

જે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે.
પાકેલા ફળને ઝાડ પરથી નીચે પડવાનો ગમ નથી સતાવતો, પણ સડી રહેલા ફળને તો એક્ષ્સ્ટેન્શન મળે તેમાં બહુ રસ હોય છે. આપણો દેશ આજે સડી ગયેલી સિનિયોરિટીના અભિશાપથી પીડાઇ રહ્યો છે. કયારેક કોઇ કુમળા છોડને ઝારી વડે પાણી પાઇએ એવી વૃત્તિથી દિવસના એકાદ કલાકનું જળસિંચન કરવાનું શકય ખરું? જરાક થોભીને વિચારીએ તો સમજાય કે છોડને પાણી પાનારો પણ અંદરથી ઊગી રહ્યો હોય છે. કેટલાક ખાસ કલાકો દરમિયાન આપણે ‘આપણે’ હોઇએ છીએ. આવા પોતીકા લાગતા ચંદ કલાકોની પ્રતીક્ષા કરવી એ પણ જીવતા હોવાનો દાર્શનિક પુરાવો છે. પાઇલટની કરિયર વર્ષોમાં નહીં, ઉયનના કલાકોમાં નોંધાતી રહે છે.
જે કલાકો નકામા વીતી ગયા, તે જ કલાકો આપણને ઘડપણનો અનુભવ કરાવવા માટે જવાબદાર છે. જીવનમાં કેટલાક કલાકો ફણગાયેલા મગના દાણાની મૂછ જેવા સુકોમળ અને પુષ્ટિવર્ધક હોય છે. બાકીના કેટલાક નિર્જીવ કલાકો તો ઠરી ગયેલી ચિતાભસ્મમાં અટવાતા અર્ધદગ્ધ કોલસાના ટુકડા જેવા હોય છે. નિર્જીવ કલાકો એટલે એવા કલાકો, જે વખતે આપણે વહેતાં રહેવાને બદલે કેવળ ઘસડાતાં રહીએ છીએ. પ્રવાહમાં નછૂટકે ઘસડાતી હિમશિલા જેવા એ કલાકો ભારે બહુમતીમાં હોય છે. ઝરણું થનગનાટ સાથે વહેતું રહે છે. જીવન એટલે થોડાક થનગનતા-મનગમતા કલોકોની કવિતા! હિમશિલા અને થનગનાટને બાર ગાઉનું છેટું! માણસનું આયખું વર્ષોમાં માપવાનો કુરિવાજ એવો તો જામી ગયો છે કે કલાકોમાં આયુષ્ય માપવાની વાત જાણી વિચિત્ર લાગે.
નોકરીની લંબાઇ પણ વર્ષોમાં મપાય છે. પરિણામે સિનિયર લલ્લુ પણ કોઇ જીવંત જુનિયર આગળ અમથો રોફ મારી ખાય છે. કાર્યક્ષમતાની સમસ્યાઓ ઓછી નથી હોતી. બિનકાર્યક્ષમતા ખાસી નિરાંત આપે છે. જીનિયસ (પ્રતિભાસંપન્ન) માણસને સતાવનારો અને મિડિયોકર (મઘ્યમ કક્ષાના) માણસને જાળવવાનો સમાજ ગરીબીને લાડ લડાવતો રહે છે. ભારત સરકારના પ્રધાનમંડળમાં કયારેય જીનિયસ ગણાય તેવા પ્રધાનોની સંખ્યા ઝાઝી નથી હોતી.
સડેલી યુવાની તો ઘડપણનું જ બીજું નામ છે. થનગનતું ઘડપણ એ તો યુવાનીનો ઉત્તરાર્ધ છે. વર્ષો પહેલાં ભારતમાં રહેનારા ગ્રીસ દેશના એલચીનું નામ વાસિલિસ વિટસાકિસસ હતું. થનગનતો-મનગમતો કલાક કેવો હોય? એલચી હોવા છતાં કવિતા લખનારા એ જીવંત માણસની પંકિતઓ સાંભળો :
મેં સરોવરના ઊંડાણમાંથી
એક તારો ઉપાડયો
અને રાતના કામણમાં
એકલો એકલો ચળકયા કરે
તે માટે આકાશમાં ફંગોળ્યો છે.
અને એનું નામ તે તું!
જેનું નામ પણ સાંભળ્યું નથી
એવા સાગરમાં મેં મારી હોડી
તરતી મૂકી છે,
જયાં હોડીઓ અને તરસ્યા હોઠ
વાસ્તવિકતાના કિનારાઓથી
દૂર ને દૂર સરકતાં રહે છે
અને એનું નામ તે તું!
રણની રેત વચાળે મેં
ફૂલોનું ઉપવન ઉછેર્યું છે.
એમના રંગો તો મેં
મેઘધનુષ પાસેથી મેળવ્યા છે.
પૃથ્વીના શ્વાસ જેવી મીઠી મીઠી સુગંધ,
અને એનું નામ તે તું!
ભરતીનાં મોજાં પરથી
હું ચંદ્રમા પર પહોંચવા મથ્યો
ચંદ્રમા ખૂબ જ ઊચે હતો,
સૂર્ય ખૂબ જ ઉષ્ણ હતો,
પણ મેં તો એક કિરણ ઝાલી લીધું.
