લોકતંત્રનું બ્લડપ્રેશન નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે DIVYA BHASKER, 4-1-2015

એકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી. પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં એનો ધબડકો થયો. પછી ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એનું ભારે ધોવાણ થયું. કદાચ હવે થનારી દિલ્હીની ચૂંટણીમાં પણ એ જબરો માર ખાશે. So what? આવા કંગાળ દેખાવ પછી પણ મને કોંગ્રેસનું કેમ ચચરે છે? કેવળ એક જ કારણ છે. ભારતના રાજકારણમાં સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે આજે કોંગ્રેસ સિવાય બીજો કોઇ પક્ષ સક્ષમ નથી. વારંવાર કહેવું પડશે કે લોકતંત્રનું બ્લડપ્રેશર નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે.

કોંગ્રેસની સરખામણીમાં કયો પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ લોકોનો સ્વીકાર પામે તેવી ગુણવત્તા ધરાવે છે? ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ કરતાં કઇ રીતે સારી? બિહારમાં લાલુ અને નીતીશ કરતાં કોંગ્રેસ શું ખોટી? પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસે પાયમાલી સિવાય બીજું શું આપ્યું? તામિલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારવર્ધક તો ખરા અને વળી પ્રદેશાભિમાનમાં ડૂબેલા? જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા પ્રાદેશિક પક્ષોની મથરાવટી કેટલી મેલી? કેરાલામાં સામ્યવાદીઓ અને મુસ્લિમ લીગની સરખામણીમાં કોંગ્રેસ સો દરજ્જે સારી નહીં? પંજાબમાં અકાલીદળ ક્યાં અને કોંગ્રેસ ક્યાં? ઝારખંડમાં શિબુ સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા સાથે કોંગ્રેસને ક્યાં મૂકવી? હા, પરિવારમુક્ત કોંગ્રેસ ભવિષ્યમાં જરૂર આળસ મરડીને બેઠી થવાની છે. કોંગ્રેસનું ભવિષ્ય દસ વર્ષ વીતે પછી ઉજ્જ્વળ દીસે છે.
કોંગ્રેસ પડી તે માટે એક શબ્દ જવાબદાર છે: ‘સેક્યુલરિઝમ.’ મારી વાત ગળે ન ઊતરે તો એક કામ કરો. થોડાક દિવસ પર 97 વર્ષની વયે સર્વોદયના આદર્શ પ્રમાણે જીવી જનારા મુ. ચુનીભાઇ વૈદ્યનો દેહવિલય થયો. તેઓના સેવાકર્મમાં નક્કરતા હતી અને એમનું મન અન્ય કેટલાક સેવકો જેવું બંધિયાર ન હતું. એમને વર્ષો પહેલાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલો એવોર્ડ મળ્યો તે માટેની સમિતિમાં મારી ભૂમિકા કેવી સોલિડ હતી તેના સાક્ષી કૃષ્ણકાંત વખારિયા હતા. અમે જ્યારે મળતા ત્યારે નિખાલસ વાતો થતી. તેમણે મને લખેલો એક પત્ર અહીં પ્રસ્તુત છે:

ગાંધીઆશ્રમ
અમદાવાદ-390027
તા. 20-8-2002
સ્નેહી ભાઇશ્રી ગુણવંતભાઇ,
તમારી વાતને મારું મન ટેકો આપે છે. સેક્યુલરિસ્ટો
લઘુમતીને પણ સાચી વાત કહે ત્યારે જ ‘ન્યાય’
ગણાય અને મારો અનુભવ છે કે એમ નથી થતું.
એમાં કદાચ બાળકને પટાવવા માટે એની ખોટી
વાતને પણ થાબડવામાં આવે, તેમાં જે ન્યાય
હોય છે તે હોઇ શકે, પરંતુ એ ન્યાય નહીં,
પટામણું છે.
– ચુનીભાઇ વૈદ્ય
(‘શબ્દે શબ્દે સેતુબંધ’, પાન-83)
ખાસ યાદ રાખવા જેવું છે કે ગોધરામાં ડબ્બો સળગ્યો પછી જે હુલ્લડો થયાં ત્યાર પછીના લગભગ છ મહિનાના ઉદ્વેગયુક્ત માહોલમાં આ પત્ર લખાયો છે. સ્વરાજ મળ્યા પછીનાં 66-67 વર્ષો દરમિયાન જે સેક્યુલરિઝમ કોંગ્રેસે અને કર્મશીલોએ હંકાર્યું તે અંગે આટલા ઓછા શબ્દોમાં આટલી માર્મિક વાત અન્ય કોઇ ગાંધીજને કરી નથી. ડાંગમાં જ્યારે ધર્માંતરણને પ્રશ્ને તોફાનો થયાં ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ ડાંગની મુલાકાત લીધી હતી. તે સમયે શ્રી ઘેલુભાઇ નાયક સાથે મળીને મુ. ચુનીભાઇએ ધર્માંતરપ્રવૃત્તિનો સ્પષ્ટ વિરોધ વાજપેયીજી સમક્ષ નોંધાવ્યો હતો. ચુનીભાઇએ એમ કર્યું ત્યારે અન્ય ગાંધીજનો એમના પર તૂટી પડ્યા હતા. એ વખતે મારી કટારમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ કટારમાં મેં લખ્યું હતું કે ધર્માંતરનો વિરોધ ગાંધીજી, વિનોબા, સરદાર પટેલ, રાજાજી, રવીન્દ્રનાથ ટાગોર, મૌલાના આઝાદ અને ખુદ ઇસુ ખ્રિસ્તે પણ કરેલો. ‘સેક્યુલર ધર્માંતર’ જેવું કશુંક હોઇ શકે?
કોંગ્રેસે જે સેક્યુલર વિચારધારા સ્વીકારી તે પ્રદૂષિત હતી. એમાં ભારોભાર ‘પટામણું’ હતું અને એ પટામણું મુસ્લિમ વોટબેંકનું મોહતાજ હતું. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું તે અંગે મારે ચાર પુસ્તકો લખવાનું બન્યું. પુસ્તકોને પાને પાને કોંગ્રેસનું સિન્થેટિક સેક્યુલરિઝમ કેટલું પોલું હતું તે દર્શાવ્યું છે. સ્વરાજ મળ્યા પછી લાખો હિંદુઓ વટલાયા છે. શું એ બધા સમજપૂર્વક અન્ય ધર્મોમાં ગયા હતા? સ્વરાજ મળ્યા પછી પણ કેટલાં હિંદુ મંદિરો તૂટ્યાં? કાશ્મીરમાં એક જૈન મંદિર જમીનદોસ્ત થયું હતું. સ્વરાજ મળ્યા પછી ચાલેલી આવી એકતરફી સેક્યુલર લીલા આજે કોંગ્રેસને નડી રહી છે. મારી વાત ખોટી લાગી? તો હવે આગળ વાંચો.

