સ્વામી આનંદ કહે છે: માયા તો કિરતારની કારભારણ છે. DIVYA BHASKER, 22-3-2015

માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

જગતમાં સૌથી મહાન ગુરુ કોણ? જવાબ છે: હૃદયરોગનો હુમલો. વાત વિચિત્ર લાગે, પરંતુ ખરેખર વિચિત્ર નથી. અનુભવને આધારે કહેવું છે કે હૃદયરોગના હુમલાને કારણે મારા અહંકારના ચૂરેચૂરા થઇ ગયા. શું આ જેવીતેવી ગુરુકૃપા છે? માનવ દેહધારી ગુરુ પોતાના શિષ્યને છેતરે એ શક્ય છે, પરંતુ હૃદયરોગનો હુમલો પોતાના શિકારને કદી પણ ન છેતરે. હુમલો થયા પછી બચી જનાર મનુષ્ય જો જાગી જાય તો જીવનનું નવનિર્માણ (Self-renewal) શરૂ થાય એ શક્ય છે. આવી તક કેવળ નસીબદાર મનુષ્યોને જ પ્રાપ્ત થતી હોય છે. અહંકારશૂન્યતા એટલે દેહમૃત્યુ થાય તે પહેલાં અહંકારનું મૃત્યુ થાય તેવી અવસ્થા. હૃદયરોગ આવી અવસ્થાની ખાતરી નથી આપતો. હા એને પ્રતાપે એક અલૌકિક શક્યતાનું દ્વાર ખૂલે છે એ નક્કી! શું આવી ગુરુકૃપા ઓછી મૂલ્યવાન છે? શક્યતાનું દ્વાર ખોલી આપે, તે જ સદગુરુ!

બરાબર યાદ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU)માં ખાટલા પર જે વિચારો આવ્યા તેમનું ગુરુત્વ મધ્યબિંદુ ‘માયા’ હતું. સ્વામી આનંદે માયાને ‘કિરતારની કારભારણ’ કહી તે વાતે સ્વામી આનંદનું પણ તીવ્ર સ્મરણ ચાલતું રહ્યું. એ ખાસ કલાકોમાં જ કંઇ વિચાર્યું તેનું વિસ્મરણ હજી થયું નથી. જે કંઇ યાદ આવે તેને યથાતથ રજૂ કરવાના આ પ્રયત્નમાં સુવ્યવસ્થા નહીં હોય. માયા પર વિચારે ચડી જવાનો એક લાભ એ થયો કે મૃત્યુનો ભય ખરી પડ્યો. બાયપાસ સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લતા મંગેશકરને કંઠે ગવાયેલો ગીતાનો બારમો અધ્યાય સાંભળવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષ્ણનાં વચનોનું શ્રવણ કરતા કરતા એનેસ્થેસિયા દ્વારા સંપૂર્ણ અભાનતાના ‘બ્લેક હોલ’માં પ્રવેશવાનું બન્યું. થોડાક કલાકો પછી પુનર્જન્મ!

માયા પર વિચારવાનું ફરીથી ચાલુ થયું. ક્રિકેટ અને ગીતા વચ્ચેનો અનુબંધ મનમાં જડાઇ ગયો. શું થયું? હું ખેલના મેદાન પર રમવા ગયો. માયા શરૂ? રમતમાં મેં છગ્ગો ફટકાર્યો પણ બોર્ડર પર ફિલ્ડરે કેચ ઝીલી લીધો. મેં પેવિલિયન ભણી ચાલવા માંડ્યું. એક જ ક્ષણમાં અમ્પાયરે ‘નો બોલ’ જાહેર કર્યો અને હું ક્રીઝ પર પાછો ફર્યો! ક્રિકેટની માયા કેવી? આપણી ટીમ જીતે તો ખુશ થવાનું અને હારી જાય તો નિરાશ થવાનું! બે ટીમની રમતમાં રન સરખા થાય તો ટાઇ પડે તેની માયા! વળી સ્ટમ્પ આઉટ, કેચ આઉટ, રન આઉટ અને LBWની માયા! ડીપ મિડ-ઓન પર દ્વેષ નામનો ફીલ્ડર કેચ કરવા ટાંપીને ઊભો છે! એ જ રીતે ડીપ મિડ-ઓફ પર લોભ નામનો ફીલ્ડર આપણો રન રોકવા તત્પર છે!

