્શને કારણે મજબૂર છે.

શુષ્ક પતિની સ્મિત વેરતી પત્નીની કમનસીબી પ્રત્યે કરુણા બતાવવા કોણ નવરું હોય? પ્રત્યેક પતિની ઝંખના રસિકપ્રિયાને પામવાની હોય છે. સમાચાર વાંચ્યા કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસંતોત્સવનું ભવ્ય આયોજન થયું છે. મોહેં-જો-દેરોની સંસ્કૃતિના સંદર્ભે આવા આયોજનની જવાબદારી બેનઝીર ભુટ્ટોના સુપુત્ર બિલાલે લીધી છે. શુષ્ક પિતા અને શુષ્ક માતાનો પરિવાર કદી સુખી નથી હોતો. બારમી સદીમાં ભક્તકવિ જયદેવે ‘ગીતગોવિંદ’ની રચના કરી અને સહજ શૃંગારને છૂટથી વહેતો મેલ્યો. કહે છે કે મેવાડના રાણો સંગ વીર હતો અને કાવ્યરસિક પણ હતો.જૂનાગઢના વિદ્વાન સાહિ‌ત્યકાર ડો. મુનિકુમાર પંડયાએ પોસ્ટકાર્ડમાં મને લખ્યું કે: રાણાસંગે ‘ગીતગોવિંદ’ વિશે લખ્યું છે.

તેઓ આગળ લખે છે કે રાણોસંગ મીરાંબાઇનો સસરો થાય. જયદેવ જેવો જ શૃંગાર રસ ભક્ત નરસિંહ મહેતામાં જોવા મળે છે. બીજી વાત નરસિંહ મહેતા વિશે કરું? જો સેન્સર ર્બોડ જેવું કશુંક એ જમાનામાં હોત તો નરસિંહની કેટલીય પંક્તિઓ પર કાતર ફરી ગઇ હોત. વર્ષો પહેલાં આ વાત ગુજરાતી સાહિ‌ત્ય પરિષદના આપણા વિદ્વાન પ્રમુખ ડો. ધીરુભાઇ પરીખે કરી હતી. કહે છે કે કવિ રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ વખત ‘ગીતગોવિંદ’ને બંગાળીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો પણ પછી વાત પડતી મેલી હતી. ગાંધીજીને પણ ‘ગીતગોવિંદ’ ગમ્યું ન હતું. જયદેવ અને નરસિંહની પંક્તિઓમાં પ્રગટ થતો શૃંગાર થોડોક મુખર છે એ નક્કી.

આપણી પરંપરામાં બે પ્રકારના શૃંગારની વાત થઇ છે: (૧) સંભોગ શૃંગાર અને (૨) વિપ્રલંભ શૃંગાર. સંભોગ શૃંગાર દેહકેન્દ્રી છે અને એમાં સૂક્ષ્મ પ્રેમતત્ત્વ ગૌણ રહી જવા પામે છે. વિપ્રલંભ શૃંગાર દેહથી પર એવા આત્મમય પ્રેમને પ્રગટ કરતો શૃંગાર છે. વિયોગ (વિપ્રયોગ)ની અવસ્થામાં બે પ્રિયજનો જે ઉત્કટ પ્રેમની સૂક્ષ્માનુભૂતિ કરે છે તે વિપ્રલંભ શૃંગારનું ઉદાહરણ ગણાય.મહાકવિ જયદેવે ‘પ્રસન્નરાઘવમ્’ નાટક (અંક-૬)માં હનુમાન દ્વારા અશોકવાટિકામાં વિરહમાં શેકાતી સીતાને રામે પાઠવેલ સંદેશો સાંભળો:

હે સીતા
ચંદ્રમા મને સૂર્યનાં પ્રચંડ કિરણો જેવો લાગે છે.
નવો વરસાદ મને દાવાનળ જેવો લાગે છે.
નદીનાં મોજાં પરથી આવતો પવન મને
ક્રોધે ભરાયેલા સાપના નિ:શ્વાસ જેવો
નવી વેલી શૂળ જેવી
અને કમળોનું ઉપવન મને
ભાલાઓની અણી જેવું લાગે છે
વાલ્મીકિ રામાયણ (યુદ્ધકાંડ, પ, પ)માં વિરહમાં શેકાતા રામના શબ્દો પણ સાંભળો:
હે પવન
તું ત્યાં વહેજે,
જ્યાં મારી પ્રિયા છે.
તેનો સ્પર્શ કરી આવ્યા પછી
તું મારો સ્પર્શ કરજે.
તે સમયે તને મારાં અંગોનો
જે સ્પર્શ થશે તે
અમે બંને ચંદ્રને જોઇએ
ત્યારે થતા દૃષ્ટિસંયોગ વખતે
મારા સઘળા સંતાપને દૂર કરશે.

વિપ્રલંભ શૃંગારમાં બે પ્રેમીઓ એકબીજાંથી દૂર છે અને તોય તેમની વચ્ચે પ્રેમમય અલૌકિક અદ્વૈત રચાય છે. મહાકવિ જયદેવના ‘ગીતગોવિંદ’માં સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર ક્યારેક એકાકાર થતા જણાય છે. સદીઓથી મનુષ્યને એક અતૃપ્ત તરસની અનુભૂતિ થતી જ રહી છે. એ તરસને કારણે લોકો ફિલ્મ અને નાટક જોવા જાય છે. એ તરસને કારણે રાતે ટીવી પર સિરિયલ જોવા માટે પરિવાર ટાંપીને બેઠો હોય છે. એ તરસને કારણે લોકોને ‘સરસ્વતીચંદ્ર’માં દેખાતો ખલનાયક પ્રમાદધન ખૂંચે છે. એ તરસને કારણે રામાયણ, મહાભારત, મેઘદૂત અને ઉત્તરરામચરિત જેવી કૃતિઓ આજે પણ વંચાતી રહે છે. એ તરસને પ્રગટ કરતી પંક્તિઓ બાલકૃષ્ણ શર્મા (નવીન)એ લખી છે:

ક્યોં બજાઇ બાંસુરી?
મેં તો સજન આ રહી થી,
અયુત જન્મોં કી તૃષા ભર
નયન મેં લા રહી થી.

તા. ૭મી ડિસેમ્બરે અમદાવાદમાં એક રૂડી ઘટના બની. વર્ષો પહેલાં હું સદ્ગત જયભિખ્ખુનો વ્યસની વાચક હતો. એમની કૃતિ ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી કનુ દેસાઇએ ફિલ્મ પણ બનાવી હતી. મુંબઇના વિદ્વાન મિત્ર ડો. ધનવંત શાહે જયભિખ્ખુની કૃતિને આધારે ‘કૃષ્ણભક્ત કવિ જયદેવ’ નાટક તૈયાર કર્યું અને એ અમદાવાદના સુજ્ઞ ભાવકો સમક્ષ ભજવાયું. ધનવંતભાઇના એ પુસ્તકનું લોકાર્પણ મારે હાથે થયું તેનો આનંદ અનુભવું છું.

ડો. મહેશ ચંપકલાલ જેવા નાટયવિદે નાટકની રજૂઆતમાં પ્રાણ પૂર્યો છે. એ પ્રસંગે જયદેવ પર જે નૃત્ય રજૂ થયું તેમાં વૈભવ આરેકર (જયદેવ) અને (પદ્મા) શિવાંગી વિક્રમે શ્રોતાઓને મુગ્ધ કરી દીધા. ડો. કુમારપાળે જયભિખ્ખુનું સાચું પિતૃતર્પણ કર્યું છે. અમદાવાદમાં આવી સાંસ્કૃતિક ઘટનાઓ વારંવાર બનતી રહે છે. છેલ્લી વાત. આપણે સૌ શ્રીમદ્ વલ્લભાચાર્યનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યને કૃષ્ણભક્તિમાં તરબોળ કરીને તેમણે સમાજને શુષ્કતાના અભિશાપમાંથી મુક્ત કર્યો. ‘
(પ્રવચન પરથી)
પાઘડીનો વળ છેડે
સ્થૂળ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ
વિશ્વ કેરો મંત્ર પ્રેમ,
સૃષ્ટિની સુવાસ પ્રેમ,
પ્રેમ તેજ કેરો પાર,
પરમ પ્રેમ પરબ્રહ્મ
– કવિ ન્હાનાલાલ
વસંત ઋતુ ખરેખર તો દિવ્ય થનગનાટની ઋતુ છે. શુષ્કતા મૂળે અધ્યાત્મવિરોધી ઘટના છે. ગાંધી-વિનોબાને નામે પણ શૃંગારરસની નિંદા કરશો નહીં. એ બાબતે રવીન્દ્રનાથ ટાગોર વધારે જીવનમય હતા.

ગુણવંત શાહ

ચાલો, હવે જીવવા માટે ષડ્યંત્ર રચીએ, Divya bhasker, 8-8-2011

જીવવાનું ષડ્યંત્ર રચવાની શુભ શરૂઆત સ્ટેટસ નામના ગંદા શબ્દને ‘જીવનવટો’ આપવાથી થઇ શકે. તકલાદી સ્ટેટસનો આડો સંબંધ હોદ્દો, બેંક બેલેન્સ, પાંચમાં પુછાતા રહેવાની કળા અને મોંઘી કાર સાથે જોડાઇ જાય છે. આ બધી બાબતો ખરી પડે પછી જે બચે, તે જ ખરેખરું મૂલ્યવાન ગણાય.