બાબરી મસ્જિદ તૂટી પછી તા. 8-8-1993ને દિવસે ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પાડગાંઉકરને આપેલી મુલાકાતમાં જાણીતા વિચારક અને રેશનલિસ્ટ નિરદ ચૌધરીએ કહેલા શબ્દો કાન દઇને સાંભળો: ‘એ મસ્જિદનો ધ્વંસ થયો તે અંગે ફરિયાદ કરવાનો મુસ્લિમોને જરા જેટલો અધિકાર નથી. ઇ.સ. 1000 પછી કાઠિયાવાડથી તે બિહાર સુધી અને હિમાલયથી તે વિંધ્યાચળ સુધીના વિસ્તારમાં આવેલા પ્રત્યેક હિંદુ મંદિરને ક્યાં તો તોડી પાડવામાં આવ્યું હતું કે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ઼ં. ઉત્તર ભારતમાં બધેબધ એક પણ હિંદુ મંદિરને સલામત રહેવા દેવામાં આવ્યું ન હતું.’ પૂછવા જેવો પ્રશ્ન એક જ છે: ‘શું હિંદુઓને પણ સંવેદના હોઇ શકે એવું ખરું? ભારતનું સેક્યુલરિઝમ એવી વાજબી સંવેદનાને ધરાર અવગણીને ચાલે તે યોગ્ય ખરું? સ્વરાજ મળ્યા પછી એમ જ બન્યું છે અને વારંવાર બન્યું છે.’

કોંગ્રેસે એક જ કામ કરવાનું છે. આપણે એને ‘કોર્સ કરેક્શન’ કહી શકીએ. ખોટા માર્ગે ફંટાઇ ગયા પછી સાચા માર્ગે પાછા આવવાની વાત છે. વિજ્ઞાનની પરિભાષામાં એને ‘સાયબરનેટિક્સ’ પણ કહે છે. આ શબ્દનું ગ્રીક મૂળ દરિયા સાથે જોડાયેલું છે. જ્યારે વહાણ એની ખરી દિશાથી ફંટાઇ જાય પછી પાછું સાચી દિશામાં આવી જાય, તેને cybernatics કહે છે. કોંગ્રેસે સેક્યુલરિઝમની જે અવદશા કરી તે પાપની પ્રતિક્રિયાનો લાભ નરેન્દ્ર મોદીને મળ્યો છે. સેક્યુલરિઝમ કંઇ હિંદુ-વિરોધી કે મુસ્લિમ તરફી સંકલ્પના નથી. એનો ખરો સંબંધ માનવતા સાથે છે. વર્ષોથી ધૂંધવાઇ રહેલી હિંદુ પ્રતિક્રિયા ભાજપને ફળી છે. આજે જે બની રહ્યું છે, તેમાં ‘પ્રતિક્રિયાત્મક અવિવેક’ કેટલાક હિંદુ પાગલો દ્વારા રોજ પ્રગટ થતો જણાય છે. મને સતત એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇને ઠરીને દસ વર્ષ સુધી વિકાસની રાજનીતિ માટે કામ કરવા દેવું જોઇએ. સેક્યુલર સનેપાતનો સામનો હિંદુ સનેપાત દ્વારા ન થઇ શકે. નરેન્દ્રભાઇની સ્થિતિ કફોડી થાય એવાં ઉચ્ચારણો રોજ પ્રગટ થતાં રહ્યાં છે. બધા બાવાઓ કાંઇ સાધુ કે યોગી કે સ્વામી નથી હોતા. બધા બાપુ કાંઇ મોરારિબાપુ નથી હોતા. બધા ફાધર કાંઇ ફાધર વાલેસ નથી હોતા. બધા મુલ્લાંજી કાંઇ મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. આપણે ક્યારે સુધરીશું?{ (તા. 23-12-2014)
પાઘડીનો વળ છેડે
કોંગ્રેસ પક્ષે મુસ્લિમ કટ્ટરતા સામે
એવી જ રીતે
હુમલો કરવો જોઇએ, જે રીતે
એ હિંદુ કટ્ટરતા પર તૂટી પડે છે.
આપણે મુસ્લિમ કટ્ટરતા વિરુદ્ધ
એટલી તીવ્રતાથી નથી બોલતા,
જેટલી તીવ્રતાથી હિંદુ કટ્ટરતાની
વિરુદ્ધ બોલીએ છીએ.
– દિગ્વિજય સિંઘ
(ટા.અો.ઇ. 25-9-2014)
નોંધ: હવે મારે કશુંય કહેવાનું બચે છે ખરું? ‘પટામણું’ મોંઘું પડ્યું!

કોંગ્રેસ મરી પરવારે એ દેશના હિતમાં નથી DIVYA BHASKER, 5-11-2014

નવા વર્ષની શુભકામના પાઠવવા માટે મારા પર સૌથી પહેલો ફોન કોનો આવ્યો હશે? તમે ગમે તેટલાં નામ વિચારશો તોય ખોટા જ પડવાના છો. ધનતેરસની સાંજે દિલ્હીથી અહમદભાઇ પટેલે કહ્યું: ‘મુરબ્બી! તબિયત સાચવજો.’ મેં જવાબમાં કહ્યું: ‘અહમદભાઇ! વડોદરા આવો તો…’ અહમદભાઇએ કહ્યું: ‘વડીલ! તમને મળવા આવેલો પછી હું વડોદરા આવ્યો જ નથી. હવે આવું ત્યારે તમને મળ્યા વિના દિલ્હી પાછો નહીં ફરું એ નક્કી.’ કેટલાંય વર્ષોથી અહમદભાઇ મારા પ્રત્યે આવું આભિજાત્ય બતાવતા રહ્યા છે.

આવી અંગત બાબત મેં અહીં કેમ પ્રગટ કરી? જે ગાંધી-નેહરુ પરિવારની કડક આલોચના કરવામાં હું કોઇ કસર છોડતો ન હોઉં, તે પરિવારની સૌથી નજીક ગણાતા અહમદભાઇ મારા પ્રત્યે સદ્્ભાવ શા માટે રાખે? નરેન્દ્ર મોદી પ્રત્યે મારો જે સ્નેહાદર છે તે વાતની એમને પાકી ખબર છે. જૂઠું બોલવામાં અને જૂઠું આચરવામાં કુશળ એવા કેટલાક કહેવાતા કર્મશીલો પોતાના કરતાં જુદો અભિપ્રાય ધરાવનાર મનુષ્યને અંગત શત્રુ ગણવાની કુટેવ છોડવા તૈયાર નથી હોતા. જેમની પાસે તટસ્થતાનો ‘ત’ પણ ન હોય એવા આ મિત્રો માનવ-અધિકારની વાતો કયા મોઢે કરતા હશે? શું જુદો અભિપ્રાય ધરાવવો એ મનુષ્યનો મૂળભૂત અધિકાર નથી? લોકતંત્રની શોભા બે શબ્દોમાં આબાદ પ્રગટ થાય છે: ‘દ્વેષરહિત અસંમતિ.’ આવી શોભા જે સામયિકમાં પ્રગટ થાય, તે ‘વિચારપત્ર’ કહેવાય, બાકી તો…

2014ની ચૂંટણીમાં ભાજપ તરફથી એક બોગસ સૂત્ર વહેતું થયું: ‘કોંગ્રેસમુક્ત ભારત.’ આ એક ખતરનાક સૂત્ર છે કારણ કે એમાં લોકતંત્રની ક્રૂર અને અક્ષમ્ય મશ્કરી થતી રહી છે. લોકસભામાં કોંગ્રેસ પક્ષને માત્ર 44 બેઠકો મળી તોય આ સૂત્ર લોકતંત્રની આબોહવાને પ્રદૂષિત કરનારું છે અને તેથી વાંધાજનક છે. વારંવાર આ કટારમાં લખ્યું છે કે ખરી જરૂર કોંગ્રેસમુક્ત ભારતની નહીં, પરંતુ પરિવારમુક્ત કોંગ્રેસની છે. આજે પણ કોંગ્રેસ પાસે કેટલાક એવા અનુભવી, સમજુ અને સમર્થ નેતાઓ છે, જેઓ સોનિયા-રાહુલને અમથા વેઠી રહ્યાં છે. જનાર્દન િદ્વવેદી, જયરામ રમેશ, અહમદ પટેલ, ચિદમ્બરમ્, કપિલ સિમ્બલ અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા અનુભવી લોકો નાદાન રાહુલના કહ્યામાં હોય એ તો આપણું ‘ફ્યૂડલ કમનસીબ’ ગણાય. વળી જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, મિલિન્દ દેવરા અને જિતીન પ્રસાદ જેવા તેજસ્વી નવયુવાનોને રાહુલ માર્ગદર્શન (?) આપે તે કોંગ્રેસના નસીબની બલિહારી ગણાય. અટક બાદ કર્યા પછી રાહુલમાં શું બચે છે? વિચારવું પડે તેમ છે.

