ભારતની યુનિવર્સિટીઓમાં ચેતનાની ખેતી! DIVYA BHASKER, 9-3-2015, CONVOCATION ADDRESS OF VNSGU

ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી.

સ્વરાજ મળ્યું પછી ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. એમના મંત્રાલયમાં ડો. કે. જી. સૈયદ્દીન નામના અત્યંત ઉમદા વિચારક સર્વોચ્ચ અધિકારી તરીકે સેવા અપી રહ્યા હતા. સદ્્ગત ડો. સૈયદ્દીને શિક્ષણ પર લખેલા એક પુસ્તકનું મથાળું છે: ‘The Faith of An Educationist.’ પુસ્તકમાં એક પ્રસંગ વર્ષો પહેલાં મારા વાંચવામાં આવ્યો હતો તે મને હજી યાદ છે. ડો. સૈયદ્દીન એમના કોઇ મિત્ર સાથે ચાલવા નીકળ્યા. એ મિત્રને શિક્ષણ સાથે કોઇ લેવાદેવા ન હતી. ડો. સૈયદ્દીને એ મિત્રને પ્રશ્ન પૂછ્યો: ‘માણસ શિક્ષિત ક્યારે ગણાય?’ આવા ગહન પ્રશ્નનો મિત્રે જે જવાબ આપ્યો તે સૈયદ્દીન સાહેબના હૃદયને સ્પર્શી ગયો. મિત્રે કહ્યું: ‘કોઇ માણસ ‘શિક્ષિત’ છે કે નહીં તે જાણવા માટે ત્રણ પ્રશ્નો પૂછવા પડે.’

1. એ કોઇ વિચારને માણી શકે છે?
2. એ બીજા માણસને માણી શકે છે?
3. એ પોતાની જાતને માણી શકે છે?
આ ત્રણ પ્રશ્નોના જવાબમાં ‘શિક્ષણ’ નામની દિવ્ય ઘટનાનો મર્મ છુપાયો છે.
કોઇ નવા વિચારનો આવિર્ભાવ જો માણસને ઝંકૃત ન કરી શકે, તો તેને શિક્ષિત કહેવાનું યોગ્ય ખરું? જર્મન કવિ ગોથેએ જ્યારે મહાકવિ કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચ્યું ત્યારે એમાં એક એવું વિધાન હતું, જે વાંચીને ગોથે શાકુંતલ માથે મૂકીને નાચવા લાગ્યો હતો. એ વિધાન હતું: ‘એ માતાપિતાને ધન્ય છે, જેમનાં શરીર બાળકનાં અંગો સાથે વળગેલી ધૂળથી મેલાં થાય છે. (ધન્યાસ્તદંગરજસા મલિની ભવન્તિ).’ મને ઝંકૃત કરી ગયેલું એક વિધાન મોહંમદ પયગંબરનું છે. તેઓ કહે છે:
વિદ્વાન માણસની શાહી (ink)
તો શહીદના લોહી કરતાંય
અધિક પવિત્ર છે.

અહીં ઉપસ્થિત એવા સર્વ યુવાનોને વિચારમાં નાખી દે તેવું એક વિધાન રજૂ કરું? ‘આર્યસપ્તશતી’માં ગોવર્ધનાચાર્યજીએ એક શ્લોકમાં કહ્યું છે: ‘ધનસંપત્તિ તો ગણિકા જેવી છે. એ અતિશય આનંદ આપે, પરંતુ ઓળખાણ જરાય ન રાખે! સરસ્વતી તો કુલવધૂ જેવી છે, જે જન્મજન્માંતરે પણ આપણો સાથ ન છોડે.’ માણસ ‘શિક્ષિત’ છે એની બીજી નિશાની કઇ? જે મનુષ્યના હૃદયમાં કોઇ અજાણી વ્યક્તિનો સ્વીકાર નથી તે ‘અશિક્ષિત’ ગણાય. રવીન્દ્રનાથ ટાગોરનું વિધાન છે: ‘There are no strangers in the world, they are friends who never met before.’ આવું સર્વાશ્લેષી વલણ ક્યારે પ્રગટ થાય? જવાબમાં મારું એક ગદ્યકાવ્ય પ્રસ્તુત છે:

પોતાને પ્રાપ્ત થયેલા રોટલામાંથી
માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને
આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે,
ત્યારે સમગ્ર માનવતા સુગંધમય બને છે.

