નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા. DIVYA BHASKER 16-5-2014

આ લેખ લખતી વખતે લાભ એ છે કે ચૂંટણીના પરિણામની જાણ નથી. લેખ પ્રગટ થશે ત્યારે નવી સરકારનો સૂર્યોદય થઇ ચૂક્યો હશે. નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા હા, ભારત જેવા મહાન દેશમાં ઉશ્કેરાટ પણ રોમેન્ટિક બની શકે છે. લોકતંત્રમાં નવી સરકાર આવે એ પરમ પવિત્ર ઘટના છે કારણ કે નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે. નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિ‌ષ્ણુતા લોકતંત્રની શોભા છે.

આજે નવા વડાપ્રધાનના કાનમાં થોડાક શબ્દો કહેવાની પ્રબળ ઇચ્છા ઊગી છે. ઇસુ ખ્રિસ્ત પહેલાં જુલિયસ સીઝર પેદા થયેલો. યુદ્ધમાં આસપાસના પ્રદેશો સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવીને રાજા સીઝર જ્યારે રોમ પાછો ફર્યો ત્યારે એક એવી ઘટના બની, જે નવા વડાપ્રધાન માટે ખૂબ જ ખપ લાગે તેવી છે. રોમની પ્રજાના ઉત્સાહનો પાર ન હતો અને જુલિયસ સીઝરનો પ્રચંડ જયઘોષ થતો હતો, ત્યારે કોઇ ન જાણે એમ સીઝરે પોતાના મિત્રને બોલાવ્યો અને કહ્યું: ‘લોકોના આવા પ્રચંડ જયઘોષ વચ્ચે તારે મારી પાસે ઊભા રહીને સતત મને ધીમા અવાજે કહ્યા જ કરવાનું છે: ‘સીઝર તું ઇશ્વર નથી, પરંતુ માણસ છે.’

સત્તા હોય ત્યાં અચૂક અભિમાનની ખેતી હોવાની વિજય કાચો પારો છે, જે ઝટ પચતો નથી. કવિ દયારામ સાચું કહી ગયા: ‘સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે.’ સમર્થ શાસકની એક આંખમાં કરડાકી હોય છે અને બીજી આંખમાં પ્રેમ હોય છે. સરદાર પટેલ આવા સમર્થ શાસક હતા. કૃત્રિમ નમ્રતા અભિમાનની જ દાસી જાણવી. નવા વડાપ્રધાન સુધી આવી વિચિત્ર વાત કોણ પહોંચાડે? ભલે રહી આપણી પાસે અસહિ‌ષ્ણુતા (અમર્ષ)નો મહિ‌મા ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં સુંદર રીતે થયો છે. લવ અને કુશ અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકે છે. રામની સેના સામે યુદ્ધે ચડેલ બંને રામપુત્રો જંૃભકાસ્ત્ર દ્વારા રામની સેનાને બેભાન બનાવી દે છે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુ લવકુશના પરાક્રમથી પ્રભાવિત થાય છે અને શરમ અનુભવે છે.

એટલામાં પુષ્પક વિમાનમાં રામ આવી પહોંચે છે. ચંદ્રકેતુ બાજી સંભાળી લે છે અને લવ પ્રત્યે રામના મનમાં અનોખી સંવેદના જન્મે છે. કુશ ત્યાં હાજર નથી હોતો. ચંદ્રકેતુ કુશના પરાક્રમની પ્રશંસા કરે છે અને રામને કહે છે: ‘જે મહાન વીર હોય તેને તો અસહિ‌ષ્ણુતા પણ શોભે (અમર્ષ: અપિ શોભતે મહાવીરસ્ય).’ ટૂંકમાં અસહિ‌ષ્ણુતા કાયમ નિંદનીય નથી હોતી. ભ્રષ્ટાચાર સામે પ્રજાકીય અસહિ‌ષ્ણુતા જરૂર શોભે. એવી અસહિ‌ષ્ણુતા દેશમાં જગાડવા માટે અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ જેવા કર્મશીલોનું પ્રદાન ઝટ ભુલાય તેવું નથી. પછી જે થયું તે હરખાવા જેવું નથી. નવી સરકાર ગમે તે પક્ષની હોય, દેશને વિસલ બ્લોઅર્સ (સિસોટિયા)ની જરૂર રહેવાની. લોકસભાને એક રામમનોહર લોહિ‌યા પણ જીવતી રાખી શકે. ચારિત્ર્ય જેવી મહાન શક્તિ બીજી કોઇ નથી.

નવી આબોહવાનો સંબંધ ‘સેક્યુલર ભ્રષ્ટાચાર’ની નાબૂદી સાથે રહેલો છે. પૂરાં ૬૬ વર્ષ સુધી આવો ભ્રષ્ટાચાર ફેશનને નામે પોષાતો રહ્યો છે.
તમે જો માનવતાવાદી હો,
તો તમારે જૂઠું બોલવાની શી જરૂર?
તમે જો કરુણાવાન કર્મશીલ હો,
તો તમારે અપ્રામાણિક બનવાની શી જરૂર?
જો તમે સાચામાચ સેક્યુલર હો,
તો તમારું વલણ કોમવાદી શા માટે?
અરુણા રોય, હર્ષ મંદર, તિસ્તા સેતલવડ, શબનમ હાશમી અને અન્ય માનવ-અધિકારવાદીઓ જાણીતા છે, તોય આદરણીય નથી. કારણ? કાશ્મીરી પંડિતો પોતાના જ દેશમાં અસહ્ય ક્રૂરતા વેઠયા પછી રાતોરાત ભાગી છૂટયા અને નિરાશ્રિત બની ગયા આજે પણ તેઓ નિરાશ્રિત જ રહ્યા છે.