એ જ રીતે સ્લિપર તરીકે ત્રણ ત્રણ ખેલાડીઓ વત્તા વિકેટકીપર સાક્ષાત્ મોહ બનીને આપણને આઉટ કરવા તત્પર છે! આવી ક્રિકેટમયી માયામાં અમ્પાયરનું કામ કેવું? ગીતામાં બે શબ્દો પ્રયોજાયા છે: 1. ઉપદ્રષ્ટા અને 2. અનુમન્તા. (અધ્યાય 13). બંને શબ્દોમાં અમ્પાયરનો ધર્મ પ્રગટ થાય છે. અમ્પાયર બંને ટીમ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને ઊભો છે. એ રમતને સાક્ષીભાવે નિહાળે છે તેથી ‘ઉપદ્રષ્ટા’ છે. વળી એ આઉટ કે નોટઆઉટનો નિર્ણય કરતી વખતે અનુમતિ આપનારો (અનુમન્તા) છે. આમ અમ્પાયર મોહમાયામાં અટવાતા ધૃતરાષ્ટ્રની નબળાઇ (મામકા-પાંડવા:)થી મુક્ત છે. સંસારનો ખેલ ક્રિકેટના ખેલથી જુદો નથી. એ ખેલમાં જોડાયેલા મનુષ્યો સાક્ષીભાવે માયાની રમતને નિહાળે તો જીવન સફળ થઇ જાય. માયા તરફથી માયાપતિ તરફ જવાની મથામણ! આવો સુંદર વિચાર મને પથારીમાં પડ્યો હતો ત્યારે પજવી ગયો! માયા એટલે આભાસી વાસ્તવિકતા (વર્ચ્યુઅલ રીઆલિટી).

કોઇએ તમને દગો દીધો? કોઇ સ્વજન તમારા પૈસા લીધા પછી પાછા નથી આપતું? કોઇ તમારી નિંદા કરવામાં નિષ્ઠાવંત જણાય છે? તમારા હૃદયમાં ક્યાંક જખમનું શૂળ છે? અરે! તમે કોઇને અન્યાય કર્યો છે? તમે લોભ-મોહ-સ્વાર્થને કારણે કોઇનું જીવન બરબાદ કર્યું છે? હા, માયા નામની કારભારણ તમને અને મને રાતદિવસ નચાવી રહી છે. આપણે સવાર-સાંજ નાચમગ્ન છીએ. વચ્ચે વચ્ચે કોઇ ગમતું માણસ મરી જાય છે. આપણે દુ:ખી દુ:ખી! ક્યાંક લગ્ન સમારંભ યોજાય ત્યારે ટેબલે ટેબલે વાનગીઓની માયા! આયુર્વેદની વિચારધારા અને વિજ્ઞાનધારા પ્રમાણે મનુષ્યનું શરીર વાત, પિત્ત અને કફ વચ્ચે જળવાતા સંતુલનની ત્રિગુણાત્મક માયા છે! પાણીપૂરી લલચાવે, મીઠાઇ લલચાવે, ભજિયાં લલચાવે અને ભોજન પછી સુગંધીદાર પાન પણ લલચાવે! રોજ નવી માયાને રોજ નવી લીલા! શિયાળાની સવારનો તડકો ગમે અને ઉનાળાની બપોરનો તડકો પજવે! વરસાદ ગમે, પણ કાદવ-કીચડ ન ગમે! કારમાં ફરવાનું ગમે, પરંતુ એ અટકી પડે ત્યારે માથાનો દુખાવો! સુખની સોડમાં દુ:ખ અને દુ:ખના કાળજામાં પીડા! સુખ ગમે, દુ:ખ ન ગમે!

હૃદયરોગના હુમલા પછી જીવનનો પ્રત્યેક કલાક મૂલ્યવાન બની જાય એ શક્ય છે. મારા વિદ્વાન મિત્ર ડો. શશિકાંત શાહ મને વારંવાર કહે છે: ‘અમારા કેટલાય કલાકો સાવ નકામા વ્યવહારો સાચવવામાં વેડફાઇ જાય છે, તમારા નથી બગડતા તે બહુ મોટી વાત છે.’ પાઇલટની કરિયર વર્ષોમાં નથી મપાતી, કેટલા કલાકોનું ઉડ્ડયન થયું તે પરથી મપાય છે. ‘Outlook’ના તંત્રી વિનોદ મહેતાએ 72 વર્ષની વયે ‘માયા’ સંકેલી લીધી. ‘Outlook’ મેગેઝિનનો હું પ્રથમ અંકથી વાચક હતો. સદગત વિનોદ મહેતા માત્ર મારા જ નહીં, આપણા પ્રિય એવા વિનોદ ભટ્ટના પણ માનીતા પત્રકાર હતા. એમની ખોટ ખટકે તે પણ માયા! તેઓ સોનિયા ગાંધીના પક્ષકાર હતા એમ કહેવામાં અેમને અન્યાય થશે. તેઓ હિંમતપૂર્વક ટીવી પર પણ કડવી વાતો કોંગ્રેસને કહી શકતા હતા. એમની લેખનશૈલીમાં નિખાલસતાની સુગંધ હતી.

