એકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી. પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં એનો ધબડકો થયો. પછી ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એનું ભારે ધોવાણ થયું. કદાચ હવે થનારી દિલ્હીની ચૂંટણીમાં પણ એ જબરો માર ખાશે. So what? આવા કંગાળ દેખાવ પછી પણ મને કોંગ્રેસનું કેમ ચચરે છે? કેવળ એક જ કારણ છે. ભારતના રાજકારણમાં સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે આજે કોંગ્રેસ સિવાય બીજો કોઇ પક્ષ સક્ષમ નથી. વારંવાર કહેવું પડશે કે લોકતંત્રનું બ્લડપ્રેશર નોર્મલ રહે તે માટે કોંગ્રેસ અનિવાર્ય છે.
કોંગ્રેસની સરખામણીમાં કયો પક્ષ રાષ્ટ્રીય કક્ષાએ લોકોનો સ્વીકાર પામે તેવી ગુણવત્તા ધરાવે છે? ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ કરતાં કઇ રીતે સારી? બિહારમાં લાલુ અને નીતીશ કરતાં કોંગ્રેસ શું ખોટી? પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસે પાયમાલી સિવાય બીજું શું આપ્યું? તામિલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારવર્ધક તો ખરા અને વળી પ્રદેશાભિમાનમાં ડૂબેલા? જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા પ્રાદેશિક પક્ષોની મથરાવટી કેટલી મેલી? કેરાલામાં સામ્યવાદીઓ અને મુસ્લિમ લીગની સરખામણીમાં કોંગ્રેસ સો દરજ્જે સારી નહીં? પંજાબમાં અકાલીદળ ક્યાં અને કોંગ્રેસ ક્યાં? ઝારખંડમાં શિબુ સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા સાથે કોંગ્રેસને ક્યાં મૂકવી? હા, પરિવારમુક્ત કોંગ્રેસ ભવિષ્યમાં જરૂર આળસ મરડીને બેઠી થવાની છે. કોંગ્રેસનું ભવિષ્ય દસ વર્ષ વીતે પછી ઉજ્જ્વળ દીસે છે.
કોંગ્રેસ પડી તે માટે એક શબ્દ જવાબદાર છે: ‘સેક્યુલરિઝમ.’ મારી વાત ગળે ન ઊતરે તો એક કામ કરો. થોડાક દિવસ પર 97 વર્ષની વયે સર્વોદયના આદર્શ પ્રમાણે જીવી જનારા મુ. ચુનીભાઇ વૈદ્યનો દેહવિલય થયો. તેઓના સેવાકર્મમાં નક્કરતા હતી અને એમનું મન અન્ય કેટલાક સેવકો જેવું બંધિયાર ન હતું. એમને વર્ષો પહેલાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલો એવોર્ડ મળ્યો તે માટેની સમિતિમાં મારી ભૂમિકા કેવી સોલિડ હતી તેના સાક્ષી કૃષ્ણકાંત વખારિયા હતા. અમે જ્યારે મળતા ત્યારે નિખાલસ વાતો થતી. તેમણે મને લખેલો એક પત્ર અહીં પ્રસ્તુત છે:
ગાંધીઆશ્રમ
અમદાવાદ-390027
તા. 20-8-2002
સ્નેહી ભાઇશ્રી ગુણવંતભાઇ,
તમારી વાતને મારું મન ટેકો આપે છે. સેક્યુલરિસ્ટો
લઘુમતીને પણ સાચી વાત કહે ત્યારે જ ‘ન્યાય’
ગણાય અને મારો અનુભવ છે કે એમ નથી થતું.
એમાં કદાચ બાળકને પટાવવા માટે એની ખોટી
વાતને પણ થાબડવામાં આવે, તેમાં જે ન્યાય
હોય છે તે હોઇ શકે, પરંતુ એ ન્યાય નહીં,
પટામણું છે.