ઉપર ગણાવ્યાં તેમાંથી કોઇએ પણ આ નિરાશ્રિતોને ઇન્સાનનો દરજ્જો આપીને પોતાનો અવાજ ઉઠાવ્યો ખરો? ગોધરા ખાતે ટ્રેનના ડબ્બામાં પ૮ મનુષ્યો જીવતા બળી ગયા તેમને આ માનવ-અધિકારવાદીએ ‘મનુષ્ય’ ગણ્યા ખરા? દેશમાં કુલ ૧પ૦૦ ફેક એન્કાઉન્ટર્સ થયાં, તેમાં ૧૪ ગુજરાતમાં થયાં. આ કહેવાતા માનવ-અધિકારવાદીઓએ ગુજરાત સિવાયના એક પણ ફેક એન્કાઉન્ટર સામે અવાજ ઉઠાવ્યો ખરો? આવા વલણને હું ‘સેક્યુલર માફિયાગીરી’ કહું, તો તેમાં મારો કોઇ વાંક ખરો? નવી સરકાર આવી બેશરમ માફિયાગીરી ચલાવી લઇ શકે ખરી? પ્રજાકીય અસહિ‌ષ્ણુતા એ માટે તૈયાર નથી. અપેક્ષાઓ એવી તો જન્મી છે કે એ વિસ્ફોટક બનીને નવી સરકાર સામે બળવો કરવા ઉતાવળી બને. સરકાર ગમે તે પક્ષની હોય તેથી શું? ‘પ્રજાકીય ઉતાવળ’ પણ ઉપકારક બનવાની છે.

નવો એજન્ડા કેવો હશે? ભારતનું એક પણ ગામ વીજળી-સડક-પાણીથી વંચિત ન રહે તેવો ‘સેક્યુલર એજન્ડા’ બીજો કયો? ગામની નિશાળ એ જ ‘ગ્રામમાતા’ છે. તાલુકાની હોસ્પિટલ એ જ ગ્રામજનો માટે કરુણામંદિર ગણાય. ૬૬ વર્ષ દરમ્યાન આટલુંય ન થયું? નવી સરકાર પાસે વિકાસનો નકશો સ્પષ્ટ છે. જરૂર છે ધ્યેયપ્રાપ્તિ માટે જરૂરી એવી રાજકીય પ્રતિબદ્ધતાની. બ્રિટનની લેબર પાર્ટીના સિનિયર નેતા એન્યુરિન બિવાને કહેલું: ‘સોશિયલિઝમ ઇઝ ધ પોએટ્રી ઓફ પ્રાયોરિટીઝ.’ નવા વડાપ્રધાન પાસે દર્શન હોવું જોઇએ જેમાં એટલું સ્પષ્ટ હોય: ‘પહેલું શું? ઇકોનોમિક ડેમોક્રસી વિના રાજકીય ડેમોક્રસી પણ જામતી નથી. ઉદ્યોગો ન સ્થપાય તો બેરોજગારી ટળતી નથી. બેરોજગારી ન ટળે તો ખરીદશક્તિ વધતી નથી.

ખરીદશક્તિ વિનાના સમાજમાં ગરીબીનો મુકામ કાયમી હોય છે. ગરીબી ગુનાની જન્મદાત્રી છે. ગાંધીજીએ કહ્યું હતું: ‘ગરીબી એ હિંસાનું સૌથી વરવું સ્વરૂપ છે.’ નવા વડાપ્રધાને દેશને એવી પ્રતીતિ કરાવવી પડશે કે ગરીબી કાયમી નથી અને એ ટળે તે માટે ઉજાગરા કરવા હું તૈયાર છું. નવા વડાપ્રધાનને ઢીલી ઢીલી વાતો કરવાની છૂટ હવે પ્રજા નહીં આપે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુની વાતમાં દમ છે કારણ કે પ્રબુદ્ધ અસહિ‌ષ્ણુતા (એનલાઇટન્ડ ઇનટોલરન્સ) લોકતંત્રની જણસ છે. જે કોઇ નવા વડાપ્રધાન બન્યા હોય તેમને આજથી પાંચેક હજાર વર્ષો પર કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિ‌રને રાજધર્મ સમજાવ્યો ત્યારે કહેલા શાણા શબ્દો અર્પણ કરું છું:

જેમ વસંત ઋતુમાં સૂર્ય
અત્યંત શીતલ કે અત્યંત ઉગ્ર નથી હોતો,
તેમ રાજાએ સદા કોમળ કે સદા કઠોર નથી થવાનું.
રાજાએ ગર્ભવતી સ્ત્રી જેવા થવાનું છે,
જે મનગમતું ત્યજીને પણ ગર્ભને જાળવે છે.
– (શાંતિપર્વ,
અધ્યાય પ૬)
નવી સરકારને શુભેચ્છા, નવા વડાપ્રધાનને અભિનંદન અને ભારતીય પ્રજાને અભિવંદન
(લખ્યા તા. ૧૪-પ-૨૦૧૪)’

પાઘડીનો વળ છેડે
અમારે માટે રાહુલે શું કર્યું?
એ જાણે છે ખરા કે
અહીં વીજળી
બાર વખત આવે છે અને
પંદર વખત ચાલી જાય છે?
– મિથિલેશ કુમારી (ગામની સરપંચ)
(‘Outlook’, ૧૨-પ-૨૦૧૪, પાન-૨૩)

નોંધ: આ ગામ રાહુલ ગાંધીના મતવિભાગ અમેઠી પંથકમાં જ આવેલું છે. ગુજરાત મોડેલની નિંદા કરવાનો રાહુલ ગાંધીને સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ગુજરાતનાં બધાં ગામોમાં ચોવીસે કલાક વીજળી મળે છે તેનું શું?

નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે.નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિ‌ષ્ણુતા લોકતંત્રની શોભા છે.

ગુણવંત શાહ

ચૂંટણી ઓલિમ્પિક છે, યુદ્ધ નહીં

લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે

બીજા વિશ્વયુદ્ધના વર્ષોમાં એક મજાક ફરતી થયેલી. હિ‌ટલર કેટલા પાણીમાં છે અને એ કેવું કેવું વિચારે છે તે જાણવાની ઇચ્છાથી ચર્ચિ‌લે ગ્રેટ બ્રિટનના એક રાજકારણીને હિ‌ટલરને મળવા માટે રવાના કર્યો. એ અંગ્રેજ મુત્સદ્દી તો બર્લિ‌ન પહોંચ્યો અને હિ‌ટલરે એને પોતાના બંકરમાં ચોથે માળે મળવા બોલાવ્યો. વાતો શરૂ થઇ. થોડીક મિનિટો વીતી ત્યાં હિ‌ટલરે ત્રણ તાળી પાડી અને એક સૈનિક ઝડપભેર ઓરડામાં આવ્યો. હિ‌ટલરે એને બારીમાંથી કૂદી જવાનો ઇશારો કર્યો. સૈનિક તો બારી તરફ દોડયો અને ચોથે માળેથી કૂદી પડયો બ્રિટિશ મુત્સદ્દી તો અંદરથી હાલી ઊઠયો.