અને એનું નામ તે તું!
માણસ સૌથી ઓછો ઉપદ્રવકારી કયારે હોય છે? આ પ્રશ્ન પર બહુ લાંબો વિચાર કર્યા પછી જે જવાબ જડયો છે તે વહેંચી દેવાનો અભરખો છે. મનુષ્ય જયારે પ્રિયજન (સોલ-મેટ) સાથે બેસે ત્યારે એની પાસે ઉપદ્રવ કરવાનો સમય જ નથી હોતો. પૂજામાં બેઠેલા માણસને બિલાડી પર સાણસીનો ઘા કરતો જોયો છે. જાત્રાએ જનારા માણસને સહપંથી બિરાદરો સાથે બાખડતો જોયો છે. કષ્ણભકત ગણાતા માણસને દહેજ લેતો જોયો છે. સેવકને જૂઠું બોલતો જોયો છે.
બ્રહ્મચારીને ફલિર્ટંગ કરતો જોયો છે. સાધુને અર્થલોભમાં ડૂબેલો જોયો છે. મુલ્લાને ગાળ બોલતો જોયો છે. પાદરીને કપટ કરતો જોયો છે. હજુ સુધી વૃક્ષની નીચે ઊભા રહેનારા બે ‘મળેલા જીવ’ને કયારેય કોઇ ઉપદ્રવ કરતા ભાળ્યા નથી. પ્રેમક્રાંતિ વિના વિશ્વશાંતિ થાય એ વાતમાં માલ નથી. એકબીજામાં ઓતપ્રોત એવી બે વ્યકિતઓ વચ્ચે ચાલતી ગુફતેગૂમાં ખલેલ પહોંચે, તેમાં જ યુદ્ધ નામની બિભત્સ ઘટનાનો પ્રારંભ સંતાયેલો હોય છે. આ વાત માનવા કોઇ તૈયાર ખરું?
ભારતીય સંસ્કતિએ એક મહાન શબ્દ વિશ્વને આપ્યો : ‘આનંદ’. આ એક એવો શબ્દ છે, જેનો કોઇ વિરોધી શબ્દ નથી. સુખ હોય ત્યાં દુ:ખ હોવાનું. ઊચું હોય ત્યાં નીચું હોવાનું. દિવસ હોય ત્યાં રાત હોવાની. ‘આનંદ’ શબ્દનો પર્યાય અન્ય ભાષાઓમાં ઝટ નહીં જડે. આવો અનોખો શબ્દ આપનારી ભારતીય સંસ્કતિમાં આનંદ ક્ષીણ થતો ચાલ્યો છે. ગરીબીનો વિસ્તાર થતો રહે છે અને ઢગલાબંધ મરેલા મરેલા કલાકો કોઇ વિરાટ કન્વેયર બેલ્ટ પર વહી રહ્યા હોય એવી સ્થિતિ છે. સમય તો જાણે વેડફી મારવાની ચીજ હોય, એ રીતે લોકો ‘જીવી’ રહ્યા છે.
વર્ષે કે બે વર્ષે ઓટોરિક્ષા કે ખટારાને આર.ટી.ઓ.માં પાસ કરાવવો પડે છે. આપણને એવી કોઇ જફા નડતી નથી. કયારેક ઊગતા સૂરજ સામે માણસ એવી રીતે જુએ છે, જાણે પોતે આથમી ચૂકયો ન હોય! આપણી દિનચર્યામાં રોજ એકાદ ‘જીવતો’ કલાક પામવાની હઠ પકડયા વિના ઘડપણથી બચવાનો કોઇ ઉપાય નથી. જેની દિનચર્યા સુંદર, તેની જીવનચર્યા સુંદર! મગ જેવા મગનો દાણો પાણીના સંપર્કમાં આવે પછી એનું પ્રફુલ્લન (સ્પ્રાઉટિંગ) થાય છે. શું માણસ મગના દાણા કરતાંય ગયો?
પાઘડીનો વળ છેડે
ચર્ચિલ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટના મહેમાન હતા. સવાર પડી અને એમણે પોતાના સેક્રેટરીને ડિકટેશન લેવા માટે બાથરૂમમાં બોલાવ્યો. સેક્રેટરીએ જોયું તો ચર્ચિલ સંપૂર્ણપણે નગ્ન અવસ્થામાં સિગારનો દમ મારી રહ્યા હતા. ચર્ચિલે ડિકટેશન આપવાનું શરૂ કર્યું પછી શાવર નીચે સ્નાન કર્યું અને પાછું ડિકટેશન આપવાનું શરૂ કર્યું. એવામાં બારણા પર ટકોરા થયા. ચર્ચિલ હજી દિગંબર અવસ્થામાં જ હતા અને એમણે બારણું ખોલ્યું. સામે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઊભા ઊભા ચર્ચિલની આંખો સામે તાકી રહ્યા હતા. આંખનું મટકું પણ માર્યા વિના ચર્ચિલે કહ્યું : ‘મિસ્ટર પ્રેસિડેન્ટ! તમે જોઇ શકો છો કે મારે કશુંય છુપાવવાનું નથી.’
Article by Dr. Gunvant B. Shah published in Divya Bhaskar Sunday on June 21, 2009