માણસ ક્યારેક કોઇને રંજાડવા માટે કે મારી નાખવા માટે ષડ્યંત્ર રચતો હોય છે. ષડ્યંત્ર પાર પાડવા માટે એ પોતાની બધી જ પ્રાણશક્તિ પોતાના સાહસયુક્ત પરાક્રમને સફળ બનાવવામાં કામે લગાડે છે. પ્રાણશક્તિ જ એના પ્રચંડ સંકલ્પબળ (વિલ પાવર)ની માતા છે.

તમે કદી કોઇ શબને વિચારતું જોયું છે? જે મનુષ્ય જીવે છે, તે જ વિચારે છે. વળી જે મનુષ્ય વિચારે છે, તે જ જીવે છે. જે મનુષ્ય વિચારવાની ખો ભૂલી ગયો હોય એને ‘જીવતો’ ગણવો એ કેવળ રિવાજ છે. રિવાજનો સંબંધ મોટાભાગના માણસોના લોકપ્રિય અજ્ઞાન સાથે હોય છે. એથેન્સમાં સોક્રેટિસ ખરા અર્થમાં ‘જીવતો’ હતો. અમેરિકાના કોન્કોર્ડ શહેરથી છેટે આવેલ વોલ્ડન તળાવ પાસે રહેવા જનારો થોરો ‘જીવતો’ હતો. બ્રિટનના પેનરિન ડાયડ્રેથ ગામમાં રહેનારો બટ્રૉંડ રસેલ ‘જીવતો’ હતો. ભારતમાં રવીન્દ્રનાથ ઠાકુર પૂરી માત્રામાં ‘જીવતા’ હતા. લેબેનોનમાં જન્મ પામેલો ખલીલ જિબ્રાન સોળે કળાએ ‘જીવતો’ હતો.

ખાલિદ હુસૈનીએ અફઘાનિસ્તાન પર આધારિત નવલકથા લખી અને એનું નામ રાખ્યું: ‘The Kite Runner.’ અફઘાનિસ્તાનમાં રશિયાનું શાસન સમાપ્ત થયું પછી તાલિબાનના જુલમની શરૂઆત થઇ હતી. એ જુલમ ઇસ્લામને નામે ચાલતો રહ્યો હતો. એ કોઇ ઓર્ડિનરી જુલમ ન હતો. એ તો લગભગ પવિત્ર જુલમ ગણાતો હતો. નવલકથાના નાયકનું નામ આમિર છે. એનો પિતા કટ્ટરપંથી મુસલમાન છે. પિતા કટ્ટર ઇસ્લામી હોવા છતાં શરાબનું સેવન મોજથી કરતો હોય છે.

આમિર શરાબી બાપને કહે છે: ‘બાબા! અમને તો નિશાળમાં એવું શિખવાડવામાં આવ્યું છે કે શરાબ પીવાનું ઇસ્લામમાં હરામ છે.’ આમિરના શિક્ષકનું નામ મુલ્લા ફતિઉલ્લા ખાન હોય છે. તેઓ વર્ગમાં બાળકોને રોજ ભણાવે છે કે શરાબસેવન કરવું એ મહાપાપ છે. આમિરને એનો શરાબી પિતા જે જવાબ આપે છે તે અત્યંત મૌલિક છે. કટ્ટરપંથી પિતા પોતાના પુત્રને કહે છે: ‘દુનિયામાં પાપ કેવળ એક જ છે અને તે છે ચોરી કરવી. બાકીનાં બધાં જ પાપ તો ચોરીનાં જ વિવિધ સ્વરૂપો છે. જ્યારે તમે કોઇનું ખૂન કરો છો ત્યારે તમે એના જીવનની ચોરી કરો છો. તમે એ માણસની પત્ની પાસેથી એના પતિના જીવનની ચોરી કરો છો.

તમે એ માણસનાં સંતાનો પાસેથી એમના પિતાના જીવનની ચોરી કરો છો. તમે જ્યારે જૂઠું બોલો છો ત્યારે સામેના માણસ પાસેથી એના સત્ય જાણવાના અધિકારની ચોરી કરો છો. જ્યારે તમે કોઇને છેતરો છો ત્યારે તમે તેની પાસેથી પ્રામાણિક વ્યવહાર પામવાના અધિકારની ચોરી કરો છો.’ નવલકથામાં પિતાએ પુત્ર આમિરને આપેલો ચોટદાર જવાબ વાંચીને એવું લાગવા માંડે કે શરાબસેવન તો સાવ નિર્દોષ બાબત છે! ગમે તેમ તોય એમાં ‘ચોરી’ નથી. અરે! જીવવા માટેનું ષડ્યંત્ર શું આપણને અફઘાનિસ્તાનનો એક શરાબી બાપ શીખવી ગયો?

આ વર્ષે પહેલો વરસાદ થોડોક મોડો પડ્યો. લોકો ટાંપીને બેઠા હતા. ખેડૂતો ઉદ્ગ્રીવ નજરે આકાશ ભણી તાકી રહ્યા હતા. ધરતીની ધૂળનો પ્રત્યેક કણ આભમાંથી ટપકી પડેલા જલબિંદુને છાતીએ ચાંપે તે રીતે જ્યારે માણસ પ્રત્યેક ક્ષણને મોહબ્બતથી માણે ત્યારે જીવવા માટેનું ષડ્યંત્ર ભવ્ય અને દિવ્ય બની રહે છે. મોસમના પહેલા વરસાદને નિહાળવાની રીત માણસે માણસે જુદી જુદી હોય છે. જ્ઞાની મનુષ્ય પ્રથમ વરસાદને ધ્યાનસ્થ ચિત્તે નિહાળે છે. કવિ એને વિસ્મયની આંખે નિહાળે છે. ભક્ત એને ભીના હૃદયે નિહાળીને તરબોળ થાય છે. ભક્તિ એટલે જ ક્ષણે ક્ષણે તરબોળતા!

માણસ ક્યારેક કોઇને રંજાડવા માટે કે મારી નાખવા માટે ષડ્યંત્ર રચતો હોય છે. ષડ્યંત્ર પાર પાડવા માટે એ પોતાની બધી જ પ્રાણશક્તિ પોતાના સાહસયુક્ત પરાક્રમને સફળ બનાવવામાં કામે લગાડે છે. પ્રાણશક્તિ જ એના પ્રચંડ સંકલ્પબળ (વિલ પાવર)ની માતા છે. એવું સંકલ્પબળ માણસ સુંદર રીતે જીવવા માટે ભાગ્યે જ પ્રયોજતો હોય છે. પૂરી માત્રામાં જીવવું અને ધરાઇને જીવન માણવું એ જેવુંતેવું પરાક્રમ નથી. ઘણાખરા માણસો અડધુંપડધું અને વળી અધકચરું જીવન જીવ્યે રાખે છે. માણસના અસ્તિત્વનો મોટોભાગ ઠિંગરાઇ જાય તોય એવા લગભગ થીજી ગયેલા માણસને લોકો ‘જીવતો’ ગણે એમાં રિવાજનો પ્રભાવ વરતાય છે.

ક્યારેક અજ્ઞાનને કારણે માણસને અમથું અમથું લાગ્યા કરે છે કે પોતે આખો ને આખો ‘જીવતો’ છે. થોરોએ પોતાના પુસ્તક ‘વોલ્ડન’માં ઇરાદાપૂર્વક જીવવા (લિવિંગ ડેલિબરેટ્લી)ની મૌલિક વાત કરી હતી. પૂરી માત્રામાં જીવવાનો સંકલ્પ કરનાર નસીબદાર માણસ જીવવા માટેનું ઊધ્ર્વમૂલ ષડ્યંત્ર રચતો હોય છે. એ માટે મહાભિનષ્ક્રિમણ કરવાની જરૂર નથી. એવા ષડ્યંત્ર માટે ખાનગીમાં એક સંકલ્પ કરવો પડતો હોય છે. ભગવાન એમાં રાજી રાજી!જીવવાનું ષડ્યંત્ર રચવાની શુભ શરૂઆત સ્ટેટસ નામના ગંદા શબ્દને ‘જીવનવટો’ આપવાથી થઇ શકે.

તકલાદી સ્ટેટસનો આડો સંબંધ હોદ્દો, બેંક બેલેન્સ, પાંચમાં પુછાતા રહેવાની કળા અને મોંઘી કાર સાથે જોડાઇ જાય છે. આ બધી બાબતો ખરી પડે પછી જે બચે, તે જ ખરેખરું મૂલ્યવાન ગણાય. તમે કોઇ કારનું મૂલ્યાંકન એના હોર્નના અવાજ પરથી કરી શકો ખરા? કેટલીક મૂર્ખ મોટરગાડીઓ એવું માનતી ફરે છે કે પોતાનું હોવું એટલે જ હોર્નનું હોવું! સ્ટેટસનો ખરો સંબંધ સમાજ સાથે નહીં, ‘સ્વ’ સાથે હોય છે. કોઇને ખબર પણ ન પડે એ રીતે જીવનસાધના થતી રહે તો માનવું કે સાચા સ્ટેટસની ભાળ મળી છે. માણસને પોતાની જાત પ્રત્યે આદર (self esteem) ના રહે ત્યારે જીવન ક્ષીણ થતું રહે છે. એ ધીમું મૃત્યુ છે.