વાતચીત આગળ ચાલી. માંડ દસ-બાર મિનિટ વીતી ત્યાં હિ‌ટલરે ફરી ત્રણ તાળી પાડી ત્યાં બીજો સૈનિક ઓરડામાં આવ્યો.હિ‌ટલરે એને બારીમાંથી કૂદી જવાનો ઇશારો કર્યો અને એ સૈનિક પણ બારીમાંથી કૂદી પડયો બ્રિટિશ મુત્સદ્દીને તો પરસેવો છૂટી ગયો કેવા ભયંકર અને ક્રૂર માણસની સાથે ચર્ચિ‌લે કામ પાડવાનું છે વાત ફરીથી શરૂ થઇ અને હિ‌ટલરે ફરીથી ત્રણ તાળી પાડી. ત્રીજો સૈનિક ઓરડામાં દાખલ થયો અને હિ‌ટલરે એને બારીમાંથી કૂદી પડવાનો ઇશારો કર્યો. સૈનિકે બારી તરફ દોટ મૂકી ત્યાં બ્રિટિશ મુત્સદ્દીએ એને પકડી પાડયો અને પૂછ્યું: ‘તને તારું જીવન વહાલું નથી?’ સૈનિકે જવાબ આપ્યો: ‘આવા જીવનને પણ તમે જીવન કહો છો?’ લોકતંત્ર ન હોય એવા સમાજમાં જીવન ચીમળાઇ જતું હોય છે.

લોકતંત્ર એટલે શું તે સમજવું હોય તો એવા એવા દેશોમાં જવું જોઇએ, જ્યાં બંધારણીય લોકતંત્ર નથી. ઉત્તર કોરિયા કે અફઘાનિસ્તાનમાં જાવ અને રહો, તો સમજાય કે લોકતંત્ર એટલે શું. પાકિસ્તાનમાં ભારતનો કોઇ મુસલમાન જાય તોય એને સમજાઇ જાય કે ભારતનું સેક્યુલર લોકતંત્ર એટલે શું. સાઉદી અરેબિયામાં કોઇ ભારતની મુસ્લિમ સ્ત્રી રહેવા જાય, તો એને જરૂર સમજાઇ જાય કે સાઉદી અરેબિયામાં ‘સ્ત્રી’ હોવું એટલે શું. મુક્ત અને સેક્યુલર લોકતંત્ર ભારતમાં વર્ષોથી ખીલ્યું છે, તેથી આપણને ક્યારેક એનું મૂલ્ય નથી સમજાતું. ઇન્દિરા ગાંધીએ જ્યારે ઇમર્જન્સી લાદી ત્યારે લોકોને સમજાઇ ગયેલું કે મુક્ત પ્રેસ અને મુક્ત અભિવ્યક્તિ એટલે શું. લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે. પુષ્પને ખીલવાની છૂટ ન હોય તો પુષ્પનું પુષ્પત્વ જ ખતમ થઇ જાય.

પુષ્પની માફક મનુષ્ય પણ ખીલવા અને ખૂલવા માટે સર્જા‍યો છે. લોકતંત્ર એકમાત્ર એવી શાસનશૈલી છે, જેમાં મનુષ્યનું પ્રફુલ્લન શક્ય બને છે. લોકતંત્ર એક પવિત્ર ઘટના છે અને તેથી એ એક આધ્યાત્મિક ઘટના છે. લોકતંત્રનું સૌંદર્ય તો જુઓ બીજા વિશ્વયુદ્ધમાં ગ્રેટ બ્રિટનને વિજય અપાવનાર સમર્થ વડોપ્રધાન ચર્ચિ‌લ યુદ્ધ પછી થયેલી ચૂંટણીમાં પરાજય પામી શકે છે. ૧૯પ૨માં આપણા દેશમાં પ્રથમ વખત પ્રૌઢ મતાધિકારવાળી સામાન્ય ચૂંટણી યોજાઇ તેમાં વલસાડ પંથકમાં મોરારજી દેસાઇ ૧૯ મતે હારી ગયેલા. હારી ગયા પછીના કલાકોમાં જ મોરારજીભાઇએ પોતાની હાર સ્વીકારી લેતું નિવેદન કર્યું હતું. ચૂંટણીના ચમત્કારને કારણે અટલબિહારી વાજપેયી જેવા રાજ્યપુરુષ પણ ચૂંટણીમાં હાર્યા હતા. અરે દેશ પર કટોકટી લાદીને લોકતંત્રનું ખૂન કરનારાં ઇન્દિરાજી પણ રાયબરેલીમાંથી ચૂંટણી હારી ગયાં હતાં.

થોડાંક જ અઠવાડિયાં પછી ૨૦૧૪ની ૧૬મી મેને દિવસે ચૂંટણીનાં પરિણામો જાહેર થશે ત્યારે મુક્ત ચૂંટણીનો ચમત્કાર જોવા મળશે. મોટાં માથાં ક્યાંક નાનાં માથાં સામે હારી ગયાં હશે. કદાચ આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વિક્રમજનક હશે. મત આપવા માટે ન જવું એ રાષ્ટ્રીય અપરાધ છે. ગ્રીસ દેશમાં ‘ઇડિયટ’ તેને કહેવામાં આવે છે, જે મતદાન કરવા જતો નથી. વોટિંગ બૂથ તો લોકતંત્રનું પવિત્ર સ્થાનક છે. ચૂંટણી ઓલિમ્પિક છે, રમતોત્સવ છે અને ખેલ મહાકુંભ છે, યુદ્ધ નહીં. માનવજાતને સદીઓની ગડમથલ પછી લોકતંત્ર જેવી જણસ પ્રાપ્ત થઇ છે. સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર અધૂરું છે. પાકિસ્તાનમાં લોકતંત્ર છે, પરંતુ સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર માનવતાને ખીલવા દે એ શક્ય નથી. ડો. આંબેડકરે બંધારણ પ્રત્યેના આદરને પ્રગટ કરતા બે ખાસ શબ્દો વારંવાર પ્રયોજ્યા હતા: ‘બંધારણીય નૈતિકતા’ (કોન્સ્ટિ‌ટયુશનલ મોરાલિટી).