ગીતામાં ત્રિગુણમયી માયાની વાત સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના સંદર્ભે કરી છે. જીવનના ઘરમાં ત્રણ ઓરડા છે. ક્યારેક આપણે સત્ત્વગુણના, તો ક્યારેક રજોગુણ કે તમોગુણના ઓરડામાં જઇએ છીએ. કોઇ મનુષ્ય કેવળ એક જ ઓરડામાં ચોવીસે કલાક રહી શકતો નથી. મનુષ્યની ઇશ્વરદત્ત અપૂર્ણતા એને સતત નચાવતી રહે છે. નાચતી વખતે એટલી સભાનતા રહે તો બસ છે કે આપણે નાચી રહ્યાં છીએ!ટીવી સિરિયલ માયાસ્વરૂપા છે. સિરિયલમાં એક પાત્ર ભલું હોય છે અને એક પાત્ર બદમાશ હોય છે. ભલું પાત્ર આપણને ગમે છે અને લુચ્ચું પાત્ર આપણા મનમાં ધિક્કાર જન્માવે છે. પાંચ દિવસ પછી રામનવમી આવશે. સદીઓ વીતી તોય રામનવમી કેમ ઉજવાય છે? રામત્વ શાશ્વત છે તેથી હજી આવનારી સદીઓમાં પણ રામનવમી ઉજવાતી રહેશે. રામમનોહર લોહિયાએ ગાંધીજીને ‘રામના વંશજ કહ્યા હતા. કવિ ઇકબાલે રામને ‘ઇમામે હિંદ’ કહ્યા છે. રામ સંસ્કૃતિ-પુરુષ હતા.

પાઘડીનો વળ છેડે
એક વાર શ્રી રામ અને સીતા પ્રસન્નચિત્તે બેઠાં હતાં ત્યારે એકાએક ત્યાં નારદજી પહોંચી ગયા. રામે દેવર્ષિ નારદનું અભિવાદન કર્યું અને કહ્યું: ‘હે મુનિશ્રેષ્ઠ! અમારા જેવા સંસારી મનુષ્યો માટે આપનું દર્શન દુર્લભ છે. આપનાં દર્શનથી હું કૃતાર્થ થઇ ગયો. મને કહો કે હું આપને માટે કયું કાર્ય કરું.’ રામનાં વચનો સાંભળીને નારદજી બોલ્યા:

હે વિભો!
આપે કહ્યું કે હું સંસારી મનુષ્ય છું.
વાત તો ઠીક છે કારણ કે
સંસારનું મૂળ કારણ ગણાય
તેવી માયા આપની ગૃહિણી છે!
આપ ભગવાન વિષ્ણુ છો
અને જાનકીજી લક્ષ્મી છે.
આપ શિવ છો!
અને જાનકીજી પાર્વતી છે.
આપ બ્રહ્મા છો
અને જાનકીજી સરસ્વતી છે.
આપ સૂર્યદેવ છો!
અને જાનકીજી પ્રભા છે.
આપ સૌના કાલસ્વરૂપ યમ છો
અને સીતા સંયમિની છે.
સંસારમાં જે બધું પુરુષવાચક છે,
તે આપ છો અને જે બધું સ્ત્રીવાચક છે,
તે સીતાજી છે.
નોંધ: ‘અધ્યાત્મરામાયણ’, અયોધ્યાકાંડ. (પ્રથમ સર્ગ, શ્લોક 6થી 19)

ઉપનિષદના ઋષિ કેવા હતા? ઋષિ વિનોબા જેવા હતા! DIVYA BHASKER, 10-9-2014

સોક્રેટિસને પ્લેટો મળ્યો. લગભગ એ જ રીતે મહાત્મા ગાંધીને વિનોબા ભાવે મળ્યા. પ્લેટોને એરિસ્ટોટલ મળ્યો. ગાંધીયુગના એરિસ્ટોટલ હતા: દાદા ધર્માધિકારી. 1957માં શંકરાચાર્યના ગામ કાલડિમાં સર્વોદય સંમેલન પૂરું થયું ત્યાં જોરથી વરસાદ તૂટી પડ્યો. જયપ્રકાશજી ત્યાં જ હતા. એમની સાથે ઋિષ વિનોબા આનંદપૂર્વક નાચવા લાગ્યા. સાથે વેદમંત્ર બોલતા જાય:
વર્ષા રમણીય હૈ!
વસંત રમણીય હૈ!
શિશિર રમણીય હૈ!
શરદ રમણીય હૈ!

ત્રણ દિવસ પછી 11મી સપ્ટેમ્બરે વિનોબાજીની જન્મતિથિ છે. એ જ દિવસે મહાત્માએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. એ જ દિવસે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદઅલી ઝીણાની મૃત્યુતિથિ છે. એ જ દિવસે ન્યુયોર્કનાં ત્રણ તોતિંગ ટાવરો જમીનદોસ્ત થયાં, તે 9/11 દુર્ઘટનાની અળખામણી યાદ પણ છે. રાજકોટથી એક યુવતી મળવા આવી અને એવી ભેટ આપતી ગઇ કે મારું અઠવાડિયું સુધરી ગયું. દીપાલી રાજ્યગુરુએ મારા હાથમાં વિનોબાના નિબંધસંગ્રહ ‘મધુકર’ની ઝેરોક્ષ નકલ મૂકી દીધી. 1949માં પ્રગટ થયેલું આ પુસ્તક અપ્રાપ્ય છે.

