સેક્યુલર સનેપાતથી બચો અને ઇસુની વાત માનો. DIVYA BHASKER 28-12-2015

સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે.
કોઇ મનુષ્યનું ધર્મપરિવર્તન કરાવવું એ મહાપાપ છે એમ જો તમે માનતા હો, તો ઇસુ તમારી વાત સાથે પૂરેપૂરા સહમત છે. થોડાંક વર્ષ પહેલાં આદરણીય મોરારિબાપુ બારડોલીમાં રોકાયા હતા. બીજે દિવસે તેઓ ડાંગની એક સભામાં પ્રવચન માટે જવાના હતા. પ્રવચનોના કેન્દ્રમાં ધર્માંતરનો પ્રશ્ન હવામાં ચકરાતો હતો. રાતે બાપુ સાથે ફોન પર વાત થઇ ત્યારે મેં બાપુને કહ્યું: ‘બાપુ! ઇસુ ભગવાન ધર્માંતરના પ્રખર વિરોધી હતા અને બાઇબલમાં એમના શબ્દો પ્રગટ થયા છે.’ બાપુનો ભક્ત વડોદરાના મારા ઘરેથી બાઇબલની નકલ લઇ ગયો અને રાતોરાત મારી નિશાની સાથે એ પુસ્તક વહેલી સવારે બાપુ પાસે બારડોલી પહોંચી ગયું. ડાંગની મોટી સભામાં બાપુએ ઇસુ ભગવાનના કડવા શબ્દો વાંચી સંભળાવ્યા હતા:

ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને દંભીઓ!
તમારી કેવી દશા થશે?
તમે એક જણનો ધર્મપલટો કરવા માટે
પૃથ્વી પર અને સમુદ્ર પર ફરી વળો છો.
અને જ્યારે તે ધર્મપલટો કરે છે
ત્યારે તમે તેને તમારાં કરતાં
બમણા નરકને પાત્ર બનાવો છો.
(‘સંપૂર્ણ બાઇકલ’, અનુવાદકો: નગીનદાસ પારેખ અને ઇસુદાસ કવેલી, માથ્થી: પાન-35)

એ સભામાં આર.એસ.એસ.ના યુવાન પ્રવક્તા તરુણ વિજય પણ હાજર હતા. ત્રણ-ચાર દિવસ પછી એમનો ફોન દિલ્હીથી આવ્યો હતો અને એમણે મારી પાસે બાઇબલના અવતરણની વિશેષ જાણકારી માગી હતી. કોઇ પણ માણસને પોતાની ઓળખ બદલવી પડે તેના જેવી વિષમ અને કરુણ સ્થિતિ બીજી ન હોઇ શકે. કોઇ છોડને મૂળસોતો ઉખેડીને એને બીજે રોપવા જેવી જ એ બાબત ગણાય. જો ધર્માંતર કરાવવું એ પાપ હોય, તો પછી એની દિશા ગમે તે હોય તેથી શું? લાખો હિંદુઓ વટલાઇને મુસલમાન બન્યા તે પણ પાપ અને લાખો હિંદુઓ વટલાઇને ખ્રિસ્તી બન્યા એ પણ પાપ! એ જ રીતે ધર્મપરિવર્તન દ્વારા મુસલમાન કે ખ્રિસ્તીને હિંદુ બનાવવામાં આવે એ પણ પાપ! જો સેક્યુલર સનેપાતથી બચીને ઇસુની વાત માનીએ તો મહાત્મા ગાંધી પણ રાજી રાજી! એમણે કહેલું: ‘જો મારી પાસે સત્તા અને અધિકાર હોય તો હું બધી જાતનાં ધર્માંતરો નાબૂદ કરી નાખું.’ દાદા ધર્માધિકારી જેવા મૌલિક વિચારક કહેતા રહ્યા કે ધર્માંતર કેવળ ધર્માંતર ન રહેતાં ‘રાષ્ટ્રાંતર’ પણ બની રહે છે. કટ્ટરતા એક જ કામ કરે છે. એ ધર્મનું અથાણું કરી નાખે છે. કેરીધર્મ ઉમદા હોય છે, પરંતુ અથાણાધર્મ બડો ઉત્પાતિયો હોય છે. આજે માનવજાતને ઉત્પાતિયા અથાણાધર્મો પજવી રહ્યા છે.