માણસ શિક્ષિત છે એની ત્રીજ નિશાની કઇ? એ નિશાનીનો સંબંધ આપણી ભીતર પડેલી ચેતના સાથે રહેલો છે. તમે પોતાની જાતથી કંટાળી ગયેલા માણસને મળ્યા છો? આસપાસ નજર નાખશો તો એવા ઘણા માણસો મળી આવશે જેઓ ‘કટી પતંગ’ની માફક પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. તેઓ પોતાના એકાંતથી ખૂબ જ ડરતા હોય છે. રાતે ટીવીના પડદા પર જે કાંઇ પીરસાય તે તેઓ લાચારીપૂર્વક જોયા કરે છે. એમણે એક યા બીજી રીતે વખત મારવો પડે છે. શું વખત એ મારવાની ચીજ છે? એકલતા (loneliness) માણસને પજવે છે, પરંતુ એકાંત (aloneness) તો બહુ ઊંચી બાબત છે. બંને વચ્ચે આભ-જમીનનું અંતર છે. હેન્રી ડેવિડ થોરોએ એકાંતને ‘પરમ મિત્ર’ તરીકે ઓળખાવ્યું હતું.

વર્ષો પહેલાં રેડિયો પાકિસ્તાન પર એક વાક્ય સાંભળવા મળેલું: ‘આદમી જિતની બુલંદી પર પહૂંચતા હૈ, ઉતના હી તન્હા હો જાતા હૈ.’ ઘણાખરા માણસો એકાંતથી ડરે કેમ છે? કારણ કે તેઓ પોતાની જાતથી કપાઇ ચૂક્યા હોય છે. આવી દુર્ઘટના માટે કાર્લ માર્ક્સે એક શબ્દ પ્રયોજ્યો હતો: ‘Alienation.’ એલિયનેશન એટલે સંબંધવિચ્છેદ. રાતે ટીવી પર જોવા મળતી ભંગાર સિરિયલ પણ લોકો કેવળ ‘વખત મારવા’ માટે રોજ જોતા રહે છે. બીજું કરવું પણ શું? આવી લાચારી ‘અશિક્ષિત’ હોવાની સબળ નિશાની છે. તમે ખીલે બંધાયેલી ગાયની આંખો ધારી ધારીને જોજો. એ આંખોમાં તમને મૂર્તિમંત મજબૂરી જોવા મળશે. ક્યારેક થોડો વખત કાઢીને ટીવી સિરિયલ જોનારની લાચાર આંખો સાથે ખીલે બંધાયેલી ગાયની મજબૂર આંખો સરખાવી જોજો. તમને મારી વાત સમજાઇ જશે. ‘શિક્ષિત’ હોવું એ જેવીતેવી ઉપલબ્ધિ નથી. વર્ષો પહેલાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ શિક્ષણને ‘ચેતનાની ખેતી’ તરીકે પ્રમાણેલું. ચેતનાની ખેતી એટલે શું? ચેતનાની ખેતી એટલે તમારી ભીતર પડેલી શક્યતાની ખેતી! સાંભળો:

તમે માણસ છો અને
માણસનું સર્જન કરતી વખતે
ઇશ્વર જે દ્રવ્ય વાપરે છે
તેનું નામ શક્યતા છે.
હે યુવાન મિત્રો!
તમે કશીક એવી શક્યતા લઇને
જન્મ્યા છો, જે અન્ય પાસે હોય
તેના કરતાં સાવ નોખી-અનોખી છે.
તમે થોડીક મથામણ કરો ત્યારે
તમને પ્રાપ્ત થયેલી
એ ખાસ શક્યતાના અણસારા
ખાનગી રીતે તમને મળવા લાગે છે.
એક વાર તમને એ દિવ્ય અણસારા
પ્રાપ્ત થાય પછી દુનિયાની કોઇ તાકાત
તમને શક્યતાના વિશાળ આકાશમાં
પાંખો ફફડાવતા રોકી નહીં શકે.
મિત્રો અને સ્વજનો તમને
ઉડ્ડયન કરતા જોશે ત્યારે
આશ્ચર્યમાં પડી જશે કે વિરોધ પણ કરશે.
જો તમે કેવળ તમને મળેલા અણસારાને જ
વફાદાર રહેશો, તો
બાકીનું કામ ઇશ્વર સંભાળી લેશે.