મને નિબંધ લખવાની પ્રેરણા આ પુસ્તકે આપી હતી, એમ કહું તો ચાલે. એકી બેઠકે આખું ફરીથી પુસ્તક વાંચી ગયો ત્યારે આટલાં વર્ષો બાદ વિનોબાજીના વિચારોની તાજગીનો અનુભવ થયો. થોડાંક વર્ષોથી મહાભારત જેવા મહાકાવ્યનું ભાષ્ય લખી રહ્યો છું. મારા ગ્રંથમાં સૌથી વધારે અવતરણો વિનોબાનાં હશે એમ કહી શકું. મૌલિક વિચારોની આવી સાંસ્કૃતિક (વૈદિક) ધરોહર વિનોબા સિવાય બીજે ક્યાં મળે? પ્લેટો કહી ગયો: ‘Love is the pursuit of the whole (પ્રેમ એટલે અખિલાઇની આરાધના).’ વિનોબાજીને વિશ્વગ્રામથી નાની વાત ન ખપે અને માનવી સિવાય બીજાં સ્કેલમાપ ન ખપે. એમનું આખું જીવન ‘દિલોને જોડવામાં વીત્યું!’

‘મધુકર’ (યજ્ઞ પ્રકાશન)માંથી કેટલાંક એવાં વિધાનો અહીં રજૂ કર્યાં છે, જે 64-65 વર્ષો પછી પણ વાસી ન જણાય. વિનોબા લખે છે:
– નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે. આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. (પાન-1)

– આકાશના પોલાણમાં અસંખ્ય તારાઓ ભરેલા છે. દૂરબીનથી પણ બધાનું દર્શન કરી શકાતું નથી. જીવન પણ આકાશ જેવું પોલું ભાસે છે. એકલી બુદ્ધિને તેમાંના ઘણા ઓછા િસદ્ધાંતો ગમ્ય છે, પણ તપશ્ચર્યાનું દૂરબીન લગાડીએ ત્યારે કેટલાક સૂક્ષ્મ સિદ્ધાંતો ડોકિયાં કરવા લાગે છે… ‘ઋષિ’નો મૂળ અર્થ ‘મંત્ર જોનારો’ એવો છે. વિશ્વામિત્ર ઋષિએ ઘોર તપશ્ચર્યા કરી ગાયત્રીમંત્ર પ્રાપ્ત કર્યો એ વાત પ્રસિદ્ધ છે. (પાન-10)

– આપણા સાહિત્ય સંમેલનનીબે બેઠકો વડોદરામાં થઇ કારણ વડોદરામાં મહારાજા સાહેબની કૃપાથી (ભોજનનું) ‘સાહિત્ય’ સારું મળ્યું. એટલે ‘બ્રાહ્મણ’ શબ્દની જેમ ‘સાહિત્ય’ શબ્દને પણ આપણે વડોદરે જઇને વટલાવી નાખ્યો. એ પ્રસંગે ‘પંડિતો, વનિતા અને લતા આશ્રય વિના શોભતાં નથી’- એ અર્થના એક સંસ્કૃત વચનનું આવાહન કરવામાં આવેલું… ભેંસ આગળ ખાણ મૂક્યું હોય તો ભેંસ દૂધ દે છે, તેવી જ રીતે આપણે જો સાહિત્ય આપવાના હોઇએ તો તે સાિહત્યનો સમાજને શો ઉપયોગ થવાનો? દાસ્યભક્તિનો જ કેવળ પ્રચાર થવાનો. (પાન-35)
– કવિની દૃષ્ટિ શાશ્વત કાળ ઉપર હોવી જોઇએ. અનંત કાળ તરફ નજર ન હોય તો ભાવિનો ઉકેલ થઇ શકતો નથી. પ્રત્યક્ષથી આંધળી બનેલી બુદ્ધિને સનાતન સત્યો ગોચર થતાં નથી. (પાન-54)