સ્વીડનમાં પ્રત્યેક ઘરમાં દેશના બંધારણની નકલ રાખવાનો રિવાજ છે. ઘરમાં જે ધર્મ પાળવો હોય તે પાળો, પરંતુ ઘરનો ઉમરો વટાવો ત્યાં નાગરિક ધર્મ શરૂ આ થઇ ‘constitutional morality.’ ઇસુ ખ્રિસ્ત થયા તે પહેલાં (ઇ.સ. પૂર્વે પ૩૦થી ૪૬૮) એથેન્સમાં એરિસ્ટિડિઝ નામે શાસક થઇ ગયો. એ ખૂબ જ લોકપ્રિય અને આદરણીય શાસક હતો. લોકો એને વહાલપૂર્વક ‘એરિસ્ટિડિઝ-ધ જસ્ટ’ (ન્યાયપ્રિય એરિસ્ટિડિઝ) તરીકે સંબોધતા. તે વખતે એથેન્સમાં માટીમાંથી બનેલાં મતપત્રકો પર નામ લખીને મત આપવાની પ્રથા હતી. જેનું નામ લખાય તેનો મત ઓછો થાય તેવી પ્રથા હતી. એથેન્સમાં એક્રોપોલિસની ટેકરી પાસે અગોરામાં એક મ્યુઝિયમ આવેલું છે. (અગોરા એટલે બજાર). એ મ્યુઝિયમમાં એરિસ્ટિડિઝના સમયનાં લાલ માટીનાં બિસ્કિટ જેવાં મતપત્રકો જોવા મળે છે. એમ કહેવાય છે કે એક રાતે ગુપ્ત વેશે એરિસ્ટિડિઝ રસ્તા પર ફરવા નીકળ્યો.

એક અભણ માણસે એને મતપત્રક પર નામ લખી આપવાની વિનંતી કરી ત્યારે એરિસ્ટિડિઝે પૂછ્યું: ‘બોલો કોનું નામ લખું?’ જવાબમાં પેલા માણસે કહ્યું: ‘લખો, એરિસ્ટિડિઝ’. આશ્ચર્ય પામીને એરિસ્ટિડિઝે પૂછ્યું: ‘ભાઇ એરિસ્ટિડિઝે તારું શું બગાડયું છે?’ જવાબમાં એ અજાણ્યા માણસે કહ્યું: ‘જ્યાં જાવ ત્યાં એથેન્સના લોકો વાતેવાતે એરિસ્ટિડિઝની જ પ્રશંસા કરે છે તેથી હું કંટાળી ગયો છું.’ એથેન્સના શાસક એરિસ્ટિડિઝે માટીના મતપત્રક પર પોતાનું જ નામ લખી આપ્યું અને ચાલવા માંડયું તે વખતે એવો રિવાજ હતો કે જે શાસક રાજકારણમાંથી નિવૃત્ત થાય તે પોતાની ખેતી કરવામાં ફરીથી લાગી જાય. (આપણા શાસકો નિવૃત્ત થવા જ તૈયાર નથી હોતા). ચૂંટણીમાં એરિસ્ટિડિઝ શાસક મટીને ખેડૂત બની ગયેલો.

૧૯પ૪ના વર્ષમાં બોધગયામાં અખિલ ભારતીય સર્વોદય સંમેલનમાં જવાનું બનેલું. મારી સાથે રાંદેરનો બાળપણમિત્ર રમણ પણ હતો. પંડિત નેહરુ અને વિનોબાજી સ્ટેજ પર સાથે બેઠા હતા. વિનોબાજીએ શિક્ષકની અદાથી લોકતંત્રનું અધ્યાત્મ સમજાવેલું તે શબ્દશ: આ પ્રમાણે હતું:
ઘનશ્યામદાસ બિરલા કો ભી એક વોટ
ઔર ઉન કે ચપરાસી કો ભી એક વોટ?
ઐસા ક્યું?
દારા સિંગ કો ભી એક વોટ
ઔર નર્બિલ આદમી કો ભી એક વોટ?
ઐસા ક્યું?
પંડિત નેહરુ કો ભી એક વોટ
ઔર મજદૂર કો ભી એક વોટ?
ઐસા ક્યું?
ઇસ લિએ કે લોકતંત્ર કી આધારશિલા
ધન, બલ ઔર સ્ટેટસ નહીં હૈ.
હરેક આદમી મેં આત્મા હોતી હૈ,
ઇસ લિએ લોકતંત્ર કી આધારશિલા
આત્મા હી હૈ.
લોકતંત્ર પણ સત્યથી જ શોભે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (દરક) સત્યશોધન માટે ઉપકારક છે. લોકતંત્ર આખરે સત્યતંત્ર હોય એમાં જ લોકોનું કલ્યાણ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ લોકતંત્રનું કલંક છે કારણ કે મનુષ્યનો આત્મા જ્ઞાતિ કે કોમથી પર છે.’

પાઘડીનો વળ છેડે
બધી જ માતાઓ
એવું ઇચ્છે છે કે
પોતાનો દીકરો મોટો થઇને
રાષ્ટ્રપ્રમુખ બને, પરંતુ
એ માટેની પ્રક્રિયામાં દીકરો રાજકારણી બને
તેવું કોઇ માતા નથી ઇચ્છતી.
– જ્હોન કેનેડી

મુક્ત અને સેક્યુલર લોકતંત્ર ભારતમાં વર્ષોથી ખીલ્યું છે, તેથી આપણને ક્યારેક એનું મૂલ્ય નથી સમજાતું. લોકતંત્ર એક એવી જણસ છે, જે અમૂલ્ય છે. લોકતંત્ર એકમાત્ર એવી શાસનશૈલી છે, જેમાં મનુષ્યનું પ્રફુલ્લન
શક્ય બને છે.

ગુણવંત શાહ

લોકતંત્રના વસંતોત્સવની ઉજવણી શરૂ થઇ ચૂકી છે.DIVYA BHASKER, 11-3-2014

પંડિત નેહરુએ આત્મકથામાં લખેલા શબ્દો સાંભળો: ‘મારા પિતાએ જંબુસરમાં ગાંધીજી સાથે મસલત કરીને અલ્લાહાબાદનું અમારું ઘર રાષ્ટ્રને અર્પણ કરવાનો અને તેનું નામ સ્વરાજભવન રાખવાનો નિર્ણય લીધો હતો.’ આ વાતની ખબર હવે જંબુસરમાં રહેનારા કેટલા લોકોને હશે? હા, પણ મારે તો સાવ જુદી વાત કરવી છે. તા. ૨૩મી જાન્યુઆરી, ૨૦૦પને દિવસે જંબુસરના જનતા કેળવણી મંડળે મારું પ્રવચન યોજ્યું તેમાં અધ્યક્ષ તરીકે જંબુસરના સુપુત્ર જસ્ટિસ ગિરીશ નાણાવટી હતા. ગુજરાતમાં ૨૦૦૨નાં તોફાનો પછી એમના અધ્યક્ષપદે તપાસ કમિશન રચાયું હતું. આદરણીય ન્યાયમૂર્તિ‌એ પ્રવચન માટે મને વધારે સમય મળે તે માટે પોતાનું પ્રવચન ટૂંકું કર્યું હતું.