[આદરણીય રાજ્યપાલશ્રી ઓમ પ્રકાશ કોહલિજીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં યોજાયેલા 46મા પદવીદાન સમારંભમાં આપેલા દીક્ષાંત પ્રવચનનો પૂર્વાર્ધ. તા. 26-2-2015 ઉત્તરાર્ધ આવતા રવિવારે.]

પાઘડીનો વળ છેડે

લગભગ પચીસ વર્ષ પહેલાં આ યુનિવર્સિટીનું કેમ્પસ વિશાળ ખેતર પર બંધાયેલી થોડીક ઇમારતોનું બનેલું હતું. એ ખેતર પર થોડાક દિવસો માટે સારસ યુગલ રહેવા આવી ચડ્યું હતું. સારસીએ ઇંડાં મૂ ક્યાં ત્યારે નર સારસ આસપાસ ફરીને સુરક્ષા કરતો રહ્યો. એક યુવાને મોટા કદનાં ઇંડાંનો ફોટોગ્રાફ મને હોંશભેર બતાવ્યો હતો. ક્યારેક વર્ગમાં ભણાવતી વખતે ટિટોડીનો લયલ્હેરિયો સ્વર કાને પડતો ત્યારે પ્રવચન અટકાવી દઇને હું અને મારા પ્રિય વિદ્યાર્થીઓ બે-ત્રણ મિનિટ માટે એ સ્વરને કાને દઇને સાંભળવાનું રાખતા. કાર હતી તોય ઘરે પાછા જતી વખતે હું વારંવાર ઉધના-મગદલ્લા રોડ પર ચાલીને જવાનું રાખતો. વસંત આવે ત્યારે રસ્તાની ડાબી બાજુએ થોડેક દૂર આવેલો કેસૂડો (કિંશુક) રંગદર્શી બની જતો. આજે જરૂર એ જગ્યાએ કોઇ હાઉસિંગ સોસાયટીનાં મકાનો ચણાયાં હશે. (દીક્ષાંત પ્રવચનના પ્રારંભે આવી નોસ્ટેલ્જિક સ્મૃતિ તાજી કરી હતી)

ઋષિ વિનોબા સાથે એમના આશ્રમમાં એક કલાક. DIVYA BHASKER 18-1-2015

જે મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મની સમન્વિત
ઉપાસના થતી હોય તેને ઋષિ કહેવામાં આવે છે. વિનોબાજીને હું આવા ખાસ અર્થમાં ‘ઋષિ’ કહું છું. એમનો ભક્તિયોગ જ્ઞાનદેવના કુળનો હતો. એમનો જ્ઞાનયોગ શંકરાચાર્યના કુળનો હતો અને એમનો કર્મયોગ ગાંધીજીના કુળનો હતો.
ભક્તિમાં તરબોળ હોય એવા ભીના મનુષ્યને સંત કહેવામાં આવે છે. જે જ્ઞાની હોય એવા આત્મપુરુષને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. જે નિષ્કામ કર્મમાં રમમાણ હોય એવા મનુષ્યને યોગી કહેવામાં આવે છે. જે મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મની સમન્વિત ઉપાસના થતી હોય તેને ઋષિ કહેવામાં આવે છે. વિનોબાજીને હું આવા ખાસ અર્થમાં ‘ઋષિ’ કહું છું. એમનો ભક્તિયોગ જ્ઞાનદેવના કુળનો હતો. એમનો જ્ઞાનયોગ શંકરાચાર્યના કુળનો હતો અને એમનો કર્મયોગ ગાંધીજીના કુળનો હતો. એમના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મનું ત્રિવેણીતીર્થ પ્રગટ થયું હતું.

