આ લેખ લખતી વખતે લાભ એ છે કે ચૂંટણીના પરિણામની જાણ નથી. લેખ પ્રગટ થશે ત્યારે નવી સરકારનો સૂર્યોદય થઇ ચૂક્યો હશે. નવી સરકાર, નવી આબોહવા અને નવો એજન્ડા હા, ભારત જેવા મહાન દેશમાં ઉશ્કેરાટ પણ રોમેન્ટિક બની શકે છે. લોકતંત્રમાં નવી સરકાર આવે એ પરમ પવિત્ર ઘટના છે કારણ કે નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે. નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિષ્ણુતા લોકતંત્રની શોભા છે.
આજે નવા વડાપ્રધાનના કાનમાં થોડાક શબ્દો કહેવાની પ્રબળ ઇચ્છા ઊગી છે. ઇસુ ખ્રિસ્ત પહેલાં જુલિયસ સીઝર પેદા થયેલો. યુદ્ધમાં આસપાસના પ્રદેશો સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવીને રાજા સીઝર જ્યારે રોમ પાછો ફર્યો ત્યારે એક એવી ઘટના બની, જે નવા વડાપ્રધાન માટે ખૂબ જ ખપ લાગે તેવી છે. રોમની પ્રજાના ઉત્સાહનો પાર ન હતો અને જુલિયસ સીઝરનો પ્રચંડ જયઘોષ થતો હતો, ત્યારે કોઇ ન જાણે એમ સીઝરે પોતાના મિત્રને બોલાવ્યો અને કહ્યું: ‘લોકોના આવા પ્રચંડ જયઘોષ વચ્ચે તારે મારી પાસે ઊભા રહીને સતત મને ધીમા અવાજે કહ્યા જ કરવાનું છે: ‘સીઝર તું ઇશ્વર નથી, પરંતુ માણસ છે.’
સત્તા હોય ત્યાં અચૂક અભિમાનની ખેતી હોવાની વિજય કાચો પારો છે, જે ઝટ પચતો નથી. કવિ દયારામ સાચું કહી ગયા: ‘સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે.’ સમર્થ શાસકની એક આંખમાં કરડાકી હોય છે અને બીજી આંખમાં પ્રેમ હોય છે. સરદાર પટેલ આવા સમર્થ શાસક હતા. કૃત્રિમ નમ્રતા અભિમાનની જ દાસી જાણવી. નવા વડાપ્રધાન સુધી આવી વિચિત્ર વાત કોણ પહોંચાડે? ભલે રહી આપણી પાસે અસહિષ્ણુતા (અમર્ષ)નો મહિમા ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં સુંદર રીતે થયો છે. લવ અને કુશ અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકે છે. રામની સેના સામે યુદ્ધે ચડેલ બંને રામપુત્રો જંૃભકાસ્ત્ર દ્વારા રામની સેનાને બેભાન બનાવી દે છે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુ લવકુશના પરાક્રમથી પ્રભાવિત થાય છે અને શરમ અનુભવે છે.
એટલામાં પુષ્પક વિમાનમાં રામ આવી પહોંચે છે. ચંદ્રકેતુ બાજી સંભાળી લે છે અને લવ પ્રત્યે રામના મનમાં અનોખી સંવેદના જન્મે છે. કુશ ત્યાં હાજર નથી હોતો. ચંદ્રકેતુ કુશના પરાક્રમની પ્રશંસા કરે છે અને રામને કહે છે: ‘જે મહાન વીર હોય તેને તો અસહિષ્ણુતા પણ શોભે (અમર્ષ: અપિ શોભતે મહાવીરસ્ય).’ ટૂંકમાં અસહિષ્ણુતા કાયમ નિંદનીય નથી હોતી. ભ્રષ્ટાચાર સામે પ્રજાકીય અસહિષ્ણુતા જરૂર શોભે. એવી અસહિષ્ણુતા દેશમાં જગાડવા માટે અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ જેવા કર્મશીલોનું પ્રદાન ઝટ ભુલાય તેવું નથી. પછી જે થયું તે હરખાવા જેવું નથી. નવી સરકાર ગમે તે પક્ષની હોય, દેશને વિસલ બ્લોઅર્સ (સિસોટિયા)ની જરૂર રહેવાની. લોકસભાને એક રામમનોહર લોહિયા પણ જીવતી રાખી શકે. ચારિત્ર્ય જેવી મહાન શક્તિ બીજી કોઇ નથી.