– મહાવીર સ્વામીને ‘વર્ધમાન’ કહેતા. વર્ધમાન એટલે વધનારા. કાળની સાથે ઝઘડીને તેઓ ‘વીર’ બન્યા. વીરના ‘મહાવીર’ બન્યા. તેથી એ નામ તેમને શોભે છે. (પાન-57).
– ખેડૂતનું જીવન અત્યંત પવિત્ર જીવન છે, કારણ તેનો ઇશ્વર સાથે ડગલે ને પગલે સંબંધ આવે છે… ઋષિઓના મનમાં ખેતી માટે ભારે પ્રેમ હતો. ‘ઋષભ’ (બળદ) અને ‘ઋષિ’ એ બંને શબ્દો મૂળમાં લગભગ સરખા જ અર્થના છે. બંનેમાં ‘ઋષ’ એ જ ધાતુ છે. ઋષભ હળની આગળ ચાલે અને ઋષિ હળની પાછળ ચાલે, એટલો જ એ બેમાં તફાવત. (પાન-80).
– પુસ્તકો બુદ્ધિનું કેદખાનું છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન મળે છે એ ખોટો ખ્યાલ છે… જ્યારથી પુસ્તકો થયાં ત્યારથી સ્વતંત્ર વિચાર પદ્ધતિ નષ્ટ થઇ ગઇ છે. (પાન-143).
……..

કાલડીના સર્વોદય સંમેલનમાં જવા માટે એક સ્પેશિયલ ટ્રેન મુંબઇના વિક્ટોરિયા ટરમિનસથી ઊપડી હતી. એ ટ્રેનમાં બેસીને કાલડિ જનારાંઓમાંથી 25-35 લોકો ગુજરાતમાં આજે પણ જીવતા હશે. એ ટ્રેન કાલડિથી પાછી ફરી તે સાવ ખાલી! લોકો કન્યાકુમારી અને બીજા સ્થળો જોવા માટે રોકાઇ ગયા. ખાલી ટ્રેનમાં એક જ ડબ્બામાં અમે માત્ર પાંચ જ મનુષ્યો હતા: 1. પંડિત સુખલાલજી 2. વજુભાઇ શાહ 3. સૂર્યકાંત પરીખ 4. ગુણવંત શાહ 5. રમણ પટેલ. વજુભાઇ શાહ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતજીનો સત્સંગ પૂરા ત્રણ દિવસ સુધી ચાલ્યો. પરંતુ અમને કાંઇ ગતાગમ ન પડી! વજુભાઇ શાહે અમને જે પ્રેમથી જાળવ્યા તેમાં એમનું આભિજાત્ય ટપકતું રહ્યું. સૂર્યકાંત પરીખે ભજનો સંભળાવેલાં તે પણ યાદ છે.

છેવટે વજુભાઇની સલાહથી હું અને રમણ માથેરાન જવા માટે નેરલ સ્ટેશને ઊતરી ગયા. આ વાતને 57 વર્ષો વીતી ગયાં! ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પંડિત સુખલાલજીનાં બધાં પુસ્તકોનો સંપુટ પ્રગટ કર્યો. મુંબઇમાં એનું લોકાર્પણ કરવા માટે મનુભાઇ શાહે મને મુંબઇ બોલાવ્યો. પંડિતજી સાથે એક જ ડબ્બામાં ત્રણ દિવસ અને ત્રણ રાત ગાળવાનો અને ભોજન કરવાનો લહાવો મને મળેલો, એ વાત મેં સભામાં કહી ત્યારે મને પણ અદભુત લાગેલી. પંડિતજીના વિચારોમાં અનેકાંતનું સૌંદર્ય સહજપણે પ્રગટ થતું જણાય છે. ગમે તેવા તાજા વિચારને કાળક્રમે વાસી થવાની કુટેવ હોય છે. ગાંધી-વિનોબાના કેટલાક વિચારો પરિસ્થિતિ બદલાય ત્યારે કાલગ્રસ્ત બની શકે છે. એવું બને તેમાં મહામાનવોનો કોઇ જ દોષ નથી.

ગાંધીજીની સત્યપ્રીતિ, સાધનશુદ્ધિ કે અહિંસા કાલગ્રસ્ત ન બને, પરંતુ ગાંધીજીનો રેંટિયો કદી શાશ્વતીની દીક્ષા પામી ન શકે. કોમ્પ્યૂટરની શોધ થઇ પછીના ‘ઇન્ટરનેટોત્તર’ વિશ્વમાં ઋષિઓનું દર્શન વધારે પ્રસ્તુત જણાય છે. વિશ્વમાં હરતો-ફરતો-રમતો-જમતો-ભમતો-છુટ્ટો-એવો કોઇ પણ મનુષ્ય સાવ જ અજાણ્યા મનુષ્ય સાથે ‘ઇલેક્ટ્રોનિકલી’ જોડાયેલો હોય એવી સગવડ આજે સામાન્ય બની ગઇ તોય કેટલી રોમેન્ટિક છે? ઋષિઓનું અધ્યાત્મ કદી પણ શુષ્ક ન હતું. ઋષિઓનું ઊંડું દર્શન પણ રોમેિન્ટસીઝમથી ભર્યું ભર્યું હતું.