જીવવા માટે ષડ્યંત્રના બીજા પગથિયે એકાંતને ઓવારે બેસીને એક સંકલ્પ લેવો પડે છે. હું આ જગતને સતત વહી જતી જીવનસરિતાના ખળખળ વહેતા પ્રવાહ તરીકે નિહાળીશ. એ દિવ્ય પ્રવાહને હું પજવણી નહીં ગણું. સામાન્ય માણસને ત્રણ ઋતુઓનો ખ્યાલ હોય છે, પરંતુ ‘ઋતુસંહાર’ના સર્જક મહાકવિ કાલિદાસને છ ઋતુઓનો પરિચય હોય છે.

સંવેદનાની ચરમસીમાએ એવું પણ બને કે પ્રત્યેક ક્ષણે થતા પરિવર્તનને સાક્ષીભાવે જોવાનું શરૂ થઇ જાય. આવી જીવનદ્રષ્ટિને ‘વપિશ્યના’ કહે છે. પળ અને પરપોટા વચ્ચે ભાઇબંધી જામે ત્યારે પરિવર્તનતા એ જ સુંદરતા! ક્ષણે ક્ષણે યન્નવતામ્ ઉપૈતિ તદેવ રૂપમ્ રમણીયતયા:! સૌંદર્યની આવી વ્યાખ્યા અન્ય કોઇ સંસ્કૃતિમાં જાણવા મળતી નથી. સૌંદર્યનું કાળજું નિત્યનૂતનતામાં રહેલું છે.

જીવવાનું ષડ્યંત્ર રચવાના ત્રીજા પગથિયે મોટા ભાગના લોકોએ સ્વીકારેલી નીતિમત્તાના આક્રમણથી બચવાની વાત મહત્વની છે. બહુમતી કાયમ સાચી નથી હોતી. લઘુમતી કાયમ ખોટી નથી હોતી. વર્ષો પહેલાં કોઇ સ્ત્રી જ્યારે મૃત પતિના શબને ખોળામાં લઇને ચિતાની જવાળામાં વિલીન થઇ હશે, ત્યારે જયજયકાર કરનારા ટોળા વચ્ચે જેનું હૃદય આક્રોશપૂર્વક આક્રંદ કરી ઊઠ્યું હશે તે માણસ ‘જીવતો’ ગણાય. બાકીના સૌ મરહૂમ ગણાય. એવા એક જીવતા માણસનું નામ રાજા રામમોહન રાય હતું.

જીવવાના ષડ્યંત્રના ચોથા પગથિયે રોજિંદી ઘટમાળને ઢીલી કરીને તાજગી માણવાની હઠ પકડવાની છે. ઘટમાળ આપણી જાગ્રત અવસ્થાના કેટલાય કલાકોનો કોળિયો કરી જાય છે. મહાનગરમાં માણસ યંત્રવત્ બનીને ‘જીવતો’ રહે છે. ગીતામાં એવા લોકોને ‘યંત્રારૂઢાનિ’ કહ્યા છે. ઘટમાળમુક્તિ (ડીરૂટિનાઇઝેશન) માટે હળવા થવાની હઠ પકડવી એ બહુ મોટું પરાક્રમ છે. એ પરાક્રમ માટે નિવૃત્ત હોવાનું ફરજિયાત નથી.

જીવવાના ષડ્યંત્રના પાંચમા પગથિયે એક સંકલ્પ લેવાનો છે. કશુંક ન જાણતા હોઇએ, તો જાણવાનો ડોળ ન કરવો. જેના પ્રત્યે ભારોભાર અણગમો હોય તેના પ્રત્યે વહાલ હોવાનો દેખાવ ન કરવો. અંદરથી ભારે ગુસ્સો હોય ત્યારે માણસે ક્રોધમુક્ત હોવાનો ઢોંગ ન કરવો જોઇએ. જો મારી માન્યતા પણ મારી ન હોય, તો મારું જીવન ‘મારું’ શી રીતે હોઇ શકે? કબીરજીએ આવા મરી ચૂકેલા માણસોને ધ્યાનમાં રાખીને ગાયું હતું: ‘સાધો, યહ મુરદોં કા ગાંવ!’

પાઘડીનો વળ છેડે

સૌંદર્ય એ જ સત્ય છે.સત્ય એ જ સૌંદર્ય છે.- કવિ કિટ્સ
‘‘‘
બધી ઘટનાઓમાં રહેલું સૌંદર્ય નિહાળવું એટલે બધી ઘટનાઓમાં રહેલું સત્ય નિહાળવું – આર્નોલ્ડ

કામસૂત્ર પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર, Divya Bhasker 31-07-2011

 

વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે. જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે, જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે અને રહી જાય છે કેવળ મૌન!

 

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછુટકે કલમને શરણે જવું પડે છે. આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે અને વળી એને પિતાને સ્થાને બેસાડ્યો છે. વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે. જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે, જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે અને રહી જાય છે કેવળ મૌન! એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે. સાંભળો ત્યારે:

 

પ્રત્યેક માણસના હૃદયમાંએક તણખો હોય છે,જે જ્યોત બનવાની શક્યતાજાળવીને જીવતો રહે છે.એકાદ નાની ઘટના,એક મજાની પંક્તિકે પછીસાવ અજાણ્યું નિર્મળ સ્મિતએ તણખાને પ્રેમળ જયોતિમાં ફેરવી નાખે ત્યારેસમય અને અવકાશએકબીજામાં ઓતપ્રોત થઇને પરમ શાંતિના ખોળામાંપોઢી જાય છે.ક્યારેક એક ક્ષણએવી આવી મળે છે,જ્યારે આપણા માંહ્યલાનેકૂંપળ ફૂટતી હોય છે.પતંગિયાની પાંખ પરમેઘધનુષ્યની શોભા!આવી કોઇ મત્સ્યવેધી ક્ષણેમાણસ સાવ એકલો હોયતોય ખરેખર એકલો નથી હોતો.એની લગોલગ કોઇ બેઠેલું હોય છે,જે ત્યાં હોય છે, છતાં નથી હોતું.આવું હોવું છતાં ન હોવુંઅને ન હોવું છતાં હોવુંમાણસને સમય અને અવકાશની પેલે પાર લઇ જાય છે.ત્યાં કેવળ સ્મરણસુગંધ હોય છે,પણ પુષ્પ નથી હોતુંજંગલ હોય ત્યાંએક એવી કેડી હોય છે,જેના પર માત્રચાર પગલાંની ધૂંધળી નિશાનીઓલુપ્ત થવાની અણી પર હોય છે.આસપાસની થંભી ગયેલી હવામાંબે હૈયાના ખોરવાયેલા ધબકારાપતંગિયાની પાંખ પરથીપવનમાં વહેતા રહે છે.નદીનાં જળ સાથેસમય વહેતો રહે છે.સદીઓથી સમયવૃંદાવનની કેડી પરક્યાંક લુપ્ત થયેલાંરાધાનાં પગલાં શોધતો રહે છે.આપણું ઘર એટલે શું?ઘરનો કોઇ માલિક નથી હોતો.ઘરનું કોઇ સરનામું નથી હોતું.સરનામું તો મકાનનું હોય છે.ઘર કોઇ સમયદ્વીપ નથી,ઘર કોઇ અવકાશદ્વીપ નથી.પંખીના માળાનું સરનામું?વૃક્ષલોક હાઉસિંગ સોસાયટી,૦ – આકાશ એસ્ટેટ,અનંત સ્ટેડિયમની બાજુમાં,પો-કલરવનગર, જિલ્લો-અનાદિપિનકોડ: ઘર એક ઘટના છે,જ્યાં સમય અને અવકાશનેસોડ તાણીને પોઢી જવાનું મન થાય છે.ક્યારેક ઘરમાંએકતારાનો મંગલધ્વનિ ફરી વળે છે.લોકો એને માતા કહે છે.

 

‘‘‘સ્વસ્થ સમાજમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર વચ્ચે એક એવો સમન્વય હશે, જેમાં વિશ્વશાંતિ કોઇ સમણું નહીં હોય, પરંતુ સહજ વાસ્તવિકતા હશે. સાસરે વિદાય થતી દીકરીની બેગમાં કોઇ ન જાણે તેમ, સમજુ પિતાએ વાત્સ્યાયનનું કામસૂત્ર અને ભગવદ્ગીતા સાથોસાથ મૂકી દેવાં જોઇએ. આવું એક પિતાએ કર્યું હતું. જે સમાજમાં પ્રેમ ગુનો ગણાય, તેવો સમાજ ગુનાને પ્રેમ કરતો હોય છે.