‘સેક્યુલર સનેપાત’ ની વ્યાખ્યા શી? અત્યારે મારા હાથમાં લગભગ 35 વર્ષ પહેલાં મારી જ કટારમાં લખાયેલો લેખ (ગુ. મિત્ર, કાર્ડિયોગ્રામ, 30-5-1979). આદરણીય મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા. સંસદસભ્ય ઓમપ્રકાશ ત્યાગીએ લોકસભામાં ધર્માંતરવિરોધી બિલ રજૂ કર્યું ત્યારે શું બન્યું? કમનસીબે એ પસાર ન થયું. મધર ટેરેસાએ એ બિલનો વિરોધ કરવા માટેના સરઘસની આગેવાની લીધી હતી. મારી દૃષ્ટિએ એમ કરવામાં ઇસુના ઉપરોક્ત શબ્દોનો સ્પષ્ટ અનાદર હતો. એ બિલ તો કોઇ ખ્રિસ્તી કે મુસ્લિમ મનુષ્યને ધર્માંતર થકી હિંદુ બનાવી ન દેવાય તે સામે પણ ખપ લાગે તેવું ‘સેક્યુલર’ બિલ હતું. અમૃતા પ્રીતમે મધર ટેરેસાની સખત ઝાટકણી કાઢી હતી. બહુમતી જો ધર્માંતર કરાવે તો ગેરવાજબી ગણાય અને લઘુમતી ધર્માંતર કરાવે તો વાજબી ગણાય? આવા વલણમાં ન્યાય ક્યાં? આવા વલણમાં ઇસુ ક્યાં? આવા વલણમાં ગાંધીજી ક્યાં? ‘ન્યાય’ જેવી સેક્યુલર ઘટના બીજી કઇ હોઇ શકે? ‘સેક્યુલર સનેપાત’ એટલે એવા વલણનો જયજયકાર જેમાં બહુમતીને છોલવાની અને લઘુમતીને પંપાળવાની ફેશન હોય. બાકી સાક્ષી મહારાજ, (સાધ્વી?) નિરંજન જ્યોતિ, (યોગી?) આદિત્યનાથ કે આસારામની કડક આલોચના કરવામાં આ લખનારને બીજે નંબરે મૂકવાનો અવિવેક કોઇ પણ તટસ્થ વાચક નહીં કરે, કદી નહીં કરે. સેક્યુલર સનેપાતના દિવસો હજી પૂરા નથી થયા. કદાચ હવે ‘હિંદુ અવિવેક’ આળસ મરડીને બેઠો થતો જણાય છે. અવિવેક કદી સેક્યુલર નથી હોતો કારણ કે એ માનવતાવિરોધી હોય છે. એક સનેપાતનો સામનો બીજા સનેપાતથી થઇ શકે?

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી આચાર્ય ક્ષિતિમોહન સેને એક વાત નોંધી છે. કબીરના સમયમાં સિકંદર લોદીનું રાજ તપતું હતું. ક્ષિતિમોહન સેન નોંધે છે: ‘સિકંદર શાહે બ્રાહ્મણ બદૂનને પ્રાણદંડની સજા ફરમાવી હતી. બ્રાહ્મણનો અપરાધ એ હતો કે તેણે ભગવાનની આગળ સર્વે ધર્મો સરખા છે એવું જણાવ્યું હતું.’ (‘સાધનાત્રયી’ પાન- 274) કેટલાક ધર્માંધ મુસ્લિમ શાસકોના કારભાર (ઇ.સ. 712થી 1707) દરમિયાન બનેલા આવા અસંખ્ય બનાવો નોંધાયા પણ નહીં હોય. અરે! વટલાયેલા લાખો હિંદુઓના જ વંશવારસો કટ્ટરતાપૂર્વક મંદિરો તોડવામાં સક્રિય બન્યા હશે! કાળની લીલા અનંત છે.

ઇસુ અને ગાંધીને પરિતોષ થાય તેવી ઘટના ઓસ્લોમાં બની. નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે કૈલાસ સત્યાર્થીએ કરેલું પ્રવચન હૃદયસ્પર્શી હતું. એમણે પ્રવચનનો પ્રારંભ જ ઋગ્વેદના મંત્રથી કર્યો અને ઉપનિષદના મંત્રથી પ્રવચનની પૂર્ણાહુતિ કરી. મલાલા યુસુફઝાઇને પ્રવચન કરતી જોઇ ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવી ગઇ. મલાલાને પાકિસ્તાન પૂરી સલામતી પણ પૂરી પાડી નહીં શકે. મલાલાનું પ્રવચન દિલના ઊંડાણમાંથી વહેતું થયું.