સર્વોદયનો કોઇ પણ સેવક શા માટે શુષ્ક હોય? પ્રયોગ ખાતર તમે કોઇ જાણીતા લોકસેવક પાસે માત્ર એક કલાક ગાળવાનું સાહસ કરી જોજો. તમને બે બાબત તરત જ સમજાઇ જશે: (1) એમની ઢીલી ઢીલી વૈચારિક અસ્પષ્ટતા અને (2) તેમની વાસી વિચારજડતા. તાજા વિચારની એકાદ લહેરખી પણ તેમના ચહેરા પર સ્મિત ન આણી શકે.

તેઓ ગ્લોબલ વોર્મિંગની વાત એવી રીતે કરશે કે જાણે તમારા ફળિયામાં સમુદ્રનાં પાણી ફરી વળ્યાં છે અને તમારાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. ટેક્નોલોજીના નવા ઉન્મેષોના ધરાર અસ્વીકારને કારણે સર્વોદયની વિચારધારા ‘ગંગાસ્વરૂપ’ બની રહેલી જણાય, તો તેમાં ગાંધી-વિનોબાનો કોઇ જ વાંક નથી. અનુયાયીઓ દ્વારા અન્યાય પામવો એ કોઇ પણ મહામાનવની નિયતિ છે. આ વાત ગાંધીજયંતી અાવે ત્યારે વિગતે કરવા ધારું છું. એ વાત અમધુર જ હોવાની. પ્લેટોના મૃત્યુ પછી શિષ્ય એરિસ્ટોટલ અકાદમીમાં ભણાવી રહ્યો હતો. એક વિદ્યાર્થીએ એને ટોકીને કહ્યું: ‘એરિસ્ટોટલ! તમે આમ કહો છો, પરંતુ પ્લેટો તો જુદું કહેતો હતો.’ આવું ત્રણચાર વાર બન્યું ત્યારે એરિસ્ટોટલે અકળાઇને પેલા વિદ્યાર્થીને કહ્યું: ‘મિત્ર! પ્લેટો મહાન હતો, પરંતુ સત્ય પ્લેટો કરતાંય મહાન છે.’

પાઘડીનો વળ છેડ
સેવાગ્રામમાં ગાંધીજીની ઝૂંપડી
કાળજીપૂર્વક સચવાયેલી છે.
ઘણા લોકો એ ઝૂંપડીની મુલાકાતે જાય છે.
એ ઝૂંપડી જોયા પછી એક માણસ
વિનોબાજીને પઉનાર આશ્રમમાં મળવા ગયો.
વિનોબાજીએ કહ્યું:
‘તમે બાપુની ઝૂંપડી તો જોઇ, પરંતુ એની
પાસે જ ઊભેલું પીપળાનું વૃક્ષ જોયું ખરું?
જરા ધ્યાનથી જોજો.
ઝૂંપડી તેવી ને તેવી જ રહી છે, પરંતુ એ
પીપળાનું વૃક્ષ તો વિકસતું જ રહ્યું છે!’
નોંધ: વિચારોની તાજગી માટે આદરણીય દાદા ધર્માધિકારી યુવાનોના રોલ-મોડલ બની શકે તેમ છે. નવા વરાયેલા વડાપ્રધાને લોકસભામાં પ્રથમ પ્રવચન કર્યું તેમાં દાદા ધર્માધિકારીને યાદ કર્યા હતા. ખુલ્લું મન એ દાદાની ખરી તાકાત હતી. દાદા ગાંધીજન હતા, ગાંધીવાદી ન હતા.

ત્રણ દિવસ પછી વિનોબાજીની જન્મતિથિ છે. તેમના નિબંધસંગ્રહ ‘મધુકર’માં વિનોબાજીના વિચારોની તાજગીનો અનુભવ થયો. ‘મધુકર’માંથી કેટલાંક એવાં વિધાનો અહીં રજૂ કર્યાં છે, જે 64-65 વર્ષો પછી પણ વાસી ન જણાય. મૌલિક વિચારોની આવી સાંસ્કૃતિક (વૈદિક) ધરોહર વિનોબા સિવાય બીજે ક્યાં મળે?