નાગપુરથી થોડેક દૂર આવેલા ચંદ્રપુર શહેરની કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય એસ. કે. ઝા મારા પ્રિય વિદ્યાર્થી હતા. એમણે ‘Creativity’ વિષય પર મારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું હતું. પ્રવચન માટે ત્રણેક દિવસ ચંદ્રપુર જવાનું થયું ત્યારે વિનોબાજીની મુલાકાત લેવાનું આયોજન થયું. તા. 16 જૂન 1973ને દિવસે બપોરે સવા ત્રણ વાગે વિનોબાજીને મળવાનું સદ્્ભાગ્ય પ્રાપ્ત થયું. મારી સાથે ડો. ઝા ઉપરાંત વર્ધા જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી બોન્ડે અને અખબાર ‘હિતવાદ’ના પ્રતિનિધિ શ્રી મેહમૂદ પણ હતા. વિનોબાજી ઝાઝું સાંભળી શકતા ન હતા તેથી પ્રશ્નો લખીને આપવાની પ્રથા હતી. તેઓ લાકડાની પાટ પર સૂતા હતા. એમની ઋષિમુદ્રા ભવ્ય હતી. પરિચય અપાયો પછી પ્રશ્નોત્તરી શરૂ થઇ. એ પ્રશ્નોત્તરી ‘નૂતન શિક્ષણ’ (ઓગસ્ટ 1973)માં પ્રગટ થઇ હતી. એ પ્રશ્નોત્તરી અહીં અક્ષરશ: પ્રસ્તુત છે:

ગુણવંત: પરિવાર નિયોજન નહીં થાય તો ગરીબી નહીં હટે એવું લાગે છે. એ માટે બ્રહ્મચર્ય સિવાયના બીજા બધા પ્રયત્નો અવૈજ્ઞાનિક અને અધાર્મિક છે, એવું આપ કહેશો ખરા?
વિનોબાજી: પ્રાચીન કાળમાં બ્રહ્મચર્યનું આધ્યાત્મિક મૂલ્ય હતું. જમીન ખૂબ હતી અને લોકસંખ્યા ઓછી હતી. આજે બ્રહ્મચર્યનું આધ્યાત્મિક મૂલ્ય તો છે જ, પણ સાથે સામાજિક મૂલ્ય પણ છે. આ વિજ્ઞાનનો જમાનો છે. ખેતરમાં પાક લેવા માટે આપણે વારે વારે બી નથી વાવતા. પાક ન લેવો હોય તો બી વાવીએ ખરા? વીર્યબીજનો દુરુપયોગ પણ મહામૂર્ખતા ગણાશે. ત્રણ ભાઇઓ હોય તો એક બ્રહ્મચર્ય પાળે. બાકીના બે ગૃહસ્થી બને. ગૃહસ્થાશ્રમનાં વર્ષો 25થી 45 ગણવામાં આવે તો ગાળો 20 વર્ષનો થશે. આજે આવો ગાળો 40 વર્ષનો થઇ જાય છે. ગૃહસ્થાશ્રમની શરૂઆત અગ્નિની સાક્ષીએ લોકોની હાજરીમાં થાય છે તે રીતે વાનપ્રસ્થ આશ્રમની શરૂઆત અગ્નિની સાક્ષીએ થવી જોઇએ. આવું થાય તો સંતતિ-નિયમન ઠીક ચાલશે. ઇશ્વરે નાનકડું પેટ આપ્યું છે, પણ તે સાથે બે લાંબા હાથ આપ્યા છે.

ગુણવંત: શિક્ષણ-પરિવર્તનની દિશા અંગે હવે ઝાઝો મતભેદ નથી. હવે પ્રશ્ન એ છે કે આવા પરિવર્તનનો અભિગમ (approach) શો હોઇ શકે. જનતા અને સરકાર એ માટે કયાં પગલાં ભરે?
વિનોબાજી: મેં શિક્ષણમાં યોગ-ઉદ્યોગ-સહયોગની વાત કરી છે. ગ્રામસમિતિ સાથે બેસીને અધિકારીઓ યોજના બનાવે તેવું થવું જોઇએ. યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરનારને જ નોકરી મળે તેવું ન હોવું જોઇએ. જે કામ કરવાનું છે તેની પરીક્ષા લેવામાં આવે- પછી તે વ્યક્તિ યુનિવર્સિટીમાં ભણી હોય કે ઘરમાં. દાખલા તરીકે રેલવેમાં માણસ જોઇએ છે તો તે માટે રેલવેવાળા પરીક્ષા લે. આમ કામ માટેની પરીક્ષા લેવામાં આવે તો પરિસ્થિતિ બદલાઇ જશે.
ગુણવંત: હમણાં ઇવાન ઇલીચનું પુસ્તક બહાર પડ્યું છે: ‘Deschooling Society.’ અમેરિકામાં આજકાલ આ વાત ઠીકઠીક ચગી છે. આપની કલ્પના શોષણવિહીન અને શાસનવિહીન સમાજની છે. એવી કલ્પનાના સમાજ સાથે શાહાવિહીન સમાજનો મેળ પડશે?