યુનોએ 177 દેશોના સમર્થનથી સર્વાનુમતે ઠરાવ્યું કે પ્રતિવર્ષ 21મી જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવશે. ઇસુ મહાન યોગી હતા એવું ઋષિ યોગાનંદજીએ પોતાના (બેસ્ટ-સેલર) પુસ્તક ‘An Autobiography of A Yogi’માં વારંવાર જણાવ્યું છે. એક સૂચન કરું? આંતરરાષ્ટ્રીય કક્ષાએ દસ મહાન શબ્દોનો બધી જ ભાષાઓમાં સ્વીકાર થવો જોઇએ: (1) Dharma (2) Satya (3) Shanti (4) Yoga (5) Love (6) Karuna (7) Ahimsa (8) Islam (સમર્પણ) (9) Khairat (10) Nirvana. આવા થોડાક શબ્દો દ્વારા વિશ્વકક્ષાએ એક સેક્યુલર હાઇવેનું નિર્માણ થશે. જેમ જેમ પૃથ્વી ચણીબોર જેવી બનતી જાય તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય એ જરૂરી છે. આ દસ મહાન શબ્દોની યાદીમાં એક શબ્દ ઉમેરી જુઓ: ‘મા.’ મધર મેરીમાં સીતા દેખાશે.

કોઇ પણ ધર્મનું મૂલ્યાંકન એ ધર્મ પાળનારાં લોકોની સંખ્યા પરથી કરવાની કુટેવ છોડવી પડશે. કોઇ નદીનું મૂલ્યાંકન એમાં તરતી માછલીઓની સંખ્યા પરથી થઇ શકે? જો આવો કુરિવાજ સ્વીકારીએ તો જૈન ધર્મ પાળનારા લોકોની સંખ્યા કેટલી? શીખોની સંખ્યા કેટલી? ધર્મ એટલે રિલિજિયન નહીં. ‘ધર્મ’ જેવો સેક્યુલર શબ્દ બીજો ન હોઇ શકે. માનવતાને ટકાવી રાખે તે ધર્મ કહેવાય. જરા સોચો! ટ્રાફિકના નિયમો ન હોય તો રોજ કેટલા અકસ્માતો થાય? ‘ટ્રાફિકધર્મ’ આદરણીય છે કારણ કે એને કારણે કશુંક ટકી રહે છે. ઇસુએ જગતને પ્રેમધર્મનું મહત્ત્વ સમજાવ્યું. નાતાલના પવિત્ર દિવસોમાં મારા ઘરે આખી રાત એક ચમકતો તારો લટકતો જોવા મળશે. આવી પ્રથા પરિવારમાં ક્યારથી શરૂ થઇ? ઘણાં વર્ષો થઇ ગયાં! ઇસુ કેવળ ખ્રિસ્તી પ્રજાના મહામાનવ નથી. તેઓ મારા તમારા અને આપણા સૌના પૂજ્ય છે. એમને સમજવાની જવાબદારી કેવળ પાદરીઓની નથી. તેઓ ચર્ચમાં પણ છે અને ચર્ચની બહાર પણ છે. તેઓ સર્વત્ર છે કારણ કે ધરતીના કણ કણમાં પ્રેમનું સામ્રાજ્ય સંતાયેલું છે.{ (લખ્યા તા. 15-12-2014)

પાઘડીનો વળ છેડે
એક વૃક્ષને
કાપી નાખવામાં આવ્યું અને
એના ફળો ફંગોળાઇ ગયાં!
હું રડી પડી.

-ઝીન્દજી
નોંધ: એન્થની સેમ્પસને નેલ્સન મેન્ડેલાની વિસ્તૃત જીવનકથા લખી છે. એમાં ઝીન્દજી નામની આફ્રિકન સ્ત્રીએ ગોરા લોકોના આર્થિક અને ધાર્મિક શોષણ અંગે લખેલી પંક્તિઓ આવી હતી.