ગામના જાગીરદારની હવેલીમાં ભવ્ય પગથિયાં ચડતી વખતે વસવાયાને જે લઘુતાગ્રંથિનો અનુભવ થાય, તેવો જ અનુભવ કોંગ્રેસના સિનિયરમોસ્ટ નેતાને 10 જનપથનાં પગથિયે થાય તેવી માનસિકતા કોંગ્રેસને ગ્રસી રહી છે. જો વિચારશીલ કોંગ્રેસજનો હવે નહીં જાગે, તો એક જ પરિવારની ગુલામી દેશના આ ઇતિહાસિક પક્ષને ખતમ કરી નાખશે. કોંગ્રેસ મરી પરવારે એ દેશના હિતમાં નથી. દેશને એક એવા સબળ વિરોધપક્ષની જરૂર છે, જે નરેન્દ્ર મોદી જેવા સમર્થ નેતા હેઠળ મજબૂત બની રહેલા ભાજપનો યોગ્ય સામનો કરી શકે. આર.એસ.એસ.ની પકડ ભાજપને તંદુરસ્ત સત્તાધારી પક્ષ બનવા દે તેમ નથી. આજે પણ કોંગ્રેસ પાસે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે. આજે પણ કોંગ્રેસની વિચરાધારામાં જ્ઞાતિનિષ્ઠા કે પ્રદેશનિષ્ઠા કરતાં રાષ્ટ્રનિષ્ઠાનું તત્ત્વ વધારે મજબૂત છે. પરિવારની ફ્યૂડલ ગુલામી દૂર થાય પછી બચેલા કોંગ્રેસ પક્ષનો જીર્ણોદ્ધાર થાય એ શક્ય છે અને ઇચ્છનીય છે. નરેન્દ્ર મોદી સિવાયનો ભાજપ આજની કોંગ્રેસ કરતાં જરાય વધારે મજબૂત નથી.

હા, મણિશંકર અય્યર જેવા બુદ્ધિખોર પાગલો એવું સ્વીકારી નહીં શકે કે આવતો દાયકો (2014થી 2024) ભારતના ઇતિહાસમાં ‘મોદી દાયકા’ તરીકે જાણીતો બને તેવી પૂરી શક્યતા છે. જો કોઇ આતંકવાદી મોદીને હાનિ નહીં પહોંચાડે, તો આ ભવિષ્યવાણી ખોટી નહીં પડે. આવી ભવિષ્યવાણી સાથે સંમત થનારા કોંગ્રેસી મિત્રોની સંખ્યા ઓછી નથી. તેઓ જાહેરમાં બોલતા નથી, પરંતુ મને ખાનગીમાં સાચું લાગે તે કહી દે છે. સુજ્ઞ વાચકો આ લખાણ ફાઇલમાં સાચવી રાખે તો 2024માં વાંચવામાં ગમ્મત પડશે. મારો ગુનો કયો તે જણાવું? જ્યારે મોદી માટે એક સાચું વાક્ય લખવા બદલ એક હજાર ગાળો ખાવી પડતી હતી, ત્યારે મેં નિયતિના આ સુપુત્રમાં પડેલી અપાર શક્યતા નિહાળી હતી અને પ્રમાણી હતી. આવો રમણીય ગુનો કરવા બદલ આજે મને અંદરથી ગૌરવની લાગણી થાય છે. સાવ જુદી માટીના આવા વડાપ્રધાન દેશને વારંવાર નહીં મળે. મારી આ વાત સાથે અસંમત થનાર કોઇ વિચારક આપોઆપ બેઇમાન બની જતો નથી.

મોદીની કડક આલોચના કરવી એ તટસ્થ બૌદ્ધિકની ફરજ છે. પૂર્વગ્રહમુક્ત આલોચના અત્યંત પવિત્ર બાબત છે. જે કહેવાતા કર્મશીલને ખુલ્લું મન રાખવામાં જ શરમ આવતી હોય, તેણે મૌન સેવવું જોઇએ. પૂર્વગ્રહના મ્યુઝિયમમાં કોઇ સર્વોદય સેવક નિવાસ કરે, તો તે ગાંધીદ્રોહ કરનારાે ગણાય. મગજની બધી બારીઓ બંધ રાખે, તેણે ગાંધીનું નામ લઇને વાતો કરવાનું ટાળવું જોઇએ. લોકતંત્ર આખરે તો ખુલ્લા મનનું મંદિર છે. એ મંદિરની ધૂપસુગંધનું નામ સત્યશોધન છે. રોબર્ટ વાડ્ રાના પક્ષે રહેલા નવટાંક સત્યનો સ્વીકાર કરવાની ત્રેવડ પણ ગાંધીજનોમાં હોવી જોઇએ. આવું બધું લખવાનું મન થયું તેનું ખાનગી કારણ જણાવું? 2002ના ફેબ્રુઆરીની 27મી તારીખ પછી જે અંગ્રેજી અખબારે મોદીની નિંદા કરવાની ફેશન લોકપ્રિય બનાવી હતી, તે જ અખબાર આજે મોદીની પ્રશંસા કરવામાં સૌથી મોખરે કેમ છે? વર્ષ 2002 પછીનો એક દાયકો એવો ગયો જેમાં CBIનો દુરુપયોગ કરીને દર અઠવાડિયે એવો માહોલ ઊભો કરવામાં આવતો હતો કે હવે મોદીનું જેલમાં જવાનું નક્કી!