 

પાઘડીનો વળ છેડે

 

કુદરતની કિતાબમાં સાવ સ્પષ્ટપણે અને ભૂલ વગર પરમેશ્વરે પોતાની આંગળીઓ વડેએક વાત લખેલી છે:જગતમાં ક્યાંય પાપ નથી,માત્ર નબળાઇ છેઅને તે અજ્ઞાનમાંથી જન્મેલી છે.- સ્વામી રામતીર્થ

 

(‘ઇન વૂડ્ઝ ઓફ ગોડ રીઅલાઇઝેશન’ પુસ્તકમાંથી)

 

Divya Bhasker 12-9-2010

ઉંમર ભૂલીને વરસાદમાં પલળવા માંડો

 
 

આજકાલ મારા ચિદાકાશમાં મેઘદૂત મહોત્સવ ચાલી રહ્યો છે. વરસાદ પડતો હોય ત્યારે અંદરથી ખલેલ ન પામે તેવી વ્યક્તિથી ચેતીને ચાલવું રહ્યું. વરસાદ કોઇપણ પ્રકારની ખલેલ ન પમાડે તેમને જો દેશનિકાલ કરવામાં આવે, તો જરૂર તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.રામ જેવા રામ ધોધમાર વરસાદથી ખલેલ પામ્યા હતા, પરંતુ આપણે કોરા ને કોરા! સીતા તે ક્ષણે રામની સાથે હોત, તોય રામ ખલેલ પામ્યા હોત. એ ખલેલ વિયોગમૂલક ન હોત, શૃંગારમૂલક હોત.

જે માણસ વરસાદ પડતો હોય ત્યારે અંદરથી ખલેલ ન પામે તેનાથી ચેતીને ચાલવું રહ્યું. સમગ્ર સમાજ કેટલીય બિનજરૂરી અને બોગસ ખલેલથી પીડાઇ રહેલો સમાજ છે. જે મનુષ્ય વર્ષાઋતુમાં ઊધ્ર્વમૂલ ખલેલ પામે તે સાધુ ગણાય. જે મનુષ્ય આવી ભીની ઋતુમાં પ્રેમાળ ખલેલ પામે તે શાયર કહેવાય. જે મનુષ્ય વરસાદ પડે ત્યારે કોઇને ન કહેવાય એવી ખાનગી ખલેલ પામે તેને રસિકજન કહેવાય. જેમને વરસાદ કોઇપણ પ્રકારની ખલેલ ન પમાડે તેમને જો દેશનિકાલ કરવામાં આવે, તો જરૂર તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.

ખાનગી ખલેલ એટલે શું? તમે જેને પામવા માગતા હતા, પણ પામી ન શક્યા અને જીવનના કન્વેયર બેલ્ટ પર વસ્તુની માફક વહેતા રહ્યા તેવી કોઇક વ્યક્તિના સ્મરણથી ભીની બનેલી આંખો સૌના નસીબમાં નથી હોતી. ભીની ધરતી, ભીનું હૃદય અને ભીની આંખો, એ જ જીવનનું પ્રચ્છન્ન પ્રયાગ! શહીદ થવા માટે મરવું જ પડે એવું કોણે કહ્યું? જીવતેજીવત પણ ભીની ભીની શહાદતનો સ્વાદ માણી શકાય છે.

વાલ્મીકિ રામાયણના ષ્કિંધાકાંડમાં આખો ને આખો ૨૮મો સર્ગ વર્ષાઋતુના વર્ણનથી ભીનો બન્યો છે. વર્ષાઋતુનું વર્ણન સીતાના વિયોગે ઝૂરતા મર્યાદાપુરુષોત્તમ રામ પોતે કરી રહ્યા છે. વાલીનો વધ અને સુગ્રીવનો રાજ્યાભિષેક થઇ ચૂકયો છે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર નિવાસ કરી રહ્યા છે. કુલ ૬૬ શ્લોકોમાં રામ લક્ષ્મણને વર્ષાઋતુ વિશે વાત કહેતા રહે છે. સાંભળો:

હે સુમિત્રાનંદન!
નીલા રંગનો આશ્રય લઇને
ચમકી રહેલી આ વીજળી
મને રાવણના ખોળામાં તરફડતી
સીતા જેવી દેખાય છે.
મંદ મંદ હવા નિસાસા જેવી જણાય છે.
વાદળોની ગર્જના થાય ત્યારે
જાણે મૃદંગનો ધ્વનિ ઊઠતો સંભળાય છે.
મૈથુન વખતે અંગોના મર્દનને કારણે તૂટેલી
દેવાંગનાઓની મોતીમાળાઓ
(સુરતામર્દવિચ્છિન્ના: સ્વર્ગસ્ત્રીહાર મૌક્તિકા:)
જેવી જણાતી અનુપમ જલધારાઓ
બધી દિશાઓમાં (ધોધરૂપે) પડી રહી છે.
હે લક્ષ્મણ! મારો શોક વધી ગયો છે.
મારા માટે દિવસો પસાર કરવાનું
મુશ્કેલ બની ગયું છે.
ખૂબ જ જોરથી વરસાદ પડી રહ્યો છે
(વર્ષાપ્રવેગા વિપુલા: પતિન્ત).

રામ જેવા રામ ધોધમાર વરસાદથી ખલેલ પામ્યા, પરંતુ આપણે કોરા ને કોરા! સીતા તે ક્ષણે રામની સાથે હોત, તોય રામ ખલેલ પામ્યા હોત. એ ખલેલ વિયોગમૂલક ન હોત, શૃંગારમૂલક હોત! ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મનમાં એક વિચિત્ર પ્રાર્થના ઊગી રહી છે : ‘હે ભગવાન! હું છું તેના કરતાં સારો દેખાઉ તેવી ગંદી ઝંખનાથી મને બચાવી લેજે. કાલે ઊઠીને હું પતન પામું, તો તેને માટે બીજા લોકો જવાબદાર નહીં હોય. પતનની ક્ષણે પણ હું સ્વાવલંબી હોઉં તો એક ચમત્કાર થશે. હું સુધરી જાઉં ત્યારે પણ સ્વાવલંબી હોઇશ.’ આ બધી વાત છોડો અને ઉંમર ભૂલીને પલળવા માંડૉ. ધર્મનો મર્મ સમજાઇ જશે.

ટર્કીના કોનિયા નગરમાં વિખ્યાત સૂફી સંત જલાલુદ્દીન રૂમીની દરગાહ આવેલી છે. એ નગરમાં રહેતો એક સૂફી ફકીર અલ્લાહનો પાકો ભક્ત હતો. એ ફકીર બજાર ભણી જઇ રહ્યો હતો ત્યાં સામે એક મુસલમાન મળી ગયો. એ આખી રાત એક તવાયફ (રામજણી)ને ત્યાં ગાળીને ઘરે પાછો ફરી રહ્યો હતો. ફકીરે એને પૂછ્યું : ‘તું ક્યાં ગયો હતો?’ જવાબમાં પેલા નિખાલસ મુસલમાને કહ્યું: ‘હું તો તવાયફને ત્યાં ગયેલો અને હવે ઘેર જાઉં છું.’ ફકીર આગળ ચાલ્યો. ત્યાં બીજો મુસલમાન મળ્યો. ફકીરે એને પૂછ્યું : ‘તું ક્યાં જઇ રહ્યો છે?’ જવાબમાં એ મુસલમાન જુઠ્ઠું બોલ્યો: ‘હું શાકભાજી લેવા માટે બજારમાં જઇ રહ્યો છું.’ સૂફી ફકીર એ મુસલમાનનો ચહેરો જોઇને બધી વાત પામી ગયો. એણે એ જૂઠા મુસલમાનને સંભળાવ્યું: ‘તું જે ઔરતને ત્યાં જઇ રહ્યો છે, તેને શું શાકભાજી સમજે છે?’ દુનિયાના બધા લોકો આ બે મુસલમાનોમાં સમાઇ જાય છે.

પહેલો નિખાલસ મુસલમાન આજે નહીં તો કાલે જાગશે, પરંતુ બીજો મુસલમાન કદી નહીં જાગે. આજકાલ ઘણાખરા લોકોને સારા હોવાની નહીં, સારા દેખાવાની ચળ ઊપડી છે. જેના બ્રહ્નચર્યના રાતના અંધારિયા એકાંતમાં ભાંગીને ભુક્કા થઇ ગયા હોય એવા માણસ પણ જીવનભર ‘બ્રહ્નચારી’ તરીકે આદર પામતો રહે છે. આવા દંભી લોકો કરતાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સો દરજજે સારા! એમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે: ‘મૈં અપરિણીત હૂં, બ્રહ્નચારી નહીં હૂં.’

આજકાલ મારા ચિદાકાશમાં મેઘદૂત મહોત્સવ ચાલી રહ્યો છે. ધોધમાર વરસાદની સાથે ધોધમાર વિસ્મય વરસી રહ્યું છે. ઘરનો બાગ નિત્યનૂતન હોય છે. એ પ્રતિક્ષણ બદલાતો રહે છે, એ વાતની ખબર કેવળ પતંગિયાને જ હોય છે. લાંબા સમય સુધી નજરે ન ચડેલા છોડ પર ઓચિંતું એક મજાનું ફૂલ ખીલેલું જોવા મળે છે. રાતોરાત એ છોડ પર રંગવૈભવ પ્રગટ થયો. મારાથી માંડ પાંચ-સાત ફૂટ છેટે મોગરો ખીલ્યો છે. કેટલાંક સંવેદનશીલ નાક સુધી જ એની મહેક પહોંચે છે. મોગરાનું ખીલવું એ જ મોગરાનો મોક્ષ! રવિન્દ્રનાથ કહે છે કે પુષ્પ ખીલે અને ખૂલે એ જ એનો મોક્ષ!