– ચુનીભાઇ વૈદ્ય
(‘શબ્દે શબ્દે સેતુબંધ’, પાન-83)
ખાસ યાદ રાખવા જેવું છે કે ગોધરામાં ડબ્બો સળગ્યો પછી જે હુલ્લડો થયાં ત્યાર પછીના લગભગ છ મહિનાના ઉદ્વેગયુક્ત માહોલમાં આ પત્ર લખાયો છે. સ્વરાજ મળ્યા પછીનાં 66-67 વર્ષો દરમિયાન જે સેક્યુલરિઝમ કોંગ્રેસે અને કર્મશીલોએ હંકાર્યું તે અંગે આટલા ઓછા શબ્દોમાં આટલી માર્મિક વાત અન્ય કોઇ ગાંધીજને કરી નથી. ડાંગમાં જ્યારે ધર્માંતરણને પ્રશ્ને તોફાનો થયાં ત્યારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ ડાંગની મુલાકાત લીધી હતી. તે સમયે શ્રી ઘેલુભાઇ નાયક સાથે મળીને મુ. ચુનીભાઇએ ધર્માંતરપ્રવૃત્તિનો સ્પષ્ટ વિરોધ વાજપેયીજી સમક્ષ નોંધાવ્યો હતો. ચુનીભાઇએ એમ કર્યું ત્યારે અન્ય ગાંધીજનો એમના પર તૂટી પડ્યા હતા. એ વખતે મારી કટારમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ કટારમાં મેં લખ્યું હતું કે ધર્માંતરનો વિરોધ ગાંધીજી, વિનોબા, સરદાર પટેલ, રાજાજી, રવીન્દ્રનાથ ટાગોર, મૌલાના આઝાદ અને ખુદ ઇસુ ખ્રિસ્તે પણ કરેલો. ‘સેક્યુલર ધર્માંતર’ જેવું કશુંક હોઇ શકે?
કોંગ્રેસે જે સેક્યુલર વિચારધારા સ્વીકારી તે પ્રદૂષિત હતી. એમાં ભારોભાર ‘પટામણું’ હતું અને એ પટામણું મુસ્લિમ વોટબેંકનું મોહતાજ હતું. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું તે અંગે મારે ચાર પુસ્તકો લખવાનું બન્યું. પુસ્તકોને પાને પાને કોંગ્રેસનું સિન્થેટિક સેક્યુલરિઝમ કેટલું પોલું હતું તે દર્શાવ્યું છે. સ્વરાજ મળ્યા પછી લાખો હિંદુઓ વટલાયા છે. શું એ બધા સમજપૂર્વક અન્ય ધર્મોમાં ગયા હતા? સ્વરાજ મળ્યા પછી પણ કેટલાં હિંદુ મંદિરો તૂટ્યાં? કાશ્મીરમાં એક જૈન મંદિર જમીનદોસ્ત થયું હતું. સ્વરાજ મળ્યા પછી ચાલેલી આવી એકતરફી સેક્યુલર લીલા આજે કોંગ્રેસને નડી રહી છે. મારી વાત ખોટી લાગી? તો હવે આગળ વાંચો.
બાબરી મસ્જિદ તૂટી પછી તા. 8-8-1993ને દિવસે ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પાડગાંઉકરને આપેલી મુલાકાતમાં જાણીતા વિચારક અને રેશનલિસ્ટ નિરદ ચૌધરીએ કહેલા શબ્દો કાન દઇને સાંભળો: ‘એ મસ્જિદનો ધ્વંસ થયો તે અંગે ફરિયાદ કરવાનો મુસ્લિમોને જરા જેટલો અધિકાર નથી. ઇ.સ. 1000 પછી કાઠિયાવાડથી તે બિહાર સુધી અને હિમાલયથી તે વિંધ્યાચળ સુધીના વિસ્તારમાં આવેલા પ્રત્યેક હિંદુ મંદિરને ક્યાં તો તોડી પાડવામાં આવ્યું હતું કે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ઼ં. ઉત્તર ભારતમાં બધેબધ એક પણ હિંદુ મંદિરને સલામત રહેવા દેવામાં આવ્યું ન હતું.’ પૂછવા જેવો પ્રશ્ન એક જ છે: ‘શું હિંદુઓને પણ સંવેદના હોઇ શકે એવું ખરું? ભારતનું સેક્યુલરિઝમ એવી વાજબી સંવેદનાને ધરાર અવગણીને ચાલે તે યોગ્ય ખરું? સ્વરાજ મળ્યા પછી એમ જ બન્યું છે અને વારંવાર બન્યું છે.’