સાંજ ઢલે ગગન તલે હમ કિતને એકાકી DIVYA BHASKER, 23-2-2014

વસંતની સવાર નથી શીતળ હોતી અને નથી ઉષ્ણ હોતી. એવી સમશીતોષ્ણ સવાર માનવીના મનમાં સમત્વ જગાડે ત્યારે ગીતાનું વિધાન સાર્થક થાય એ શક્ય છે: ‘સમત્વં યોગ ઉચ્યતે.’ આવું બને ત્યારે એક ચમત્કાર થાય છે. એ સવારે એકાદ કલાક એવો જામી જાય કે વસંતમાંથી ‘વ’ નીકળી જાય. કહેવાતા સામાન્ય માણસને પણ એકાદ કલાક માટે સંત બની ગયાની અનુભૂતિ પામવાનો અધિકાર છે. આજના સામાન્ય માણસની પ્રાર્થના વાસંતી સવારે કેવી હોય? એવે વખતે પ્રાર્થના કરવી નથી પડતી કારણ કે પક્ષીઓ જે કલરવ કરે તે પ્રાર્થનાના કુળનો હોય છે. કલરવ બંધ થાય પછી જે પ્રાર્થના થઇ જાય તેમાં માણસ કહે છે:

હે પ્રભુ
મારો મોબાઇલ ફોન મને સગવડ આપે છે.
મારું ઇન્ટરનેટ મને દુનિયા સાથે જોડી આપે છે.
મારું વાહન મને જ્યાં જવું હોય ત્યાં લઇ જાય છે.
બસ, એક જ વાતની કમી છે:
મારા મનને શાંતિ નથી.
જગતમાં ઘણા ધર્મો છે અને અસંખ્ય પંથો તથા પેટાપંથો છે. જ્ઞાતિ-પેટાજ્ઞાતિ અને પેટા-પેટા-જ્ઞાતિઓનો તો પાર નથી.

ખરેખર તો સમગ્ર માનવજાત માત્ર બે જ વિભાગોમાં વહેંચાયેલી છે: કેટલાક જીવી ખાય છે અને કેટલાક જીવી જાય છે. જીવી જનારાઓ કાયમ લઘુમતીમાં જ હોય છે. વિચારપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક અને મિજાજપૂર્વક જીવનાર મનુષ્ય ૧૦૦માંથી માંડ એક હોય તો હોય એવા માણસની તો ફરિયાદ પણ પ્રાર્થના સાંજ ઢલે ગગન તલે, હમ કિતને એકાકીજીવન કેટલાક કલાકોનું બનેલું છે. માણસ જો ૧૦૦ વર્ષ જીવે તો તેનું આયુષ્ય લગભગ ૮,૭૬૦૦૦ કલાકોનું ગણાય. આટલા બધા કલાકોમાંથી ‘જીવતા’ કલાકો કેટલા? જીવતો કલાક એટલે એવો કલાક, જેમાં પ્રત્યેક ક્ષણ મનગમતી અને થનગનતી હોય. મનગમતી ક્ષણ એટલે પ્રેમની ભીની ભીની અનુભૂતિથી લથપથ એવી દીપ્તિમાન ક્ષણ.

થનગનતી ક્ષણ એટલે જાત સાથેની દોસ્તીથી અધ્ધરતાની અનુભૂતિ કરાવતી દિવ્ય ક્ષણ. જ્યાં પ્રેમ હોય ત્યાં અન્ય સાથે થતી છેતરપિંડી નહીં હોય. જ્યાં જાત સાથેની મૈત્રી હોય ત્યાં પોતાની સાથે થતી છેતરપિંડી પણ ન હોય. ‘જીવતો કલાક’ એટલે આવી બંને પ્રકારની છેતરપિંડીથી અનાયાસ પ્રાપ્ત થયેલો દિવ્ય કલાક. વસંતની સવારે આવો એક કલાક પામવો એ આપણા જેવા સામાન્ય મનુષ્યનો પ્રેમસિદ્ધ અને આનંદસિદ્ધ અધિકાર છે.અધ્યાત્મ-રામાયણમાં નારદ રામને કહે છે: ‘હે પ્રભુ માયા તો આપની ગૃહિ‌ણી છે (સા માયા ગૃહિ‌ણી તવ)’. જો માયા ગૃહિ‌ણી હોય, તો એનું પ્રેમમય અને શંૃગારમય એવું રમણીય સ્વરૂપ વસંતમાં પ્રગટ થતું દીસે છે.