ઋતુઓ વહેતી રહે છે. મહિનાઓ દોડતા રહે છે. કલાકો ઊડી જતા જણાય છે. કાલચક્ર એક ક્ષણ માટે પણ વિરામ લેતું નથી. આપણે જે કન્વેયર બેલ્ટ પર પસાર થતાં રહીએ છીએ તે સાક્ષાત્ કાળનો કન્વયેર બેલ્ટ છે. ઉપદેશકો પોતાને અસામાન્ય ગણાવીને લોકોનો અહોભાવ ઉઘરાવતા રહે છે. આપણા જેવા અસંખ્ય સામાન્ય માણસોનું તો પાપ પણ સામાન્ય! ઉપદેશકોનું પાપ પણ અસામાન્ય! એમનું પતન પણ વિકરાળ! રુગ્ણ સમાજમાં અસત્યનું માર્કેટિંગ ધર્મની છાયામાં થતું રહે છે. ગણપતિચોથ ઘોંઘાટચોથ બની રહે છે.

ગોકુળઅષ્ટમી જુગારઅષ્ટમી બની રહે છે. ગણપતિબાપાની મૂર્તિઓ તો માટીની જ સારી! પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જળાશયમાં પધરાવવી એ ભયંકર ગુનો છે. પર્યાવરણની સુરક્ષા વિના ધર્મની સુરક્ષા નહીં થાય. અવાજનું પ્રદૂષણ ઓછામાં ઓછું કરનારો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. હિંદુઓની માફક મુસલમાનો પણ લાઉડસ્પીકર પરથી પ્રદૂષણ વધારતા રહે છે. આ બંને કોમ વચ્ચેના વૈમનસ્યનું રહસ્ય જાણવું છે? તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે. લાઉડસ્પીકર એક રોગનું નામ છે. ધર્મને અમથા ઘોંઘાટથી અને નાદાન ધર્મગુરુઓથી બચાવી લેવાનો છે. થોડાક શબ્દો સાંભળો:

ધર્મ? એ વળી કઇ બલાનું નામ છે?
હું તો માત્ર જીવનને જાણું છું.
જીવન એટલે ખેતર, દ્રાક્ષવાટિકા.
મંદિર તમારી ભીતર છે.
તમે જ છો એ મંદિરના પૂજારી!

તમને ખલિલ જિબ્રાનના આ શબ્દો ગમી ગયા? એ શબ્દો ‘ધિસ મેન ફ્રોમ લેબેનોન’માં વાંચવા મળ્યા.

પાઘડીનો વળ છેડે

‘ગુજરાતની પ્રજાને સુપેરે જાણતા લોકમાન્ય ટિળકને એક વખત કોઇએ ગુજરાતી લોકોની કહેવતરૂપ બની ગયેલી ધીરજ અને એના આત્મસંયમ વિશે પૂછ્યું હતું, ત્યારે તેમણે પોતાની લાક્ષણિક રીતે ઉત્તર વાળ્યો હતો કે શાણા અને શિસ્તબદ્ધ ગુજરાતીઓના ધૈર્યનો અંત આવે ત્યાર પછી તેમને જીતી શકાતા નથી…’

નોંધ : ટિળક મહારાજના આવા પ્રાણવાન શબ્દો સદ્ગત મોરારજીભાઇ દેસાઇએ પોતાની આત્મકથા ‘મારું જીવન વૃંતાત’ (ભાગ-૩)માં ટાંક્યા છે. (પૃષ્ઠ ૬૪-૬૫). ગુજરાતને રોજ પરોણી મારનારા દિલ્હીના શાસકો સુધી આ વાત કોઇકે પહોંચાડવી જોઇશે.

દિવ્ય ટપાલી

કોઈ વૃક્ષ કપટી નથી હોતું. 

કોઈ પંખી ભ્રષ્ટ હોતું.

કોઈ વાદળ કંજૂસ નથી હોતું.

પર્વત જેટલો ઉંચો,

તેમ એની ખીણ ઊંડી.

મહાસાગર ગહન-ગંભીર ખરો, 

પણ એનો ઉમળકો તો અનંત 

તરંગરાશી પર સદાય ઉછળતો જ રહે છે.

નદીના રહ્દયમાં ભેદભાવ નથી હોતો.

સાધુ જેવા દેખાતા ગમે તે માણસનો

ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને

પડાપડી કરનારા લોકોને

ઉપર ગણાવ્યાં તેવાં

ભવ્ય  અને દિવ્ય ગુરુસ્થાનો

નજરે નહીં પડતાં હોય?

Selected by Manisha manish from the book ‘Bhagvan ne Tapal

Article from ‘Bhagvan Ne Tapal’

ભગવાને માણસને આંખ આપીને કમાલ કરી છે . આંખ વડે સમગ્ર સૃષ્ટિને નિહાળવી એટલે શું, તે તો આંખ ચાલી જાય ત્યારે જ સમજાય. ડો. પાર્કેર કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં આંખનો આવિર્ભાવ થયો ત્યાર પછી ઉત્ક્રાંતિની ઝડપ ઘણી વધી ગઈ. ઉત્ક્રાંતિના ઇતિહાસમાં કરોડો વર્ષો એવા ગયા, જયારે પૃથ્વી પર વિચરતી જીવસૃષ્ટિમાં ક્યાંય આંખ ન હતી. માણસ બીજું કઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય. પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે. તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે.

‘દિવ્ય’ એટલે દૈવી, અદભુત, પ્રકાશમાન અથવા સુંદર, કવિ ન્હાનાલાલે ‘અદભુત’ નો મહિમા કર્યો: 

સહુ  અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,

મહાજ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,;

દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,

પ્રભો ! તે સૌથીએ પર પરમ તું દૂર ઉડતો.

અદભુતને નીરખીને ધન્ય થવું એ જ અધ્યાત્મ! ધન્ય થઈને અહંકારશૂન્ય થવું એ જ જ્ઞાન! અહંકારશૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ! નમનની ભાવનાથી કર્મો કરવા એ જ કર્મયોગ!

પૃથ્વી પર જ્યાં નજર પડે ત્યાં દિવ્યતાનો નિવાસ છે. આકાશમાં ગણ્યા ગણાય નહિ એટલા તારાઓ ટમટમે છે. લગભગ એવડી મોટી સંખ્યામાં અપણા શરીરમાં કોશ છે. પ્રત્યેક કોશ પોતાનું કર્તવ્ય બજાવતો રહે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. ક્ષણે ક્ષણે મરનારા અને આપણને જીવાડ્નારા એ અતિસૂક્ષ્મ કોશોને આપણે ક્યારેય જોયા નથી. જરાક થંભી જઈને વિચારીએ તો થાય કે જીવન કોશલીલા છે. બહારની વિરાટ સૃષ્ટિ અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ અંગે વિચારવાનું રાખીએ તો કદાચ પાપ કરવાનું મુશ્કેલ બની જાય. પાપ કરવાનું મુશ્કેલ બની જાય એવું જીવન એટલે દિવ્ય જીવન. પ્રત્યેક માનવનો જન્મસિદ્ધ અધિકાર છે કે તે એવા જીવન ભણી ગતિ કરે. એમ કરવામાં એ પડે, આખડે અને એનાં ઘૂટણ છોલાઈ જાય, તોય બધું ક્ષમ્ય છે. પરંતુ પ્રયત્નનો અભાવ અક્ષમ્ય છે. માનવતા તરફથી દિવ્યતા ભણીની, અંધકારથી પ્રકાશ ભણીની અને અસુંદર થી સુંદર ભણીની જીવનયાત્રા ગમે તેટલી ધીમી હોય કે વાંકીચુકી હોય તોય યાત્રાળુ ધન્ય છે. નિર્વાણની દિશામાં ધીમી ગતિએ હિડ્નારો એ બોધિસત્વ છે. કોઈ યાત્રાળુ સામાન્ય નથી. પ્રત્યેક યાત્રાળુ અસામાન્ય છે, કારણ કે તે અનન્ય છે, અદ્રિતીય છે અને  અપુનારાવાર્તનીયા છે. પ્રવાસી તો આપણે બધાં છીએ,પરંતુ આપણામાંથી કેટલાક યાત્રાળુ તરીકે જીવનારા છે. દીવ્યાનુંભૂતીમાં આવી યાત્રાલુંવૃતી ઉપકારક બને છે.