તિસ્તા સેતલવડની મારકણી આંખોમાં અસત્યમય આક્રમકતા ત્યારે રોજ ટીવી પર જોવા મળતી હતી. સોહરાબુદ્દીન સંત હોય તેમ એના મૃત્યુને એવું ગૌરવ સેક્યુલરિઝમને નામે પ્રાપ્ત થયું હતું, જાણે શહીદ ભગતસિંહની શહાદત ન હોય! સ્વાધ્યાય સાથે જોડાયેલી દીદીમૂલક અંધશ્રદ્ધા સામે પડેલા પંકજ ઝવેરીની હત્યા થઇ તેનું દુ:ખ પ્રગટ કરવામાં માનવ-અધિકારના કહેવાતા રખેવાળોને કોઇ જ રસ ન હતો. પંકજ ઝવેરી મુસલમાન ન હતા અને આતંકવાદી પણ ન હતા. બસ, વાત પૂરી! ભારતીય લોકતંત્ર, નથી કોંગ્રેસની મિલકત કે નથી ભાજપની મિલકત. એ તો ભારતીય પ્રજાની મહામૂલી જણસ છે. ચોવીસ કેરેટની એ જણસની શોભા જાળવવાનું કામ કેવળ રાજકારણી જમાત પર છોડી ન શકાય. પાપનો ઘડો ભરાઇ ગયા પછી એમાં વધારાનું એક ટીપું પણ સમાતું નથી. જે મનુષ્ય જૂઠો ન હોય તેના મુખ પર સત્યપાલનની એક તેજલ ઝાંય પ્રગટ થતી હોય છે. CAGવાળા વિનોદ રાઇ, કોયલા મંત્રાલયમાં સચિવ તરીકે ગોટાળા કરનારાઓને નજીકથી જોનારા પી.સી. પારખ અને રોબર્ટ વાડ્રા રાનાં કરતૂતોને પકડી પાડનારા અશોક ખેમકાના ઇન્ટરવ્યૂ ટીવી પર ઝીણી આંખે જોયા પછી એમ લાગે છે કે તેઓ જૂઠાબોલા નથી.

આવનારા દિવસોમાં જયલલિતા પછી લાઇનમાં એ. રાજા, કણીમોઝી, લાલુપ્રસાદ, મુલાયમ, માયાવતી અને મમતા ઊભેલાં દેખાય છે. પરદેશી બેંકોમાં નાણાં રાખનારાં નામો પણ પ્રગટ થવાનાં છે. ભારતીય લોકતંત્રને ફ્યૂડલવૃત્તિમાં ઝબોળાયેલા વંશવાદને કારણે લૂણો લાગ્યો હતો. હવે પરિવારવાદ ખતમ થાય તેવી આશા બેઠી છે. રાહ જોઇએ. રાજકારણીઓએ નથી કર્યા એટલા નિરાશ લોકોને બૌદ્ધિકોએ કર્યા છે. આ લેખ હું બેસતા વર્ષના શુભ દિવસે લખી રહ્યો છું. સુજ્ઞ ગુજરાતી વાચકોને એક નવી વ્યાખ્યા નૂતન વર્ષે આપવી છે: ‘પોતાનાથી ભિન્ન અભિપ્રાય ધરાવનાર મનુષ્યને જે શત્રુભાવે ન જુએ, તે બૌદ્ધિક કહેવાય.’ રસ્તે જતા હો ત્યારે સામે શત્રુભાવથી સળગતો કોઇ બૌદ્ધિક તમને મળી જાય, તો આંગળી દબાવીને નાક પર લગાડી દેવાનું ચૂકશો નહીં. યાદ રાખો કે બધા બૌદ્ધિકો લોર્ડ ભીખુ પારેખ જેવા હોતા નથી. મારા તાબામાં હોય તેટલી તટસ્થતા સાથે ફરી ફરીને કહેવું છે: કોંગ્રેસમુક્ત ભારતની નહીં, પરંતુ પરિવારમુક્ત કોંગ્રેસની દેશને જરૂર છે. (લખ્યા તા. 24-10-2014, બેસતું વર્ષ)
પાઘડીનો વળ છેડે
રાહુલ!
તમે બાજુ પર ખસી જાઓ!
નહીં તો
કોંગ્રેસ પડતી પડતી
છેક અપ્રસ્તુત બની જશે
એવું તારણ આગળથી
કાઢી શકાય તેમ છે.
‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ (23-10-2014)
નોંધ: માનશો? ટાઇમ્સના યાદગાર તંત્રીલેખમાં શીર્ષક તરીકે મોટા અક્ષરે આ શબ્દો છપાયા હતા. વર્ષોથી મને આ અખબારનું વ્યસન છે.

આજે પણ કોંગ્રેસ પાસે રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે.આજે પણ કોંગ્રેસની વિચરાધારામાં જ્ઞાતિનિષ્ઠા કે પ્રદેશનિષ્ઠા કરતાં રાષ્ટ્રનિષ્ઠાનું તત્ત્વ વધારે મજબૂત છે. પરિવારની ફ્યૂડલ ગુલામી દૂર થાય પછી બચેલા કોંગ્રેસ પક્ષનો જીર્ણોદ્ધાર થાય એ શક્ય છે અને ઇચ્છનીય છે.

ગુણવંત શાહ

પાતાળકૂવાને તળિયે પહોંચેલી કોંગ્રેસનું મને ચચરે કેમ છે?.DIVYA BHASKER, 11-8-2014

કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે અને એનો વર્તમાન અભવ્ય છે. એનું ભવિષ્ય ધૂંધળું છે. એ ધૂંધળું છે તોય આશાસ્પદ હોવાને પાત્ર છે. કોંગ્રેસમુક્ત ભારત અંગે જે બકવાસ થાય છે, તે દેશના અને લોકતંત્રના હિ‌તમાં નથી. નરસિંહ રાવના શાસન પછી લોકસભામાં કોંગ્રેસને માત્ર ૧૧૨ બેઠકો મળી ત્યારે પણ આ વાક્ય લખ્યું હતું: ‘કોંગ્રેસ મરે તે દેશના હિ‌તમાં નથી.’ હું કોંગ્રેસ કલ્ચરનું જન્મજાત સંતાન છું. મારો પરિવાર ખાદીમય, ગાંધીમય અને કોંગ્રેસમય હતો. ‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હવે હું જે લખું તેને જવાબ નહીં જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવાનો ઇરાદો છે. તો હવે ચાલો મારી સાથે સાથે

દૃશ્ય:૧
વર્ષ ૧૯૪૬-૪૭નું હશે. સરદાર પટેલ ત્રણેક દિવસ માટે બારડોલી સ્વરાજ આશ્રમમાં રહેવા માટે ગયેલા. ઉત્તમચંદ શાહના ઓટલા પર સુરતનાં સંનિષ્ઠ સેવિકા જ્યોત્સનાબહેન શુકલ સેવાદળના સાત-આઠ યુવક-યુવતીઓને શું કહી રહ્યાં હતાં? સાંભળો:
કાલે ઊઠીને ખુદ ગાંધીબાપુ આપણને
કહે કે ખાદી છોડી દો,
તો આપણે એમની વાત માની જઇશું?
ના, ના, ના. આપણે બાપુને સામો પ્રશ્ન પૂછીશું:
બાપુ અમે લોકોએ સમજીને ખાદી અપનાવી છે,
માત્ર તમારા કહેવાથી નથી અપનાવી.
હવે અમને સમજાવો: ખાદી શા માટે છોડવી?

જ્યોત્સનાબહેન વિશે મામાસાહેબ ફડકેની આત્મકથામા સુંદર લખાયું છે. તે દિવસે જીવનમાં પહેલી વાર જીપ જોયેલી. વિસ્મયનો પાર નહીં હું જીપને ટગર ટગર નિહાળી રહ્યો હતો, જાણે કોઇ જંગલી પ્રાણીને પ્રથમ વાર જોઇ રહ્યો હોઉં સરદાર પટેલ સાથે મારે ત્રણ વાક્યોની વાત થઇ હતી: સરદાર બોલ્યા: ‘ક્યાંથી આવે છે? કોની સાથે આવ્યો છે? ખાદી પહેરે છે?’ ચોથું વાક્ય તેઓ બોલ્યા હોય તોય યાદ નથી. વર્ષો વીતી ગયાં પછી મારે સુરતની યુનિવર્સિ‌ટીમાં શિક્ષણ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જવાનું થયું. એક નાની સભામાં સુરતના સોનીફળિયામાં આવેલા કોંગ્રેસભવનમાં મારું પ્રવચન હતું અને જ્યોત્સનાબહેન સભાના પ્રમુખ હતાં. મેં સભામાં ઉપરનો કિસ્સો કહી સંભળાવ્યો. જ્યોત્સનાબહેન તો આનંદાશ્ચર્યમાં ડૂબી ગયાં વાત જૂની હતી, પરંતુ વિચાર તાજો હતો.