નવી આબોહવાનો સંબંધ ‘સેક્યુલર ભ્રષ્ટાચાર’ની નાબૂદી સાથે રહેલો છે. પૂરાં ૬૬ વર્ષ સુધી આવો ભ્રષ્ટાચાર ફેશનને નામે પોષાતો રહ્યો છે.
તમે જો માનવતાવાદી હો,
તો તમારે જૂઠું બોલવાની શી જરૂર?
તમે જો કરુણાવાન કર્મશીલ હો,
તો તમારે અપ્રામાણિક બનવાની શી જરૂર?
જો તમે સાચામાચ સેક્યુલર હો,
તો તમારું વલણ કોમવાદી શા માટે?
અરુણા રોય, હર્ષ મંદર, તિસ્તા સેતલવડ, શબનમ હાશમી અને અન્ય માનવ-અધિકારવાદીઓ જાણીતા છે, તોય આદરણીય નથી. કારણ? કાશ્મીરી પંડિતો પોતાના જ દેશમાં અસહ્ય ક્રૂરતા વેઠયા પછી રાતોરાત ભાગી છૂટયા અને નિરાશ્રિત બની ગયા આજે પણ તેઓ નિરાશ્રિત જ રહ્યા છે.
ઉપર ગણાવ્યાં તેમાંથી કોઇએ પણ આ નિરાશ્રિતોને ઇન્સાનનો દરજ્જો આપીને પોતાનો અવાજ ઉઠાવ્યો ખરો? ગોધરા ખાતે ટ્રેનના ડબ્બામાં પ૮ મનુષ્યો જીવતા બળી ગયા તેમને આ માનવ-અધિકારવાદીએ ‘મનુષ્ય’ ગણ્યા ખરા? દેશમાં કુલ ૧પ૦૦ ફેક એન્કાઉન્ટર્સ થયાં, તેમાં ૧૪ ગુજરાતમાં થયાં. આ કહેવાતા માનવ-અધિકારવાદીઓએ ગુજરાત સિવાયના એક પણ ફેક એન્કાઉન્ટર સામે અવાજ ઉઠાવ્યો ખરો? આવા વલણને હું ‘સેક્યુલર માફિયાગીરી’ કહું, તો તેમાં મારો કોઇ વાંક ખરો? નવી સરકાર આવી બેશરમ માફિયાગીરી ચલાવી લઇ શકે ખરી? પ્રજાકીય અસહિષ્ણુતા એ માટે તૈયાર નથી. અપેક્ષાઓ એવી તો જન્મી છે કે એ વિસ્ફોટક બનીને નવી સરકાર સામે બળવો કરવા ઉતાવળી બને. સરકાર ગમે તે પક્ષની હોય તેથી શું? ‘પ્રજાકીય ઉતાવળ’ પણ ઉપકારક બનવાની છે.
નવો એજન્ડા કેવો હશે? ભારતનું એક પણ ગામ વીજળી-સડક-પાણીથી વંચિત ન રહે તેવો ‘સેક્યુલર એજન્ડા’ બીજો કયો? ગામની નિશાળ એ જ ‘ગ્રામમાતા’ છે. તાલુકાની હોસ્પિટલ એ જ ગ્રામજનો માટે કરુણામંદિર ગણાય. ૬૬ વર્ષ દરમ્યાન આટલુંય ન થયું? નવી સરકાર પાસે વિકાસનો નકશો સ્પષ્ટ છે. જરૂર છે ધ્યેયપ્રાપ્તિ માટે જરૂરી એવી રાજકીય પ્રતિબદ્ધતાની. બ્રિટનની લેબર પાર્ટીના સિનિયર નેતા એન્યુરિન બિવાને કહેલું: ‘સોશિયલિઝમ ઇઝ ધ પોએટ્રી ઓફ પ્રાયોરિટીઝ.’ નવા વડાપ્રધાન પાસે દર્શન હોવું જોઇએ જેમાં એટલું સ્પષ્ટ હોય: ‘પહેલું શું? ઇકોનોમિક ડેમોક્રસી વિના રાજકીય ડેમોક્રસી પણ જામતી નથી. ઉદ્યોગો ન સ્થપાય તો બેરોજગારી ટળતી નથી. બેરોજગારી ન ટળે તો ખરીદશક્તિ વધતી નથી.