નવજાત શિશુની આંખ દિવ્યતાના બિંદુ સમી દીસે છે. સ્તનપાન કરતુંબાળક આંખો મીંચીને માતા સાથે એકરૂપબની રહે ત્યારે દિવ્યાનુભૂતિ એટલે શું તે નીરખનારનેસમજાય.પુષ્પ પર પતંગિયું બેઠું હોય અને 

આપણે એ ઘટનાને ધ્યાનસ્થ ચિત્તે નીરખીએ તો કદાચ દિવ્યાનુભૂતિ પામીએ એમ બને.  ગાયનું વિયાવું એ દિવ્ય માતૃઘટના છે. આ જગતમાં જોવા મળતી માતૃઘટનાઓ એકચિત્તે આત્મસ્થ કરવી એ. દિવ્યાનુભૂતિ પામવાનો સુંદર ઉપાય છે. દિવ્યાનુભૂતિ કેવળ મહાત્માઓનો ઈજારો નથી. જે ક્ષણે અદભુતનો એહસાસ માનવીના ચિત્તને થાય તે ક્ષણ દીવાનુંભૂતિની ક્ષણ છે. નાની નાની બાબતોમાં અદભુતની અનુભૂતિ થાય તે પણ આસ્તિકતા ગણાય.

અર્જુન સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. કૃષ્ણ ગીતામાં એને અનાર્યોએ સેવેલો, સ્વર્ગથી દૂર લઇ જનારો અને અપકીર્તિકારક એવો મોહ ત્યજવાનું કહે છે. કૃષ્ણ આગળ કહે છે : ‘હે પાર્થ! તું કાયર ન થા, તને આ ઘટતું નથી. તું રહદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને ઉભો થા.’ અર્જુન માટે કૃષ્ણે જે શબ્દો પ્રયોજ્યા તે આપણને આબાદ લાગુ પડે છે. આવા ખાસ અર્થમાં અર્જુન આપણો ખરો પ્રતિનિધિ છે. એની સઘળી મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે. એનો વિષાદ પણ આપણો વિષાદ છે. એનો વિષાદ ‘વિષાદયોગ’ કહેવાયો કારણકે એના સારથી કૃષ્ણ હતા. આપણા જીવનરથના સારથી કૃષ્ણ બને તો કંઈ વળે! અર્જુનને કૃષ્ણ તરફથી ‘દિવ્યચક્ષુ’ મળ્યાં.જે અર્જુનને મળે તે આપણને શા માટે ન મળે?અર્જુનની બીજી બધી મર્યાદાઓ હશે, પરંતુ એ અત્યંત ઋજુ  સ્વભાવનો નિખાલસ માનવ હતો. જ્યાં ઋજુતા નથી ત્યાં અર્જુનતા ન હોય અને જ્યાં અર્જુનતા ન હોય ત્યાં દિવ્યાનુભૂતિ અશક્ય છે. સરોવરના સ્વચ્છ  જળમાં સરદ્પુર્નીમાંના ચંદ્રનું પ્રતિબિબ ઝિલાય છે. સ્વચ્છ રહ્દય વિના દિવ્યતાની ઝલક પ્રાપ્ત થાય ખરી? દિવસે દિવસે અર્જુન જેવી પાત્રતા   કેળવવી એ જ ગીતામાર્ગ છે. જો પાર્થ ભીનો હોય, તો પાર્થસારથી તૈયાર જ હોવાના!

 એમ કહેવાય છે કે ખ્રિસ્તી સંત બંધુ લોરેન્સને વૃક્ષને જોઇને આત્માંનુંભૂતી થયેલી. વૃક્ષને જોવાનું સહેલું છે, નીરખવાનું સહેલું નથી. કેરલોસ કેસ્ત્નેદાએ લખેલા પુસ્તક ‘સેપરેટ રિઆલિટી’ માં ડોન જુઆન અમેરિકનને કહે છે: ‘ તું વૃક્ષને ખરેખર જુએ છે ખરો?’ એ પુસ્તકમાં આખું પ્રકરણ ‘Seeling’ પર છે. એક તબક્કે ડોન જુઆન અમેરિકનને પૂછે છે: ‘ તે અંધકારને “જોયો” ખરો?’ આપણે જોવાની, સાંભળવાની અને જીવવાની કળા ગુમાવી બેઠાં છીએ. જો આપણને જોતાં આવડી  જાય  તો  પ્રત્યેક  વૃક્ષ  એક યુનિવર્સીટી બની જાય. જો આપણે  જીવનને વહાલ કરીશું તો કદાચ જીવન પણ આપણને વહાલ કરશે. અત્યારે બાગમાં ખિસકોલીની દોડ્મદોડા નીરખવાનો કાર્યક્રમ ચાલે છે.   ચપલતાની વ્યાખ્યા ખિસકોલી પાસેથી શીખવી રહી. કોયલનો  ટહુકો  સંભળાય  ત્યારે  એટલું  સમજવું  રહ્યું કે ટહુકો હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોચ્યો છે. એ ટહુકો વસંતનો વેદમત્ર છે. આપણી સંવેદનશૂન્યતા એ ટહુકાને કાન દઈને સાંભળવાની છૂટ  નથી  આપતી. જો આપણું રહ્દય બધી રીતે નવપલ્લવિત હોય તો એક ટહુકો પણ દિવ્યાનુભૂતિ માટે પૂરતો છે.

શિયાળાની રાત શીમણી ને સવાર રળિયામણી

winter moriningમુંબઇ પાસે ઘણુંબધું છે, પણ કડકડતી ઠંડીનો હૂંફવૈભવ નથી. મન મૂકીને ઠંડી પડે ત્યારે એક હૂંફાળી ઘટના બને છે. એવે વખતે રજાઇ ઓઢવાને બદલે એમાં ભરાઇ જવાની મજા માણવા જેવી હોય છે. ધીરે ધીરે આપણા જ શરીરની ઉષ્માને કારણે પથારી અને રજાઇ વચ્ચે પોતીકી હૂંફનો મનભાવન કોશેટો રચાય છે.

સવાર પડે ત્યારે એ કોશેટો છોડતી વખતે મહાભિનિષ્ક્રમણ થતું હોય એવી લાગણી થાય છે. કવિ કહે છે : ‘જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ.’

સમગ્ર સંસાર માણસને કયાંકથી પ્રાપ્ત થતી થોડીક હૂંફ પર ટકી રહ્યો છે. હૂંફ સ્વભાવે માતૃધર્મા છે. માણસ મોટો થાય અને રાષ્ટ્રપ્રમુખ બની જાય, તોય એની ભીતર એક ગલૂડિયું લપાઇને બેઠેલું હોય છે, જે માતાની ગોદમાં ભરાઇ જવાની ઝંખના સેવતું રહે છે. શિયાળાની કડકડતી રાતે એ ગલૂડિયું રજાઇમાતાની હૂંફ પામે છે.

ગરીબની ગોદડીનાં કાણાંમાંથી ઠંડી પેસી જાય ત્યારે પાસે સળગતું તાપણું વહાલું લાગે છે. પેરિસમાં ગરીબોને ગટરનાં ઢાંકણાં પર સૂતેલાં જોયાં હતાં. તપાસ કરી ત્યારે જાણવા મળેલું કે અંદર વહેતા ગરમ પાણીને કારણે ટાઢનો સામનો કરવામાં થોડીક મદદ મળે છે.

‘પોસ્ટ ઓફિસ’ વાર્તામાં ધૂમકેતુ શિયાળાની રાતને ‘શીમણી’ કહે છે. તેઓના શબ્દો કાન દઇને સાંભળો : ‘અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું.’

મુંબઇમાં ઠંડીના કટકા નથી પડતા, પરંતુ બારે મેઘ તૂટી પડે તેવો ભીનોછમ વૈભવ ત્યાં મળે છે. આષાઢના પ્રથમ દિવસે મેઘદૂત મહોત્સવ જામે ત્યારે મુંબઇગરાને એક શબ્દ ખલનાયક જેવો અળખામણો લાગે છે : ‘ઓફિસ.’ મહાનગરોમાં ઓફિસાસુરનો આતંકવાદ માણસના જીવનને ઓહિયાં કરી જાય છે. આવું બને ત્યારે વરસાદ પણ વહાલો ન લાગે.

શિયાળાની રાતે ‘પાછલી ખટઘડી’ પૂરી થવા આવે ત્યારે મને ચાલવાની ચળ ઊપડે છે. અંધારામાં લંબાયે જતી સડક પર આવેલા પ્રત્યેક ખાડાના સ્વભાવને સમજવામાં તારાઓનું આછું અજવાળું મદદરૂપ થાય છે. શિયાળામાં પણ જે માણસ ધીમી ગતિએ ચાલે તેની પત્નીની દયા કોઇ નથી ખાતું. લંડન-પેરિસ-ન્યૂ યોર્ક- બર્લિનમાં ડોસીઓ પણ મરેલી ચાલે નથી ચાલતી.

મુંબઇની ગુજરાતણો પ્રમાણમાં ઝડપથી ચાલે છે કારણ કે તે સમયસર કયાંક પહોંચવા માગે છે. સાડીને બદલે પંજાબી ડ્રેસ કે પેન્ટ પહેરનારી સ્ત્રીઓની ચાલમાં થોડુંક ચેતન અવશ્ય ઉમેરાયું છે. ડોકટરો કહે છે કે પગ એ બીજું હૃદય છે. મરવાના વાંકે ચાલનારા, ઢીલું ઢીલું બોલનારા, વીલું વીલું હસનારા અને માથે લીધેલું કામ ધીમું ધીમું કરીને વખત મારનારા માણસોને દેશદ્રોહી કોણ કહેશે?