વિનોબાજી: મોહંમદ પયગંબર બેઠા હતા. અલ્લાહે તેમને કાગળનો ટુકડો આપ્યો અને કહ્યું: ‘વાંચ.’ પયગંબરે કહ્યું કે એમને વાંચતા આવડતું નથી. તેથી ભગવાને પોતે આવવું પડ્યું. પયગંબરે કહ્યું: ‘હું અભણ હતો, તો અલ્લાહનાં દર્શન થયાં. કબીર પણ ભણેલા ન હતા. તેમણે કહેલું:
કોરા કાગઝ કાલી સ્યાહી
લિખત પઢત વા કો પઢવા દે
તૂ તો રામ સુમર જગ લડવા દે|

રામકૃષ્ણ પરમહંસ ભણેલા ન હતા. તેમને મળવા મોટા મોટા વિદ્વાનો આવતા. પરમહંસને કોઇક વાર મૂંઝવણ થતી. તેમણે માતાજીને કહ્યું: ‘હે માતા! મને વિદ્યા આપ. માતાજીએ સ્વપ્નમાં કહ્યું: ‘પેલા ઉકરડો છે, ત્યાંથી વિદ્યા લઇ લે. રામકૃષ્ણે કહ્યું: મારે એવી વિદ્યા નહીં જોઇએ.’

સારો નાગરિક એ છે, જે લોકસેવામાં મચ્યો રહે અને નિરંતર સત્યપ્રેમની ભાવનાને મજબૂત કરે. આવો માણસ ભણેલો ન હોય તો ચાલશે અને ભણેલો હોય તો માફ! (ઋષિનો કટાક્ષ તો જુઓ!)
ગુણવંત: સૂક્ષ્મપ્રવેશ માટે કેવી તૈયારીની જરૂર પડે?

વિનોબાજી: ક્રિયાઓ વધી જાય તો શક્તિ ક્ષીણ થશે. સૂક્ષ્મ ક્રિયાને કારણે શક્તિ ઓછી જશે. એને પરિણામે જે સૂક્ષ્મપ્રવેશ કરશે તેને અને બધાંને લાભ થશે. જે કંઇ કર્યું હોય એનું સમાધાન થાય ત્યારે સૂક્ષ્મપ્રવેશની ભૂમિકા થઇ એવું ગણાય.

અમે ઊઠવાની તૈયારી કરતા હતા ત્યાં વડોદરાની વાત નીકળી. વિનોબાજીએ પોતાના વિદ્યાર્થી જીવનમાં સંસ્મરણો કહ્યાં. વાત કરતી વખતે તેઓ ખુશ ખુશ હતા. એમણે કહ્યું: હું બરોડા હાઇસ્કૂલમાં ભણેલો. ત્યાં બધું અંગ્રેજીમાં ચાલતું. May I come in sir! થી અંગ્રેજી શરૂ! વાત કરવી હોય તો મરાઠીનો તરજૂમો (મનમાં) અંગ્રેજીમાં કરવો પડે. આવી પ્રથા છતાં મને કેટલાક શિક્ષકોને લીધે લાભ થયેલો. મારા જીવન પર એની અસર પડી. એક શિક્ષક હતા શ્રી એસ. એમ. દેસાઇ- શ્રી હરિભાઇ એમ. દેસાઇ. બાળકો પર તેમને ભારે પ્રેમ હતો. અમે એમને મશ્કરીમાં His Majesty’s Desai (H. M. Desai પરથી) કહેતા. વળી કોઇક વાર ‘Half Mad Desai’ પણ કહેતા! કોઇ બાળક માંદો પડે તો તેની Sick લીવ મૂકીને તેઓ સંતોષ માનતા નહીં. તેઓ બાળકને ઘરે જતા અને ઔષધની વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરતા. પ્રોફેસર વાડિયાએ ‘અમેરિકન વોર ઓફ ઇન્ડીપેન્ડન્સ’ પર પ્રવચન કરેલું તેની પણ (અમારા) મન પર અસર થયેલી. આમ શિક્ષણ પદ્ધતિ ખામી ભરેલી હોવા છતાં સારા શિક્ષકોની અસર પડેલી છે. છેલ્લે તેમણે ‘નૂતન શિક્ષણ’ દેવનાગરી લિપિમાં પ્રગટ કરવાનું સૂચન કર્યું. (હું ‘નૂતન શિક્ષણ’નો તંત્રી હતો.) મેં જણાવ્યું કે એ તો બહુ મુશ્કેલ વાત છે. વિનોબાજી એમ માને ખરા? તેમણે તરત દલીલ કરી: ‘વેડછીથી ‘વટવૃક્ષ’ દેવનાગરીમાં નીકળે છે.’ તે વર્ષોમાં સદ્્ગત જુગતરામ દવેના વેડછી આશ્રમમાંથી ‘વટવૃક્ષ’ માસિક દેવનાગરીમાં પ્રગટ થતું હતું.