સભા પછી અમે સાથે ભોજન કરવા બેઠા ત્યારે માત્ર એટલી વાત થઇ કે કમિશનના રિપોર્ટને બહુ વાર નહીં લાગે. ત્યાર પછી વર્ષો વહી ગયાં, પણ કમિશન તરફથી હજી ઉત્તરાર્ધ પ્રગટ થયો નથી. ન્યાયમાં થતો વિલંબ તો અન્યાયનું જ બીજું નામ છે. હજી કેટલું થોભવું પડશે? જસ્ટિસ નાણાવટીને હવે તો એમ કહેવાનું મન થાય છે: ‘સર હવે રિપોર્ટ ન આપો તોય ચાલશે.’ આપણા ઘરે આવેલા મહેમાન બારણે ટકોરા મારે છે. કોયલ એમ નથી કરતી, પરંતુ આપણા આંગણામાં ટહુકા વહેતા મેલે છે. બધો તફાવત નજાકતને કારણે પડી જાય છે. કોંગ્રેસના સિનિયર પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ એક ટહુકો વહેતો મેલ્યો: ‘અનામત જ્ઞાતિને આધારે નહીં, પરંતુ આર્થિ‌ક માપદંડને આધારે નક્કી થવી જોઇએ.’

કોંગ્રેસના આ બ્રાહ્મણને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. લોકતંત્ર મર્યાદા પર નભતું હોય છે. લોકસભામાં બૂમ-બરાડા-કલ્ચર સાથે મરચાંનો પાઉડર છંટાય ત્યારે જવું ક્યાં? રામરાજ્ય પણ મર્યાદા પર નભેલું હતું. જનાર્દનભાઇને એક ખબર કોણ પહોંચાડશે? તા. ૨૩મી ફેબ્રુઆરી (૨૦૧૪)ને દિવસે કલોલમાં પાટીદારોની એક વિશાળ રેલી નીકળી અને એમાં પાટીદારો માટે ઓબીસી સ્ટેટસની માગણી જોરશોરથી કરવામાં આવી. આપણી શરમ પામવાની ક્ષમતા ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. લાભ મળતા હોય તો અમે ‘પછાત’ ગણાવા પણ તૈયાર લોકતંત્રના વસંતોત્સવની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. આપણા દેશમાં ઉજવણી અને પજવણી સાથોસાથ ચાલતી હોય એવો વહેમ પડે છે.

લોકસેવક અન્ના હજારેને મમતા બેનરજી દેશના વડાપ્રધાનપદ માટે યોગ્ય જણાયાં છે. મમતાજીની સાદગી પ‌શ્ચિ‌મ બંગાળને ખૂબ જ મોંઘી પડી છે. મોટા રોકાણકારોને એમના રાજ્યમાં રોકાણ કરવામાં જોખમ જણાય છે. મમતા અભ્રષ્ટ છે, પરંતુ ઇમોશનલી અપરિપકવ છે. એમનું મન સ્થિર નથી. સામ્યવાદી શાસનમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ બસુએ તાતાને નેનો કારના પ્રોજેક્ટ માટે માંડ તૈયાર કર્યા ત્યારે મમતાએ ધમાલ કરીને બુદ્ધદેવના પ્રયાસો પર પાણી ફેરવી દીધું. મમતાના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાં છે અને ભ્રષ્ટાચાર ઘટે એવી કોઇ જ શક્યતા જણાતી નથી. અન્ના તો મમતાજીને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવા ઇચ્છે છે. એમને અરવિંદ કેજરીવાલ સામે વાંધો છે, મમતા સામે નહીં. અહીં તર્ક લંગડાતો જણાય છે.

પ્રાદેશિક પક્ષો દ્વારા ઊભી થનારી કોઇ પણ ફ્રન્ટ દેશ માટે લાભકારક નથી. કોંગ્રેસ અને રાહુલની બધી મર્યાદાઓ અંગે ઘણુંબધું લખાયું છે અને એ વાતમાં દમ છે. કોંગ્રેસનો પરિવારવાદ લોકતંત્ર માટે સ્વીકાર્ય ન હોય તોય એક વાત સ્પષ્ટ છે. જયલલિથા, મમતા, કેજરીવાલ, માયાવતી, મુલાયમ કે અન્ય કોઇ પણ પ્રાદેશિક પક્ષના નેતા દિલ્હીની ગાદી પર બેસે તેના કરતાં તો રાહુલ ગાંધી સો દરજ્જે સારા દેશનું શાસન કોઇ ફેડરલ ફ્રન્ટ સંભાળે ત્યારે શું થાય તેનો અનુભવ પ્રજાએ કરી લીધો છે. સમજુ નાગરિકો માટે અને લોકતંત્રના અભ્યુદય માટે અત્યારે કેવળ બે જ પક્ષો હિ‌તકારક છે: કોંગ્રેસ અને ભાજપ. છેલ્લા કેટલાક મહિ‌નાઓથી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કક્ષાએ જે કાઠું કાઢી રહ્યા છે તેનો હરખ હોય તોય એક વાત નક્કી જાણવી.

નરેન્દ્ર મોદીની સફળતા જેટલી કોંગ્રેસને નડે છે, તેના કરતાંય વધારે કહેવાતા ત્રીજા મોરચાને કેમ નથી નડતી? ત્રીજો મોરચો એટલે તકવાદ, સોદાબાજી અને કુશાસનનો મોરચો. જયલલિથાએ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાની વાત કરી તેમાં વોટબેંકની આળપંપાળ હતી, પરંતુ રાષ્ટ્રીય હિ‌ત ગૌણ હતું. એ જ રીતે દલિત વોટબેંક સાચવવા માટે માયાવતી ગમે તે હદે જઇ શકે. મુસ્લિમ વોટબેંક જાળવવા માટે મુલાયમ ગમે તે હદે જઇ શકે. મમતા બેનરજી રેલવેપ્રધાન હતાં ત્યારે પણ પ‌શ્ચિ‌મ બંગાળને વિશેષ લાભ થાય તેવા પગલાં માટે જ તત્પર હતાં. આવા સંજોગોમાં આપણા દેશ પાસે જે બે રાષ્ટ્રીય પક્ષો છે, તે આપણી ખરેખરી લોકતાંત્રિક મૂડી છે.