દૃશ્ય: ૨
કાનજીભાઇ દેસાઇ (કનૈયાલાલ દેસાઇ) અમારા રાંદેરના ઘરે પ૦થી ઓછી વાર ન આવ્યા હોય. લગભગ બકરીની માફક પાન ચાવતા જાય અને સામે બેઠેલા ખેડૂતોને નામ દઇને બોલાવતા જાય. આ ઉમદા નાગર સજ્જને ઓલપાડ તાલુકામાં એમની માલિકીની જાગીરદારીની જમીન કોળી ગણોતિયાઓને (ગણોતધારાના કાયદા પછી) મફતમાં આપી દીધી હતી. સરદાર પટેલના ખાસ વિશ્વાસુ અને મોરારજીભાઇના તો ખાસમખાસ તેઓ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. વારંવાર મિટિંગ માટે અમદાવાદ જવાનું બને ત્યારે સુરતના વિખ્યાત દેવશંકર ઘારીવાલાને ત્યાંથી ઘારીની ૨પ-૩૦ ટોપલીઓ (હા ટોપલી, બાકસ નહીં) કોંગ્રેસી સાથીઓ માટે પ્રેમથી લઇ જાય.

કોંગ્રેસ કલ્ચરનું શિખર જોવું હોય તો કાનજીભાઇનો ત્યાગ જોવો પડે. એમનું એક ખેતર રાંદેરમાં મારા ખેતરની સાથોસાથ આવેલું હતું. એમના સુપુત્ર હિ‌તેન્દ્ર દેસાઇએ તે વખતે સંસ્થા કોંગ્રેસ છોડીને પોતાને, મુંબઇ રાજ્યના શિક્ષણપ્રધાન અને પછી ગુજરાતના મુખ્યપ્રધાન બનાવનારા વડીલ મોરારજીભાઇને રીતસર દગો દઇને ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે જ દિવસે ઇન્દિરા કોંગ્રેસ અપનાવેલી. સુરતમાં એમના ઐતિહાસિક ઘરમાં નેહરુ, સરદાર, મૌલાના આઝાદ, રાજાજી, સરોજિની નાયડુ અને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ આવતા અને રહેતાં. એ ઘર ‘વાંઝિયા’ ફળિયામાં આવેલું હતું. (હિ‌તેન્દ્ર દેસાઇ નિ:સંતાન હતા.) તેઓ એ જ ઘરેથી જીવનની છેલ્લી ચૂંટણી સંસ્થા કોંગ્રેસ સામે લડયા હતા અને ડિપોઝિટ ગુમાવી હતી. પાછલી ઉંમરે તેઓ શાહીબાગના નિવાસે સાવ જ એકલા

દૃશ્ય:૩
કલ્યાણજી મહેતા વાંઝ ગામના વતની હતા. મોરારજીભાઇથી તો કોંગ્રેસમાં ઘણા સિનિયર ગણાય. મારે ઘરે કોંગ્રેસી મિત્રો ભેગા થયા ત્યારે ગોરધનદાસ ચોખાવાળા અને જ્યોત્સનાબહેન હાજર હતાં. કલ્યાણજીભાઇએ કહ્યું: ‘મોરારજીભાઇને ક્યારેક આપણે ચિઠ્ઠી લખીએ અને બિલકુલ વાજબી ભલામણ કરીએ તોય ગાંઠતા નથી. આપણે આ ચલાવી લેવું રહ્યું કારણ કે આવો કડવો છતાં પણ સાચો મુખ્યપ્રધાન (મુંબઇ રાજ્ય) આપણને ક્યાંથી મળવાનો?’ આ હતું ઉમદા કોંગ્રેસ કલ્ચર.

દૃશ્ય: ૪
૧૯પ૨ની સામાન્ય ચૂંટણીમાં પૂજ્ય રવિશંકર મહારાજ કોંગ્રેસના સક્રિય પ્રચારક હતા. તેમનું પ્રચારકાર્ય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબર સાથે સૌરાષ્ટ્રમાં ભૂપત બહારવટિયાના ત્રાસક્ષેત્રનાં ગામોમાં પણ થતું રહેતું. એક ગામે સભામાં ગોળી છૂટેલી ત્યારે બંને મહાનુભાવો માંડ બચી ગયેલા. ૧૯પ૭માં પૂજ્ય મહારાજની ભૂદાન પદયાત્રા ચાલતી હતી. ચૂંટણીથી પૂજ્ય મહારાજ દૂર રહેલા, પરંતુ કેટલાક કોંગ્રેસી આગેવાનો તેમને ચાલુ પદયાત્રામાં મળવા આવતા અને પોતાના મતક્ષેત્રમાં કોઇ મત તાણી લાવે એવા આગેવાન માટે પૂજ્ય મહારાજની ભલામણ ચિઠ્ઠી લઇ જતા.

અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે પહોંચી ત્યારે રાતે મુંબઇ રાજ્યના નાયબ કક્ષાના પ્રધાન વડોદરાના જશવંત શાહ આવ્યા અને વાંસડાની માફક પૂજ્ય મહારાજના ચરણોમાં સાક્ષાત્ દંડવત્ પ્રણામ કર્યાં. મારા માટે એ દૃશ્ય સાવ નવું હતું કારણ કે પૂજ્ય મહારાજ આવી હરકતોથી રાજી ન હતા. એમની વિનંતીથી પૂજ્ય મહારાજે ભલામણ ચિઠ્ઠી લખાવી તે મારે હાથે લખાયેલી. જશવંતભાઇએ પોતે સહકારી ક્ષેત્રે જે કામ ચાલુ હતું તેની વાત કરી ત્યારે પૂજ્ય મહારાજે એમને સણસણતું વાક્ય સંભળાવેલું તે આજે પણ મારી સ્મૃતિમાં તાજું છે. પૂજ્ય મહારાજે કહ્યું: ‘એકલો માણસ કોઇને લૂંટે તેના કરતાં ઘણા માણસો સહકારપૂર્વક ભેગા મળીને ગરીબને લૂંટે તેનું જ નામ સહકારી પ્રવૃત્તિ ને?’

દૃશ્ય: પ
ઇન્દિરાજી સત્તા પર આવ્યાં અને કોંગ્રેસ કલ્ચર ક્ષીણ થયું અને કટોકટી લાદવામાં આવી ત્યારે નષ્ટ થયું. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા ત્યારે ગરીબમિત્ર ઝીણાભાઇ દરજી મોરારજીભાઇની સાથે સોલિડ ઊભા હતા. વડોદરામાં ડો. ઠાકોરભાઇ પટેલને ત્યાં મોરારજીભાઇ ઊતર્યા હતા ત્યારે રાતે બાર વાગે ઝીણાભાઇ ત્યાં પહોંચ્યા અને સોફા પર સૂઇ રહ્યા. સવારે મોરારજીભાઇ દાદર ઊતરતા હતા ત્યારે ઝીણાભાઇએ વાંકા વળીને પગથિયાં પર જ મોરારજીભાઇને વંદન કર્યાં. શત્રુ-ઉછેર-કેન્દ્રના માલિક એવા મોરારજીભાઇએ ઝીણાભાઇને ખંખેરી કાઢયા આ દૃશ્ય જોનારા કોંગ્રેસી મિત્ર અશ્વિન શાહે મને બીજી વાત પણ કરી. ઠાકોરભાઇને ત્યાં સત્તાવિહીન ઇન્દિરાજીનો ઉતારો હતો ત્યારે ઝીણાભાઇ એમને મળવા ગયા.