અમે વિદાય લીધી. વિનોબાજી મને ભારતની ઋષિ-પરંપરાના પાકેલા પુણ્યફળ જેવા જણાયા. આશ્રમમાં ખોદકામ વખતે મળી આવેલી અનેક ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠાપના કરવામાં આવેલી હતી. શાંતિ, શુચિતા અને સમન્વયની સહજ અનુભૂતિ કરાવે તેવો આશ્રમ છોડ્યો ત્યારે મન ઘડીભર જંપી ગયું હતું. બધા વિચારો શમી ગયા હતા અને જીભ પણ થોડીક ક્ષણો માટે અટકી ગઇ હતી. ચાલતી હતી માત્ર જીપ! (16-6-1973)
પાઘડીનો વળ છેડે
હવે હું ચાલ્યો
બ્રહ્મલોક!

– વિનોબા
નોંધ: રાતે સૂવાના સમયે પથારીમાં પડ્યા પછી વિનોબાજી સાથીઓને આવા શબ્દો કહીને પોઢી જતા.

Gunvant Shah In Surat

મા.શાળાનો શિક્ષક બુમરેંગ થઈ ગયો છે : ગુણવંત શાહ

Bhaskar News, Surat

shah‘માઘ્યમિક શાળાનો શિક્ષક આજે બુમરેંગ થઇ ગયો છે. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ભાગ્યે જ યોગ્ય શિક્ષકને મળતો હોય છે. સમાજમાં તેજસ્વી શિક્ષકોને હંમેશાં દુ:ખી થવું પડતું હોય છે જયારે અમેરિકામાં તેજસ્વી શિક્ષક અને ડોકટરોને સારું ઉત્તેજન આપવામાં આવે છે. એમ શહેરની શ્રી ઇ.મો. જીનવાળા કેળવણી મંડળના રજતજયંતી મહોત્સવ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા લેખક ડો. ગુણવંત શાહે કહ્યું હતું.

વધુમાં કહ્યું હતું કે, સમાજમાં માત્ર શિક્ષણના માઘ્યમથી બદલાવ લાવવો અઘરો છે. તૈતરિય ઉપનિષદમાં ચાર શિક્ષાવલ્લી આપવામાં આવેલ છે તે પ્રમાણે આચાર્ય પૂર્વ રૂપમ એટલે કે આચાર્ય શિક્ષણનો મૂળ સ્તંભ છે. અંતેવાસી ઉત્તર રૂપમ એટલે શિક્ષણનો બીજો સ્તંભ વિદ્યાર્થી છે.

વિદ્યા સંધિ: મતલબ વિદ્યાર્થીને જોડનાર જ્ઞાન છે અને પ્રવચન સંધાનામ એટલે કે પ્રવચન ઉપકરણ છે. આ ચાર સ્તંભ ઉપર શિક્ષણની ઇમારત ઊભેલી છે. સમગ્ર વિશ્વમાં જે ભણવા માટે ઉત્સાહી નથી તેમને ભણાવવામાં આવે છે અને જાણે ઠંડા પડી ગયેલા લોખંડ પર હથોડા મારવામાં આવે છે.’

ભારતમાં જ્ઞાન તેના ઉચ્ચતમ શિખર પર છે પરંતુ બીજી તરફ અજ્ઞાનતાની ખાઇ છે. માનવને ઉગવા દે તેવું શિક્ષણ બીજી ભાષામાં ન આપી શકાય તેવું ભાર પૂર્વક જણાવતા તેઓએ કહ્યું હતુ કે માતૃભાષામાંજ આપણે આપણી સંસ્કતિની સુગંધ ધરાવતુ શિક્ષણ આપી શકીએ.