દેશના સામ્યવાદીઓ પોતાના વાસી આદર્શોમાં કોઇ પરિમાર્જન કરવા તૈયાર નથી. એમની વિચારજડતા આર.એસ.એસ.ની વિચારજડતા જેવી જ છે. મગજનાં બારીબારણાં બંધ હોય ત્યાં લોકતંત્રને ગૂંગળામણ થાય છે. આર. એસ. એસ. પોતાની રીતે સતત ભાજપના ખુલ્લાપણા પર બ્રેક મારવાનું કામ કરે છે. ખુલ્લાપણાનું બીજું નામ હિંદુત્વ છે. બંધિયાર હિંદુત્વ એ તો વદતોવ્યાઘાત (oxymoron) છે. કટ્ટર હિ‌ન્દુત્વ એ વેદવિરોધી અને ઉપનિષદવિરોધી દુર્ઘટના ગણાય. અરવિંદ કેજરીવાલ અંગે હું જબરી દ્વિધામાં છું. ક્યારેક તો કેજરીવાલ રાજકારણી જણાય છે અને ક્યારેક (ખાદી ન પહેરનારા) સર્વોદય કાર્યકર જેવા પણ જણાય છે. ક્યારેક તેઓ દિલ્હી દરબારમાં અટવાતા વિચિત્ર પાત્ર જેવા જણાય છે. મારી દ્વિધા છેક કારણ વિનાની નથી. થોડાક દિવસ પર દેશના બિઝનેસમેનો સમક્ષ (CII સંસ્થામાં) પ્રવચન કરતી વખતે કેજરીવાલે કહ્યું:
અમે મૂડીવાદની વિરુદ્ધ નથી, પરંતુ
અમે ભ્રષ્ટ મૂડીવાદની વિરુદ્ધ છીએ.
સરકારનું કામ બિઝનેસમાં
પડવાનું હરગિજ નથી.
એ કામ તો પ્રાઇવેટ કંપનીઓ
પર છોડી દેવું જોઇએ.
લાઇસન્સ અને ઇન્સ્પેક્ટર રાજનો
અંત આવવો જોઇએ.

અરવિંદ કેજરીવાલના આ શબ્દો સાથે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડનાર મેધા પાટકર સહમત થશે? શું આમ આદમી પાર્ટી મોટી નહેર યોજના કે મોટાં કારખાનાં શરૂ થાય તે માટે તૈયાર થશે? આજનાં મહાનગરોમાં મોટા ફ્લાય-ઓવર્સ કે પછી દેશમાં લંબાયે જતા લાંબા-પહોળા હાઇ-વેના બાંધકામ માટે જરૂરી એવાં સીમેન્ટનાં મોટાંમસ કારખાનાંનું શું? બીજી અગત્યની વાત. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં કેજરીવાલ મૌલાના તૌકીર ખાનને ઘરે શું કેવળ ચા પીવા માટે જ ગયા હતા કે? એ મુલ્લાએ તસ્લિમા નાસરિન જેવી લેખિકા સામે ફતવો બહાર પાડયો હતો. કેજરીવાલની નજર (શાઝિયા ઇલ્મીના બનેવી) આરિફ મોહંમદ ખાન જેવા સો ટચના સેક્યુલર નેતા પર કેમ ન પડી? અરે લાઇસન્સ અને ઇન્સ્પેક્ટર રાજની સામે કેજરીવાલે જે શબ્દો પોતાના પ્રવચનમાં ઉચ્ચાર્યા હતા, તેવા જ શબ્દો તો સ્વરાજ પછીના પ્રથમ દાયકામાં સદ્ગત રાજાજી, મસાણી અને મુનશીએ ઉચ્ચાર્યા હતા.

કેજરીવાલની પાર્ટી સમાજવાદી છે કે મૂડીવાદી? થોડાક સમય પર નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કહ્યું હતું: ‘It is not the business of the government to be in business.’ તફાવત ક્યાં રહ્યો? સમાજવાદ અને મૂડીવાદ સરકારમાં કે સમાજમાં એકસાથે રહી શકે? ફતવો સેક્યુલર હોઇ શકે? આમ આદમી પાર્ટી મોટો ખર્ચ કર્યા વિના ચૂંટણી લડી શકશે? દુનિયામાં ક્યાંય ગરીબી નાબૂદ કરવામાં સમાજવાદ કે સામ્યવાદને સફળતા મળી છે? આ બધા પ્રશ્નો મોં ફાડીને સામે ઊભા છે. ગરીબને નામે જોરથી બરાડા પાડવાથી જો ગરીબી ઘટતી હોત, તો ભારત ક્યારનુંય સમૃદ્ધ રાષ્ટ્ર બની ગયું હોત.’

(લખ્યું: મહાશિવરાત્રિ, પૂજ્ય રવિશંકર મહારાજ અને આદરણીય મોરારિબાપુની જન્મતિથિ)
પાઘડીનો વળ છેડે
જ્ર્યોજ ઓરવેલના
શ્વાનનું નામ માક્ર્સ હતું.
શોપનહોઅરના
શ્વાનનું નામ આત્મા હતું.

ગુણવંત શાહ

નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારક રાહુલ ગાંધી. DIVYA BHASKER. 16-2-2014

‘દીસંતા, કોડીલા, કોડામણા’ રાહુલ ગાંધીએ એક ટીવી ચેનલ પર આપેલા ઇન્ટરવ્યૂમાં કુલ છ વખત ‘સીસ્ટમ’ બદલવાની વાત કરી. શું વંશવાદ પણ એ ભૂંડી સીસ્ટમનો જ એક ભાગ નથી?