રોજ નિયમિત ઝડપભેર ચાલનારનું હૃદય પોતાના માલિકને દગો દેવા તૈયાર નથી હોતું. કોઇ પણ હાર્ટને ફેઇલ થવાનું નથી ગમતું.શિયાળાનું સૌંદર્ય હૂંફ થકી પ્રગટ થાય છે. ઉનાળાનું સૌંદર્ય પવનની શીતળ લહેરખી દ્વારા પ્રગટ થાય છે. ચોમાસાનું સૌંદર્ય ભીનાશથી ભરેલા હૃદય થકી પ્રગટ થાય છે.

શિયાળામાં જે સ્થાન હૂંફવૈભવનું છે, તેવું જ સ્થાન માણસના જીવનમાં મૈત્રીવૈભવનું છે. ભગવાન બુદ્ધે મૈત્રીને બ્રહ્મવિહારના પહેલા પગથિયે આદરપૂર્વક બેસાડી છે. જપાનની એક કહેવતના શબ્દો છે : ‘એક જ મધુર શબ્દ શિયાળાના ત્રણ મહિના સુધી ગરમાટો પૂરો પાડે છે.’ જે માણસ એકાદ સાચી મૈત્રી પામ્યો હોય તેને ‘ગરીબ’ કહેવામાં સમૃદ્ધિનું અપમાન છે.

જયાં દિલ હોય ત્યાં દલીલ ન હોય. જયાં સરચાઇ હોય ત્યાં સ્માર્ટનેસની જરૂર નથી પડતી. જે મૈત્રી એકાદ ગેરસમજને કારણે તૂટી પડે, તે મૈત્રી તો તૂટી પડવાને જ લાયક હતી. દાબદબાણિયાં લગ્નોને સ્વીકારનારો રુગ્ણ સમાજ સ્વરછ છૂટાછેડા સ્વીકારે તે માટે કદાચ આપણે બાવીસમી સદીના આરંભ સુધી રાહ જોવી પડશે.

એનાતોલે ફ્રાન્સ સાવ સાચું કહે છે : ‘આપણને ન ગમતાં હોય તેવા લોકોથી દૂર થઇ જવું એ કેટલી સુંદર બાબત છે?’ છૂટાછેડા પતિ-પત્ની વરચે જ થાય એવું નથી. મૈત્રી મધુર હોય તો પવિત્ર છે. કેટલાક માનવસંબંધો તૂટે તેને પણ છૂટાછેડા ગણીએ તો ‘સ્વરછ છૂટાછેડા’ પવિત્ર છે.

આપણા જીવનમાં કાયમ કેટલીક એવી વ્યકિતઓ હોય છે, જે નજીક ન આવે તો તેમનો આભાર માનવો જોઇએ. તુલસીદાસ કહી ગયા કે અસંતથી દૂર ભાગો. કયારેક કેટલાક એવા ગંધાતા નમૂના સામે ભટકાઇ જાય છે કે આપણને આપણું નાક દબાવવાનું મન થાય.સૂર્ય કદી હિમાલયવાદી, ગંગાવાદી, મંદિરવાદી, ખેતરવાદી, ઝૂંપડીવાદી કે બંગલાવાદી નથી હોતો.

એ તો કેવળ ‘હોય’ છે. એનું હોવું એટલે જ અંધારાનું ન હોવું. સૂર્ય કદી અંધારા પ્રત્યે શત્રુતા નથી રાખતો કારણ કે છેલ્લાં કરોડો વર્ષોવીતી ગયાં, તોય સૂર્યની નજરે કયારેય અંધારું પડયું નથી. આમ સૂર્યને પ્રકાશવાદી, ઉષ્માવાદી કે ઊર્જાવાદી ગણવાનું પણ યોગ્ય નથી. સૂર્ય કેવળ સૂર્ય છે અને એ છે તેથી આપણે છીએ.

શિયાળાની સવારે સૂર્યને જોવાનો નથી. આપણામાં બચેલી બધી આભારવૃત્તિ (ગ્રેટફુલનેસ) એકઠી કરીને એનાં દર્શન કરવાનાં છે. ઉપનિષદના ઋષિએ સૂર્યની સામે જોઇને શબ્દો ઉદગાર્યા હતા : ‘તારું કલ્યાણકારી સ્વરૂપ હું નીરખું છું. જે પરમપુરુષ તમે છો, તે જ હું છું.’ પરમેશ્વર પછી માનવીની સમજમાં આવે એવું કોઇ જીવનમય, ઊર્જામય અને પ્રકાશમય સત્ય હોય તો તે સૂર્ય છે.

સૂર્યપૂજા ભારતવર્ષમાં હતી, ઇજિપ્તમાં હતી અને ઇન્કા સંસ્કતિ (પેરુ) માં પણ હતી. તમે બદરી-કેદારના કોઇ શિખર પર હો કે ગ્રાન્ડ કેન્યનની ભવ્ય ભેખડની ધાર પર હો કે કિલિમાંજારોની ટોચ પર હો, બધે તમને સૂર્યોદય સમયે પ્રાર્થનામય પળ મળી જ રહેવાની. જો આપણે બેભાન હોઇએ તો શિયાળાનો સૂર્યોદય પણ લાચાર!

સૂર્યનું સત્ય આખરે તો પરમ સત્યનું સંતાન છે. સત્ય કદી પણ માકર્સવાદી, ગાંધીવાદી, હિંદુત્વવાદી, ઇસ્લામવાદી, યહૂદીવાદી કે ઇસુવાદી નથી હોતું. સત્ય કેવળ સત્ય હોય છે. આપણા પરિશુદ્ધ ‘હોવા’ પર જયારે સ્માર્ટનેસ ચડી બેસે ત્યારે મુખવટો પહેરવો જ પડે છે. માણસના સ્ટેટસનો ખરો આધાર સત્યનિષ્ઠા પર હોવો જોઇએ.

જયારે સ્ટેટસ ચૌદ કેરેટનું હોય ત્યારે સ્માર્ટનેસ હડસેલો મારીને માણસની સત્યનિષ્ઠા પર ચડી બેસે છે. એ પ્રક્રિયા પૂરી થાય ત્યારે સમાજને એક વી.આઇ.પી. પ્રાપ્ત થાય છે. મહાનગરના કુલ પ્રાણવાયુ પર જયારે કાર્બન ડાયોકસાઇડનું આક્રમણ વધી પડે ત્યારે લોકો માસ્ક પહેરવા માંડે છે.

આપણા બીઇંગ પર જયારે પણ સ્માર્ટનેસનું આક્રમણ થાય ત્યારે મુખવટો પહેરવો પડે છે. સ્માર્ટનેસનો વટ પડે છે, જયારે સત્યનિષ્ઠાનો પ્રભાવ પડે છે. જયાં વટની બોલબાલા હોય ત્યાં મુખવટો હોવાનો. લોકો જેને સ્ટેટસ કહે છે તે કયારેક તો ભવ્ય ચણતરવાળો ખાળકૂવો હોય છે. ખાળકૂવો ઝટ દેખાતો નથી. એ પોતાની દુર્ગંધને સંતાડી રાખે છે.

શિયાળાની એક ખૂબીનો હું આશક છું. શિયાળો કદી પણ ઠંડો હોવાનો દંભ નથી કરતો. એ ઠંડો ‘હોય’ છે. માણસને ચોરી કરવામાં શરમ નથી લાગતી, પણ જેલમાં જવામાં લાગે છે. ગણિકા શરમાતી નથી, પણ ગણિકાને ત્યાં જનારા સૌ છાનામાના જાય છે. આપણે રોજ રોજ જાતજાતના મુખવટાઓને મળીએ છીએ. કયારેક એવું પણ બને છે કે કોઇ ચહેરાને મળવાનું બને છે. એવું મળવું એ જ મૈત્રી છે અને મૈત્રીની સૌથી પ્રિય ઋતુનું નામ શિયાળો છે.

પાઘડીનો વળ છેડે

હે શિયાળુ પવન!
વહેતો રહેજે, વહેતો જ રહેજે.
પોતાના પર થયેલા
ઉપકારને ભૂલી જનારા
મનુષ્ય જેટલો નિર્દય તો
તું નથી, નથી અને નથી. – વિલિયમ શેકસ્પિયર

Article by Dr.Gunvant B. Shah published in Divya Bhaskar Sunday, on January 18, 2009

થનગનતા-મનગમતા કલાકો કવિતા

shahજે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે.