કોંગ્રેસે એક જ કામ કરવાનું છે. આપણે એને ‘કોર્સ કરેક્શન’ કહી શકીએ. ખોટા માર્ગે ફંટાઇ ગયા પછી સાચા માર્ગે પાછા આવવાની વાત છે. વિજ્ઞાનની પરિભાષામાં એને ‘સાયબરનેટિક્સ’ પણ કહે છે. આ શબ્દનું ગ્રીક મૂળ દરિયા સાથે જોડાયેલું છે. જ્યારે વહાણ એની ખરી દિશાથી ફંટાઇ જાય પછી પાછું સાચી દિશામાં આવી જાય, તેને cybernatics કહે છે. કોંગ્રેસે સેક્યુલરિઝમની જે અવદશા કરી તે પાપની પ્રતિક્રિયાનો લાભ નરેન્દ્ર મોદીને મળ્યો છે. સેક્યુલરિઝમ કંઇ હિંદુ-વિરોધી કે મુસ્લિમ તરફી સંકલ્પના નથી. એનો ખરો સંબંધ માનવતા સાથે છે. વર્ષોથી ધૂંધવાઇ રહેલી હિંદુ પ્રતિક્રિયા ભાજપને ફળી છે. આજે જે બની રહ્યું છે, તેમાં ‘પ્રતિક્રિયાત્મક અવિવેક’ કેટલાક હિંદુ પાગલો દ્વારા રોજ પ્રગટ થતો જણાય છે. મને સતત એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇને ઠરીને દસ વર્ષ સુધી વિકાસની રાજનીતિ માટે કામ કરવા દેવું જોઇએ. સેક્યુલર સનેપાતનો સામનો હિંદુ સનેપાત દ્વારા ન થઇ શકે. નરેન્દ્રભાઇની સ્થિતિ કફોડી થાય એવાં ઉચ્ચારણો રોજ પ્રગટ થતાં રહ્યાં છે. બધા બાવાઓ કાંઇ સાધુ કે યોગી કે સ્વામી નથી હોતા. બધા બાપુ કાંઇ મોરારિબાપુ નથી હોતા. બધા ફાધર કાંઇ ફાધર વાલેસ નથી હોતા. બધા મુલ્લાંજી કાંઇ મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. આપણે ક્યારે સુધરીશું?{ (તા. 23-12-2014)
પાઘડીનો વળ છેડે
કોંગ્રેસ પક્ષે મુસ્લિમ કટ્ટરતા સામે
એવી જ રીતે
હુમલો કરવો જોઇએ, જે રીતે
એ હિંદુ કટ્ટરતા પર તૂટી પડે છે.
આપણે મુસ્લિમ કટ્ટરતા વિરુદ્ધ
એટલી તીવ્રતાથી નથી બોલતા,
જેટલી તીવ્રતાથી હિંદુ કટ્ટરતાની
વિરુદ્ધ બોલીએ છીએ.
– દિગ્વિજય સિંઘ
(ટા.અો.ઇ. 25-9-2014)
નોંધ: હવે મારે કશુંય કહેવાનું બચે છે ખરું? ‘પટામણું’ મોંઘું પડ્યું!