આ દુનિયામાં સૌથી ભૂંડી બાબત કઇ? આ પ્રશ્નનો મારો જવાબ થોડો વિચિત્ર લાગશે. તટસ્થ દેખાવા માટે વિચારપૂર્વક અને પટુતાપૂર્વક બોલાતું રૂપાળું અસત્ય આપણા સંસારની અત્યંત ગંદી બાબત છે. આવી ગંદી બાબતને જે મનુષ્ય લલિત કલામાં ફેરવી નાખે તેને ‘લિબરલ બૌદ્ધિક’ કહેવાનો કુરિવાજ હવે ધીમે ધીમે ઘસાતો જાય છે. ટીવી પર થતી ચર્ચામાં હવે કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તાઓને પત્રકારો કોઇની પણ સાડાબારી રાખ્યા વિના રોકડું પરખાવે ત્યારે લોકતંત્રના મંદિર પર સત્યની ધજા ફરકતી દીસે છે. પક્ષાતીત હોવાનો એવો અર્થ નથી કે સત્યાતીત હોવું.

ખુલ્લું મન ન ધરાવતો પ્રત્યેક કટ્ટર અને મતાગ્રહી મનુષ્ય અંદરથી ‘ફાસિસ્ટ’ ગણાય. એવો મનુષ્ય આંખ મીંચીને મહાત્મા ગાંધીનું તાણે તોય ફાસિસ્ટ રાહુલ ગાંધીએ એક ટીવી ચેનલ પર પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂની વાત ખુલ્લા મનથી કરવી છે ત્યારે તટસ્થતા નહીં, સત્યસ્થતાને કેન્દ્રમાં રાખવાનો મારો સંકલ્પ પાકો છે. મારી વાત સાથે અસંમત થનાર મનુષ્ય મારો શત્રુ નથી. ‘દીસંતા, કોડીલા, કોડામણા’ રાહુલ ગાંધી કોઇ પણ યુવતીને ગમી જાય એવા મનોહર જણાયા. મને વારંવાર એક વિચાર પજવે છે. જે દિવસે રાહુલ ગાંધી આ પૃથ્વી પર ગમે તે દેશમાં વિચરતી અને વિચારતી કોઇ મુગ્ધાના ગળાડૂબ પ્રેમમાં પડશે, ત્યારે આજે છે તેના કરતાં અધિક પરિપક્વ જણાશે.

હવે મોડું થઇ રહ્યું છે. પ્રતીક્ષા વધારે પડતી લાંબી થતી જાય ત્યારે એ ઠંડી પડી જાય એવી શક્યતા રહે છે. લગ્ન કર્યા વિના પણ તેઓ જો ક્યાંકથી ‘પ્રેમ-અમીરસ’ પામે, તો કદાચ દેશને એક સમર્થ નેતા મળે એમ બને. આજે તો સતત એમની વાણીમાં અને એમના વર્તનમાં કશુંક ખૂટતું જણાયા કરે છે. તેઓ વારંવાર એવો બફાટ કરી પાડે છે કે પક્ષના વડીલો ટીવી પર એમનો લૂલો બચાવ કરવા માટે તૈયાર જ હોય છે. કેબિનેટે પસાર કરેલા વટહુકમને રાહુલ ગાંધીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ‘નોનસેન્સ’ કહીને ફંગોળી દીધો ત્યારે મનમોહન સિંહ સિવાયના અન્ય કોઇ પણ સ્વમાની વડાપ્રધાને રાજીનામું ધરી દીધું હોત. ટીવીની ચેનલ પર જે ઇન્ટરવ્યૂ થયો તેમાં એમણે ત્રણ વાતો એવી કરી જેમાં સત્યનો રણકો હતો:

‘(૧) રાહુલ ગાંધી સ્ત્રીઓનું સશક્તિકરણ થાય એવું ઇચ્છે છે. (૨) હું રાઇટ ટુ ઇન્ફોર્મેશન (દરક) બિલ લાવવાની પ્રક્રિયામાં સંકળાયેલો હતો. (૩) મેં યૂથકોંગ્રેસમાં અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન (ટફળક)માં લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ચૂંટણીપૂર્વક કામકાજ થાય તેની શરૂઆત કરી છે.’ રાહુલભૈયાની આ ત્રણે વાતોમાં દમ છે. છેલ્લાં પાંચસાત વર્ષો દરમિયાન પ્રધાનપદું સ્વીકારવાને બદલે કોંગ્રેસ સંસ્થાને મજબૂત કરવાની પ્રક્રિયામાં એમણે આપેલું યોગદાન અવગણી શકાય તેમ નથી. તેઓએ સતત વ્યસ્થાતંત્રના બદલાવ (સીસ્ટેમિક ચેન્જ)ની હિ‌માયત કરી છે અને પૂરી નિષ્ઠાથી કરી છે.

ક્યારેક એમની વાતો ન સમજાય તેવી લાગે તોય એમાં રહેલું સત્ય પકડવા જેવું છે. ઇન્ટરવ્યૂમાં મને ગમી ગયેલી વાતોનો આ સાર છે. ભારત જેવા બચરવાળ અને ગરીબીમાં ડૂબેલા દેશમાં ઝડપભેર કશુંય થઇ શકતું નથી. આ એક એવો દેશ છે, જ્યાં ઉતાવળ પણ ઠંડી હોય છે અને નિિષ્ક્રયતા જ ગરમ હોય છે. ખાલી જઠરો અને ભરેલાં ગર્ભાશયોની વિપુલ સંખ્યા ધરાવનારા આ દેશમાં વિકાસ નામની સુપરફાસ્ટ ટ્રેન પણ બધાં સ્ટેશને થોભતી થોભતી ચાલે છે રાહુલ ગાંધી પણ લાચાર છે. બધો વાંક એન્જિન ડ્રાઇવરનો નથી હોતો.પત્રકારને રાહુલ ગાંધીએ આપેલા પ્રથમ વિસ્તુત ઇન્ટરવ્યૂની વિગતો અંગે વાત કરતાં પહેલાં કેટલાંક અવલોકનો વહેંચવાં છે:

૧. ઇન્ટરવ્યૂ લેનાર પત્રકારે વધારે પડતી આક્રમકતા બતાવીને રાહુલને નર્વસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રત્યે જે વિનય દાખવવો જોઇએ તે પત્રકારે બતાવ્યો ન હતો. ૨. ઇન્ટરવ્યૂ દરમિયાન એક પણ વખત રાહુલ ગાંધીએ સામેથી કોઇ જ આક્રમકતા બતાવી ન હતી. એમણે દોઢ કલાક દરમિયાન પોતાનું વિવેકપૂર્ણ આભિજાત્ય આબાદ જાળવી રાખ્યું હતું. ૩. ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્ન પુછાય તેને ધરાર અવગણીને રાહુલે આગળથી તૈયાર રાખેલાં વાક્યોનું રટણ વારંવાર કર્યું હતું. પ્રશ્નો સ્પષ્ટ હતા અને જવાબો અસ્પષ્ટ અને ક્યારેક સાવ અધ્ધરતાલ હતા. ૪. ઇન્ટરવ્યૂને અંતે રાહુલને લાભને બદલે ગેરલાભ થયો. આડકતરી રીતે તેમણે નરેન્દ્ર મોદીને લાભ થાય તેવું કર્યું. આવું પ્રથમ વાર નથી બન્યું.