ઝીણાભાઇ વિદાય થયા ત્યારે ઇન્દિરાજીએ દેખાવડા અશ્વિન શાહને કહ્યું: -ઋર્‍ જ્ઞ્ૌખ્રજ્, યાને ઝીણાભાઇના શરીરમાંથી વાસ આવે છે.
ઝીણાભાઇનું કોંગ્રેસ કલ્ચર કેવું ઉદાત્ત હતું? અમદાવાદથી કારમાં વ્યારા જાય ત્યારે વડોદરાના રાજુ ખમણ હાઉસ પરથી મને ફોન જોડીને કહેતા: ‘ગુણવંતભાઇ, સલામ મારવા ફોન કર્યો.’ મારા ઘરે ઝીણાભાઇ ફક્ત એક જ વાર પધાર્યા હતા. આવ્યા ત્યારે એક એવી વાત કરતા ગયા કે કોંગ્રેસ કલ્ચરની સુગંધનો અનુભવ થયો. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડનું ઝીણાભાઇ પર ભારે દબાણ હતું કે તેમણે સુરતમાં મોરારજીભાઇ સામે ઊભા રહેવું. ઝીણાભાઇનું આભિજાત્ય જુઓ એમણે કહ્યું: ‘હું મોરારજીભાઇ સામે કદી ચૂંટણી નહીં લડી શકું.’

દૃશ્ય: ૬
તા. પમી માર્ચ (૨૦૧૩)ને દિવસે પ્રેમપૂર્વક અહમદભાઇ પટેલ સાંજે ઘરે મળવા માટે આવ્યા. વાતો ૨પ મિનિટ સુધી ચાલી. તેઓ એટલી શાંતિથી બેઠા કે જાણે કોઇ બીજું કામ ન હોય. સાથે મિત્ર કદિર પીરઝાદા પણ હતા. વાતોમાં ખાનદાની ટપકતી જોઇ. હું સોનિયાજીની કડક ટીકા કરું છું તે તેઓ જાણે છે. કોંગ્રેસ કલ્ચર પ્રગટ થયું. એવું જ શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિ‌લ આવ્યા ત્યારે પણ અનુભવેલું. મારું વલણ વાચકોને સમજાય તે માટે મારા લેખનાં બે મથાળાં જ પ્રસ્તુત છે:
૧. (ન્યુક્લિયર સંધિના સંદર્ભે) કોંગ્રેસ ફુલ્લી પાસ, ભાજપ ફુલ્લી નપાસ (દિ. ભા. ૯-૯-૨૦૦૭)
૨. મોદી કષ્ટથી સાવધાન (દિ. ભા. ૩૦-૧૨-૨૦૦૭)

દૃશ્ય: ૭
સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે પ્રમુખ સીતારામ કેસરીની અવદશા કરી હતી તે યાદ છે? રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ દ્વારા જે ઓર્ડિનન્સ સ્વીકારાયો હતો તેના ટુકડા કર્યા અને વટ માર્યો ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અપમાનિત થયા અને વળી અમેરિકામાં હતા ત્યારે હા, હા, હા પરિવારમુક્ત કોંગ્રેસ મને વહાલી છે.(તા. ૨પ-૭-૨૦૧૪)’
પાઘડીનો વળ છેડે
સ્નેહીશ્રી ગુણવંતભાઇ,
‘દિવ્ય ભાસ્કર (૧૩-૭-૨૦૧૪)માં ‘કોંગ્રેસમુક્ત ભારતને બદલે પરિવારમુક્ત કોંગ્રેસ’ અંગે તમે જે સૂચન કર્યું છે તે યથાર્થ છે… મારા છેલ્લા ૪૦ વર્ષના કોંગ્રેસમાં કામ કર્યાના અનુભવ પરથી એવા તારણ પર આવ્યો છું કે કોંગ્રેસમાં અનેક શક્તિશાળી, પ્રામાણિક અને દેશસેવાને સમર્પિ‌ત લોકો છે, પરંતુ તેમને કામ કરવાની તક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરનાર પરિવારના કૃપાપાત્ર બને. આ સંજોગોમાં ભવ્ય ભૂતકાળને જીવંત કરવા પરિવારમુક્ત કોંગ્રેસ આજની જરૂરિયાત છે.
કૃષ્ણકાંત વખારિયા (પત્ર: ૧૩-૭-૨૦૧૪)
નોંધ: શ્રી વખારિયા મારા પ્રશંસક નથી, કડક ટીકાકાર છે, પરંતુ વિચારભેદને કારણે અંગત દ્વેષ રાખનારા ‘બૌદ્ધિક બબૂચક’ પણ નથી. તેઓ ચીમનભાઇ પટેલના ખાસ મિત્ર હતા. ‘વિશ્વગૂર્જરી’ સંસ્થા દ્વારા તેઓ વિવિધ દેશોના ગુજરાતી સમાજને જોડે છે.

‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હું જે લખું તેને જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવા છે. તો હવે ચાલો મારી સાથે સાથે

ગુણવંત શાહ

પાતાળકૂવાને તળિયે પહોંચેલી કોંગ્રેસનું મને ચચરે કેમ છે? DIVYA BHASKER, 11-8-2014

કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે અને એનો વર્તમાન અભવ્ય છે. એનું ભવિષ્ય ધૂંધળું છે. એ ધૂંધળું છે તોય આશાસ્પદ હોવાને પાત્ર છે. કોંગ્રેસમુક્ત ભારત અંગે જે બકવાસ થાય છે, તે દેશના અને લોકતંત્રના હિ‌તમાં નથી. નરસિંહ રાવના શાસન પછી લોકસભામાં કોંગ્રેસને માત્ર ૧૧૨ બેઠકો મળી ત્યારે પણ આ વાક્ય લખ્યું હતું: ‘કોંગ્રેસ મરે તે દેશના હિ‌તમાં નથી.’ હું કોંગ્રેસ કલ્ચરનું જન્મજાત સંતાન છું. મારો પરિવાર ખાદીમય, ગાંધીમય અને કોંગ્રેસમય હતો. ‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હવે હું જે લખું તેને જવાબ નહીં જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવાનો ઇરાદો છે. તો હવે ચાલો મારી સાથે સાથે

દૃશ્ય:૧
વર્ષ ૧૯૪૬-૪૭નું હશે. સરદાર પટેલ ત્રણેક દિવસ માટે બારડોલી સ્વરાજ આશ્રમમાં રહેવા માટે ગયેલા. ઉત્તમચંદ શાહના ઓટલા પર સુરતનાં સંનિષ્ઠ સેવિકા જ્યોત્સનાબહેન શુકલ સેવાદળના સાત-આઠ યુવક-યુવતીઓને શું કહી રહ્યાં હતાં? સાંભળો:
કાલે ઊઠીને ખુદ ગાંધીબાપુ આપણને
કહે કે ખાદી છોડી દો,
તો આપણે એમની વાત માની જઇશું?
ના, ના, ના. આપણે બાપુને સામો પ્રશ્ન પૂછીશું:
બાપુ અમે લોકોએ સમજીને ખાદી અપનાવી છે,
માત્ર તમારા કહેવાથી નથી અપનાવી.
હવે અમને સમજાવો: ખાદી શા માટે છોડવી?