જે મનુષ્ય રામની ગૃહિ‌ણીને લીલાભાવે જોવાનું રાખે તે કાલે નહીં તો પરમ દિવસે રામ સુધી પહોંચે એ શક્ય છે. કવિ એવો મનુષ્ય છે, જે ગૃહિ‌ણીનો અનાદર કર્યા વગર રામનું સ્મરણ કરે છે. આ સૃષ્ટિ આખરે તો માયાસ્વરૂપા, લીલાસ્વરૂપા અને ત્રિગુણાત્મિકા એવી ગૃહિ‌ણી છે. એ મિથ્યા હોય તોય માનવીય છે. જે મિથ્યા હોય તેમાંથી પસાર થઇ જવામાં કવિને કોણ પહોંચે? પંખીઓના કલરવની સાથોસાથ પાડોશીના ઘરમાં થતા ઝઘડાનો ઘોંઘાટ પણ કવિને માન્ય છે. એ કેવળ વસંતનો જ આશક નથી હોતો, એને તો પાનખર પણ ગમે છે. જે મનુષ્ય પ્રેમનો પરચો નથી પામ્યો, તે મનુષ્ય કવિતા રચે તો પણ અકવિ જ હોવાનો કવિ તો પ્રેમ પર પણ લખે અને પ્રેમભંગ પર પણ લખે કવિ સાથે થયેલા દગાને દર્દ બની જવાની ટેવ હોય છે.

વસંતની સવારે માણસે ચાર સુંદર પ્રશ્નો પૂછવા રહ્યા:
નજીકમાં નજીક આવેલું વૃક્ષ
મારાથી કેટલું દૂર છે?
નજીકમાં નજીક ઊગેલું પુષ્પ
મારાથી કેટલું દૂર છે?
નજીકમાં નજીક રહેતો કવિ
મારાથી કેટલો દૂર છે?
પ્રિયજનના હૃદયથી મારું હૃદય
કેટલું નજીક છે?
આ ચારે પ્રશ્નોના જવાબ જો ભીના મળે તો માનવું કે વસંતનું આગમન સાર્થક થયું. આવા પ્રશ્નો કેવળ નસીબદાર માણસોના હૃદયમાં જ ઊગે છે અને તે વખતે ‘જીવતો કલાક’ પ્રાપ્ત થાય છે. વનની વાટે અયોધ્યાથી ચાલીને જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ ગંગાકિનારે પહોંચ્યાં, ત્યારે વહેલી સવારે કોયલના ટહુકા શરૂ થઇ ગયા.

રામ લક્ષ્મણને કહે છે: ‘તાત ભગવતી રાત્રિ વીતી ગઇ છે અને સૂર્યોદય થવાની તૈયારીમાં છે. કાળા રંગની આ કોયલ કુહૂ કુહૂ બોલવા લાગી છે (અસૌ સુકૃષ્ણો વિહગ: કોકિલસ્તાત કૂજતિ)’ આપણે સૌ રામજીનાં સંતાનો ખરાં, પરંતુ વહેલી સવારે કોયલના ટહુકા સાંભળવાનો વૈભવ ગુમાવી બેઠાં છીએ. કોયલ રોજ ટહુકે છે, પરંતુ એને કાન દઇને આદરપૂર્વક સાંભળનારા કેટલા? જય સીયારામ મરેલા મરેલા કલાકો લંબાયે જાય તેવા શુષ્ક જીવનમાં જેને વસંત પણ ખલેલ ન પમાડે, એવા નર્જિી‍વ મનુષ્ય આગળ તો ટહુકા પણ લાચાર નર્જિી‍વ મનુષ્ય એટલે એવો મનુષ્ય જેની પાસે પૈસા સિવાય બીજું કશું જ નથી. તમે એકવીસમી સદીના તપસ્વી મનુષ્યને જોયો છે? લાચારીપૂર્વક આખી જિંદગી અણગમતી અને આક્રમક પત્નીને વેઠનારો પતિ તપસ્વી છે. એ જ રીતે મજબૂરીને કારણે શુષ્ક અને જોઇને ચીતરી ચડે તેવા દુર્જન પતિને જીવનભર વેઠનારી પત્ની તપસ્વિની છે.