વિગતોની વાત પર આવીએ. વંશવાદ (ૈન્ખ્ૂજ્ઞ્ન્)ના પ્રશ્ન અંગે રાહુલે સ્પષ્ટ કહ્યું: ‘હું વંશવાદની સદંતર વિરુદ્ધ છું.’ આવું વાક્ય તેઓ કઇ રીતે બોલી શકે? પંડિત નેહરુ, પછી ઇન્દિરા અને પછી રાજીવ ગાંધી વડાપ્રધાનનું પદ સંભાળે તેવી રાજકીય અને ઐતિહાસિક ઘટનાનો ઇનકાર શી રીતે થઇ શકે? રામ જેટલાં વર્ષ વનમાં રહ્યા તેટલાં વર્ષથી સોનિયા ગાંધી કોંગ્રેસ-પ્રમુખ છે. હજી તેઓ કેટલાં વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેશે? એ પદ ક્યારેય ગાંધી પરિવાર સિવાયના કોઇ અહમદ પટેલને કે કોઇ ચિદમ્બરમ્ને કે કોઇ જયંતી નટરાજનને મળશે ખરું? અરે કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કોઇ સુશીલ શિંદે કે કોઇ અજય માકન કે કોઇ આદિત્ય સિંધિયાને ક્યારેય તક મળશે ખરી? રાહુલ ગાંધીએ કુલ છ વખત ઇન્ટરવ્યૂમાં ‘સીસ્ટમ’ બદલવાની વાત કરી. શું વંશવાદ પણ એ ભૂંડી સીસ્ટમનો જ એક ભાગ નથી?

૧૯૮૪માં શીખવિરોધી હત્યાકાંડ થયો. એ વાત નીકળી કે તરત જ ગુજરાતમાં ૨૦૦૨નાં હુલ્લડની વાત થઇ. બંને દુર્ઘટનાને લોકતંત્રનું કલંક ગણાવી શકાય. બંનેમાં નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. બસ અહીં સરખામણી પૂરી થાય છે. ૧૯૮૪માં માત્ર અને માત્ર શીખો મર્યા અને એક પણ હિ‌ન્દુ મર્યો ન હતો. ગુજરાતમાં પ૮ હિ‌ન્દુઓનાં મૃત્યુથી તો શરૂઆત થયેલી અને પછી ઘણા મુસલમાનોની હત્યા થઇ. દિલ્હીમાં શીખોને શોધી શોધીને મારવામાં આવ્યા ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો ન હતો. ગુજરાતમાં પોલીસ ફાયરિંગ દરમ્યાન ૨૧૮ માણસો મર્યા, જેમાં મોટાભાગે હિ‌ન્દુઓ હતા. દિલ્હીમાં લશ્કર હાજર હતું તોય શીખોની મદદે ન બોલાવાયું, જ્યારે ગુજરાતમાં થોડાક કલાકોમાં લશ્કર બોલાવાયું.

અર્નબે કહ્યું: ‘ગુજરાતના મુખ્યપ્રધાનને ક્લીન ચિટ મળી છે.’ ૧૯૮૪ અને ૨૦૦૨ વચ્ચે સરખામણી જ ક્યાં રહી? આ પ્રશ્ને રાહુલે માફી ન માગી તે મને ગમ્યું. જેમણે ગુના બદલ સજા ભોગવવી પડે એવા રાજીવ ગાંધી અને નરસિંહ રાવ આજે હયાત નથી. રાજીવને કોઇપણ કર્મશીલે ‘માસ મર્ડરર’ કહ્યા ખરા? એ ગુના અંગે ફકર દ્વારા તપાસ થઇ ખરી? ભ્રષ્ટાચારને મુદ્દે રાહુલ ગાંધી આબાદ ફસાઇ ગયા લાલુપ્રસાદ સાથે કોંગ્રેસનું ગઠબંધન શી રીતે થઇ શકે? ભાવવધારો અને ફુગાવો કોણ દૂર કરશે? આમ આદમી પાર્ટીને ટેકો મોદીને સત્તાથી દૂર રાખવા માટે જ ને? આવા આવા ઘણા પ્રશ્નો પત્રકાર દ્વારા જબરી તીવ્રતાથી પુછાયા હતા. ગુજરાતની મોદી સરકારની વાજબી નિંદા કરવા માટે રાહુલે શક્તિસિંહ ગોહિ‌લ પાસેથી થોડીક નક્કર માહિ‌તી મેળવી હોત તો મોદી સરકાર માનવીય વિકાસ (ઋક)ને મુદ્દે લંગડાય છે એની વાત શંકરસિંહ વાઘેલા પાસેથી પણ જાણવા મળી હોત.

ગુજરાત સરકારની નબળી બાજુ વિશે રાહુલે વડીલ અહમદભાઇ પટેલની સલાહ આગળથી લીધી હોત તો આ રાહુલનો પ્રથમ વિસ્તૃત ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂમાં રાહુલની ‘નાદાન માસૂમિયત’ સહાનુભૂતિ જગાડે તેવી હતી. સાવ જ અજાણપણે એમણે ઘણી વાર નરેન્દ્ર મોદીના સ્ટાર-પ્રચારકની ભૂમિકા નિભાવી છે. ઇન્ટરવ્યૂથી કોંગ્રેસને રોકડો ગેરલાભ થયો એ નક્કી. સત્યને મોડા પડવાની ટેવ ખરી, પરંતુ વિલીન થવાની ટેવ નથી હોતી. (૩૦ જાન્યુઆરી, ૨૦૧૪, ગાંધીનિર્વાણ દિન).’
પાઘડીનો વળ છેડે
જ્યારે ભરતી
ઓસરી જાય,
ત્યારે જ
ખબર પડે છે
કે તરતી વખતે
નગ્ન કોણ હતું
– વોરન બફેટ