જ્યોત્સનાબહેન વિશે મામાસાહેબ ફડકેની આત્મકથામા સુંદર લખાયું છે. તે દિવસે જીવનમાં પહેલી વાર જીપ જોયેલી. વિસ્મયનો પાર નહીં હું જીપને ટગર ટગર નિહાળી રહ્યો હતો, જાણે કોઇ જંગલી પ્રાણીને પ્રથમ વાર જોઇ રહ્યો હોઉં સરદાર પટેલ સાથે મારે ત્રણ વાક્યોની વાત થઇ હતી: સરદાર બોલ્યા: ‘ક્યાંથી આવે છે? કોની સાથે આવ્યો છે? ખાદી પહેરે છે?’ ચોથું વાક્ય તેઓ બોલ્યા હોય તોય યાદ નથી. વર્ષો વીતી ગયાં પછી મારે સુરતની યુનિવર્સિ‌ટીમાં શિક્ષણ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જવાનું થયું. એક નાની સભામાં સુરતના સોનીફળિયામાં આવેલા કોંગ્રેસભવનમાં મારું પ્રવચન હતું અને જ્યોત્સનાબહેન સભાના પ્રમુખ હતાં. મેં સભામાં ઉપરનો કિસ્સો કહી સંભળાવ્યો. જ્યોત્સનાબહેન તો આનંદાશ્ચર્યમાં ડૂબી ગયાં વાત જૂની હતી, પરંતુ વિચાર તાજો હતો.

દૃશ્ય: ૨
કાનજીભાઇ દેસાઇ (કનૈયાલાલ દેસાઇ) અમારા રાંદેરના ઘરે પ૦થી ઓછી વાર ન આવ્યા હોય. લગભગ બકરીની માફક પાન ચાવતા જાય અને સામે બેઠેલા ખેડૂતોને નામ દઇને બોલાવતા જાય. આ ઉમદા નાગર સજ્જને ઓલપાડ તાલુકામાં એમની માલિકીની જાગીરદારીની જમીન કોળી ગણોતિયાઓને (ગણોતધારાના કાયદા પછી) મફતમાં આપી દીધી હતી. સરદાર પટેલના ખાસ વિશ્વાસુ અને મોરારજીભાઇના તો ખાસમખાસ તેઓ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. વારંવાર મિટિંગ માટે અમદાવાદ જવાનું બને ત્યારે સુરતના વિખ્યાત દેવશંકર ઘારીવાલાને ત્યાંથી ઘારીની ૨પ-૩૦ ટોપલીઓ (હા ટોપલી, બાકસ નહીં) કોંગ્રેસી સાથીઓ માટે પ્રેમથી લઇ જાય.

કોંગ્રેસ કલ્ચરનું શિખર જોવું હોય તો કાનજીભાઇનો ત્યાગ જોવો પડે. એમનું એક ખેતર રાંદેરમાં મારા ખેતરની સાથોસાથ આવેલું હતું. એમના સુપુત્ર હિ‌તેન્દ્ર દેસાઇએ તે વખતે સંસ્થા કોંગ્રેસ છોડીને પોતાને, મુંબઇ રાજ્યના શિક્ષણપ્રધાન અને પછી ગુજરાતના મુખ્યપ્રધાન બનાવનારા વડીલ મોરારજીભાઇને રીતસર દગો દઇને ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે જ દિવસે ઇન્દિરા કોંગ્રેસ અપનાવેલી. સુરતમાં એમના ઐતિહાસિક ઘરમાં નેહરુ, સરદાર, મૌલાના આઝાદ, રાજાજી, સરોજિની નાયડુ અને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ આવતા અને રહેતાં. એ ઘર ‘વાંઝિયા’ ફળિયામાં આવેલું હતું. (હિ‌તેન્દ્ર દેસાઇ નિ:સંતાન હતા.) તેઓ એ જ ઘરેથી જીવનની છેલ્લી ચૂંટણી સંસ્થા કોંગ્રેસ સામે લડયા હતા અને ડિપોઝિટ ગુમાવી હતી. પાછલી ઉંમરે તેઓ શાહીબાગના નિવાસે સાવ જ એકલા

દૃશ્ય:૩
કલ્યાણજી મહેતા વાંઝ ગામના વતની હતા. મોરારજીભાઇથી તો કોંગ્રેસમાં ઘણા સિનિયર ગણાય. મારે ઘરે કોંગ્રેસી મિત્રો ભેગા થયા ત્યારે ગોરધનદાસ ચોખાવાળા અને જ્યોત્સનાબહેન હાજર હતાં. કલ્યાણજીભાઇએ કહ્યું: ‘મોરારજીભાઇને ક્યારેક આપણે ચિઠ્ઠી લખીએ અને બિલકુલ વાજબી ભલામણ કરીએ તોય ગાંઠતા નથી. આપણે આ ચલાવી લેવું રહ્યું કારણ કે આવો કડવો છતાં પણ સાચો મુખ્યપ્રધાન (મુંબઇ રાજ્ય) આપણને ક્યાંથી મળવાનો?’ આ હતું ઉમદા કોંગ્રેસ કલ્ચર.

દૃશ્ય: ૪
૧૯પ૨ની સામાન્ય ચૂંટણીમાં પૂજ્ય રવિશંકર મહારાજ કોંગ્રેસના સક્રિય પ્રચારક હતા. તેમનું પ્રચારકાર્ય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબર સાથે સૌરાષ્ટ્રમાં ભૂપત બહારવટિયાના ત્રાસક્ષેત્રનાં ગામોમાં પણ થતું રહેતું. એક ગામે સભામાં ગોળી છૂટેલી ત્યારે બંને મહાનુભાવો માંડ બચી ગયેલા. ૧૯પ૭માં પૂજ્ય મહારાજની ભૂદાન પદયાત્રા ચાલતી હતી. ચૂંટણીથી પૂજ્ય મહારાજ દૂર રહેલા, પરંતુ કેટલાક કોંગ્રેસી આગેવાનો તેમને ચાલુ પદયાત્રામાં મળવા આવતા અને પોતાના મતક્ષેત્રમાં કોઇ મત તાણી લાવે એવા આગેવાન માટે પૂજ્ય મહારાજની ભલામણ ચિઠ્ઠી લઇ જતા.

અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે પહોંચી ત્યારે રાતે મુંબઇ રાજ્યના નાયબ કક્ષાના પ્રધાન વડોદરાના જશવંત શાહ આવ્યા અને વાંસડાની માફક પૂજ્ય મહારાજના ચરણોમાં સાક્ષાત્ દંડવત્ પ્રણામ કર્યાં. મારા માટે એ દૃશ્ય સાવ નવું હતું કારણ કે પૂજ્ય મહારાજ આવી હરકતોથી રાજી ન હતા. એમની વિનંતીથી પૂજ્ય મહારાજે ભલામણ ચિઠ્ઠી લખાવી તે મારે હાથે લખાયેલી. જશવંતભાઇએ પોતે સહકારી ક્ષેત્રે જે કામ ચાલુ હતું તેની વાત કરી ત્યારે પૂજ્ય મહારાજે એમને સણસણતું વાક્ય સંભળાવેલું તે આજે પણ મારી સ્મૃતિમાં તાજું છે. પૂજ્ય મહારાજે કહ્યું: ‘એકલો માણસ કોઇને લૂંટે તેના કરતાં ઘણા માણસો સહકારપૂર્વક ભેગા મળીને ગરીબને લૂંટે તેનું જ નામ સહકારી પ્રવૃત્તિ ને?’