ખરીદશક્તિ વિનાના સમાજમાં ગરીબીનો મુકામ કાયમી હોય છે. ગરીબી ગુનાની જન્મદાત્રી છે. ગાંધીજીએ કહ્યું હતું: ‘ગરીબી એ હિંસાનું સૌથી વરવું સ્વરૂપ છે.’ નવા વડાપ્રધાને દેશને એવી પ્રતીતિ કરાવવી પડશે કે ગરીબી કાયમી નથી અને એ ટળે તે માટે ઉજાગરા કરવા હું તૈયાર છું. નવા વડાપ્રધાનને ઢીલી ઢીલી વાતો કરવાની છૂટ હવે પ્રજા નહીં આપે. લક્ષ્મણપુત્ર ચંદ્રકેતુની વાતમાં દમ છે કારણ કે પ્રબુદ્ધ અસહિષ્ણુતા (એનલાઇટન્ડ ઇનટોલરન્સ) લોકતંત્રની જણસ છે. જે કોઇ નવા વડાપ્રધાન બન્યા હોય તેમને આજથી પાંચેક હજાર વર્ષો પર કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવ્યો ત્યારે કહેલા શાણા શબ્દો અર્પણ કરું છું:
જેમ વસંત ઋતુમાં સૂર્ય
અત્યંત શીતલ કે અત્યંત ઉગ્ર નથી હોતો,
તેમ રાજાએ સદા કોમળ કે સદા કઠોર નથી થવાનું.
રાજાએ ગર્ભવતી સ્ત્રી જેવા થવાનું છે,
જે મનગમતું ત્યજીને પણ ગર્ભને જાળવે છે.
– (શાંતિપર્વ,
અધ્યાય પ૬)
નવી સરકારને શુભેચ્છા, નવા વડાપ્રધાનને અભિનંદન અને ભારતીય પ્રજાને અભિવંદન
(લખ્યા તા. ૧૪-પ-૨૦૧૪)’
પાઘડીનો વળ છેડે
અમારે માટે રાહુલે શું કર્યું?
એ જાણે છે ખરા કે
અહીં વીજળી
બાર વખત આવે છે અને
પંદર વખત ચાલી જાય છે?
– મિથિલેશ કુમારી (ગામની સરપંચ)
(‘Outlook’, ૧૨-પ-૨૦૧૪, પાન-૨૩)
નોંધ: આ ગામ રાહુલ ગાંધીના મતવિભાગ અમેઠી પંથકમાં જ આવેલું છે. ગુજરાત મોડેલની નિંદા કરવાનો રાહુલ ગાંધીને સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ગુજરાતનાં બધાં ગામોમાં ચોવીસે કલાક વીજળી મળે છે તેનું શું?
નવી સરકાર પ્રજાના ઉન્મેષની પ્રતિનિધિ છે.નવા વડાપ્રધાન રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, પરંતુ પ્રજાનો ચુકાદો તો પવિત્ર જ હોવાનો હવે ભ્રષ્ટાચારનું આવી બન્યું પ્રજાની ધીરજ ખૂટી છે તેથી ધીમી ગતિએ લંગડાતી સરકાર હવે નહીં ચાલે. જાગ્રત પ્રજાની અસહિષ્ણુતા લોકતંત્રની શોભા છે.
ગુણવંત શાહ