ગુણવંત શાહ

BHAGVAN NI TAPAL

                                                     ટેક્નોલૉજી એટલે સગવડોલૉજી 

પોતાના દરમાંથી સુખની શોધમાં રોજ કીડીબાઈ નીકળી પડે છે. પ્રત્યેક કીડીબાઈની ભીતર રડાર જેવું કશુંક દિશાસૂચક તંત્ર પડેલું હોય છે. એની મદદથી કીડીબાઈ સતત યોગ્ય દિશામાં લાંબો પંથ કાપીને દૂર દૂર આવેલા ધરના રસોડાના પ્લૅટફૉર્મ પર વેરાયેલા ખાંડના દાણા સુધી પહોંચી જાય છે. કીડીબાઈની નાતનું સર્વમાન્ય વળગણ “ગળપણ’ તરીકે ઓળખાય છે. પ્રત્યેક જીવ સતત સુખની શોધમાં હોય છે. મનુષ્ય પણ એમાં અપવાદ નથી. એક તફાવત છે અને તે બહુ મોટો છે. કેવળ મનુષ્યને જ પ્રશ્ન થતો રહે છે : સુખ એટલે શું?
ભગવાન બુદ્ધને કોઈકે પ્રશ્ના કર્યા : “આ જીવન તો જાણે એક ગૂંચવાયેલું કોકડું હોય તેવું જણાય છે. વળી ગૂંચ બહાર પણ છે અને અંદર પણ છે. આજની પેઢી તો વળી ભારે ગૂંચવાયેલી જણાય છે. આ ગૂંચવણને ઉકેલવામાં કોણ સફળ થશે?’ તથાગત થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પ્રશ્નાકર્તા એમની ધ્યાનસ્થ મુદ્રા નિહાળતો રહ્યો. થોડીક વાર પછી તથાગતે જવાબમાં એ જિજ્ઞાસુને જે શબ્દો કહ્યા તે સાંભળીએ :
જ્યારે સારો માણસ, શાણો માણસ
અને વિચારવંત માણસ
ઊંચા પ્રકારની ચેતનાનો વિકાસ કરે,
ત્યારે એ ગૂંચવણને સમજવા પામે છે.
જ્યારે શાણો અને વળી આગ્રહી એવો
સત્યનો એ ઉપાસક સફળતા પામે
ત્યારે ગૂંચવણનો ઉકેલ એને પ્રાપ્ત થશે.
(સમુત્ત નિકાય)
સુખની શોધ તો બધાને હોય છે, પરંતુ સુખ નામનો પદારથ ઝટ સમજાતો નથી. જાપાનમાં ઓસાકા પાસે કોબે નામનું નગર આવેલું છે. એક વડીલ અત્યંત પ્રસન્ન ચિત્તે શરાબની પ્યાલી સામે જોઈ રહ્યા હતા. તેઓને મેં અમથું પૂછયું : “મજામાં છો ને?’ જવાબમાં એ શાણા અને પરગજુ વડીલે કહ્યું : “મારા સુખની ધડી લંબાવી રહ્યો છું.’ જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો. સુખ સ્વભાવે ક્ષણિક હોય છે. શરાબનો નશો માણસને સાતમા આસમાને પહોંચાડે છે. નશો ઊતરી જાય ત્યારે સાતમે આસમાને પહોંચેલો મનુષ્ય ધબ દઈને ભોંય પર પડે છે. સુખની ધડી ગમે તેટલી લંબાય તોય એ ધડી પૂરી થાય પછી શું? આ પ્રશ્નાના જવાબની શોધને કારણે માનવજાતને “શાશ્વત સુખ’ની ઝંખના જાગી. એ ઝંખના આધ્યાત્મકિ ગણાય. એમાં સુખને અપ્રતષ્ઠિત કરવાની વાત નથી. સુખ પામવાની ઝંખના અધ્યાત્મવિરોધી બાબત નથી.
છાંદોગ્ય ઉપનષિદમાં સનત્કુમાર નારદને સુખનું મહત્ત્વ સમજાવે છે  : “જ્યારે મનુષ્યને સુખ મળે ત્યારે જ તે કશુંક કરતો હોય છે. સુખ મળે તેમ ન હોય તો કોઈ કશું ન કરે. એટલા માટે (મનુષ્યે) સુખ અંગે ખાસ જિજ્ઞાસા કેળવવી જોઈએ (સુખં ત્વેવ વજિજ્ઞાસિતવ્યમ્ ઇત).’ આવું સાંભળીને નારદે કહ્યું : “ભગવન્‍! હું સુખ માટે ખાસ જિજ્ઞાસા રાખું છું.’ (છાંદોગ્ય ઉપનષિદ, ૭, ૨૨, ૧). સુખની ઉપેક્ષા નહીં, સુખની સમજણ ઇચ્છનીય છે. પ્રત્યેક મનુષ્ય સુખનષ્ઠિ હોય છે. જેઓ ઉપાસનાના માર્ગે આગળ ગયા તેમને ક્ષણિક સુખ અને શાશ્વત સુખ વચ્ચેના તફાવતની ભાળ મળી હોવી જોઈએ. એ ભાળ મળે તે પહેલાં એમની ભીતર જબરું મંથન ચાલ્યું હશે. ભયંકર ગોટાળામાંથી કશુંક પ્રાપ્ત થાય છે. સુખની શોધમાં ગૂંચવણનો ઉકેલ જડે ત્યારે મનુષ્યને શાશ્વત સુખનો માર્ગ જડયો હશે. ફ્રેડરિક નત્શેિ સાચું કહે છે: “અંદરની ગૂંચવણ વગર તમે નૃત્ય કરતા તારાને જન્મ આપી શકો નહીં (You need chaos within, to give birth to a dancing star).’