દૃશ્ય: પ
ઇન્દિરાજી સત્તા પર આવ્યાં અને કોંગ્રેસ કલ્ચર ક્ષીણ થયું અને કટોકટી લાદવામાં આવી ત્યારે નષ્ટ થયું. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા ત્યારે ગરીબમિત્ર ઝીણાભાઇ દરજી મોરારજીભાઇની સાથે સોલિડ ઊભા હતા. વડોદરામાં ડો. ઠાકોરભાઇ પટેલને ત્યાં મોરારજીભાઇ ઊતર્યા હતા ત્યારે રાતે બાર વાગે ઝીણાભાઇ ત્યાં પહોંચ્યા અને સોફા પર સૂઇ રહ્યા. સવારે મોરારજીભાઇ દાદર ઊતરતા હતા ત્યારે ઝીણાભાઇએ વાંકા વળીને પગથિયાં પર જ મોરારજીભાઇને વંદન કર્યાં. શત્રુ-ઉછેર-કેન્દ્રના માલિક એવા મોરારજીભાઇએ ઝીણાભાઇને ખંખેરી કાઢયા આ દૃશ્ય જોનારા કોંગ્રેસી મિત્ર અશ્વિન શાહે મને બીજી વાત પણ કરી. ઠાકોરભાઇને ત્યાં સત્તાવિહીન ઇન્દિરાજીનો ઉતારો હતો ત્યારે ઝીણાભાઇ એમને મળવા ગયા.

ઝીણાભાઇ વિદાય થયા ત્યારે ઇન્દિરાજીએ દેખાવડા અશ્વિન શાહને કહ્યું: -ઋર્‍ જ્ઞ્ૌખ્રજ્, યાને ઝીણાભાઇના શરીરમાંથી વાસ આવે છે.
ઝીણાભાઇનું કોંગ્રેસ કલ્ચર કેવું ઉદાત્ત હતું? અમદાવાદથી કારમાં વ્યારા જાય ત્યારે વડોદરાના રાજુ ખમણ હાઉસ પરથી મને ફોન જોડીને કહેતા: ‘ગુણવંતભાઇ, સલામ મારવા ફોન કર્યો.’ મારા ઘરે ઝીણાભાઇ ફક્ત એક જ વાર પધાર્યા હતા. આવ્યા ત્યારે એક એવી વાત કરતા ગયા કે કોંગ્રેસ કલ્ચરની સુગંધનો અનુભવ થયો. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડનું ઝીણાભાઇ પર ભારે દબાણ હતું કે તેમણે સુરતમાં મોરારજીભાઇ સામે ઊભા રહેવું. ઝીણાભાઇનું આભિજાત્ય જુઓ એમણે કહ્યું: ‘હું મોરારજીભાઇ સામે કદી ચૂંટણી નહીં લડી શકું.’

દૃશ્ય: ૬
તા. પમી માર્ચ (૨૦૧૩)ને દિવસે પ્રેમપૂર્વક અહમદભાઇ પટેલ સાંજે ઘરે મળવા માટે આવ્યા. વાતો ૨પ મિનિટ સુધી ચાલી. તેઓ એટલી શાંતિથી બેઠા કે જાણે કોઇ બીજું કામ ન હોય. સાથે મિત્ર કદિર પીરઝાદા પણ હતા. વાતોમાં ખાનદાની ટપકતી જોઇ. હું સોનિયાજીની કડક ટીકા કરું છું તે તેઓ જાણે છે. કોંગ્રેસ કલ્ચર પ્રગટ થયું. એવું જ શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિ‌લ આવ્યા ત્યારે પણ અનુભવેલું. મારું વલણ વાચકોને સમજાય તે માટે મારા લેખનાં બે મથાળાં જ પ્રસ્તુત છે:
૧. (ન્યુક્લિયર સંધિના સંદર્ભે) કોંગ્રેસ ફુલ્લી પાસ, ભાજપ ફુલ્લી નપાસ (દિ. ભા. ૯-૯-૨૦૦૭)
૨. મોદી કષ્ટથી સાવધાન (દિ. ભા. ૩૦-૧૨-૨૦૦૭)

દૃશ્ય: ૭
સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે પ્રમુખ સીતારામ કેસરીની અવદશા કરી હતી તે યાદ છે? રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ દ્વારા જે ઓર્ડિનન્સ સ્વીકારાયો હતો તેના ટુકડા કર્યા અને વટ માર્યો ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ અપમાનિત થયા અને વળી અમેરિકામાં હતા ત્યારે હા, હા, હા પરિવારમુક્ત કોંગ્રેસ મને વહાલી છે.(તા. ૨પ-૭-૨૦૧૪)’
પાઘડીનો વળ છેડે
સ્નેહીશ્રી ગુણવંતભાઇ,
‘દિવ્ય ભાસ્કર (૧૩-૭-૨૦૧૪)માં ‘કોંગ્રેસમુક્ત ભારતને બદલે પરિવારમુક્ત કોંગ્રેસ’ અંગે તમે જે સૂચન કર્યું છે તે યથાર્થ છે… મારા છેલ્લા ૪૦ વર્ષના કોંગ્રેસમાં કામ કર્યાના અનુભવ પરથી એવા તારણ પર આવ્યો છું કે કોંગ્રેસમાં અનેક શક્તિશાળી, પ્રામાણિક અને દેશસેવાને સમર્પિ‌ત લોકો છે, પરંતુ તેમને કામ કરવાની તક ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ કોંગ્રેસનું નેતૃત્વ કરનાર પરિવારના કૃપાપાત્ર બને. આ સંજોગોમાં ભવ્ય ભૂતકાળને જીવંત કરવા પરિવારમુક્ત કોંગ્રેસ આજની જરૂરિયાત છે.
કૃષ્ણકાંત વખારિયા (પત્ર: ૧૩-૭-૨૦૧૪)
નોંધ: શ્રી વખારિયા મારા પ્રશંસક નથી, કડક ટીકાકાર છે, પરંતુ વિચારભેદને કારણે અંગત દ્વેષ રાખનારા ‘બૌદ્ધિક બબૂચક’ પણ નથી. તેઓ ચીમનભાઇ પટેલના ખાસ મિત્ર હતા. ‘વિશ્વગૂર્જરી’ સંસ્થા દ્વારા તેઓ વિવિધ દેશોના ગુજરાતી સમાજને જોડે છે.

‘કોંગ્રેસ કલ્ચર’ એટલે શું? હું જે લખું તેને જુબાની ગણવા વિનંતી છે, મિ લોર્ડ કોંગ્રેસ કલ્ચર સમજાય તે માટે ફિલ્મના પડદા પર દૃશ્યો જુઓ તે જ રીતે અહીં કેટલાંક દૃશ્યો રજૂ કરવા છે. તો હવે ચાલો મારી સાથે સાથે

ગુણવંત શાહ