પાકેલા ફળને ઝાડ પરથી નીચે પડવાનો ગમ નથી સતાવતો, પણ સડી રહેલા ફળને તો એક્ષ્સ્ટેન્શન મળે તેમાં બહુ રસ હોય છે. આપણો દેશ આજે સડી ગયેલી સિનિયોરિટીના અભિશાપથી પીડાઇ રહ્યો છે. કયારેક કોઇ કુમળા છોડને ઝારી વડે પાણી પાઇએ એવી વૃત્તિથી દિવસના એકાદ કલાકનું જળસિંચન કરવાનું શકય ખરું? જરાક થોભીને વિચારીએ તો સમજાય કે છોડને પાણી પાનારો પણ અંદરથી ઊગી રહ્યો હોય છે. કેટલાક ખાસ કલાકો દરમિયાન આપણે ‘આપણે’ હોઇએ છીએ. આવા પોતીકા લાગતા ચંદ કલાકોની પ્રતીક્ષા કરવી એ પણ જીવતા હોવાનો દાર્શનિક પુરાવો છે. પાઇલટની કરિયર વર્ષોમાં નહીં, ઉયનના કલાકોમાં નોંધાતી રહે છે.

જે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે. નિર્જીવ કલાકો એટલે એવા કલાકો, જે વખતે આપણે વહેતાં રહેવાને બદલે કેવળ ઘસડાતાં રહીએ છીએ. પ્રવાહમાં નછૂટકે ઘસડાતી હિમશિલા જેવા એ કલાકો ભારે બહુમતીમાં હોય છે. ઝરણું થનગનાટ સાથે વહેતું રહે છે. જીવન એટલે થોડાક થનગનતા-મનગમતા કલોકોની કવિતા! હિમશિલા અને થનગનાટને બાર ગાઉનું છેટું! માણસનું આયખું વર્ષોમાં માપવાનો કુરિવાજ એવો તો જામી ગયો છે કે કલાકોમાં આયુષ્ય માપવાની વાત જાણી વિચિત્ર લાગે.

નોકરીની લંબાઇ પણ વર્ષોમાં મપાય છે. પરિણામે સિનિયર લલ્લુ પણ કોઇ જીવંત જુનિયર આગળ અમથો રોફ મારી ખાય છે. કાર્યક્ષમતાની સમસ્યાઓ ઓછી નથી હોતી. બિનકાર્યક્ષમતા ખાસી નિરાંત આપે છે. જીનિયસ (પ્રતિભાસંપન્ન) માણસને સતાવનારો અને મિડિયોકર (મઘ્યમ કક્ષાના) માણસને જાળવવાનો સમાજ ગરીબીને લાડ લડાવતો રહે છે. ભારત સરકારના પ્રધાનમંડળમાં કયારેય જીનિયસ ગણાય તેવા પ્રધાનોની સંખ્યા ઝાઝી નથી હોતી.

સડેલી યુવાની તો ઘડપણનું જ બીજું નામ છે. થનગનતું ઘડપણ એ તો યુવાનીનો ઉત્તરાર્ધ છે. વર્ષો પહેલાં ભારતમાં રહેનારા ગ્રીસ દેશના એલચીનું નામ વાસિલિસ વિટસાકિસસ હતું. થનગનતો-મનગમતો કલાક કેવો હોય? એલચી હોવા છતાં કવિતા લખનારા એ જીવંત માણસની પંકિતઓ સાંભળો :

મેં સરોવરના ઊંડાણમાંથી
એક તારો ઉપાડયો
અને રાતના કામણમાં
એકલો એકલો ચળકયા કરે
તે માટે આકાશમાં ફંગોળ્યો છે.
અને એનું નામ તે તું!
જેનું નામ પણ સાંભળ્યું નથી
એવા સાગરમાં મેં મારી હોડી
તરતી મૂકી છે,
જયાં હોડીઓ અને તરસ્યા હોઠ
વાસ્તવિકતાના કિનારાઓથી
દૂર ને દૂર સરકતાં રહે છે
અને એનું નામ તે તું!
રણની રેત વચાળે મેં
ફૂલોનું ઉપવન ઉછેર્યું છે.
એમના રંગો તો મેં
મેઘધનુષ પાસેથી મેળવ્યા છે.
પૃથ્વીના શ્વાસ જેવી મીઠી મીઠી સુગંધ,
અને એનું નામ તે તું!
ભરતીનાં મોજાં પરથી
હું ચંદ્રમા પર પહોંચવા મથ્યો
ચંદ્રમા ખૂબ જ ઊચે હતો,
સૂર્ય ખૂબ જ ઉષ્ણ હતો,
પણ મેં તો એક કિરણ ઝાલી લીધું.
અને એનું નામ તે તું!

માણસ સૌથી ઓછો ઉપદ્રવકારી કયારે હોય છે? આ પ્રશ્ન પર બહુ લાંબો વિચાર કર્યા પછી જે જવાબ જડયો છે તે વહેંચી દેવાનો અભરખો છે. મનુષ્ય જયારે પ્રિયજન (સોલ-મેટ) સાથે બેસે ત્યારે એની પાસે ઉપદ્રવ કરવાનો સમય જ નથી હોતો. પૂજામાં બેઠેલા માણસને બિલાડી પર સાણસીનો ઘા કરતો જોયો છે. જાત્રાએ જનારા માણસને સહપંથી બિરાદરો સાથે બાખડતો જોયો છે. કષ્ણભકત ગણાતા માણસને દહેજ લેતો જોયો છે. સેવકને જૂઠું બોલતો જોયો છે.

બ્રહ્મચારીને ફલિર્ટંગ કરતો જોયો છે. સાધુને અર્થલોભમાં ડૂબેલો જોયો છે. મુલ્લાને ગાળ બોલતો જોયો છે. પાદરીને કપટ કરતો જોયો છે. હજુ સુધી વૃક્ષની નીચે ઊભા રહેનારા બે ‘મળેલા જીવ’ને કયારેય કોઇ ઉપદ્રવ કરતા ભાળ્યા નથી. પ્રેમક્રાંતિ વિના વિશ્વશાંતિ થાય એ વાતમાં માલ નથી. એકબીજામાં ઓતપ્રોત એવી બે વ્યકિતઓ વચ્ચે ચાલતી ગુફતેગૂમાં ખલેલ પહોંચે, તેમાં જ યુદ્ધ નામની બિભત્સ ઘટનાનો પ્રારંભ સંતાયેલો હોય છે. આ વાત માનવા કોઇ તૈયાર ખરું?

ભારતીય સંસ્કતિએ એક મહાન શબ્દ વિશ્વને આપ્યો : ‘આનંદ’. આ એક એવો શબ્દ છે, જેનો કોઇ વિરોધી શબ્દ નથી. સુખ હોય ત્યાં દુ:ખ હોવાનું. ઊચું હોય ત્યાં નીચું હોવાનું. દિવસ હોય ત્યાં રાત હોવાની. ‘આનંદ’ શબ્દનો પર્યાય અન્ય ભાષાઓમાં ઝટ નહીં જડે. આવો અનોખો શબ્દ આપનારી ભારતીય સંસ્કતિમાં આનંદ ક્ષીણ થતો ચાલ્યો છે. ગરીબીનો વિસ્તાર થતો રહે છે અને ઢગલાબંધ મરેલા મરેલા કલાકો કોઇ વિરાટ કન્વેયર બેલ્ટ પર વહી રહ્યા હોય એવી સ્થિતિ છે. સમય તો જાણે વેડફી મારવાની ચીજ હોય, એ રીતે લોકો ‘જીવી’ રહ્યા છે.

વર્ષે કે બે વર્ષે ઓટોરિક્ષા કે ખટારાને આર.ટી.ઓ.માં પાસ કરાવવો પડે છે. આપણને એવી કોઇ જફા નડતી નથી. કયારેક ઊગતા સૂરજ સામે માણસ એવી રીતે જુએ છે, જાણે પોતે આથમી ચૂકયો ન હોય! આપણી દિનચર્યામાં રોજ એકાદ ‘જીવતો’ કલાક પામવાની હઠ પકડયા વિના ઘડપણથી બચવાનો કોઇ ઉપાય નથી. જેની દિનચર્યા સુંદર, તેની જીવનચર્યા સુંદર! મગ જેવા મગનો દાણો પાણીના સંપર્કમાં આવે પછી એનું પ્રફુલ્લન (સ્પ્રાઉટિંગ) થાય છે. શું માણસ મગના દાણા કરતાંય ગયો?

પાઘડીનો વળ છેડે

ચર્ચિલ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટના મહેમાન હતા. સવાર પડી અને એમણે પોતાના સેક્રેટરીને ડિકટેશન લેવા માટે બાથરૂમમાં બોલાવ્યો. સેક્રેટરીએ જોયું તો ચર્ચિલ સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં સિગારનો દમ મારી રહ્યા હતા. ચર્ચિલે ડિકટેશન આપવાનું શરૂ કર્યું પછી શાવર નીચે સ્નાન કર્યું અને પાછું ડિકટેશન આપવાનું શરૂ કર્યું. એવામાં બારણા પર ટકોરા થયા. ચર્ચિલ હજી દિગંબર અવસ્થામાં જ હતા અને એમણે બારણું ખોલ્યું. સામે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઊભા ઊભા ચર્ચિલની આંખો સામે તાકી રહ્યા હતા. આંખનું મટકું પણ માર્યા વિના ચર્ચિલે કહ્યું : ‘મિસ્ટર પ્રેસિડેન્ટ! તમે જોઇ શકો છો કે મારે કશુંય છુપાવવાનું નથી.’

Article by Dr. Gunvant B. Shah published in Divya Bhaskar Sunday on June 21, 2009