ઉત્ક્રાંતિના પરિણામે જ્યારથી બે પગ પર ટટ્ટાર ઊભેલો આદમી (હોમો ઇરેક્ટસ) પેદા થયો ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. એ શોધની ગતિ તરાપાથી સ્ટીમર ભણીની, વનથી વાડી ભણીની, કૂવાથી ઓવરહેડ ટૅન્ક ભણીની અને કોદાળીથી કમ્પ્યૂટર ભણીની રહી છે. વિજ્ઞાનની સઘળી શોધયાત્રા જાણે સગવડયાત્રાને સમાંતરે ચાલતી રહી છે. ટેક્નોલૉજી “સગવડોલૉજી’ બની રહી છે. એની નિંદા ન હોય. ક્યારેક તો ટેક્નોલૉજી દ્વારા પ્રાપ્ત થતી બધી સગવડો ભોગવતા આદર્શવાદી લોકો ટેક્નોલૉજીને પર્યાવરણના નામે ભાંડતા રહે છે. પર્યાવરણની જાળવણી પણ ટેક્નોલૉજીને માર્ગે જ થઈ શકશે. એલવનિ ટૉફલર એ માટે “રિસ્પોન્સબલિ ટેક્નોલૉજી’ શબ્દપ્રયોગ કરે છે. બધી સગવડો પામનારે પણ એ બાબત યાદ રાખવી રહી. છીછરું સુખ અને ટકાઉ સુખ વચ્ચેનો તફાવત અવગણી શકાય તેમ નથી. જેણે પેઇનકિલર શોધ્યું, જેણે ક્લોરોફૉર્મ શોધ્યું અને જેણે વાતાનુકૂલન શોધ્યું એ સૌના આપણે ઉપકૃત છીએ. સગવડદ્વેષથી બચવા જેવું છે, પરંતુ સગવડ આગળ જ અટકી જવાનું પણ ટાળવા જેવું છે. આલ્ફ્રેડ નોર્થ સાચું કહે છે : “વિચારો જીવનના ધસમસતા પ્રવાહમાં ક્ષુલ્લક બની જાય તે પહેલાં તેમને યોગ્ય સન્માન આપી દો.’
માતા પોતાના શિશુ માટે ઉજાગરો કરે ત્યારે દુ :ખી થતી નથી. બસમાં ભીડ હોય ત્યારે કોઈ વડીલને બેસવાની જગ્યા કરી આપનાર સમજુ યુવાન ઊભો રહે ત્યારે દુ :ખી નથી હોતો. રામ જ્યારે પિતાના વચનની રક્ષા માટે વનમાં જવા તૈયાર થયા ત્યારે દુ :ખી ન હતા. સુખ સાથે જોડાઈ ગયેલી પદાર્થતાથી બચવાનું છે, જેથી સુખની સૂક્ષ્મતમ એવી પ્રાપ્તિ પણ થઈ શકે. અન્ય માટે કશુંક જતું કરનારને જે સુખ પ્રાપ્ત થાય છે તે થોડુંક વધારે ટકાઉ હોય છે. બીજા માટે ધસાઈ છૂટનારો માણસ જે પામે છે, તેનો અંદાજ લોભિયા માણસને નથી આવતો. છાન્દોગ્ય ઉપનષિદમાં સાચા સુખની ચાવી બતાવી છે. ઋષિ કહે છે : “યો વૈ ભૂમા તત્સુખમ્ ન અલ્પે સુખમસ્તિ ‘ (સુખ વિશાળતામાં રહેલું છે, પામરતામાં નહીં). ઉપનષિદમાં આવી મૌલકિ સુખમીમાંસા થઈ છે. સાચા સુખની શોધમાં રત રહેવું એ પ્રત્યેક મનુષ્યનો અધ્યાત્મસદ્ધિ અધિકાર છે.
EXCERPT FROM THE BOOK ‘ BHAGVAN NI TAPAAL’.
PUBLISHED BY R.R. SHETH,
sales@rrsheth.com

 

 

 

 

Mahavira ,The Apostle of Non -Violence

In India food has received the status of   ‘Brahman’. A Rishi of Upnishada has introduced food as medicine. Taking food is a pleasant phenomenon, almost as good as a festival. In the process of taking food a lively contact with life is established. In breakfast or dinner on a dinning table, if in the food stuff a scream, a struggle or a shiver of fear of a dumb animal is felt, that foodstuff will not give health and comfort. When a hunter follows a deer, the deer in order to save life runs very fast and finally gets tired. If the hunter has a jeep car, the car does not get tired. At this stage the deer comes in the range of hunter’s gun. When the deer finds death just a moment away a final scream erupts from the deer’s mouth. Meat-eater in the fashionable darkness of a grand hotel, or on the shinning dinning table at home, ever listens to the death –scream of the killed animal, while relishing his dish?  Perhaps not. A living cow simply becomes ‘beef’ for him and a living hen a ‘chicken’. A living pig becomes ‘pork’. If only, just once, let man put himself in the place of that helpless animal.