આપણા દેશમાં તપસ્વિનીઓ બહુમતીમાં છે, કારણ કે સમાજ પુરુષપ્રધાન છે. છૂટાછેડાની નિંદા થાય છે, પરંતુ સમજપૂર્વક છૂટાં થયેલાં સ્ત્રી-પુરુષોની પ્રશંસા નથી થતી. આવો સમાજ તનદુરસ્ત અને મનદુરસ્ત હોઇ શકે?
વસંતની સાંજ પણ ઓછી મનમોહક નથી હોતી. સૂર્ય આથમે પછી ધીરે ધીરે અજવાળું વિદાય થાય છે. અજવાળાને વિદાય થતું જોવું અને અંધારાને અવનિ ઉપર પથરાતું જોવું એ પણ એક અનુભૂતિ છે. એ અનુભૂતિમાં મૃત્યુના અભિવાદનનું રહસ્ય પડેલું છે. અંધકારના ઉપકારો અનંત છે. અજવાળું મનુષ્યને સાકાર અને સગુણની સાધના શીખવે છે. અંધારું મનુષ્યને નિરાકાર અને નર્ગિુણની ઊંચાઇ પર લઇ જઇ શકે છે. જે અંધારાનો સ્વાદ ચાખે તે ખરો સાધક છે. અંધકારના ઉપકારો અનંત છે.

પારિજાતનાં પુષ્પો ક્યારેક પવનને કારણે ખરતાં રહે છે. ક્યારેક માનવસંબંધો પણ ટપ ટપ ખરતા રહે છે. સંબંધના નિર્મળ સરોવરમાં હોવું એ વૈભવ છે. અંધારિયા એકાંતના ઓવારે એકલા હોવું એ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે જ એકાંતવૈભવ. વસંત સાથે શંૃગાર જોડાયો છે, પરંતુ શંૃગારની દિશા પણ અધ્યાત્મ ભણીની હોઇ શકે એ વાત ઝટ સમજાતી નથી. જીવનનું રહસ્ય પામેલો કોઇ કવિ જ કહી શકે:
કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજન કે ઘર જાના હોગા.
અંધારું અજવાળાને ગળી જાય છે. અજવાળું અંધારાને ગળી જાય છે. શંૃગાર શુષ્કતાને ગળી જાય છે. જ્ઞાન માયાને ગળી જાય છે. પ્રેમ મૃત્યુને ગળી જાય છે. આવી પ્રેમદીક્ષા પામવી એ આપણો વસંતસિદ્ધ અધિકાર છે. (લખ્યું: વસંતપંચમીએ).’

પાઘડીનો વળ છેડે
અભિમાનપૂર્વક કોઇને
પ્રેમ કરવા કરતાં તો,
જેને પ્રેમ કરીએ
તેની આગળ
અભિમાન ગુમાવવું સારું
– ચીની કહેવત

ગુણવંત શાહ
Blog:https://gunvantshah.wordpress.com

One plus one

In the mathematics of love, one plus one is infinity.

“Any man who can drive safely while kissing a pretty girl is simply not giving the kiss the attention it deserves.” Which great man could have made such a sharp observation? However much you scratch your head, you’ll be wrong. This romantic statement cannot be made by Buddha, Mahavir, Jesus Christ or Mohammed. Nor were Vinoba or Gandhi known for uttering such truths. This statement is not by Rabindranath or J.Krishnamurthi. It is not made by Woody Allen, Bill Clinton or Bill Gates. This great statement has been made by the great scientist and lover Albert Einstein. The romantic truth in the statement is something that today’s young people can accept. The older people who understand the emotion in this statement will never be unhappy. What does youth have to do with age?

Are you beautiful because you are loving, or are you loving because you are beautiful? Answering this riddle takes up an entire life. Man’s heart has its own reasons, which the mind cannot understand. Remember that age does not stop you from loving, but love can stop you from getting old. The mathematics of love is different from the mathematics of the mind. The mind calculates that one plus one is two. The heart is different. The mathematics of love finds that one plus one is infinity. Those who have empty hearts and very logical minds can do business, but cannot love. The mind copes well with the internet. The heart undertands the interior-net.

To fall in love, one does not need the power of gravity.

Translated by Batul Mukhtiar, Oct 2006